ભારતના પ્રસિદ્ધ મંદિર જ્યાં દરેક હિન્દુએ એકવાર અચૂક જવું જ જોઇએ | Hindu Temple in India
મંદિર આપણા માટે શ્રદ્ધાનું કેન્દ્ર છે. એક પવિત્ર સ્થાન છે. જ્યા આપણા ભગવાન રહે છે. એવું કહેવાય છે કે ભારતમાં ૧ અરબ કરતા પણ વધારે હિન્દુ મંદિર છે. પણ અહી વાત કરવી છે ભારતના એવા પવિત્ર શહેરોની જ્યાં દરેક હિન્દુઓએ એકવાર અચૂક જવું જ જોઇએ | Hindu Temple in India
કાશી | Kashi - Varanasi
ઘરતી પરની સૌથી પવિત્ર નદી ગંગાના કાંઠે વસેલું આ સ્થળ પણ એટલું જ પવિત્ર છે. કાશીને દુનિયાનું સૌથી પ્રાચીન શહેર કહેવાય છે. ભગવાન શિવનું આ નિવાસ સ્થાન છે. પવિત્રતા અહીંની હવામાં છે. કાશી એટલે શિવ. ભગવાન શિવનું મંદિર અહીં આવેલું છે જ્યાં દેશમાંથી જ નહી પણ વિદેશમાંથી પણ લોકો પવિત્ર શ્રદ્ધા સાથે આવે છે. ભગવાનના ૧૨ જ્યોતિર્લિંગોમાંનું એક જ્યોતિર્લિંગ અહીં આવેલું છે. કાશી વિશ્વનાથ તરીકે આપણે આ મંદિરને જાણીએ છીએ. જગ્ગી વાસુદેવ કહે છે કાશી એટલે પ્રકાશમાન. એટલે કે પ્રકાશનો સ્ત્રોત. મનને પવિત્ર વિચારોથી પ્રકાશિત કરવું હોય તો અહીં અચૂક જવું જોઇએ
અયોધ્યા નગરી | Ayodhya Nagri
અયોધ્યા એટલે ભગવાન શ્રીરામની ભૂમિ. ભગવાન શ્રીરામની અવતાર ભૂમિ. અયોધ્યાનો અર્થ થાય છે અ-યુદ્ધ જેને યુદ્ધ થકી પણ જીતી ન શકાય. આપણા વેદોમાં અયોધ્યાને ભગવાનનું નગર કહેવામાં આવ્યું છે. જેની તુલના સ્વર્ગ સાથે કરવામાં આવી છે. આ નગરીનું પૌરાણિક મહત્વ છે. રામજન્મભૂમિ, કનકભવન, હનુમાનગઢી, રાજદ્વાર મંદિર, દશરથમહલ, લક્ષ્મણ કિલ્લા, મણિપર્વત સહિત અનેક મંદિર અહીંના પ્રમુખ દર્શનીય સ્થળ છે. મર્યાદા પૂરૂષોત્તમ ભગવાન શ્રી રામના આ નગરમાં દરેકે એકવાર દર્શનાર્થે જવું જોઇએ.
ઉજ્જૈન | Ujjain
ઉજ્જૈન એટલે પણ શિવ નગરી. મધ્યપ્રદેશમાં ક્ષિપ્રા નદીના કાંઠે વસેલું એક પવિત્ર પ્રાચીન શહેર. આ શહેર મહાન સમ્રાટ વિક્રમાદિત્યના રાજ્યની આ રાજધાની હતું. આ શહેરને કાલિદાશની નગરી પણ કહેવાય છે. અહીં દર ૧૨ વર્ષે સિંહસ્થ મહાકુંભનો મેળો યોજાય છે. ભગવાન શિવના ૧૨ જ્યોતિર્લિંગોમાંનું એક જ્યોતિર્લિંગ અહીં આવેલું છે. મહાકાલેશ્વર જ્યાં આ શિવલિંગ સ્થિત છે તે મંદિર ખૂબ પ્રખ્યાત છે. જો કે આ મંદિરોની નગરી પણ છે અનેક મંદિરો અહીં દર્શનીય છે.
કેદારનાથ ધામ | Kedarnath Dham
દેશના ઉત્તરે ઉતરાખંડ રાજ્યના રુદ્રપ્રયાગ જિલ્લાનું એક શુદ્ધ સ્થળ એટલે કેદારનાથ ઘામ…નગર. કેદારનાથ ધામના કારણે તે ખૂબ પ્રસિદ્ધ છે. હિન્દુ ધર્મ માટે આ એક અતિશુદ્ધ પવિત્ર ધામ છે. ચારધામ યાત્રાનું એક મહત્વનું સ્થાન આ નગર મહત્વ ધરાવે છે. ભગવાન શિવના ૧૨ જ્યોતિર્લિંગોમાંનું એક જ્યોતિર્લિંગ અહીં આવેલું છે. પ્રાચીન કેદારનાથ ધામ તો અહીં છે પણ સાથે ગૌરીકુંડ, સોનપ્રયાગ, ત્રિજુગીનારાયણ, ગુપ્તકાશી, ઉખીમઠ, અગસ્તયમુનિ, પંચ કેદાર અહીંના દર્શનીય સ્થળ છે.
વૃંદાવન | Vrundavan
ઉત્તરપ્રદેશના મથુરા જિલ્લામાં સ્થિત વૃંદાવનની ગણના પ્રાચીન શહેરોમાં થાય છે. વ્રજભૂમિનું આ મહત્વનું સ્થળ છે. ભગવાન શ્રીકૃષ્ણના બાળપણ સાથે સંકળાયેલું આ શહેર છે. શ્રીકૃષ્ણની બાળલીલામાં રંગાયેલું છે આ શહેર. માત્ર દેશમાંજ નહી વિદેશમાં પણ આ ધામ ખૂબ પ્રખ્યાત છે. રાધા-કૃષ્ણને સમર્પિત વૃંદાવન ધામ અહીં આવેલું છે. જન્માષ્ટમીના દિવસે અહીં ખૂબ લોકો આવે છે. આ ધામ હિન્દુ સંસ્કૃતિ અને ધર્મ સાથે જોડાયેલું છે. અહીંના વાતાવરણમાં, રજે-રજમાં તમને ભગવાન શ્રીકૃષ્ણનો સાદ સંભળાશે.
પુરી | Puri Jagannath
આસ્થા અને પ્રર્યટનનું અદભુત સંગમ સ્થાન એટલે ઓરિસ્સામાં આવેલું પુરી શહેર. ભારતની ચારધામ યાત્રમાં પુરીનો સમાવેશ થાય છે. અહીં ૧૨મી સદીનું જગન્નાથ મંદિર આવેલું હોવાથી તેને જગન્નાથ ધામ પણ કહેવાય છે. સમુદ્ર આ શહેરના પગ ધોવે છે. એવું કહેવાય છે કે કોઇ વ્યક્તિ અહીં ત્રણ દિવસ અને ત્રણ રાતનો નિવાસ કરે તો તે જીવન-મરણના ચક્કરમાંથી મુક્ત થઈ જાય છે. પુરી ભગવાન જગ્ગન્નાથ, સુભદ્રા અને બલભદ્રની પવિત્ર નગરી છે. સમુદ્રની સાથે અહીં અનેક ધાર્મિક સ્થળો પણ આવેલા છે. આ એક એવું શહેર છે જેને નીલગિરી, નીલાદ્રિ, નીલાચલ, પુરૂષોત્તમ, શંખક્ષેત્ર, શ્રીક્ષેત્ર, જગન્નાથ ધામ, જગન્નાથ પુરી જેવા વિવિધ નામથી ઓળખવામાં આવે છે
તિરૂઅનન્તપુરમ | Thiruvananthapuram
કેરલ રાજ્યના તિરૂઅનન્તપુરમ શહેરમાં ભગવાન વિષ્ણુનું પ્રસિદ્ધ મંદિર પદ્મનાભસ્વામી મંદિર આવેલું છે. ભારતના પ્રમુખ વૈષ્ણવ મંદિરોમાંનું એક ઐતિહાસિક મંદિર છે જે પર્યટન સ્થળ તરીકે પણ ખૂબ જાણીતું છે. અહીં વિશાળ સમુદ્ર છે, ઊંચા પર્તતો છે, રમણિય જંગલો છે. એવું કહી શકાય તે ધાર્મિક સ્થળની સાથે પર્યટન સ્થળ પણ છે.
હરિદ્વાર | Haridwar
ઉત્તરાખંડ રાજ્યમાં આવેલ હરિદ્વાર…હરિદ્વાર એટલે હરિનો દ્વાર, હરિ એટલે ભગવાન વિષ્ણુ…આ શહેરને દેવતાઓનું ઘર કહેવાય છે. અહીંની ગંગા આરતીમાં તમે મનથી હાજર રહો તો પૃથ્વી પરના સૌથી પવિત્ર વાતાવરણમાં તમે ઉભા હોવ એવું તમને લાગે. વૈષ્ણોદેવી મંદિર, ભારતમાતા મંદિર, પંતજલિ યોગપીઠ, સ્વામી વિવેકાનંદ પાર્ક અહીંના દર્શનીય સ્થળ છે.