રાષ્ટ્રીય સ્મારક જલિયાંવાલા બાગ પરિવારવાદના રાજનીતિકરણથી રાષ્ટ્રીયકરણ સુધીની કહાની

૧૩ એપ્રિલ, ૨૦૨૩ના દિવસે જલિયાંવાલા બાગ હત્યાકાંડની હૃદયદ્રાવક ઘટનાને ૧૦૪ વર્ષ પૂરાં થશે.. આ ઘટનાના શતાબ્દી વર્ષ ૨૦૧૯માં, ભારતીય સંસદે એક ઐતિહાસિક બિલ, જલિયાંવાલા બાગ રાષ્ટ્રીય સ્મારક (સુધારા) બિલ, ૨૦૧૯ પસાર કર્યું. ...

    ૧૩-એપ્રિલ-૨૦૨૩
કુલ દૃશ્યો |

Jallianwala Bagh
 
 

જલિયાંવાલા બાગ | અંગ્રેજ અમલદારની બર્બરતાનો પુરાવો આપતું સ્થળ | Jallianwala Bagh

 
૧૩ એપ્રિલ, ૨૦૨૩ના દિવસે જલિયાંવાલા બાગ હત્યાકાંડની હૃદયદ્રાવક ઘટનાને ૧૦૪ વર્ષ પૂરાં થશે.. આ ઘટનાના શતાબ્દી વર્ષ ૨૦૧૯માં, ભારતીય સંસદે એક ઐતિહાસિક બિલ, જલિયાંવાલા બાગ રાષ્ટ્રીય સ્મારક (સુધારા) બિલ, ૨૦૧૯ પસાર કર્યું. હંમેશની જેમ, પારિવારિક માનસિકતાથી ગ્રસ્ત કોંગ્રેસે ટ્રિપલ તલાકની તર્જ પર તેનો સખત વિરોધ કર્યો. આ બિલ શા માટે લાવવું પડ્યું અને કોંગ્રેસે શા માટે તેનો વિરોધ કર્યો અને કઈ રીતે આ સ્મારક ગાંધી પરિવારની માલિકીમાંથી મુક્ત કરવામાં આવ્યું તેની કહાણી દર્દનાક છે પણ રસપ્રદ છે, જે વાચકો માટે આ પ્રસંગે સંક્ષેપમાં મૂકવાનો આ પ્રયાસ છે.
 
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના ગૌરવશાળી ઇતિહાસમાં જલિયાંવાલા બાગની ઘટનાનું આગવું સ્થાન છે. પંજાબ પ્રાંતમાં, ૧૩ એપ્રિલે ખાલસા પંથનો સ્થાપના દિવસ અને બૈસાખી ઉત્સવનો અવસર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. વર્ષ ૧૯૧૯માં આ તહેવારની સાથે સમગ્ર પંજાબમાં રોલેટ એક્ટનો વિરોધ પણ સામેલ હતો. આ રોલેટ એક્ટના વિરોધમાં અમૃતસરના જલિયાંવાલા બાગમાં ભારે ભીડ એકઠી થઈ હતી. વિરોધસભાની માહિતી મળતાંની સાથે જ જનરલ ડાયર તેની સશસ્ત્ર ટુકડી સાથે ત્યાં પહોંચી ગયો અને આખા બગીચાને ઘેરી લીધો અને ચેતવણી આપ્યા વિના ત્યાં હાજર નિ:શસ્ત્ર વૃદ્ધો, મહિલાઓ, પુરુષો અને બાળકો પર ગોળીબાર શરૂ કરી દીધો. લગભગ ૧૦ મિનિટ સુધી અંધાધૂંધ ગોળીબાર થયો. ઘણા લોકો ગોળીઓથી માર્યા ગયા. નાસભાગમાં મોટી સંખ્યામાં લોકો કચડાઈ ગયા હતા અને ઘણા લોકો પોતાનો જીવ બચાવવા કૂવામાં કૂદી પડ્યા હતા અને મૃત્યુ પામ્યા હતા. ઘણા લોકો ઘાયલ થયા. એવું કહેવાય છે કે મૃત્યુઆંક ૧૦૦૦થી વધુ હતો અને ૪૦૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા.
 
આ ઘટનાથી સમગ્ર દેશ ગુસ્સામાં હતો અને દેશભરમાં ઉગ્ર વિરોધ ફાટી નીકળ્યો. ભારે વિરોધને જોતાં સરકારે ઉતાવળે હન્ટર કમિટી નામની તપાસ સમિતિની રચના કરી. આ તપાસ સમિતિ સમક્ષ હાજર થઈને જનરલ ડાયરે નિર્લજ્જ નિવેદન આપ્યું હતું કે, જો તેમની ગોળીઓ ખતમ ન થઈ હોત, તો તેમણે વધુ સમય માટે ગોળીબાર કર્યો હોત, જેથી ભારતીયોની ફરીથી બ્રિટિશ કાયદાનો વિરોધ કરવાની હિંમત ન થાય એટલું જ નહીં ઘાયલોને હોસ્પિટલ લઈ જવાની કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી અને કહ્યું હતું કે આ કામ મારું નથી.
 

Jallianwala Bagh 
 
જલિયાંવાલા બાગ મેમોરિયલની રચના
 
મોતીલાલજી નેહરુએ જલિયાંવાલા બાગ હત્યાકાંડની યાદમાં સ્મારક સ્થાપવાનો વિચાર રજૂ કર્યો હતો. ડિસેમ્બર ૧૯૧૯માં આયોજિત અમૃતસર અધિવેશનનો આ પણ એક વિચાર હતો જેથી સામાન્ય જનતાની આહત થયેલી લાગણીઓને રુઝાવી શકાય.
 
હવે વાત કરીએ જલિયાંવાલા બાગ મેમોરિયલ ટ્રસ્ટ બિલ અંગે. આ બિલ ૭ ડિસેમ્બર, ૧૯૫૦ના રોજ સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું. અને ત્યારબાદ જલિયાંવાલા બાગ નેશનલ મેમોરિયલ એક્ટ ૧૯૫૧માં અમલમાં આવ્યો હતો. તે પછી તેની છૂટીછવાયી બેઠકો થઈ હતી અને રાજ્ય કે કેન્દ્ર સરકારની ગ્રાન્ટમાંથી અથવા જાહેર યોગદાનમાંથી કેટલીક રકમ એકઠી કરવામાં આવી હતી, પરંતુ કોંગ્રેસ પક્ષ તરફથી ક્યારેય કોઈ આર્થિક સહાય આપવામાં આવી ન હતી.
 
જો કે જોવાનું એ છે કે, કોંગ્રેસ આ ટ્રસ્ટના કામ પ્રત્યે ક્યારેય ગંભીર અને સમર્પિત રહી નથી. ટ્રસ્ટના આજીવન સભ્ય અબુલ કલામ આઝાદનું ૨૨ ફેબ્રુઆરી, ૧૯૫૮ના રોજ અવસાન થયું હતું, ડૉ. સૈફુદ્દીન કિચલુનું ૯ ઑક્ટોબર, ૧૯૬૩ના રોજ અવસાન થયું હતું અને નેહરુજીનું ૨૭ મે, ૧૯૬૪ના રોજ અવસાન થયું હતું, પરંતુ તે ખાલી જગ્યાઓ ક્યારેય ભરવામાં આવી હતી કે કેમ તે અંગે કોઈ માહિતી સરકારી રેકોર્ડમાંથી ઉપલબ્ધ નથી એવું કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રી પ્રહ્લાદ પટેલનું નિવેદન સામે આવ્યું છે.
એમેન્ડમેન્ટ બિલ ૨૦૧૯ની જરૂર કેમ પડી ?
 
કોંગ્રેસ પાર્ટીએ મેમોરિયલ ટ્રસ્ટને પાર્ટીની પ્રવૃત્તિ તરીકે ગણી અને તેના રાષ્ટ્રીય ગૌરવ અને મહત્ત્વની સંપૂર્ણ અવગણના કરી. ફેબ્રુઆરી ૧૯૭૦માં, શ્રીમતી ઇન્દિરા ગાંધીએ, ટ્રસ્ટના અધ્યક્ષ તરીકેની તેમની ક્ષમતામાં, ટ્રસ્ટના ટ્રસ્ટીઓ વતી એક ઠરાવ પસાર કર્યો અને તેના પર અધ્યક્ષ તરીકે હસ્તાક્ષર કર્યા, પરંતુ તે ટ્રસ્ટમાં ક્યારે જોડાયા તે અંગે રેકોર્ડ પર કોઈ આધાર નથી અને તે સમયે કોંગ્રેસના પ્રમુખ બાબુ જગજીવનરામજી હોવા છતાં તેઓ ટ્રસ્ટ સાથે કેમ જોડાયેલા ન હતા, તેનો પણ ઉલ્લેખ નથી. ૧૯૯૮માં, જ્યારે સોનિયાજી કોંગ્રેસનાં અધ્યક્ષ હતાં, ત્યારે તેમની અધ્યક્ષતામાં ટ્રસ્ટની એક બેઠક મળી હતી, પરંતુ અટલજી, વડા પ્રધાન હોવાને કારણે, તે બેઠકમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. ૨૦૦૬માં, ટ્રસ્ટનું માળખું ફરીથી બદલવામાં આવ્યું હતું અને વડા પ્રધાનને ટ્રસ્ટના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા, પરંતુ એવા કોઈ રેકોર્ડ નથી કે જે દર્શાવી શકે કે મનમોહન સિંહે તેમના વડા પ્રધાનપદ દરમિયાન ક્યારેય ટ્રસ્ટની બેઠકની અધ્યક્ષતા કરી હોય. આ ટ્રસ્ટની કોઈપણ બેઠકમાં ૧૯૯૦થી ૧૯૯૮ વચ્ચે ટૂંકા ગાળા માટે રહેલા અન્ય કોઈ વડાપ્રધાનને બોલાવવામાં આવ્યા હોય તેવું પણ ક્યારેય બન્યું નહીં. ઇન્દ્રકુમાર ગુજરાલજીને ૨૦૦૫થી ૨૦૧૦ના સમયગાળા માટે ટ્રસ્ટના નામાંકિત સભ્ય બનાવવામાં આવ્યા હતા, પરંતુ તેઓ જ્યારે વડાપ્રધાન હતા ત્યારે તેમને ક્યારેય ટ્રસ્ટની બેઠકમાં બોલાવવામાં આવ્યા ન હતા અને ન તો તેમને ટ્રસ્ટના સભ્ય બનાવવામાં આવ્યા હતા.
 
આ રીતે, ટ્રસ્ટની કામગીરી માટે કોઈ ખાસ કાર્યવાહી કરવામાં આવી ન હતી, પરંતુ જે કંઈ થયું તેમાં નિયમોને હોલ્ડ પર રાખવામાં આવ્યા હતા. આ ઘટનાઓ પરથી સ્પષ્ટ થાય છે કે, કોંગ્રેસ પાર્ટીએ ટ્રસ્ટના નીતિ-નિયમો અનુસાર નહીં પણ પોતાની અનુકૂળતા મુજબ ટ્રસ્ટ ચલાવ્યું હતું. ટ્રસ્ટના આટલા લાંબા કાર્યકાળ દરમિયાન, જલિયાંવાલા બાગમાં શહીદ થયેલા શહીદોના પરિવારના કોઈપણ સભ્યને આ ટ્રસ્ટમાં સભ્ય તરીકે સામેલ કરવામાં આવે અથવા નામાંકિત કરવામાં આવે તેની ક્યારેય ચિંતા નહોતી કરવામાં આવી.
 

Jallianwala Bagh 
 
આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને, વર્તમાન કેન્દ્ર સરકારને લાગ્યું કે, ટ્રસ્ટના સંચાલનના મુદ્દા પર ગંભીરતાથી જોવાની જરૂર છે અને તે મુજબ કેટલાક સુધારા અને ફેરફારો જરૂરી છે અને તેથી સુધારા વિધેયક લાવવું જરૂરી હતું, તેથી આ સુધારા બિલ ૨૦૧૯ સંસદમાં લાવવામાં આવ્યું હતું.
 
કોંગ્રેસે આ બિલનો વિરોધ કેમ કર્યો ?
 
જલિયાંવાલા બાગ રાષ્ટ્રીય સ્મારક (સુધારા) બિલ, ૨૦૧૯ ૨૯ જુલાઈ, ૨૦૧૯ના રોજ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. અગાઉ તેને ૧૬મી લોકસભામાં પણ પસાર કરવામાં આવ્યું હતું પરંતુ કોંગ્રેસ અને તેના સમર્થિત પક્ષોના વિરોધને કારણે તે રાજ્યસભામાં પસાર થઈ શક્યું ન હતું. બિલની ચર્ચા દરમિયાન કોંગ્રેસની આગેવાની હેઠળના પક્ષોએ આ ખરડાનો વિરોધ કર્યો હતો અને દલીલ કરી હતી કે, તે વિરાસત સાથે રમત છે. તેમની દલીલોને ફગાવી દેતાં સાંસ્કૃતિક મંત્રી પ્રહ્લાદ પટેલે જણાવ્યું હતું કે, સરકારનો હેતુ આ ઐતિહાસિક સ્થળને રાષ્ટ્રીય સ્મારક બનાવવાનો છે, રાજકીય સ્મારક નહીં.
 
આવી સંસ્થાઓનું રાષ્ટ્રીયકરણ થવું જોઈએ, રાજનીતિકરણ નહીં. કોંગ્રેસે છેલ્લાં ૪૦-૫૦ વર્ષોમાં સ્મારક માટે કંઈ કર્યું નથી અને કોઈપણ પક્ષ જલિયાંવાલા બાગ જેવા રાષ્ટ્રીય સ્મારકની માલિકીનો દાવો કરી શકે નહીં. જલિયાંવાલા બાગ રાષ્ટ્રીય સ્મારક અધિનિયમ, ૧૯૫૧ હેઠળ, કોંગ્રેસ અધ્યક્ષ આ ટ્રસ્ટના કાયમી સભ્ય હતા, પરંતુ સુધારા મુજબ, કોંગ્રેસ અધ્યક્ષ આ ટ્રસ્ટના સભ્ય રહેશે નહીં અને તેના બદલે વિપક્ષના નેતા અથવા જો કોઈ ન હોય તો પછી સૌથી મોટા વિપક્ષના નેતાને સભ્ય બનાવવાની જોગવાઈ છે અને આ કોંગ્રેસના વિરોધનું મુખ્ય કારણ છે.
 
૨૦૦૬ના સુધારા મુજબ નામાંકિત સભ્યની મુદત ૫ વર્ષ માટે નક્કી કરવામાં આવી હતી, તેના બદલે, સુધારા વિધેયકમાં, નોમિનેટેડ સભ્યની મુદત પૂર્ણ થાય તે પહેલાં જ જરૂરિયાત મુજબ દૂર કરવાની જોગવાઈ છે અને આ કાયદેસરનું છે. રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ સહિતના ઉચ્ચ અધિકારીને મુદત પહેલાં હટાવી શકાય તો ટ્રસ્ટના સભ્યને કેમ નહીં ? રાજ્યસભામાં આ બિલની ચર્ચામાં માન. સદસ્ય સુધાંશુ ત્રિવેદીએ યોગ્ય રીતે કહ્યું હતું કે, સિસ્ટમ શાશ્વત છે, કોઈ પક્ષ નહી, પક્ષોમાં ભાગલા હોઈ શકે છે અને તે બન્યું છે, જેવું ૧૯૬૯ અને ૧૯૭૮માં કોંગ્રેસમાં થયું હતું. બિલની ચર્ચા દરમિયાન એ વાત પણ સામે આવી કે, જલિયાંવાલા બાગના ઐતિહાસિક સ્થળની હાલત ખૂબ જ દયનીય છે, ત્યાં કોઈ યોગ્ય વ્યવસ્થા નથી. આટલાં વર્ષોમાં કોંગ્રેસ સંચાલિત ટ્રસ્ટ દ્વારા આ જગ્યાના વિકાસ માટે કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી. ચર્ચા પછી, કોંગ્રેસે વોટિંગ દરમિયાન વોકઆઉટ કર્યું અને આ સુધારા બિલ લોકસભા અને રાજ્યસભા બંનેમાં પસાર થઈ ગયું.
 
 

Jallianwala Bagh 
 
અને અંતે રાષ્ટ્રીય સન્માન
 
આ સુધારા વિધેયક પસાર થતાં વર્ષોથી આ ઐતિહાસિક સ્મારકને થતો અન્યાય સમાપ્ત થયો. જો સરકારે કોંગ્રેસ પ્રમુખને સભ્યપદેથી હટાવીને ભાજપના પ્રમુખની નિમણૂક કરી હોત તો ચોક્કસ રાજકીય પક્ષપાતનો આક્ષેપ વાજબી લાગત, પરંતુ તેવું થયું નથી, આ શહીદસ્થળને યોગ્ય ગૌરવ અપાવવા અને તેને સુવિધાજનક બનાવવા માટે હાલની સરકારે અનેક પગલાં લીધાં છે. સરકારે આશ્વાસન આપ્યું છે કે, જલિયાંવાલા બાગના શહીદોના પરિવારના સભ્યોને આ ટ્રસ્ટમાં સામેલ કરવામાં આવશે.
 
શહીદસ્થળની માટી લાવીને નેશનલ મ્યુઝિયમમાં રાખવામાં આવી છે, જેથી લોકો આ પવિત્ર માટીની મુલાકાત લઈ શકે અને યોગ્ય સન્માન મેળવી શકે. જલિયાંવાલા બાગની જગ્યા પર લાઇટ અૅન્ડ સાઉન્ડ શો માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી છે. ગોળીનાં નિશાન અને ચિત્રો સાચવવા અને શહીદના કૂવાને તેની ઊંડાઈ સુધી જોવા માટેની સુવિધા વિકસિત કરવામાં આવી છે. નવા ડિજિટલ શો અને ફુવારા બનાવવામાં આવ્યા છે. પંખા, પાણી અને વાતાનુકૂલિત ગેલેરીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે અને સ્થળના વિકાસ માટે અન્ય પ્રોજેક્ટો ગતિમાં છે. આ રીતે, આ સુધારા વિધેયક સાથે, શહીદસ્થળ પર ચાલતી પક્ષપાતી દલગત રાજનીતિનો અંત આવ્યો છે અને ૧૦૦ વર્ષ પછી, બલિદાનની આ મહત્ત્વપૂર્ણ ભૂમિને યોગ્ય રાષ્ટ્રીય સન્માન મળ્યું છે, જે સમગ્ર દેશ માટે ગૌરવની વાત છે.
 
 
- સુરેશ ભટ્ટ ( અધિવક્તા, ગુજરાત હાઈકોર્ટ અને રાજનૈતિક વિશ્લેષક )