King of Salangpur | હનુમાનજયંતિના દિવસે વિશ્વ પ્રસિદ્ધ સાળંગપુરમાં કષ્ટભંજન દેવના મંદિર પરિસરમાં કિંગ ઓફ સાળંગપુર પ્રોજેકટનું લોકાર્પણ કરવામાં આવ્યું. હનુમાન જયંતીની પૂર્વ સંધ્યાએ હનુમાનજીની પંચધાતુથી બનેલી દેશની પ્રથમ મૂર્તિ કિંગ ઓફ સાળંગપુરનું અનાવરણ કાલે સાંજે 4 વાગે ( ૫ એપ્રિલ ૨૦૨૩ ) વડતાલ ગાદીના આચાર્ય રાકેશ પ્રસાદ દાસ તેમજ સંતોએ કર્યુ. આ પ્રતિમાની ઉંચાઈ એટલી છે કે 7. કિમી દૂરથી જ પ્રતિમાના દર્શન થાય છે.
કિંગ ઓફ સાળંગપુર પ્રોજેકટ આર્ટ અને આર્કિટેક્ચરનો અદ્ભુત સમન્વય છે. આ પ્રોજેક્ટ શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી, કોઠારી વિવેક સાગર સ્વામી તેમજ મોટા સંતોના માર્ગદર્શનથી બનાવામાં આવ્યો છે. આજે અહી આપણે આ પ્રોજેક્ટ સાથે જોડાયેલ રોચક વાતો અંગે જાણીશું.
આમ તો સાળંગપુરને કોઈ પણ ઓળખની જરૂર નથી. વર્ષોથી સાળંગપુર મંદિર કષ્ટભંજન દેવનું મહત્વનું સ્થાન રહ્યું છે. લોકોની આ સ્થળમાં રહેલી આસ્થાનું જ ફળ છે કે રોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ સ્થળની મુલાકાતે આવે છે. સાળંપુરમાં શ્રદ્ધાળુઓના ઘસરાને જોતા તેમને રહેવા અને જમવાની વ્યવસ્થા મંદિર પરિસરમાં જ છે.
પ્રોજેક્ટની વિશેષતા | King of Salangpur
11 કરોડના ખર્ચે બનાવામાં આવેલ આ પ્રોજેકટ 1,45,889.49 સ્કેવર ફુટમાં ફેલાયેલો છે. આ પ્રોજેકટને એન્શિયન્ટ આર્કિટેક્ચ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. તેને ચિરાગભાઈ ગોટીએ ડિઝાઈન કર્યુ છે. આ પ્રોજેકટ તૈયાર કરવા માટે રોજના 200 થી 300 કારીગરો રોજના 8 કલાક કામ કરી તૈયાર કર્યો છે.
બેસનું મહત્વ અને સાળંગપુર ધામનો ઈતિહાસ
આ પ્રોજેકટમાં બેસ તૈયાર કરવામાં જ એક વરસ જેટલો સમય લાગ્યો છે. તેના પાયાને 50 હજાર સોલિડ ગ્રેનાઈટ અને 30 હજાર ઘન લાઈમ ક્રોંક્રિટથી તૈયાર કરવામાં આવ્યું. છે. તેનો બેસ તૈયાર કરવા માટેના પથ્થર મકરાનાથી મંગાવામાં આવ્યા હતા. બેસની આસપાસ હનુમાનજીની પરિક્રમા 754 ફૂટ લાંબી રહેશે.પ્રતિમા જે બેસ પર બનાવામાં આવી છે. તેના પર હનુમાનજીના ચરિત્રનો ઉલ્લેખ કરતા ભીત ચિત્રોનું નિર્માણ કરવામાં આવ્યું છે. તે સાથે જ બેસમાં સાળંગપુર ધામના ઈતિહાસનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
નાના મંદિરની વિશેષતા
નાના મંદિરની સાઈઝ 15.6 x 15.6 ફૂટ છે. જ્યારે તેના ગુંબજની સાઈઝ 9.6 x 8.3 ફૂટ છે. એક દેરીમા 425 ઘન ફૂટ પથ્થરનો ઉપયોગ થયો છે. નાના મંદિર માટે પથ્થર રાજસ્થાનના બંસી પહાડપુરથી મંગાવામાં આવ્યા હતા.
મૂર્તિની વિશેષતા || King of Salangpur
કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટ અંતર્ગત હનુમાનજીની પ્રતિમાની વાત કરીએ તો હનુમાનજીની આ મૂર્તિ ૫૪ ફૂટ ઊંચી છે. મૂર્તિનું મુગટ 7 ફૂટ લાંબુ અને 7.5 ફૂટ પહોળું છે. તેમનું મુખારવિંદ 6.5 ફૂટ લાંબુ અને 7.5 ફૂટ પહોળું છે. મૂર્તિની હાથના કાંડા 1.5 ફૂટ ઉંચા અને 3.5 ફૂટ પહોળા છે. હાથ 6.5 ફૂટ લાંબા અને 4 ફૂટ પહોળા છે. જ્યારે મૂર્તિના પગ 8.5 ફૂટ લાંબા અને 4 ફૂટ પહોળા છે. આ પ્રતિમામાં દાદાને કરવામાં આવેલ આભૂષણના શણગારની વાત કરીએ તો તે 24 ફૂટ લાંબા અને 10 ફૂટ પહોળા છે.
મૂર્તિની બનાવટ
મૂર્તિના નિર્માણની વાત કરીએ તો તેની બનાવટમાં 3ડી ટેકનીકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મૂર્તિના નિર્માણમાં જે પંચધાતુનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેનું વજન જ 30 કિલો છે. આ મૂર્તિની બનાવટ એવી રીતે કરવામાં આવી છે કે તે ભૂકંપ પ્રૂફ છે. તે સાથે જ પાંચ હજાર વર્ષ સુધી ખરાબ નહિં થાય તે રીતે તેનું નિર્માણ કરવામાં આવ્યું છે.
ગાર્ડનની વિશેષતા
ગાર્ડનમાં 12 હજારથી વધુ લોકો એક સાથે બેસી શકે છે. ગાર્ડનની આસપાસ 4 પ્રકારના 8,335 છોડ વાવવામાં આવ્યા છે. મૂર્તિની બરાબર સામે અને તેની આસપાસ પથ બનાવામાં આવ્યો છે.
કઈ રીતે પહોંચવું
દાદાનું આ મંદિર ગુજરાતના બોટાદમાં આવેલ છે. અહીં જવા માટે રેલ માર્ગ, સડક માર્ગ અને હવાઈ માર્ગ ઉપલબ્ધ છે.
સડક માર્ગઃ દાદાના મંદિરે જવા માટે ગુજરાતના દરેક મહત્વના સ્થળેથી બસ સેવા સહેલાઈથી મળી રહે છે. તે ઉપરાંત સડક માર્ગે ખાનગી વાહન કરીને પણ જઈ શકાય છે.
રેલ માર્ગઃ જો તમે સાળંગપુર જવા માંગતા હોવ તો તેની નજીકનું રેલ્વે સ્ટેશન બોટાદ જંકશન છે. અહીંથી ખાનગી વાહનમાં તમે સાળંગપુર સહેલાઈથી પહોંચી શકો છો.
હવાઈ માર્ગઃ જો તમે દાદાના આ સ્થળે હવાઈ માર્ગે જવા માંગતા હોવ તો તેની નજીકનું રેલ્વે સ્ટેશન ભાવનગર છે. ત્યાંથી બોટાદ માટેની બસ કે ખાનગી વાહન દ્વારા તમે સાળંગપુર પહોંચી શકો છે.
- મોનાલી ગજ્જર