# રાજસ્થાનના કૈથૂનમાં આવેલું છે વિભીષણ મંદિર
# વિશ્વમાં એક માત્ર વિભીષણ મંદિર છે ભારતમાં
# અહીં કરવામાં આવે છે હિરણ્યાકશ્યપના પૂતળાનું દહન
# રામભક્ત તરીકે અહીં પૂજાય છે વિભીષણ
રામાયણનું એક એવું પાત્ર જે દાનવ વંશનો હોવા છતાં દાનવ જેવા કોઈ ગુણ નહિ. એમ કહી શકાય કે રાવણની લંકામાં કોઈ તો હતુ જે સત્ય સાથે હતુ. રાવણનો ભાઈ હોવા છતાં પણ એક રામભક્ત તરીકે આપણે વિભીષણને ઓળખીએ છીએ. આપણે આજ સુધી એવા ઘણા મંદિરો જોયા હશે જ્યાં રામ લક્ષ્મણ જાનકી બિરાજમાન હોય. ત્યાં સુધી કે રાવણનું પણ મંદિર છે. પણ શું તમે જાણો છો કે વિભીષણનું પણ એક મંદિર આવેલું છે. એવું કહેવાય છે કે વિશ્વનું એક માત્ર એવું મંદિર છે જ્યાં વિભીષણની પૂજા થાય છે. આજે આપણે આ લેખમાં આ મંદિર વિશે જાણીશું કે શું છે વિભીષણના મંદિર પાછળની કથા .
ક્યાં આવેલુછે ?
રાજ્સ્થાનના કોટાના કૈથૂન ગામમાં દેશનું એક માત્ર વિભીષણ મંદિર આવેલું છે. અહીં વિભીષણ રામભક્ત તરીકે પૂજાય છે. એટલું જ નહિ અહીં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. આ મંદિર 5000 વર્ષ જૂનું હોવાનું લોકો માને છે. મંદિર 4થી સદીનું હોવાનું કહેવાય છે. ત્રેતાયુગમાં રામના રાજ્યાભિષેક બાદ આ મંદિરનું નિર્માણ થયુ હોવાનું કહેવાય છે.
પૌરાણિક કથા | Vibhishan Mandir katha
મંદિરના હોવા પાછળ પણ એક કથા છે. સ્થાનિક લોકોના મત પ્રમાણે આ મંદિરની કથા રામના રાજ્યાભિષક સાથે સંકળાયેલી છે. કહેવાય છે ભગવાન રામના રાજ્યાભિષેક વખતે હનુમાનજી અને શિવજી એક બીજા સાથે વાતચીત કરી રહ્યા હતા. આવામાં શિવજીએ મૃત્યુલોક પર ભ્રમણની ઈચ્છા પ્રગટ કરી ત્યારે તેમની વચ્ચેનો સંવાદ વિભીષણ સાંભળી રહ્યા હતા. તેમની વાતચીત સાંભળ્યા પછી વિભીષણે તેમની સમક્ષ પોતાની વાત રજૂ કરતા કહ્યું કે, હું તમને મૃત્યુ લોકનું ભ્રમણ કરાવીશ. ત્યારે વિભીષણે કાવડ પર બેસાડી શિવજી અને હનુમાનજીને ભ્રમણ કરાવાનું નકકી કર્યુ. તેમની વાત સાંભળી શિવજીએ વિભીષણ સમક્ષ એક શરત મૂકી. તેમણે વિભીષણને કહ્યું કે જ્યાં પણ તેનું કાવડ જમીનને અડશે યાત્રા ત્યાં જ પૂર્ણ થઈ જશે. તેમની શરત સ્વીકારી વિભીષણ તેમને લઈને યાત્રાએ નીકળ્યા. થોડા સ્થળોના ભ્રમણ પછી વિભીષણના પગ કૈથૂન ગામની જમીનને અડી ગયા અને યાત્રા ત્યાં જ સમાપ્ત થઈ ગઈ. આ યાત્રાના સંદર્ભમાં આ વિસ્તારમાં ભગવાન શિવ, હનુમાનજી અને વિભીષણના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ મંદિર એક જગ્યાએ નથી થોડા – થોડા અંતરે છે.
વિભીષણની પ્રતિમા છે આકર્ષનું કેન્દ્ર
વિભીષણના આ મંદિરમાં તેમની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર છે. મંદિરમાં જે પ્રતિમા સ્થાપિત છે તેમાં તેમનો ધડનો ભાગ જ દેખાય છે. લોકવાયકા પ્રમાણે આ પ્રતિમા દર વર્ષે જવના દાણા જેટલી જમીનમાં ધસે છે.
વિભીષણ મેળો
હોળીના તહેવાર પર કૈથૂનમાં વિભીષણ મેળો લાગે છે.આ મેળો સાત દિવસ ચાલે છે. મેળામાં દૂર દૂરથી લોકો આવે છે.
હિરણ્યાકશ્યપના પૂતળાનું દહન
કૈથૂનની સૌથી મહત્વની વાત એ છે કે દેશમાં ફક્ત અહીં જ હિરણ્યાકશ્યપના પૂતળાનું દહન કરવામાં આવે છે. કહેવાય છે કે હોલીકા જ્યારે અગ્નિમાં બળી ગઈ ત્યારે હિરણ્યાકશ્યપને ગુસ્સો આવ્યો અને તે પ્રહલાદને મારવા દોડ્યો. ત્યારે ભગવાન વિષ્ણુએ હિરણ્યાકશ્યપનો વધ કર્યો અને ભક્ત પ્રહલાદનું રક્ષણ કર્યુ હતુ. તેથી અહીં હોલીકા દહનના બીજા દિવસે હિરણ્યાકશ્યપના પૂતળાનું દહન કરવામાં આવે છે.
અહીં વસતા લોકો અને શ્રદ્ધાળુઓની માંગણી એવી છે કે આ દેશનું એક માત્ર વિભીષણ મંદિર હોવાના કારણે તેને રાષ્ટ્રીય સ્તરે ઓળખ મળવી જોઈએ. અહીં ટ્રેન, સડક માર્ગ અને હવાઈ માર્ગે આવી શકાય છે.
સડક માર્ગઃ વિભીષણ મંદિર જવા માટે સડક માર્ગે રાજ્ય પરિવહનની બસો છે. જે રાજસ્થાનના કોટામા માટે મળી રહે છે. કોટા પહોંચ્યા પ છી કૌથૂન જવા માટે પ્રાઈવેટ વાહન કરી મંદિર સુધી પહોંચી શકાય છે. કૈથૂન સ્ટેટ હાઈવે નં-51 દ્વારા સંકળાયેલો છે.
હવાઈ માર્ગઃ કૈથૂન જવા માટેનું નજીકનું એરપોર્ટ કોટા એરપોર્ટ છે. કૈથૂનથી એરપોર્ટ અંદાજે 4.11 કિમીના અંતરે આવેલું છે.
રેલમાર્ગઃ જો તમે રેલમાર્ગ દ્વારા જવા માંગતા હોવ તો તેની નજીકનું રેલ્વે સ્ટેશન કોટા રેલ્વે સ્ટેશન છે. કોટા રેલ્વે સ્ટેશન કૈથૂનથી 3.4 કિમીના અંતરે આવેલુ છે.