द्वादश ज्योतिर्लिंग स्तुति
सौराष्ट्रे सोमनाथं च श्रीशैले मल्लिकार्जुनम्
उज्जयिन्यां महाकालं ओमकारं ममलेश्वरम् ॥
परल्यां वैद्यनाथं च डाकिन्यां भीमशंकरम् ।
सेतुबंधे तु रामेशं नागेशं दारुकावने ॥
वारणस्यां तु विश्वेशं त्र्यंबकं गौतमी तटे ।
हिमालये तु केदारं घृष्णेशं च शिवालये ॥
एतानि ज्योतिर्लिंगानि सायं प्रातः पठेन्नरः ॥
सप्तजन्मकृतं पापं स्मरणेन विनश्यति ॥
પ્રસ્તુત શ્લોકમાં ભારતભૂમિ પર આવેલા બારેય જ્યોતિર્લિંગનું વર્ણન છે.
અર્થ : સૌરાષ્ટ્રમાં સોમનાથ અને શ્રીશૈલ પર મલ્લિકાર્જુન, ઉજ્જૈનમાં મહાકાલ, ઓંકારેશ્વરમાં મમલેશ્વર, પરલીમાં વૈદ્યનાથ અને ડાકિનીમાં ભીમાશંકર, સેતુબંધમાં રામેશ્વર, દારુકાવનમાં નાગેશ્વર, વારાણસીમાં વિશ્વેશ્વર, ગૌતમીના તટ પર ત્ર્યંબકેશ્વર, હિમાલયમાં કેદારેશ્વર, શિવાલયમાં ઘૃષ્ણેશ્વર. જે કોઈ પણ મનુષ્ય પ્રતિદિન પ્રભાત અને સાયંકાલમાં આ બાર જ્યોતિર્લિંગના નામનો પાઠ કરે છે, તેના સાત જન્મોમાં કરેલ પાપ નષ્ટ થઈ જાય છે.
૧. શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ (સોમનાથ, ગુજરાત) | Somnath Jyotirlinga
ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના સાગરકાંઠે સોમનાથનું ભવ્ય મંદિર આવેલું છે. અહીં ૧૨ પવિત્ર જ્યોતિર્લિંગોમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ જ્યોતિર્લિંગ ( Somnath Jyotirlinga ) વિદ્યમાન છે. સોમનાથનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ થયો છે. સોમનાથનું મંદિર ૨૦૦૦ વર્ષ પહેલાંનું છે. એવું કહેવામાં આવે છે કે, ઈસવીસન ૬૪૯ની સાલમાં વલ્લભીના રાજા મૈત્રકે પહેલાં મંદિરનો જીર્ણોદ્ધાર કરી તેના સ્થાને બીજું મંદિર બનાવ્યું હતું. ત્યારબાદ સિંધના આરબ શાસક જૂનાયદે તેની સેનાની સાથે ૭૨૫ની સાલમાં મંદિર પર હુમલો કર્યો હતો, ત્યાર પછી ૮૧૫માં ત્રીજી વખત પ્રતિહાર રાજા નાગભટ્ટ બીજાએ લાલ પથ્થર વાપરીને મંદિરનું નિર્માણ કર્યું હતું.
સોમનાથ મંદિરમાં ૧૦૨૬ની સાલમાં મહમદ ગઝનીએ કિંમતી ઝવેરાત અને મિલ્કતની લૂંટ કરી હતી. લૂંટ કર્યા પછી મંદિરને સળગાવી તેનો વિનાશ કર્યો હતો અને મંદિરના અસંખ્ય શ્રદ્ધાળુઓને મારી નાંખ્યા હતા. ત્યાર પછી માળવાના પરમાર રાજા ભોજ તથા અણહિલવાડ પાટણના સોલંકી રાજા ભીમદેવે ૧૦૨૬થી ૧૦૪૨ના સમય દરમિયાન ચોથીવાર મંદિરનું નિર્માણ કર્યું હતું. જ્યારે દિલ્હી સલ્તનતે ગુજરાતનો કબજો કર્યો ત્યારે સોમનાથનો ફરીથી વિનાશ કર્યો અને મોગલ શાસક ઔરંગઝેબે ૧૭૦૬ની સાલમાં ફરીથી મંદિર તોડી પાડ્યું હતું. ઉલ્લેખનીય છે કે, મહંમદ ગઝનીએ કુલ ૧૭ વખત ચડાઈ કરી સોમનાથ મંદિર તોડી પાડ્યું હતું.
એ પછી દાયકાઓ સુધી સોમનાથ આમ જ ખંડેર હાલતમાં પડી રહ્યું હતું. પછી સોમનાથના પુનઃનિર્માણ કરવા માટે ભારતના પહેલા નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે ૧૩ નવેમ્બર ૧૯૪૭ના રોજ પ્રતિજ્ઞા લીધી હતી. બન્યું એવું કે ૧૯૪૭માં જૂનાગઢ રિયાસતની આઝાદી સમયે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સોમનાથ ગયેલા. જ્યાં તેમણે સોમનાથ મંદિરને જીર્ણશીર્ણ હાલતમાં જોયું અને અત્યંત દુઃખી થયા. એ પછી તેમણે એનો જીર્ણોદ્ધાર કરાવવાનો સંકલ્પ કર્યો, પરંતુ દેશના તત્કાલીન વડાપ્રધાનશ્રી જવાહરલાલ નહેરુને એમાં ખાસ રુચિ નહોતી. એ બાબતનો ઉલ્લેખ કરતાં રજનીકાંત પુરાણિકે પોતાના પુસ્તક `Nehru's 127 Major Blunders'માં લખ્યું છે કે તત્કાલીન શિક્ષણમંત્રી મૌલાના આઝાદ સોમનાથને ખંડેર જ બનાવી રાખવા માંગતા હતા અને એને ASIને સોંપવાની વકીલાત કરી રહ્યા હતા. ૧૯૫૦માં શ્રી સરદાર પટેલના નિધન બાદ શ્રી ક.મા. મુનશીએ આની જવાબદારી સંભાળી, પરંતુ નહેરુજીને આ કાર્ય પસંદ ના પડ્યું. જ્યારે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદને સોમનાથના ઉદઘાટનનું આમંત્રણ મળ્યું ત્યારે પણ નહેરુજીએ પત્ર લખીને તેમને આમાં ન જવાની સલાહ આપીને આપત્તિ દર્શાવી હતી.
વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરુનું કહેવું હતું કે `એક ધર્મનિરપેક્ષ રાષ્ટ્રના પ્રમુખે મંદિરના ઉદઘાટનમાં ના જવું જોઈએ.' આવું કહીને તેઓ મંદિરના ઉદઘાટનમાં આવ્યા નહોતા. પરંતુ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ મુખ્ય અતિથિ તરીકે આવ્યા હતા. તેમનું કહેવું હતું કે, `સેક્યુલારિઝમનો એવો અર્થ નથી થતો કે કોઈ પોતાના સંસ્કારોથી દૂર થઈ જાય અથવા ધર્મવિરોધી બની જાય.' તેમણે મંદિરના ઉદઘાટનમાં એમ પણ કહ્યું હતું કે, `આપણો દેશ ધર્મનિરપેક્ષ જરૂર છે, પણ નાસ્તિક નથી.' આમ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ સોમનાથના ઉદઘાટનમાં મુખ્ય અતિથિ રૂપે ખૂબ હર્ષથી પધાર્યા હતા, અને પ્રાણપ્રતિષ્ઠા કરી હતી.
ઉલ્લેખનીય છે કે પૂ. મહાત્મા ગાંધીએ મહંમદ ગજની દ્વારા ધ્વસ્ત કરાયેલા સોમનાથ મંદિરના જીર્ણોધ્ધારમાં સરકારી રૂપિયા ખર્ચ ન કરવાનું કહ્યું હતું, જેનાં કારણે ફાળો ભેગો કરી મંદિરનું પુનઃનિર્માણ કરવું પડ્યું હતું. ૧૯૫૧માં જ્યારે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે જ્યોતિર્લિંગની પ્રતિષ્ઠા કરવાની વિધિ કરી ત્યારે તેમણે કહ્યું હતું કે, `સોમનાથનું આ મંદિર વિનાશ પર નિર્માણના વિજયનું પ્રતિક છે. આપણે આજે એક હજાર વર્ષના કલંકને ધોયું છે.'
ઉલ્લેખનીય છે કે શ્રી સોમનાથ ટ્રસ્ટ હેઠળ મંદિરનું નિર્માણ થયું છે અને આ ટ્રસ્ટ હવે મંદિરની દેખરેખ કરે છે. હાલ આ ટ્રસ્ટના અધ્યક્ષ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી છે અને ગૃહમંત્રી શ્રી અમિત શાહ, શ્રી પી. કે. લહેરી, શ્રી જે. ડી. પરમાર અને શ્રી હર્ષવર્ધન નિઓટિયા ટ્રસ્ટીઓ છે. સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સોમનાથ ટ્રસ્ટ સમગ્ર વિશ્વમાં આધ્યાત્મિક ચેતના ફેલાવી રહ્યું છે અને વડાપ્રધાનના દુરંદેશી નેતૃત્વમાં સોમનાથ આધ્યાત્મિકતા અને આધુનિકરણનો અદ્ભુત સમન્વય બન્યું છે.
૨. શ્રી મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ (શ્રીશૈલમ, આંધ્રપ્રદેશ) | Mallikarjuna Jyotirlinga
આંધ્રપ્રદેશના કુરનુલ જિલ્લામાં કૃષ્ણા નદીના કિનારે મલ્લિકાર્જુન મંદિરમાં શ્રીશૈલમ જ્યોતિર્લિંગ આવેલું છે. મલ્લિકાર્જુન મંદિર વિશે એક પ્રાચીન કથા છે. તે સમય દરમિયાન શિવગણ નંદીએ અહીં તપસ્યા કરી હતી અને તેમની તપસ્યાથી પ્રસન્ન થઈ ભગવાન શિવ અને પાર્વતીએ તેમને મલ્લિકાર્જુનના રૂપમાં દર્શન આપ્યાં હતાં. મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ ( Mallikarjuna Jyotirlinga ) નું મહાભારતમાં પણ વર્ણન કરવામાં આવ્યું છે. પાંડવોએ આ જ્યોતિર્લિંગની સ્થાપના અહીંયાં કરી હતી. શ્રી ભગવાને રામે પણ આ મંદિરનાં દર્શન કર્યાં હતાં. હિરણ્યકશ્યપ જે ભક્ત પ્રહ્લાદના પિતા હતા તે પણ અહીંયાં પૂજા-અર્ચના કરતા હતા.
ભારતમાં બાર જ્યોતિર્લિંગોમાં મલ્લિકાર્જુન બીજા ક્રમાંક પર આવેલું છે. અહીંયાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. આ મંદિરમાં પ્રવેશ માટે ચાર દિશામાં ચાર દ્વાર આવેલાં છે. જેને ગોપુરમ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયાં મંદિરમાં પ્રવેશ માટે બહાર પગ ધોયા પછી પ્રવેશ મળે છે. નંદીની પરવાનગી લીધા બાદ ભક્તો અહીં મલ્લિકાર્જુન સ્વામીના દિવ્ય રૂપનાં દર્શન કરે છે. અહીંયાં દર્શન કરવાથી મહાફળની પ્રાપ્તિ થાય છે. અનેકો ધર્મકર્મ કરવાથી જે પુણ્ય મળે છે તે મલ્લિકાર્જુન સ્વામીનાં દર્શનમાત્રથી જ પ્રાપ્ત થાય છે.
૩. શ્રી મહાકાળેશ્વર (ઉજ્જૈન, મધ્યપ્રદેશ) | Mahakaleshwar Jyotirlinga
ભારતમાં આવેલાં બાર જ્યોતિર્લિંગમાંનું મહાકાળેશ્વર મંદિર ત્રીજા ક્રમાંકનું જ્યોતિર્લિંગ છે. આ જ્યોતિર્લિંગ મધ્ય પ્રદેશ રાજ્યના ઉજ્જૈન નગરમાં આવેલું છે. આ જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશના ઉજ્જૈન નગરમાં ક્ષિપ્રા નદીના તટ પર આવેલું છે. મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ ( Mahakaleshwar Jyotirlinga ) ની વિશેષતા એ છે કે આ એકમાત્ર દક્ષિણમુખી જ્યોતિર્લિંગ છે અને ભગવાન મહાકાલેશ્વર ઉજ્જૈનની રક્ષા કરી રહ્યા છે. મહાકાલેશ્વર જ્યોતિર્લિંગની ભસ્મ આરતી વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. મહાકાલ ઉજ્જૈનના રાજાના સ્વરૂપે પૂજાય છે.
ઉજ્જૈનમાં મહાકાલેશ્વર મંદિરમાં મુખ્ય ત્રણ વિભાગો આવેલા છે. તેના ઉપરના ભાગે નાગચંદ્રેશ્વર મંદિર છે. નીચે ઓમકારેશ્વર મંદિર અને સૌથી નીચે મહાકાલેશ્વરનાં દર્શન થઈ શકે છે. અહીં શિવના આખા પરિવાર સાથે માતા પાર્વતી ગણેશ અને કાર્તિકેયનાં પણ દર્શન થાય છે. અહીંયાં એક કુંડ પણ છે, જેમાં સ્નાન કરવાથી તમામ પાપ ધોવાઈ જાય તેવી માન્યતા છે.
૪. શ્રી ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ (ઓમકારેશ્વર, મધ્યપ્રદેશ) | Omkareshwar Jyotirlinga
ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગમાં ચોથું જ્યોતિર્લિંગ ઓમકારેશ્વર ( Omkareshwar Jyotirlinga ) છે. તે મધ્યપ્રદેશમાં નર્મદા નદીના કિનારે આવેલું છે. આ જગ્યા પર ભગવાન શિવનાં બે મંદિરો છે. ઓમકારેશ્વર અને મમલેશ્વર. એમ કહેવાય છે કે દેવતાઓની પ્રાર્થનાથી આ મંદિર બે ભાગમાં છૂટું પડી ગયું હતું.
ઓમકારેશ્વરની વિશેષતા એ છે કે અહીંનો પર્વત ઓમના આકારનો દેખાય છે અને નર્મદા નદી પણ ઓમના આકારમાં વહેતી હોય તેવું દેખાય છે. માટે તેનું નામ ઓમકારેશ્વર છે. ઓમકારેશ્વરની સાથે ઘણી બધી કથાઓ જોડાયેલી છે.
પૂ. શંકરાચાર્યજીના ગુરુ ઓમકારેશ્વરની એક ગુફામાં રહેતા હતા અને પૌરાણિક કથા અનુસાર ઓમકારેશ્વરમાં વદ્યાચલે તપસ્યા કરી હતી. શિવપુરાણ અનુસાર અહીં દર સોમવારે ઓમકાર બાબા અને મમલેશ્વરજી પોતાની પ્રજાનાં દુઃખને જાણવા માટે આખા નગરમાં ફરવા માટે નીકળતા હતા.
ઓમકાર ભગવાનને વાજતે ગાજતે હોડીમાં બેસાડી મમલેશ્વર મંદિરવાળા ઘાટ પર લઈ જવામાં આવે છે, અને પછી બંને ભગવાનની સવારી નગરમાં ફરવા નીકળે છે.
૫. શ્રી કેદારનાથ જ્યોતિર્લિંગ (રૂદ્રપ્રયાગ, ઉત્તરાખંડ) | Kedarnath Jyotirlinga
બાર જ્યોતિર્લિંગોમાં કેદારનાથ ( Kedarnath Jyotirlinga ) નું મંદિર ભારતના ઉત્તરાખંડ રાજ્યમાં રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલું એક પ્રસિદ્ધ હિંદુ મંદિર છે. ઉતરાખંડ હિમાલય પર્વતની ગોદમાં આવેલું કેદારનાથ મંદિર પણ બાર જ્યોતિર્લિંગોમાં સામેલ છે. ચાર ધામોમાંનું એક મંદિર કેદારનાથ છે. અહીંના પ્રતિકૂળ વાતાવરણને કારણે આ મંદિર માત્ર એપ્રિલ અને નવેમ્બરની વચ્ચે દર્શન માટે ખૂલે છે. આ મંદિરનો જીર્ણોદ્ધાર આદિ પૂ. શંકરાચાર્યજીએ કરાવ્યો હતો. કેદારનાથનો ખૂબ જ મોટો મહિમા છે. બદ્રીનાથ અને કેદારનાથ ઉત્તરાખંડનાં બે મુખ્ય યાત્રાધામ છે. તે બંનેનું ખૂબ મહત્ત્વ છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે હાલ આ તીર્થસ્થાનનું સુંદર નવનિર્માણ કર્યું છે.
૬. શ્રી ભીમાશંકર જ્યોતિર્લિંગ (ભીમાશંકર, મહારાષ્ટ્ર) | Bhimashankar Jyotirlinga
બાર મુખ્ય જ્યોતિર્લિંગમાં છઠ્ઠું જ્યોતિર્લિંગ ભીમાશંકર ( Bhimashankar Jyotirlinga ) છે. આ જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રના પુણેથી ૧૧૦ કિલોમીટર દૂર સહ્યાદ્રિ પર્વતની હારમાળામાં આવેલું છે. ભીમાશંકર જ્યોતિર્લિંગને મોટેશ્વર મહાદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિર ખૂબ જ જૂનું અને કલાત્મક છે. શિવપુરાણમાં કુંભકર્ણના પુત્રનું નામ ભીમ હતું. તે રાક્ષસ હતો. પિતાના મૃત્યુ પછી તેનો જન્મ થયો હતો. તેને ખબર નહોતી કે તેના પિતા ભગવાન શ્રી રામના હાથે મૃત્યુ પામ્યા છે. તેણે શ્રી રામને મારવા માટે ઘણાં વર્ષો સુધી શંકર ભગવાનની તપસ્યા કરી હતી અને ભગવાન શિવ અહીં પ્રસન્ન થયા હતા. એટલે તેનું નામ ભીમાશંકર પડ્યું હતું.
૭. શ્રી કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ (વારાણસી, ઉ.પ્ર.) | Kashi Vishwanath Jyotirlinga
કાશી વિશ્વનાથ મંદિર વારાણસીમાં ગંગા નદીના કિનારે આવેલું છે. આ મંદિર વારાણસીમાં છેલ્લાં ઘણાં હજારો વર્ષોથી સ્થિત છે. કાશી વિશ્વનાથ મંદિરનું ( Kashi Vishwanath Jyotirlinga ) હિન્દુ ધર્મમાં ખૂબ મોટું મહાત્મ્ય છે. અહીંયાં પવિત્ર ગંગામાં સ્નાન કરવાથી વ્યક્તિને મોક્ષ પ્રાપ્ત થાય છે. કાશી વિશ્વનાથ મંદિરના મુખ્ય દેવતાને વિશ્વનાથ અથવા વિશ્વેશ્વર નામથી ઓળખવામાં આવે છે. આ પવિત્ર મંદિર ગંગાના પશ્ચિમ કિનારે આવેલું છે અને વારાણસી મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિરને કાશી વિશ્વનાથ મંદિર કહેવામાં આવે છે. કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ બે ભાગમાં છે. જમણા ભાગમાં દેવી ભગવતી શક્તિ સ્વરૂપે બિરાજમાન છે. બીજી બાજુ ભગવાન શિવ સુંદર સ્વરૂપમાં બિરાજમાન છે. તેથી જ કાશીને મુક્ત ક્ષેત્ર કહેવામાં આવે છે. વિશ્વના દરબારમાં તંત્રના મુખ્ય ચાર દરવાજા છે. શાંતિનો દરવાજો, નાનો દરવાજો પ્રતિષ્ઠાનો દરવાજો અને નિવૃત્તિનો દરવાજો. આ દરવાજા ભવનના પડાવો બતાવે છે. વારાણસીને ભારતના પ્રથમ નગર તરીકેનો સાંસ્કૃતિક દરજ્જો પ્રાપ્ત છે.
૮. શ્રી ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ (નાસિક, મહારાષ્ટ્ર) | Trambakeshwar Jyotirlinga
બાર જ્યોતિર્લિંગોમાં ત્ર્યંબકેશ્વર ( Trambakeshwar Jyotirlinga ) મહારાષ્ટ્રના નાસિકથી ૩૫ કિલોમીટર દૂર ગૌતમી નદીના કિનારે આવેલું છે. મંદિરની અંદર એક નાના ખાડામાં ત્રણ નાનાં શિવલિંગ આવેલાં છે. તેમાં બ્રહ્મા, વિષ્ણુ અને શિવ એ ત્રણ દેવતાઓ બિરાજમાન છે, આ તેની મોટી વિશેષતા છે. ભારતમાં સૌથી વધુ આ જ્યોતિર્લિંગ પૂજાય છે. અહીંયાં કુંભનો મેળો પણ ભરાય છે અને ભક્તો ગૌતમ ગંગામાં સ્નાન કરીને ભગવાન શ્રી ત્ર્યંબકેશ્વરનાં દર્શન કરે છે. ગૌતમ ઋષિ, ગોદાવરી અને અન્ય દેવોની પ્રાર્થનાથી ભગવાન શિવે આ સ્થળે નિવાસ કરવાનું નકકી કર્યું હતું. ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગનું આશ્ચર્ય એ છે કે તેના ત્રણ ચહેરા છે, આથી તેનું નામ ત્ર્યંબકેશ્વર પડ્યું છે.
૯. શ્રી વૈદ્યનાથ જ્યોતિર્લિંગ (દર્ડમારા, ઝારખંડ) | Vaidyanath Jyotirlinga
વૈદ્યનાથ જ્યોતિર્લિંગ ભારતનું નવમું જ્યોતિર્લિંગ છે. વૈદ્યનાથ જ્યોતિર્લિંગ ઝારખંડ પ્રાંતના સાયલ પરગણાના ડુમકા નામના જિલ્લામાં આવેલું છે. આ જ્યોતિર્લિંગ ( Vaidyanath Jyotirlinga ) ની કથા રાવણ સાથે સંબંધિત છે. ભગવાન શિવનો સૌથી મોટો ભક્ત રાવણ હતો. એક વાર શિવને પ્રસન્ન કરવા માટે તેણે હિમાલય પર ઉગ્ર તપસ્યા કરી હતી. રાવણે તેનાં નવ માથાં કાપીને શિવલિંગને અર્પણ કર્યાં હતાં, જ્યારે તે પોતાનું દસમું માથું કાપવા જઈ રહ્યો હતો ત્યારે શિવ પ્રગટ થયા અને વરદાન આપ્યું હતું. કહેવાય છે કે રાવણે વરદાનમાં એક લિંગ માગ્યું હતું, ત્યારબાદ અહીંયાંના શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી.
૧૦. શ્રી નાગેશ્વર જ્યોતિર્લિંગ (દારુકાવનમ, ગુજરાત) | Nageshvara Jyotirlinga
ભગવાન શિવનું નાગેશ્વર જ્યોતિર્લિંગ ( Nageshvara Jyotirlinga ) ગુજરાત રાજ્યનાં દ્વારકાથી ૨૫ કિલોમીટરના અંતરે આવેલું છે. ધાર્મિક શાસ્ત્રો અનુસાર ભગવાન શિવને સર્પના દેવતા તરીકે ઓળખવામાં આવે છે. અને નાગેશ્વરનો સંપૂર્ણ અર્થ સર્પનો સ્વામી એવો થાય છે. સાપ હંમેશા ભગવાન શિવના ગળામાં જોવા મળે છે. માટે આ મંદિરમાં ઝેર અને ઝેર સંબંધિત રોગોથી મુક્તિ મળે છે, તેવી માન્યતા છે. નાગેશ્વર શિવલિંગની સ્થાપના દ્વારકાના ખડકમાંથી ગોળાકાર પથ્થરથી ત્રણમુખી રુદ્રાક્ષના રૂપમાં કરવામાં આવી છે. શિવલિંગની સાથે દેવી પાર્વતીની પણ અહીં પૂજા થાય છે. પૌરાણિક કથા અનુસાર અહીં ભગવાન શ્રી કૃષ્ણ રુદ્રાભિષેક દ્વારા ભગવાન શિવની પૂજા કરતા હતા.
૧૧. શ્રી રામેશ્વરમ્ જ્યોતિર્લિંગ (રામેશ્વરમ્, તમિલનાડુ) | Rameshwaram Jyotirlinga
રામેશ્વરમ્ જ્યોતિર્લિંગ ( Rameshwaram Jyotirlinga ) તમિલનાડુના રામનાથપુર જિલ્લામાં આવેલું છે. ચારધામની યાત્રામાં એક ધામ રામેશ્વરમ્ છે. એને રામનાથસ્વામી મંદિર પણ કહેવામાં આવે છે. બ્રાહ્મણ રાવણનો વધ કરવાથી શ્રીરામજી ઉપર બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું હતું. તે સમયે ઋષિઓએ શ્રીરામને કહ્યું હતું કે, બ્રહ્મ હત્યાના પાપથી મુક્તિ મેળવવા માટે તેમણે શિવલિંગ સ્થાપિત કરીને અભિષેક કરવો જોઈએ. તે પછી રામજીએ દક્ષિણ તટ ઉપર બાલૂ (એક પ્રકારની માટી)થી શિવલિંગ બનાવીને તેની પૂજા કરી હતી. આમ આ શિવલિંગ સ્વયં પ્રભુ શ્રી રામે સ્થાપિત કરેલું પવિત્ર જ્યોતિર્લિંગ છે.
૧૨. શ્રી ઘૃષ્ણેશ્વર (વેરુલ, મહારાષ્ટ્ર) | Dhrushneshwar Jyotirlinga
ભગવાન શિવના ૧૨ જ્યોતિર્લિંગમાંથી એક ઘૃષ્ણેશ્વર મંદિર મહારાષ્ટ્રના ઔરંગાબાદના દૌલતાબાદથી ૧૧ કિ.મી. દૂર શહેરની ચહલ-પહલથી દૂર એક શાંત જગ્યાએ આવેલું છે. ઘૃષ્ણેશ્વર ( Dhrushneshwar Jyotirlinga ) મંદિરની ખાસ વિશેષતા એ છે કે, અહીં પિતા શંકર સાથે પુત્ર ગણેશ પણ બિરાજ્યા છે. દેશમાં આવેલ ૨૧ ગણેશપીઠો પૈકી એક લક્ષવિનાયક નામથી પ્રસિદ્ધ ગણેશપીઠ પણ આ મંદિરમાં જ આવેલ છે. પૌરાણિક કથા અનુસાર ઘૃષ્ણ નામની શિવભક્ત મહિલાની ભક્તિથી અહીં શિવજી વિરાજમાન થયા હતા. પુરાતત્વ અને વાસ્તુકલાની દૃષ્ટિએ આ મંદિર ખૂબ મહત્ત્વનું છે. શ્રાવણ માસ અને અન્ય વાર તહેવારોના દિવસે અહીં મેળો ભરાય છે. આ સમયે ખૂબ મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા માટે આવે છે. ઘૃષ્ણેશ્વર મંદિરનું પુનઃનિર્માણ ૧૬મીસદીમાં વેરુળના માલોજી રાજે ભોંસલે (શિવાજીના દાદાજી) દ્વારા કરવામાં આવ્યું અને ત્યાર બાદ ૧૮મી સદીમાં અહીલ્યાબાઈ હોળકર દ્વારા તેનું પુનઃ નિર્માણ કરાયું હતું.
12 Jyotirling Darshan in gujarati । mallikarjuna jyotirlinga, mahakaleshwar jyotirlinga, somnath jyotirlinga, omkareshwar jyotirlinga, kedarnath jyotirlinga, bhimashankar jyotirlinga, kashi vishwanath jyotirlinga, trambakeshwar jyotirlinga, vaidyanath jyotirlinga, nageshvara jyotirlinga, rameshwaram jyotirlinga, dhrushneshwar jyotirlinga, 12 Jyotirling vishe mahiti,