જાણો પુષ્પા-૨માં અલ્લુ અર્જુને અપનાવેલા સ્ત્રીવેશ પાછળનો ભવ્ય ઇતિહાસ

સ્ત્રીઓની રક્ષા માટે માતંગી વેશ ધારણ કરીને રણમાં ઊતર્યાં હતાં લોકદેવી ગંગમ્મા થલ્લી, ભગવાન વેંકટેશ બાલાજીનાં હતાં બહેન

    ૧૬-ડિસેમ્બર-૨૦૨૪   
કુલ દૃશ્યો |

pushpa2
 
અલ્લુ અર્જુનની ફિલ્મ `પુષ્પા-૨' આવી ગઈ છે. આ ફિલ્મના એક દૃશ્યમાં અલ્લુ અર્જુન સ્ત્રીવેશ ધારણ કરીને નૃત્ય કરતો જોવા મળે છે. જાંબલી-લાલ રંગની સાડી, શરીર પર શ્યામ રંગનો લેપ, ગળામાં લીંબુના હારની માળા, કપાળ પર લાલ રંગનું તિલક, નાકમાં પહેરેલી નથ અને હાથમાં પહેરેલા ચુડા. આ તમામ બાબતો અલ્લુ અર્જુનના દેવીવેશને ઉત્તમ રીતે દર્શાવી રહી છે. પરંતુ ઘણા ઓછા લોકો આ વેશ પાછળના ઇતિહાસથી પરિચિત હશે. આજે આપણે અલ્લુ અર્જુનના તે વેશ અને તેની પાછળના ઇતિહાસ અંગેની ચર્ચા કરીશું.
 
પુષ્પા-૨ ફિલ્મમાં અલ્લુ અર્જુને ધારણ કરેલો વેશ માત્ર કોઈ સાધારણ સ્ત્રીનો નથી, પરંતુ દક્ષિણ ભારતનાં એક લોકદેવીનો છે. દક્ષિણ ભારતનાં તે લોકદેવી ગંગમ્મા થલ્લી તરીકે પ્રસિદ્ધ છે. આંધ્રપ્રદેશમાં તેમનું ભવ્ય મંદિર પણ છે. મહત્ત્વની વાત એ છે કે, ગંગમ્મા થલ્લીને ભગવાન વેંકટેશ બાલાજીનાં બહેન માનવામાં આવે છે. તેમણે સ્ત્રીઓની રક્ષા માટે શસ્ત્રો ધારણ કર્યાં હતાં અને અત્યાચારી શાસકો વિરુદ્ધ યુદ્ધ છેડ્યું હતું. દૈવીય તત્ત્વ અને અસીમિત શક્તિઓના આધારે તેમણે તે વિસ્તારની તમામ સ્ત્રીઓની રક્ષા કરી હતી.
 
તેમના રૌદ્રરૂપને જોઈને સ્થાનિકોએ તેમની સ્તુતિ-વંદના કરી હતી. આજે પણ દક્ષિણ ભારતના હિંદુઓ ગંગમ્મા થલ્લીમાં અદ્ભુત આસ્થા ધરાવે છે. આ દેવીને લોકદેવી કહેવામાં આવ્યાં છે. કારણ કે, દક્ષિણ ભારતની લોકસંસ્કૃતિમાં તેમનું સ્થાન આગવું છે.
 
 
કોણ હતા દેવી ગંગમ્મા થલ્લી?
 
 
દક્ષિણ ભારતની લોકસંસ્કૃતિમાં ગંગમ્મા થલ્લી વિશેની ઘણી માહિતી મળી આવે છે. લોકસંસ્કૃતિ અનુસાર, આજથી સેંકડો વર્ષ પહેલાં તિરુપતિ અને તેની આસપાસના વિસ્તારમાં પલેગોંડુલુ વંશના અત્યાચારીઓનું આસુરી શાસન હતું. તે લોકો દક્ષિણ ભારતની સ્થાનિક મહિલાઓ પર ખૂબ અત્યાચાર આચરતા હતા. સ્ત્રીઓ પર હુમલા કરવા, તેમનો બળાત્કાર કરવો અને તેમના પર અમાનુષી અત્યાચાર આચરવો, આ બધી બાબતો પલેગોંડુલુ શાસકો માટે ખૂબ સામાન્ય હતી. દિવસ દરમિયાન અનેક સ્થાનિક મહિલાઓનાં મોત થતાં હતાં અને ઘણી મહિલાઓ તો આપઘાત પણ કરી લેતી હતી.
 
 
લોકસંસ્કૃતિ અનુસાર, આવા નિર્દયી અને ક્રૂર આસુરી શાસકોના વિધ્વંસ માટે જ અવિલાલા ગામમાં ગંગમ્મા થલ્લીનો જન્મ થયો હતો. તેમનું તેજ ચંદ્ર કરતાં પણ શીતળ અને સૂર્ય કરતાં પણ તેજસ્વી હતું. યુવાન અવસ્થામાં પહોંચ્યા બાદ દેવી ગંગમ્માએ ક્રૂર શાસકોના વિનાશ માટેનાં રણશિંગા ફૂંકી દીધાં હતાં. અત્યાચારીઓએ ગંગમ્માને પણ નુકસાન પહોંચાડવાની હિંમત કરી હતી. જેના કારણે તેમણે દેવીના કોપનો સામનો કરવો પડ્યો હતો.
 
દેવી ગંગમ્માએ દૈવીશક્તિ અને પોતાના અસીમિત તેજથી એક-એક અત્યાચારીનો વધ કરવાનું શરૂ કરી દીધું હતું, જેના કારણે મોટાભાગના પલેગોંડુલુઓ જંગલમાં જઈને છુપાઈ ગયા હતા અને દેવીની ક્ષમા માંગવા લાગ્યા હતા. તે તમામ અત્યાચારીઓને બહાર કાઢવા માટે દેવી ગંગમ્માએ એક રસ્તો સુઝાડ્યો જેને `ગંગા જતારા' કહેવામાં આવે છે, જેમાં તિરુપતિના લોકો સ્ત્રીવેશ ધારણ કરીને ૭ દિવસ સુધી જંગલમાં તે અત્યાચારી શાસકોને શોધવા માટે જવાનું હતું. આ રીતે તિરુપતિના લોકો જંગલમાં ગયા અને સાત દિવસ બાદ તમામ અત્યાચારી શાસકો જંગલની બહાર લઈ આવ્યા. અંતે દેવી ગંગમ્મા થલ્લીએ માતંગી રૂપ ધારણ કરીને તમામ અત્યાચારીઓનો નાશ કર્યો હતો. (યાત્રા તરીકે જતારા શબ્દ પ્રયોજાય છે.)
ઇતિહાસ કહે છે કે, અત્યાચારી શાસકોના વધ બાદ આ વિસ્તારમાં સ્થિર શાંતિ રહી હતી અને મહિલાઓ પણ સુરક્ષિત બની હતી, જેના કારણે સ્થાનિકો દેવી ગંગમ્મા થલ્લીને `સ્ત્રીઓની રક્ષક' પણ કહે છે. આજે પણ દક્ષિણ ભારતમાં લોકદેવીના સન્માનમાં પુરુષો સ્ત્રીવેશ ધારણ કરીને `ગંગમ્મા જતારા' તહેવારની ઉજવણી કરે છે. આ સાથે જ સ્થાનિક લોકોમાં આજે પણ લોકદેવી ગંગમ્મા થલ્લીનું ઉદાહરણ આપીને સ્ત્રીઓને સશક્ત કરવામાં આવે છે. દક્ષિણ ભારતનાં લોકો આજે પણ અનેક બાધાઓ અને માનતાઓ રાખીને લોકદેવીને રિઝવવાનો પ્રયાસ કરતાં રહે છે.
 
દક્ષિણ ભારતીય જ્યોતિષશાસ્ત્ર અને લોકસંસ્કૃતિના જાણકાર ભરતભાઈ શુકલ જણાવે છે કે, લોકદેવી ગંગમ્મા થલ્લીને દક્ષિણ ભારતમાં દેવી માતંગીના અવતાર તરીકે પૂજવામાં આવે છે. તેમનો અવતાર માત્ર અને માત્ર સ્ત્રીઓની રક્ષા અને અત્યાચારીઓના સંહાર માટે થયો હતો. આજે પણ તિરુપતિના પવિત્ર વિસ્તારમાં ગંગમ્મા થલ્લીનાં અનેક સ્થાનકો છે અને આજે પણ તેઓ તે સમગ્ર વિસ્તારની રક્ષા કરે છે. તેથી જ તેમને લોકસંસ્કૃતિમાં `રક્ષક દેવી' અથવા તો `સ્ત્રીઓનાં રક્ષક દેવી' તરીકે ઓળખવામાં આવે છે.
 
લોકદેવીના સન્માનમાં દક્ષિણ ભારતમાં ઊજવાય છે સાત દિવસનો જતારા ઉત્સવ
 
જતારા તિરુપતિ વિસ્તારનો એક લોકતહેવાર છે. આ તહેવાર દક્ષિણ ભારતના અનેક વિસ્તારોમાં ઊજવવામાં આવે છે. દેવી ગંગમ્મા થલ્લીના સન્માનમાં ઉજવાતો આ તહેવાર લગભગ ૭ દિવસ સુધી ચાલે છે. તેનો સીધો સંબંધ પણ ગંગમ્મા થલ્લીના ઇતિહાસ સાથે જોડાયેલો છે. કારણ કે, સાત દિવસની `જતારા' બાદ જ દેવીએ અત્યાચારીઓનો નાશ કર્યો હતો. તે યોજનામાં પુરુષોએ સ્ત્રીવેશ ધારણ કર્યો હતો. તેથી લોકતહેવારમાં પણ પુરુષો જ સ્ત્રીવેશને ધારણ કરે છે. આ તહેવારની શરૂઆત મે મહિનાના બીજા મંગળવારે અડધી રાત્રે કરવામાં આવે છે. મંગળવારના દિવસને ચતિમ્પૂ કહેવામાં આવે છે. ચતિમ્પૂનો અર્થ `ઘોષણા' કે `આહ્વાન' થાય છે. એટલે મંગળવારની અડધી રાત્રે ગામનો એક વ્યક્તિ સંગીતના વાદ્ય સાથે આ તહેવારની ઘોષણા કરતો-કરતો આખા નગરમાં ફરે છે. (વેશ તરીકે વેશમ શબ્દ પ્રયોજાય છે.)
 
તહેવારનો પ્રથમ દિવસ ભૈરવી વેશમ તરીકે ઓળખાય છે. આ દિવસે (બુધવારે) લોકો પોતાના શરીર પર સફેદ રંગનો લેપ લગાવે છે અને ફળોથી બનેલી માળા પોતાના ગળામાં ધારણ કરે છે. તેઓ હાથમાં લીમડાનાં પાન પકડે છે અને કમર પર પણ લીમડાનાં પાન બાંધીને ગંગમ્મા દેવીના મંદિર સુધી પદયાત્રા કાઢે છે. મંદિરમાં દેવીનાં દર્શન કર્યા બાદ તેઓ લીમડાના પાનને ત્યાં જ વિસર્જિત કરે છે.
 
તહેવારનો બીજો દિવસ બંદા વેશમ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે શ્રદ્ધાળુઓ શરીર પર કુમકુમનો લેપ લગાવે છે અને માથા પર રક્ષાસૂત્ર બાંધે છે. તહેવારનો ત્રીજો દિવસ થોતી વેશમ તરીકે ઓળખાય છે, આ દિવસે ભક્તો પોતાના શરીર પર કોલસાનો લેપ લગાવે છે અને લીમડાનાં પાંદડાંઓથી બનેલી માળાને ધારણ કરે છે. ચોથો દિવસ ડોરા વેશમ તરીકે ઓળખવાય છે. તે દિવસે ભક્તો શરીર પર પવિત્ર ચંદનનો લેપ કરે છે અને લીમડાનાં પાન તથા લીંબુની માળા પહેરીને મંદિર સુધી પદયાત્રા યોજે છે.
 
આ તહેવારનો પાંચમો દિવસ માતંગી વેશમ તરીકે ઓળખાય છે. આ દિવસે પુરુષો પણ સ્ત્રીવેશ ધારણ કરે છે અને દેવી માતંગીની પૂજા-અર્ચના કરે છે. નોંધવા જેવું છે કે, દેવી ગંગમ્મા થલ્લીને દેવી માતંગીનો જ અવતાર ગણવામાં આવે છે. હિંદુ ધર્મશાસ્ત્રો અનુસાર, દેવી માતંગીને વિદ્યા, સંગીતનાં દેવી સરસ્વતીનું તાંત્રિક રૂપ ગણવામાં આવે છે. તેમની પૂજા અલૌકિક શક્તિઓને પ્રાપ્ત કરવા, શત્રુઓ પર નિયંત્રણ મેળવવા માટે કરવામાં આવે છે. માતંગી વેશમના દિવસે દેવી માતંગીના વેશને ધારણ કરવામાં આવે છે. એ જ વેશ ધારણ કરીને દેવી ગંગમ્માએ અત્યાચારીઓનો નાશ કર્યો હતો. ફિલ્મ પુષ્પા-૨માં અલ્લુ અર્જુને પણ માતંગી વેશ ધારણ કરેલો જોવા મળે છે.
 
આ તહેવારના છઠ્ઠો દિવસ સુન્નપુ કુંડલું તરીકે ઓળખાય છે. આ દિવસે શ્રદ્ધાળુઓ પોતાના શરીર પર સફેદ લેપ લગાવે છે અને કોલસાથી કપાળ પર તિલક કરે છે. આ સાથે જ પોતાના માથા પર એક વાસણ રાખીને મંદિર સુધી યાત્રા પણ કરે છે. મંદિર પહોંચ્યા બાદ ભક્તો મસ્તક પર વાસણ રાખીને જ મંદિરની ત્રણ વખત પ્રદક્ષિણા કરે છે.
 
આ તહેવારનો સાતમો અને અંતિમ દિવસ ગંગમ્મા જતારા તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે દક્ષિણ ભારતના તમામ ગંગમ્મા દેવીના મંદિરોમાં લાખો ભક્તો આવે છે. લોકો દર્શનાર્થે આવીને દેવીને પારંપરિક સાડી ચડાવે છે. કેટલાક ભક્તો અન્ય પવિત્ર સ્થાનિક વસ્તુઓ પણ દેવીને અર્પણ કરે છે. અડધી રાત બાદ મંદિરની સામે ગંગમ્મા (વિશ્વરૂપમ)ની માટીની મૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવે છે. આ સાથે જ એક વ્યક્તિ સ્ત્રીવેશ ધારણ કરીને માતાજીની મૂર્તિમાંથી થોડી માટી હાથમાં લઈને સેવન કરે છે. આ ઘટના બાદ માટીને ભક્તોમાં વહેંચી દેવામાં આવે છે. માટી વિશે એવું કહેવાય છે કે, તેનામાં બ્રહ્માંડની તમામ ગુપ્ત શક્તિઓનું રહસ્ય રહેલું છે અને તે તમામ બીમારીઓનો ઉપચાર કરવા માટે પણ સક્ષમ છે. આ ઘટના સાથે જ સાત દિવસના ગંગમ્મા જતારા તહેવારનું સમાપન થાય છે.
 
 

સંજય ગોસાઈ

સંજય ગોસાઇ સાધનામાં છેલ્લા ૧૦ વર્ષથી પત્રકાર તરીકે કામ કરે છે. તેમણે ગૂજરાત વિદ્યાપીઠમાંથી જર્નાલિઝમની માસ્ટર ડિગ્રી મેળવી છે. હાલ તેઓ સાધનાનાં સંપાદક મંડળમાં છે…