પ્રસાદમાં 'ઝેર' ? આતંકી કાવતરું? ગુજરાત એટીએસએ ખોલ્યું ભયાનક કાવતરાનું રહસ્ય

13 Nov 2025 14:06:41

Poison in Prasad?
 
 
ગુજરાત એટીએસ દ્વારા અમદાવાદમાંથી ત્રણ આતંકવાદીઓની ધરપકડ બાદ જે ચોંકાવનારા ખુલાસા થયા છે, તે એક ગંભીર ચેતવણીરૂપ છે. ઝડપાયેલા આરોપીઓ – ડૉ. મોહિયુદ્દીન, સોહેલ અને આઝાદ સૈફી – એ કબૂલ્યું છે કે તેમનો હેતુ નવી દિલ્હી, લખનઉ અને અમદાવાદના મોટા મંદિરોમાં ભક્તોને પ્રસાદમાં ઝેર ભેળવીને સામૂહિક હત્યા કરવાનો હતો.
 
ધર્મસ્થાનો પર આ રીતે હુમલા કરીને દેશમાં મોટા પાયે અરાજકતા અને ભાગલા પાડવાની આતંકવાદીઓની યોજના હતી. આ સમગ્ર ષડયંત્રના મૂળ અફઘાનિસ્તાનમાં બેઠેલા તેમના હેન્ડલર 'અબુ ખદીજા' સાથે જોડાયેલા હતા, જેણે તેમને ફોન દ્વારા સંપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
 
'રિસિન' ઝેર: એક જૈવિક હથિયાર
 
ગંભીર વાત એ હતી કે આતંકીઓ 'રિસિન' નામના અત્યંત ખતરનાક ઝેરનો ઉપયોગ કરવાના હતા. એટીએસના જણાવ્યા અનુસાર, તેમને ઓનલાઈન તાલીમ દ્વારા 'રિસિન' બનાવવાની અને તેને પ્રસાદમાં ભેળવવાની રીત શીખવવામાં આવી હતી. રિસિન એરંડીના બીજમાંથી કાઢવામાં આવે છે અને નિષ્ણાતોના મતે તેનો માત્ર 1 મિલિગ્રામ જથ્થો પણ જીવલેણ સાબિત થઈ શકે છે.
 
ગુજરાત એટીએસને ધરપકડ સમયે આ આરોપીઓ પાસેથી રિસિનનો સ્ટોક પણ મળી આવ્યો હતો, જેને જૈવિક હથિયાર તરીકે જોવામાં આવી રહ્યો છે અને વધુ તપાસ માટે ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યો છે. ડૉ. મોહિયુદ્દીન રિસિન તૈયાર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો હતો.
 
મંદિરની રેકી અને યુપી સુધીનું નેટવર્ક
 
આ આતંકીઓએ તેમની યોજનાને અંજામ આપવા માટે ગુજરાતમાં અમદાવાદના જગન્નાથ મંદિરની તેમજ લખનઉના હનુમાન સેતુ મંદિરની રેકી કરી હતી. તેમને હેન્ડલર પાસેથી આ મંદિરોના ફોટા અને વીડિયો પણ મળ્યા હતા. તેમનો મુખ્ય લક્ષ્ય કોઈ મોટા તહેવાર કે મેળા દરમિયાન આ હુમલો કરીને વધુમાં વધુ લોકોને અસર પહોંચાડવાનું હતું.
 
આ કેસનું નેટવર્ક માત્ર ગુજરાત સુધી સીમિત નથી, પરંતુ ઉત્તર પ્રદેશ સુધી પણ ફેલાયેલું છે. આરોપી સોહેલ અને આઝાદ સૈફીનો સંબંધ મુઝફ્ફરનગરના એક મદરેસા સાથે હોવાનું બહાર આવ્યું છે અને તેઓ ખુરાસાન મોડ્યુલ સાથે સંકળાયેલા હતા. હાલમાં, યુપી એટીએસની ટીમ ગુજરાતમાં છે અને યુપીના લખીમપુર, શામલી અને સહારનપુર જેવા વિસ્તારોમાં તેમના ઠેકાણાઓ પર દરોડા પાડીને તેમના નેટવર્કની તપાસ કરી રહી છે.
 
સમગ્ર તપાસમાં એટીએસને શંકા છે કે આ કાવતરામાં વધુ લોકો સામેલ હોઈ શકે છે. હાલ તપાસ ચાલુ છે. આ દરમિયાન, ફરીદાબાદથી પકડાયેલા બીજા આતંકવાદીઓ ડૉ. મુઝમ્મિલ અને ડૉ. શાહીના શાહિદે ખુલાસો કર્યો છે કે તેમના નિશાના પર અયોધ્યાનું રામ મંદિર અને કાશી વિશ્વનાથ મંદિર પણ હતાં. મીડિયા રીપોર્ટ પ્રમાણે ડૉ. શાહીનાએ અયોધ્યામાં સ્લીપર સેલ સક્રિય કરવાની વાત કબૂલ કરી હતી, જોકે તે મોડ્યુલનો પર્દાફાશ અગાઉ જ થઈ ગયો હતો.
Powered By Sangraha 9.0