આ ૨૫મી ડિસેમ્બર; શ્રદ્ધેય અટલજીનો અભિનંદનીય ૧૦૧મો જન્મદિવસ `સુશાસન'દિન છે, ત્યારે તેમની આ પંક્તિઓમાંથી આપણને દિશાબોધ પ્રાપ્ત થાય છે.
स्वतंत्रता को सार्थक करने, कमर कसे बलिदान करें
जो पाया उस में खो ना जायें, जो खोया उसका ध्यान धरें
આ જોતાં આપણા સ્વધર્મ-સ્વરાજ-સ્વદેશીવાળો `સ્વ' ખોવાયેલો છે, તેનું સંવિધાન અને સુશાસનના પ્રકાશમાં ધ્યાન ધરવા યોગ્ય છે.
આજે સ્થિતિ એવી છે કે, પ્રકાશ પણ પડછાયા વિના સમજાતો નથી, તો અંધકાર વિના અજવાળું ક્યાંથી સમજાવાનું? `સુશાસન'ને સરળતાથીને સંપૂર્ણપણે સમજવું હોય તો `કુશાસન'ને જોઈ લેવું પડે.
ભારત વિશ્વનાં લોકતંત્રોની જનની છે, કારણ કે અહીં છેક વેદકાળથી વર્ણવાયેલું છે- `વૈદિક લોકતંત્ર (સ્વરાજ)'. એક બાજુ સ્વાભિમાન જગવતી સુશાસનની આ વિરાસત છે, તો બીજી બાજુ માથું શરમથી ઝુકી જાય તેવું ભારતને શર્મશાર કરતું `કુશાસન'નું કટોકટી-આપાતકાલ(Emergancy)નું એ કૃત્ય પણ છે, જેના લીધે વિશ્વના લોકશાહીના ઇતિહાસમાં દેશની છબી ધૂળમાં મળી ગયેલી. તે વખતે સંવિધાન ઉપર મહાકલંક બનેલી કોંગ્રેસના ખેમામાંથી (હાલના `સંવિધાન-સંવિધાન' જેવા) `ગરીબી હટાવો - ગરીબી હટાવો'ના દેકારા-પડકારા ચારેય બાજુ સંભળાતા હતા. જેટલા મોટેથી કોંગ્રેસ `ગરીબી હટાવો - ગરીબી હટાવો'ના નારા લગાવતી ગઈ તેટલા પ્રમાણમાં દિન પ્રતિદિન ગરીબો વધતા ગયા અને ગરીબો વધુને વધુ ગરીબ બનતા ગયા. ગરીબી કાયમી રહે તો જ લોકો અશિક્ષિત રહે, અને તો જ કોંગ્રેસ પોતાની મનમાની કરી શકે.
કુશાસનની આ યુક્તિ કોંગ્રેસને એટલી તો કોઠે પડી ગઈ કે, આ માટે કોંગ્રેસે યોજનાબદ્ધ રીતે રોજગાર-ધંધા ચોપટ કર્યા, તે માટે દેશના ઉદ્યોગ-ધંધા કેવી રીતે બંધ થાય તેની યોજના બનાવી. શું આપ અંદાજ માંડી શકો કે, ઇન્દિરા નહેરુ (ઇન્દિરા ફિરોઝ ગાંધી)ની સત્તા વખતે (૧૯૭૪-૭૫ના વર્ષમાં) મહત્તમ ઇન્કમટેક્સનો દર કેટલો હશે? (આનો અંદાજ લગાડવામાં ખરેખર આપ સૌ ખોટાં જ પડશો! હા, કોઈ પણ તર્કશીલ વ્યક્તિ ખોટી જ પડવી જોઈએ.) તે વખતના મહત્તમ ઇન્કમટેક્સના દર સુધી દુનિયાનું કોઈ શાસન પહોંચ્યું નથી કે ક્યારેય કોઈ શાસન પહોંચવાનું પણ નથી. તે દર હતો ૯૭.૫ %. હા, અધધધ ૯૭.૫%નો દર, એટલે કે પ્રત્યેક એક લાખ રૂપિયા કમાનારે માત્ર ને માત્ર અઢી હજાર રૂપિયા પોતાની પાસે રાખીને સરકારને (`કુશાસન'ને) રૂપિયા ૯૭,૫૦૦ પૂરા પધરાવી દેવાના. કોઈ વ્યક્તિ શું કરવા ઉદ્યોગ-ધંધા ચલાવે? હા, અને આમ કરવાથી કોંગ્રેસના ચૂંટણીફંડનું તરભાણું પણ કાયમ છલકાતું રહ્યું. આ એક કુશળ `કુશાસન'ની કળા હતી. આવી કળાઓ અને કરતબો-કુકર્મો આજે પણ કોંગ્રેસ દેશમાં અને દેશમાં જે શક્ય ન હોય તેવાં કુકર્મો વિદેશમાં ઓટ્ટોવિયો ક્વોટ્રોચી, જ્યોર્જ સોરોસ અને ડીપ સ્ટેટ જેવાં તત્ત્વોની સાથે મળીને પણ કરી રહી છે, પણ હવે તેની વાતોમાં આવી જનારાઓની સંખ્યા ખાસ્સી ઘટી ગઈ છે.
છતાં પણ એક પરિવારની એકહથ્થુ પેઢી જેવી ઘરડી કોંગ્રેસને હજુ યે સત્તા ભોગવવાની લાલસા છૂટતી નથી. ભર્તૃહરિએ કહ્યું છે ને કે, तृष्णा न जीर्णा वयमेव जीर्णा: તેમ આજે સ્થિતિ એવી છે કે, કોંગ્રેસને ડીપ સ્ટેટ્સ અને જ્યોર્જ સોરોસ ભોગવી રહ્યાં છે! તેમની ડફલી પર કોંગ્રેસ નાચી રહી છે.
સંવિધાનનો પ્રાણ ઐક્ય (એકતા) છે. ક. ૩૭૦થી મુક્ત થયા પછી કાશ્મીર પણ ભારત સાથે અન્ય રાજ્યોની જેમ એકાકાર થયું. આ `એક ભારત - શ્રેષ્ઠ ભારત'ની દિશામાં.. ૧) એક રાષ્ટ્ર - એક ટેક્ષ (GST), ૨) એક રાષ્ટ્ર - એક રેશન કાર્ડ, ૩) એક રાષ્ટ્ર - એક આયુષ્યમાન કાર્ડ, ૪) એક રાષ્ટ્ર - એક ગ્રિડ (વીજળી), ૫) એક રાષ્ટ્ર - એક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ૬) એક રાષ્ટ્ર - એક ડીજીટલ ઇન્ડિયા, ૭) એક રાષ્ટ્ર - એક રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, ૮) એક ભારત - એક Common Sign Language (દેશભરના દિવ્યાંગો માટે), આવાં ઐક્યથી આપણું સંવિધાન `સુશાસન'ને વધાવી રહ્યું છે. આ એકત્વના સત્વને લઈને આગેકૂચ કરી રહેલ મોદી ૩.૦ને `એક રાષ્ટ્ર - એક ઈલેક્શન' માટે પણ અગ્રિમ શુભકામનાઓ !