ભારતના `ઑપરેશન સિંદુર'નો રંગ ક્યારેય ઉતરશે નહીં. આ રંગમાં રાષ્ટ્રનાં ૧) બુદ્ધિ-શક્તિ, ૨) યુક્તિ-નિયુક્તિ, ૩) આયોજન-સંયોજન, ૪) રાજબળ-સૈન્યબળ, ૫) વિક્રમ-પરાક્રમ, એવાં પાંચ સ્વરૂપોનું ઉચ્ચતમ ઉંડાણ દેશ-દુનિયા ક્યારેય ભૂલી નહીં શકે. આ ઑપરેશનમાં ISROનું વિજ્ઞાન, ભારતીય સૈન્યનું નિશાન અને RAWનું અનુસંધાન આ ત્રણેય અચૂક રહ્યાં.
દુનિયામાં માત્ર આ એકમેવ સફળ સૈનિકી ઑપરેશન સિંદૂર એવું રહ્યું કે, જે માત્ર ને માત્ર આતંકવાદનો ખાત્મો કરવાના અનન્ય ઉદ્દેશથી લડવામાં આવ્યું. પ્રત્યક્ષ જે લોકો આતંકી કૃત્ય કરે છે, તે તો પ્યાદાં હોય છે, પરંતુ તેનો દોરીસંચાર કરનારા તેના આકાઓ, જે વાસ્તવમાં ખરા આતંકવાદીઓ છે. આ આકાઓનાં પાકિસ્તાની ઠેકાણાં શોધીને તેમને જથ્થાબંધના ભાવે ઠેકાણે કરવા (તેમના જ દરવાજે દસ્તક દઈને), તેમના સામ્રાજ્યનો ખાત્મો બોલાવવો, અને તે પણ માત્ર ૨૫ મીનિટમાં, સ્વપ્નવત્ લાગે છે! જુઓને અમેરિકા જેવું અમેરિકા પાકિસ્તાને છૂપાવેલા બિન લાદેનને વર્ષોથી ક્યાં પકડી શકતું હતું, જેને પાકિસ્તાન આજે પણ શહિદ કહીને માનતા-બાધાઓ માને છે.
અગાઉ સંસદ ઉપર ૨૦૦૧માં હુમલો થયો, જેમાં ૯નાં મોત થયાં અક્ષરધામ ઉપર ૨૦૦૨માં હુમલો થયો, જેમાં ૩૧નાં મોત થયાં, મુંબઈ ઉપર ૨૦૦૮માં હુમલો થયો, જેમાં ૧૬૪નાં મોત થયાં. પરંતુ મુસ્લિમ તુષ્ટિકરણ (વિકૃતિકરણ)માં ડૂબેલી સરકારો ચૂપ રહી.
પરંતુ ઉરીમાં ૨૦૧૬માં હુમલો થયો, જેમાં ૨૦નાં મોત થયાં અને મોદી સરકારે `સર્જિકલ સ્ટ્રાઈક' કરી. પુલવામામાં ૨૦૧૯માં હુમલો થયો, જેમાં ૪૦નાં મોત થયાં અને મોદી સરકારે `એર સ્ટ્રાઈક' કરી. રાષ્ટ્રની ચેતના જાગી. `સ્વ'નું જાગરણ થયું. રાષ્ટ્ર સ્વાભિમાની બનવા લાગ્યું. સાથે સાથે શૌર્યવાન પણ.. આપણા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ કહેતા હોય છે કે, ઇતિહાસ દુનિયાનું એવું સૌથી મોટું ન્યાયાલય છે, જે હંમેશાં શક્તિશાળીની તરફેણમાં જ નિર્ણય આપે છે. પછી તેઓ ઉમેરતાં કહે છે કે, વર્તમાન રાષ્ટ્રનો એવો સમય આવ્યો છે કે, આપણે આપણો ઇતિહાસ લખી શકીએ છીએ.
બદલાયેલા ભારતમાં પહેલગામમાં આતંકવાદી હુમલો થયો, જેમાં ૨૬નાં મોત થયાં. પહેલગામમાં ફરવા આવેલા સહેલાણીઓ ખાસ કરીને નવ પરિણીત જોડાંમાંથી ધર્મ પૂછીને, તેમાંના માત્ર હિન્દુ પુરુષો પર, તેઓની પત્નીઓની સામે જ આ અધમ રાક્ષસોએ ગોળીઓ ધરબી દીધી. આ બીકણ નરાધમો ભાગી ગયા અને કહેતા ગયા કે, જાઓ મોદીને જણાવી દેજો. અને આપણા વડાપ્રધાને પોતાનો સંકલ્પ જાહેર કર્યો કે, દુનિયાના ગમે તે ખૂણામાંથી શોધીને કલ્પના નહીં કરી હોય તેવી સજા કરવામાં આવશે અને હમણાં હમણાં જ ગૃહસ્થાશ્રમમાં પગલાં પાડી રહેલી, જેના માથે આભ તૂટી પડ્યું છે, એ વિજોગણ દીકરીઓને ન્યાય અપાવવા સમગ્ર રાષ્ટ્રનો સંકલ્પ જાગ્યો.
પહેલગામમાં ૨૨ એપ્રિલ, ૨૦૨૫ના રોજ થયેલ આતંકવાદી હુમલાને અંજામ આપનાર આતંકવાદીઓ ધ રેસિસ્ટન્ટ ફ્રંન્ટ (TRF)ના હતા. આ ફ્રન્ટ લશ્કર એ તૈયબાનો છે. લશ્કર એ તૈયબાની બધી જ ગતિવિધિઓ પાકિસ્તાનની છે, પાકિસ્તાન માટેની છે અને પાકિસ્તાન દ્વારા ચાલી રહેલી છે. Terrorism is Government For The.. By The.. Of The.. Pakistan. લોકશાહીની વ્યાખ્યા યાદ આવી ને! આમ પણ વૈશ્વિક આતંકવાદનું એપી સેન્ટર પાકિસ્તાન જ છે. આ આતંકવાદ સામેની જવાબી કાર્યવાહી (એસ્કેલેશન)ના ભાગરૂપે `ઑપરેશન સિંદૂર' હાથ ધરવામાં આવ્યું. પ્રથમ દિવસે જ તે સફળ થયું, ત્યારે માત્ર બે શબ્દોમાં જ તેની સફળતા વ્યક્ત કરતો સંદેશ સૈન્ય દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો કે
`Justice Served.' ન્યાય કરાયો! એ દુનિયાએ જોયું કે, આ `ઑપરેશન સિંદૂર' માત્ર ન્યાય માટે હતું. આપણે ત્યાં ન્યાય પણ ધર્મ છે. અભિનેતા રાજકુમારનો એક પ્રખ્યાત ડાયલોગ છે- हम तुम्हें मारेंगे और जरूर मारेंगे, लेकिन वह बंदूक भी हमारी होगी, गोली भी हमारी होगी, वक्त भी हमारा होगा, बस जमीन तुम्हारी होगी । ભારતની સરહદથી ૧૦૦ કિલોમીટર અંદર ઘૂસીને તેમના આકાઓનો તેમની જ જગ્યા ઉપર ખાત્મો બોલાવી દેવામાં આવ્યો. પાકિસ્તાન સીમા પર લડવા આવ્યું, ભારત તેની છાતી પર ચઢી બેઠું.
ભારતની સંસ્કૃતિ પ્રમાણે નિધનના ૧૩ દિવસ પછી શોકની અવધિ સમાપ્ત થતાંની સાથે જ ચૌદમા દિવસે ભારતીય સેનાએ સીમા ઓળંગ્યા વગર આતંકવાદી મુકામો પર મિસાઈલો દાગી દીધી. સંખ્યાબંધ આતંકવાદીઓનો સફાયો કરી દીધો. જૈશ એ મહંમદના મૌલાના મસૂદ અઝહરના ડઝન ઉપરાંતના સંબંધી-કારોબારીઓ આ કાર્યવાહીમાં માર્યા ગયા. ૩૧ ડિસેમ્બર, ૧૯૯૯ના હાઇજેક કરી લેવામાં આવેલા ભારતીય એરલાઇન્સના વિમાનમાં બેઠેલા ૧૫૫ યાત્રીઓનો છુટકારો કરવાના બદલામાં ભારત સરકારે જેલમાંથી છોડી દીધેલા ત્રણ આતંકવાદીઓમાંનો એક એટલે મસૂદ અઝહર, જેણે ૨૦૦૦માં ભારતમાં આતંકી ગતિવિધિઓને ગતિ આપવા માટે `જૈશ એ મહંમદ' સંગઠન બનાવ્યું. આ કાર્યવાહીમાં પાકિસ્તાનના બહાવલપુરમાં લગભગ ૧૫ એકર જમીનમાં ફેલાયેલા જૈશ એ મહંમદના મુખ્યાલય મરકજ સુભાન અલ્લાહને નેસ્તનાબૂદ કરી દેવામાં આવ્યું. અગાઉ આ જ જગ્યાએ જ ૨૦૧૯ના પુલવામા આતંકવાદી હુમલાખોરોને ટ્રેનિંગ આપવામાં આવી હતી.
પાકિસ્તાનના રક્ષા મંત્રી અને પૂર્વ વિદેશ મંત્રી, આ બંને જણાઓએ જાહેરમાં એકરાર કર્યો છે કે, પાકિસ્તાનનું તંત્ર કટ્ટર આતંકવાદી સંગઠનો સાથે અતૂટ સાંઠ-ગાંઠથી જોડાયેલું છે.
`ઑપરેશન સિંદૂર'ની સાથે `ઑપરેશન ક્લીન' પણ ચાલુ જ હતું. કાશ્મીરમાં ૧૦,૦૦૦ સૈનિકોનું ઑપરેશન ક્લિન, જેણે આતંકવાદીઓ પર કહેર વર્તાવ્યો. `ઑપરેશન સિંદૂર'ના દિવસે જ છત્તીસગઢમાં ૨૨ નક્સલીઓને ઠાર મારવામાં આવ્યા. આ દિવસ દાનવતા પર માનવાના વિજયનો દિવસ બની રહ્યો
માત્ર ચાર દિવસમાં રાત્રિના માત્ર ગણતરીના કલાકોમાં જે હાંસલ કર્યું છે, તે અમાપ-અકલ્પ્ય-અદ્વિતીય છે. આમ પણ આજ દિન સુધી પાકિસ્તાની સેના પાકિસ્તાનમાં ચૂંટણી કદી હારી નથી અને ભારત સામે યુદ્ધ કદી જીતી નથી!
આ ઑપરેશન સિંદૂરમાં ઈઝરાયેલે પોતાનો સહયોગ જાહેર કરેલો. ભારતે પણ આ ઑપરેશન થકી ઇઝરાયેલને પણ રિટર્ન ગિફ્ટ આપી છે. બહાવલપુરમાં આતંકી સંગઠન જૈશ એ મહંમદ અને તેના સરગણા મૌલાના મસૂદ અઝહરે ઈઝરાઈલી પત્રકાર ડેનિયલ પર્લની હત્યા કરેલી. આ આતંકવાદી આકાને ઇઝરાયેલ વતી ૭૨ હુરો સુધી પહોંચાડવાનું કામ આ અૉપરેશને કરી આપ્યું છે. આખાય `ઑપરેશન સિંદૂર'નો હિસાબ લગાવીએ તો પાકિસ્તાનમાં કુલ ૧૦૦થી પણ વધુ ખૂંખાર આતંકવાદીઓનો ખાત્મો બોલાવી દેવામાં આવ્યો.
આખા વિશ્વમાં માત્ર ને માત્ર પાકિસ્તાનમાં જ આ પરંપરા છે કે, આતંકવાદીઓને પાકિસ્તાની ઝંડામાં લપેટીને રાજકીય સન્માન સાથે સૈન્યના વડાઓની ઉપસ્થિતિમાં દફનાવવામાં આવે છે. `ઑપરેશન સિંદૂર' પછીનાં આ દૃશ્યો દુનિયા આખી ચોંકાવનારાં હતાં. આતંકી પાકિસ્તાન ખુલ્લું પડી ગયું.
પાકિસ્તાનની હારના બહાનાં ઘણાં છે, તેમાં કેટલાક તો હાસ્ય ફેલાવનારાં છે. ચાઈનીઝ માલ કેવો હોય છે તે આપણને ખબર જ છે. પાકિસ્તાનને પધરાવેલ વિમાન તૂટી પડતાં ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાંગે કહ્યું કે, આમાં ચીનનો કોઈ દોષ નથી. ખરું કારણ એ છે કે, પાકિસ્તાનના એરફોર્સના પાયલોટને અમારું વિમાન ઉડાડતાં આવડતું જ નથી!
આ બાજુ બાબરી મસ્જિદના પક્ષકાર રહેલા ઈકબાલ અન્સારીએ પણ `ઑપરેશન સિંદૂર'ને વખાણતાં નિવેદન આપ્યું હતું કે, આજે ભારતને રામની જરૂર છે અને આપણા સૈનિકો રાક્ષસી પ્રકૃતિના પાકિસ્તાનીઓને બરાબર જવાબ આપી રહ્યા છે. પાકિસ્તાને પહેલગામમાં જે કર્યું છે એનો જવાબ એને મળવો જોઈએ.
આ ઑપરેશન સિંદૂરે ૬-૭ મે, ૨૦૨૫ના રોજ પરિણામ આપ્યું. પરંતુ તેનું બીજારોપણ તો ત્યારથી જ શરૂ થયું, જ્યારે આપણી દિકરીઓના માથેથી સિંદૂર ભૂસાયું હતું. સિંધુ જળસંધિને રોક લગાવી દેવામાં આવી, તે પણ વ્યાપક રીતે `ઑપરેશન સિંદૂર'નો જ એક ભાગ છે. પાકિસ્તાને પણ વર્લ્ડ બેંક પાસે જઈને સિંધુ જળસંધિને પુનર્સ્થાપિત કરવા રજૂઆત કરી. વર્લ્ડ બેંકે તો ભારત-પાક. વચ્ચે સિંધુ જળસંધિ મુદ્દે પોતાની ભૂમિકા અંગે છેડો ફાડી નાખ્યો અને વર્લ્ડ બેંકના પ્રમુખ અજય બાંગાએ રોકડું પરખાવી દેતાં કહ્યું કે, અમારી પાસે મધ્યસ્થી સિવાય આ સંધિમાં કોઈ ભૂમિકા નહોતી.
આપણા વડાપ્રધાનશ્રીએ જાહેર કરી દીધું છે કે,
૧, હવે... ટેરર (આતંક) અને ટોક (સંવાદ) સાથે નહીં ચાલે.
૨, હવે.. ટેરર (આતંક) અને ટ્રેડ (વ્યાપાર) સાથે નહીં ચાલે..
૩, હવે.. પાણી અને લોહી એક સાથે નહીં વહેશે. (ભારતે સિંધુ જળસંધિને સ્થગિત કરવાનો જે નિર્ણય કર્યો છે, તેમાં પરિવર્તન નહીં થાય.)
`ઑપરેશન સિંદૂર'થી દુનિયાની સામે ભારતનાં જે મુખ્ય ત્રણ સ્વરૂપોએ જે સંદેશ આપ્યો છે તેને ટૂંકમાં કહીએ તો..
૧, ભારતના એક લાંબા ગાળાના વિઝન તરીકે ISRO સહિતના સ્વદેશી યુદ્ધસામગ્રી-ઉપકરણોના સર્જનમાં ભગવાન શ્રી બ્રહ્માજીના સર્જનનું દર્શન થાય છે. આપણા યુદ્ધકૌશલ્ય અને આપણી તકનિકી સામે ચીની હથિયારોની કિંમત શૂન્ય સાબિત થઈ છે.
૨, ભારત માત્ર આક્રમકતામાં જ આગળ છે, તેટલું જ નહીં ભારત કૂટનીતિમાં પણ આગળ છે. તેમાં ભગવાન શ્રી વિષ્ણુજીના સંચાલનનું દર્શન થાય છે.
૩, ભારત આતંકવાદની ફેક્ટરી એવા પાકિસ્તાનને ગણતરીના કલાકોમાં ઘરમાં ઘૂસીને મારી શકે છે અને ૯ એરબેઝને ઘમરોળી નાખે છે ત્યારે પ્રભુ શ્રી શિવજીના પ્રલય-વિધ્વંસ-સંહારનું દર્શન થાય છે.
બ્રહ્મા-વિષ્ણુ-શિવસ્વરૂપ ભારતને ભારત બનીને નમન.
भारतो भूत्वो भारतं जयेत्