- દક્ષિણ ગુજરાતના સ્વયંસેવકો માટે આમોદ (ભરુચ)માં સંઘ શિક્ષા વર્ગ (સામાન્ય)નો શુભારંભ
- દાહોદથી ડાંગ સુધીના 16 થી 40 વર્ષ સુધીના 170 સ્વયંસેવકો
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંઘ શિક્ષા વર્ગ (સામાન્ય)નો પ્રારંભ ભરુચ જિલ્લાના આમોદમાં શ્રી સ્વામિનારાયણ સ્કૂલ ખાતે 16 મે 2025ના રોજ થયો છે. આ 15 દિવસીય વર્ગમાં દક્ષિણ ગુજરાતના દાહોદ થી ડાંગ સુધીના 16 થી 40 વર્ષ સુધીના 170 સ્વયંસેવકો ભાગ લઈ રહ્યા છે. વર્ગમાં 21 શિક્ષકો દ્વારા પ્રશિક્ષણ આપવામાં અપાશે, જ્યારે 27 જેટલા પ્રબંધકો વ્યવસ્થાપન કામગીરી સંભાળશે.
વર્ગનું શુભારંભ દીપ પ્રાગટ્ય સાથે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ નહિયેરના પૂજ્ય સંત શ્રી ભક્તિસ્વામીજી તથા પૂજ્ય સંતશ્રી કેશવપ્રિય સ્વામીજી દ્વારા કરવામાં આવ્યું. પૂજ્ય સંતશ્રી કેશવપ્રિય સ્વામીજી આશિર્વચન આપતા કહ્યું કે સંઘના સ્વયંસેવકો ભારતમાતાના સ્વયંસેવક છે અને તેમના સમર્પણના કારણે જ સંઘનું કાર્ય વધી રહ્યું છે. આ અવસરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ગુજરાત પ્રાંત સહ કાર્યવાહ ડૉ. સુનિલભાઈ બોરીસા, સહ પ્રાંત પ્રચારક શ્રી કૃણાલભાઈ રૂપાપરા તેમજ વર્ગના સર્વાધિકારી શ્રી રાજેશભાઈ જોષી ઉપસ્થિત રહ્યા હતા.
આ વર્ગમાં શ્રી રાજેશભાઈ જોષી (સર્વાધિકારી), શ્રી તેજસભાઇ પટેલ (વર્ગ કાર્યવાહ), શ્રી પ્રકાશભાઇ પટેલ (વર્ગના વાલી) તથા શ્રી મનોજભાઈ કલસરિયા (મુખ્ય શિક્ષક) તરીકે પૂર્ણ સમય ઉપસ્થિત રહેવાના છે. વર્ગ દરમિયાન સવારે 4:30 વાગ્યે જાગરણ થી શરૂ થઈ રાત્રિના 10:15 વાગ્યાં સુધીના સમયમાં સંઘકાર્ય વિસ્તાર અને દૃઢીકરણ માટે વિવિધ પ્રકારનું શારીરિક અને બૌદ્ધિક પ્રશિક્ષણ આપવામાં આવશે. શિક્ષાર્થીઓ પોતાના દૈનિક જીવનમાં સમયના મહત્તમ અને અસરકારક ઉપયોગ સ્વસ્થ અને સ્વદેશી જીવન પદ્ધતિના પાઠ અંગેનું પણ પ્રશિક્ષણ પણ મેળવશે. તે સિવાય કુટુંબ પ્રબોધન, પર્યાવરણ, ગૌસેવા, સેવા કાર્યો, પ્રચાર અને સંઘ સંપર્ક જેવા વિષયો પર પ્રશિક્ષણ આપવામાં આવશે.
વર્ગ દરમિયાન ભોજન માટે આમોદ અને જંબુસર તાલુકાના વિવિધ ગામોમાંથી વર્ગમાં ભોજન માટે રોટલી, ભાખરી અને રોટલાં એકત્ર કરી સામાજિક એકત્વ અને પરિવારભાવનું પ્રકટીકરણ કરવામાં આવનાર છે. મે મહિનામાં દેશભરના અનેક કેન્દ્રો પર આવા વર્ગોનું આયોજન થાય છે જેમાં સ્વયંસેવકો તપસ્વી ભાવથી સંપૂર્ણ સમય આપીને સમાજ માટે તૈયાર થાય છે.