તંત્રીલેખ । ગાલ રાતા રાખતી ગ્લોબલ ગોબેલ્સગીરી - કહેતા ભી દિવાના.. સૂનતા ભી દિવાના..

બંધ મગજનું પાકિસ્તાન ચીન જેવા ધૂતારાને ભરોસે પોતાની જ કબર ખોદી રહ્યું હોત ત્યારે પાકિસ્તાન ખુશ હોય, ચીન પણ ખુશ હોય તો ભારત કેમ ખુશ ના હોય!

    ૨૪-મે-૨૦૨૫   
કુલ દૃશ્યો |

Global Politics 2025
 
 
જેમ.. સમુદ્રમંથન થયેલું તેમ.. `ઑપરેશન સિંદૂર'ના કારણે એક વ્યાપક વૈશ્વિક મંથન ચાલી રહ્યું છે. દરેક દેશોનું પોત પ્રકાશી રહ્યું છે. અમેરિકા જેવા અમેરિકાને પણ વહેતી ગંગામાં હાથ ધોઈને પાવન થઈ જવું છે. મધ્યસ્થી-ટ્રબલશૂટર બનવાની લાલશા, અને એ પણ કહેવાતા આવડા મોટા દેશના પ્રમુખની! ચિંતાની વાત એ છે કે, જ્યારે મોટા માણસો મોટપણ ચૂકે છે, ત્યારે માણસની નહીં પણ પદની ગરિમા નંદવાઈને સાવ વામણી બની જાય છે.
 
આવું જ ચીનનું છે. પાકિસ્તાની સેનાએ ભારતીય સેનાને નિશાન બનાવીને કરેલો પ્રયાસ સદંતર નિષ્ફળ નીવડ્યો, ચીનનાં અસ્ત્ર-શસ્ત્ર પૂર્ણ રીતે નિષ્ફળ સાબિત નીવડ્યાં. આખી દુનિયામાં ચીનની આબરૂના ધજાગરા ઉડ્યા. આબરૂના આવડા મોટા ધોવાણથી નાસીપાસ થયેલા ચીને ડેમેજ-કંટ્રોલ શરૂ કર્યો. આ ડેમેજ-કંટ્રોલ કરવાના સાધનનું નામ છે- પ્રોપેગેંડા, વિદેશી મીડિયામાં પીઆર (PR)!
 
ચીનનાં ડ્રોન હોય કે એર ડિફેન્સ સિસ્ટમ કે પછી પેલાં ધૂળ ચાટતાં ફાઈટર જેટ હોય, આ બધાં બાળકોનાં રમકડાં પૂરવાર થયાં. જગજાહેર ખૂલ્લી પડી ગયેલી આ બનાવટોને કારણે ખળભળી ઉઠેલું ચીન કોઈને મોઢું બતાવવાને લાયક ન રહ્યું. હવે કરવું શું? આખરે એ પ્રોપેગેંડા ઉપર ઉતરી આવ્યું છે. `ગ્લોબલ મીડિયા પોર્ટલ્સ' દ્વારા છબિ સુધારવા ચીન ધંધે લાગી ગયું છે, લાગવું પડ્યું છે. આવાં ગ્લોબલ મીડિયા પોર્ટલોએ ચીનનાં હથિયારોની વાહવાહી કરતા વિડિયો બનાવીને ફરતા કરી દીધા છે. યુદ્ધમોરચે સાવ કબાડખાને મૂકવા લાયક ઠરેલાં અસ્ત્ર-શસ્ત્રોને વિકરાળ-પ્રભાવી-ક્ષમતાપૂર્ણ-યશસ્વી ચિતરીને દુનિયાને મૂર્ખ બનાવવાનો ખેલ શરૂ કર્યો છે. હા, ચીન આમાં સિદ્ધહસ્ત છે, છતાં પણ હાલ તો હવાતિયાં જ મારી રહ્યું છે.
 
આપને હસવું આવશે. એક અમેરિકન મીડિયા સંસ્થાએ ચીનના આ પ્રોપેગેંડાને સૌથી પહેલાં હવા આપી. તેણે ૧૩ મે, ૨૦૨૫ના રોજ એક સમાચાર લખ્યા. હેડલાઈન બનાવી, ભારત-પાકિસ્તાનના તનાવ પછી ચીનના હથિયારોની વિશ્વસનીયતા વધી (Chinese Weapons Gain Credibility After India-Pakistan Conflict)!
 
`પ્રોગ્રામ-એ-પ્રોપેગેંડા'માં ચીનનાં હથિયારો ખાસ કરીને તેનું મુખ્ય દૃષ્ટિબિંદુ (ફોકસ) ચીનમાં બનાવવામાં આવેલા લડાકૂ વિમાન જે-૧૦-સી તથા મિસાઈલ પીએલ-૧૫ પર કેન્દ્રિત કરીને વારંવાર દોહરાવવા આવ્યું કે, આ શસ્ત્રો વડે પાકિસ્તાને ભારતની વિરુદ્ધ શાનદાર-ધૂઆંધાર ઉપયોગ કર્યો. આ શાનદાર-ધૂઆંધાર શબ્દોને ભ્રામકપણે સાર્થક ઠેરવવા બ્લૂમબર્ગે એવો દાવો કર્યો કે, ચીને બનાવેલ આ લડાકૂ વિમાને ભારતનાં પાંચ ફાઈટર જેટ તોડી પાડ્યાં (અને એના સમર્થનમાં તેણે પાકિસ્તાનના વિદેશ મંત્રી ઈશાક ડાર અને તેની સેનાનાં પાયાવિહોણા અને છેલ્લે સરાજાહેર જૂઠ્ઠાં સાબિત થયેલાં બયાનોનો સહારો લીધો.)
 
`જૂઠને ૧૦૦ વાર દોહરાવવાથી સત્ય બની જાય', ગોબેલ્સના આ સૂત્રના ભરોસે પોતાનાં અસત્યો તરી જશે, તેવી કેવડી મોટી અંધશ્રદ્ધા? પણ એમને ખબર નથી કે, ભારતનું સનાતન સત્ય પણ અનેક લોકો સતત દોહરાવી રહ્યાં હોઈ તેમનો ખેલ અંતે તો ઢેર જ થઇ જવાનો!
 
લોકોએ ભારતની સર્વોપરિતા સિદ્ધ કરતા પુરાવા મૂક્યા ત્યારે બ્લૂમબર્ગના રંગમાં એટલી હદે ભંગ પડ્યો કે, ચીનને બચાવવું તો બાજુએ રહ્યું ખુદ પોતાના બચાવ માટે ભાગવું ભારે પડી ગયું, બોલો.. એક જ આર્ટિકલના લેખકોનાં નામ ય વચ્ચે વચ્ચે બદલી નાખ્યાં. બ્લૂમબર્ગનું તો માત્ર એક ઉદાહરણ છે, પણ આવી થોકબંધ એજન્સીઓ ચીને મેદાનમાં ઉતારી જેવી કે ફ્રાન્સ૨૪, ધ યુરોપિયન ટાઈમ્સ, રાઇટર્સ વગેરે વગેરે
 
બંધ મગજનું પાકિસ્તાન ચીન જેવા ધૂતારાને ભરોસે પોતાની જ કબર ખોદી રહ્યું હોત ત્યારે પાકિસ્તાન ખુશ હોય, ચીન પણ ખુશ હોય તો ભારત કેમ ખુશ ના હોય!

શ્રી ભાનુભાઈ ચૌહાણ

ભાનુભાઈ ચૌહાણ ‘સાધના’ સાપ્તાહિકના તંત્રીશ્રી તથા ટ્રસ્ટ્રીશ્રી છે. તેમણે "એલ.ડી. એન્જિનિયરિંગ" કોલેજમાંથી બી.ઈ.(સિવિલ) નો અભ્યાસ કર્યો છે તથા "સેપ્ટ યુનિવર્સિટી - અમદાવાદ"માંથી અર્બન એન્ડ રીજીયોનલ પ્લાનિંગમાં એમ. ટેક. કર્યુ છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ડાયરેક્ટર તરીકે પણ તેમણે જવાબદારી નિભાવી છે. રા.સ્વ.સંઘમાં તેઓ કર્ણાવતી મહાનગરના સહ કાર્યવાહ તથા ગુજરાત પ્રાંતના કાર્યકારીણી સદસ્ય છે. તેમણે કર્ણાવતી કો. ઓપ. બેંક તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાં ડિરેક્ટરનું દાયિત્વ સંભાળ્યું છે. તેઓ વિચારક અને લેખક છે. સાધનામાં "અવલોકન" અને "વિચારવિમર્શ" શીર્ષક હેઠળ વિવિધ વિચારપ્રેરક લેખો તેઓ નિયમિત લખે છે.