મનદેવતાની મહેમાનગતી અને અન્નપૂર્ણાની અર્ચના | જેની જીભ વશમાં તેનું જીવન વશમાં...

પહેલા પંગતનો પમરાટ હતો હવે એ જતો રહ્યો છે. હવે બૂફેનો બળવો છે. પંગત સંયુક્ત કુટુંબ છે અને બૂફે વિભક્ત કુટુંબ જેવું લાગે. ખૂબ જમાયું હોવાથી, ચાલી શકવાની તાકાત ન હોવાને કારણે કેટલાંક ઘરોમાં તો બહાર ઓસરીમાં ખાટલા પાથરી આપવામાં આવતા હતા.

    ૨૪-મે-૨૦૨૫   
કુલ દૃશ્યો |

Lifestyle and food habits
 
જેની જીભ વશમાં તેનું જીવન વશમાં. ગમતાનો ગુલાલ કરવાનો હોય ગુલામ ન બનાય. જમણના જમાના જતા રહ્યા. પહેલાંના સમયમાં કોઈ પ્રસંગમાં જમવા જવાનું હોય તો એક ટંક ભૂખ્યા રહેતા અને દાબી દાબીને જમતા હતા. કોઈ નાત હોય કે ગામધુમાડો બંધ હોય ત્યારે એક અઠવાડિયાથી એનો ઉત્સાહ રહેતો.
 
થોડા સમય પહેલાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફૂડ ફેસ્ટિવલનું આયોજન થયેલું. જેમાં દેશ-વિદેશના રાજવી પરિવારોના ભોજન અને જગન્નાથપુરી તેમજ મથુરા-વૃંદાવનમાં ભગવાનને જે ભોગ ધરવામાં આવે છે તે ભોજનનો સ્વાદ સૌએ માણ્યો હતો. ગુજરાત સહિત અન્ય રાજ્યોનાં ફૂડ તેમજ વિદેશી ફૂડની મજા પણ માણી હતી.
 
હળવદના બ્રાહ્મણોનું લાડુનું જમણ જગવિખ્યાત છે. ચોર્યાસીનો ચટપટો તો મહિનાઓ સુધી ચાલે. ઝેર ખાય પણ ઘેર ન ખાય જેવા પણ કેટલાક લોકો હતા. `કાઠિયાવાડમાં કોક દિ ભૂલો પડ ભગવાન...'માં થતી મહેમાનગતિ આહ્લાદક અને અદ્ભુત હતી. જમણવારના જલસાનું સમાપન આગ્રહના ઓવરડોઝ વગર અધૂરું ગણાય. કેટલાક તો શરત ઉપર સામસામે લાડુ ખાવા બેસી જાય તો વીસ પચ્ચીસ પછી જ અટકે.
 
શેક્સપિયરના નાટક રોમિયો એન્ડ જુલિયેટમાં એક મજાનું વાક્ય છે કે `જે પોતાના આંગળાં ચાટી નથી શકતો એ સારો રસોયો નથી.' માના હાથનો સૂકો રોટલોય મીઠો લાગે છે એનું કારણ એમાં હેત ભળેલું હોય છે. મન વગર બનાવેલ મીઠાઈ સ્વાદ આપતી નથી. તું ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી જેવી ટેસદાર રસોઈ બનાવતી પત્ની બહુ ઓછાના નસીબમાં હોય છે. એક દુકાનમાં પાટિયું લગાવેલું હતું કે, ઘર જેવું જમવાનું. એક માણસ જમ્યા વગર ઊભો થઈ ગયો અને કહે કે, ઘરના ભોજનથી કંટાળીને અહીં જમવા આવેલો. બહેનોને પાણીપુરી ખૂબ ભાવે એને બનાવનાર પુરુષ હોય છે અને રેસ્ટોરાંમાં જાવ તો ત્યાં શેફ તરીકે મોટે ભાગે પુરુષ જ હોય છે.
 
એક સાધુ એક યજમાનને ત્યાં રાત રોકાયા અને સવારે એનો ધાબળો ચોરી જતા રહ્યા. રસ્તામાં એને પસ્તાવો થયો અને ધાબળો પરત દેતાં યજમાનને પૂછ્યું કે, `મને કદી ચોરીનો વિચાર ન આવે, આવું કેમ થયું હશે? મને કહો તો કે રાતે જે ભોજન જમાડેલું એ બાજરો ક્યાંથી લાવેલા?' યજમાને સંકોચપૂર્વક કહ્યું કે `એ ચોરેલો બાજરો હતો. એટલે જ કહેવાયું છે ને કે અન્ન તેવું મન.'
 
એક બાજુ ભારત દેશમાં અનેક લોકોને ખાવાનું મળતું ન હોય ત્યારે આપણે અન્નનો બગાડ કરીએ એ કેટલે અંશે યોગ્ય? વિદેશમાં તો અન્નનો બગાડ થાય તોય એના પર દંડ છે. સંસ્કૃતમાં કહ્યું છે કે ‘बुभुक्षित: किं न करोति पापम्‌’. `દીવાર' ફિલ્મમાં એક બાળક ચોરી કરીને ભાગતો હોય અને એને શશીકપૂર ગોળી મારી દે છે. અંતે એને ખબર પડે છે કે એ બાળક ભૂખને કારણે અનાજનો ટુકડો ચોરીને જતો હોય છે. ત્યારે એને ખૂબ પસ્તાવો થાય છે. કરસનદાસ માણેક લખે છે...
 
દેવડીએ દંડાય છે પામે ચોર મૂઠી જારના,
લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે.
 
જાપાનીઝ લોકો કામને અને એશિયન્સ ભોજનને પ્રાધાન્ય આપે છે. પ્રેમીને ચાંદ પ્રિયતમના ચહેરા જેવો લાગે પણ ભૂખ્યાને તો એ રોટી જેવો જ લાગશે. પહેલા પંગતનો પમરાટ હતો હવે એ જતો રહ્યો છે. હવે બૂફેનો બળવો છે. પંગત સંયુક્ત કુટુંબ છે અને બૂફે વિભક્ત કુટુંબ જેવું લાગે. ખૂબ જમાયું હોવાથી, ચાલી શકવાની તાકાત ન હોવાને કારણે કેટલાંક ઘરોમાં તો બહાર ઓસરીમાં ખાટલા પાથરી આપવામાં આવતા હતા. ભોજનનો આ રજવાડી શાહી ઠાઠ હવે તો માત્ર ભૂતકાળ બની રહ્યો છે... અમદાવાદના માણેકચોકનો એક ગ્વાલિયા ઢોસો ખાવ એટલે પૂરું.. રાયપુરના ભજિયાનો સ્વાદ વર્ષોથી એનો એ જ લિજ્જતદાર છે. જ્યારે ખૂબ ખાઈ શકતા હોઈએ ત્યારે જમવાના પૈસા ન હોય અને ખૂબ પૈસા હોય ત્યારે જમી શકતા નથી. સ્વાદબ્રહ્મના સરનામે સરગાપુરી પણ ઝાંખી લાગે. જીભ અને જીવનો સંયોગ થાય તો હોજરીના હોજમાં ધુબાકા મારી શકાય... ખાવું એ ખાવાનો ખેલ નથી...

હરદ્વાર ગોસ્વામી

હરદ્વાર ગોસ્વામીની ‘ગુજરાત સમાચાર'માં દર બુધવારે પ્રગટ થતી ‘તર-બ-તર’ કૉલમ ખૂબ પ્રસિદ્ધ છે. તેઓએ અમેરિકા, U.S., કેન્યા, આફ્રિકા, ભૂતાન, ચીન, દોહા, કતાર, દુબઈ, નેપાળ ઇત્યાદિ દેશોની સાહિત્યિક યાત્રા કરી છે. માત્ર 15 વર્ષની વયે સુપ્રસિદ્ધ સામયિક ‘કવિલોક'માં છાંદસ રચના પ્રગટ થઈ હતી. કૉલેજકાળથી મુશાયરાના મંચ ગજાવવાનું શરૂ કર્યું હતું. M.A., M.Phil., Ph.D. સુધીનો અભ્યાસ કર્યો અને યુનિવર્સિટી ફર્સ્ટ [ગોલ્ડ મેડાલિસ્ટ) હોવા છતાં નોકરી નહીં કરીને ફ્રિલાન્સ રાઇટર તરીકે કાર્યરત છે. 5000થી વધુ કાર્યક્રમો કરી ચૂક્યા છે. અમેરિકામાં યોજાયેલ ત્રિદિવસીય ‘વર્લ્ડ ગુજરાતી કૉન્ફરન્સ'માં દસ હજાર ગુજરાતીઓ સમક્ષ ‘નોખો અનોખો ગુજરાતી' વિષય પર વક્તવ્ય આપ્યું હતું. 100થી વધુ સિરિયલ, ફિલ્મનું લેખન અને ગીતો લખ્યાં છે. એમણે લખેલું ટ્રાન્સમીડિયા નોમીની પ્રૉફેશનલ કૉમેડી પ્લે ‘મિસિસનો મિસકોલ’ના 100 જેટલા શો થયા છે. F.Y.B.A.માં હતા ત્યારે નાટકનો પ્રતિષ્ઠિત ઍવૉર્ડ બટુભાઈ ઉમરવાડિયા પુરસ્કાર શ્રી હસમુખ બારાડીના હસ્તે અમદાવાદ મુકામે પ્રાપ્ત થયો હતો. નાનીવયે ગુજરાત સરકારનો પ્રતિષ્ઠિત યુવા ગૌરવ પુરસ્કાર અર્પણ થયો હતો. દિલ્હી સાહિત્ય અકાદમી અને યંગ ટૅલેન્ટેડ પોએટ (ન્યૂ જર્સી, U.S.), AMCનો બેસ્ટ ઍન્કર ઍવૉર્ડ, સંસ્કાર ભારતી ઍવૉર્ડ, સરસ્વતી સન્માન, બેસ્ટ કૉલમ રાઇટર ઍવૉર્ડ ઇત્યાદિ ઍવૉર્ડ પ્રાપ્ત થઈ ચૂક્યા છે. ભારત સરકારના કલ્ચરલ ઍમ્બેસેડર તરીકે વિદેશ પ્રવાસ પણ કરી ચૂક્યા છે. તેઓ આકાશવાણી અને દૂરદર્શનના ‘A’ ગ્રેડના આર્ટિસ્ટ છે. તેમનાં 10થી વધુ પુસ્તકો પ્રગટ થઈ ચૂક્યાં છે.