થોડા વર્ષો પૂર્વે ગુજરાતના IIT ગાંધીનગરમાં એક સેમિનાર યોજાયો હતો. આ સેમિનારનો વિષય હતો `પાકિસ્તાન પેરેડોક્સ' અને તેમાં મુખ્ય વકતા હતા ફ્રાન્સના નાગરિક અને એશિયાના રાજકીય પ્રવાહોના વિશેષજ્ઞ ક્રિસ્ટોફર જફરલોટ. આ વકતાએ પાકિસ્તાનની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરતાં પોતાના વક્તવ્યમાં બે મહત્ત્વની વાતો કહેલી કે, Pakistan is a state
without Nation અને પાકિસ્તાન રાજકીય રીતે પડી ભાંગવાને આરે છે - Pakistan is a failed State (પાકિસ્તાન નિષ્ફળ દેશ છે.)
૧૫ ઑગસ્ટ, ૧૯૪૭માં ભારત અને પાકિસ્તાન એક સાથે સ્વતંત્ર થયા હતા, પણ વિધિની વક્રતા તો જુઓ કે એક સાથે જન્મેલા દેશો પૈકી ભારત વિશ્વનો સમર્થ દેશ બની રહ્યો છે, જ્યારે પાકિસ્તાન અરાજકતા અને વિસર્જનના પંથે ઢસડાઈ રહ્યું છે. વિશ્વના રાજનૈતિક વિશ્લેષકો પાકિસ્તા નમાં પ્રવર્તતી સ્થિતિનું સતત અવલોકન કરતા રહ્યા છે ત્યારે આપણને પ્રશ્ન થાય કે, આમ થવાનાં કારણો કયા?
આના ઉત્તરમાં કહી શકાય કે, પાકિસ્તાનનું સર્જન આઝાદીના ઇતિહાસની અપ્રાકૃતિક, અવિચારી, અપરિપક્વ અને હાનિકારક ઘટના છે. નીચેની ઘટનાઓ અને વિધાનોનું મૂલ્યાંકન કરીશું તો ઉપરના વાક્યમા આપણને વધુ વિશ્વાસ થશે.
સસ્તામાં મળી ગયેલું પાકિસ્તાન
(૧) સૌથી પહેલાં તો `પાકિસ્તાન' નામનો શબ્દ ભારતની માટીમાંથી નહીં, પણ ૧૯૩૩માં બ્રિટનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા રહમતઅલી ચૌધરી નામના વિદ્યાર્થીના દિમાગમાંથી જન્મ્યો હતો અને આશ્ચર્યની વાત એ હતી કે, વિદેશમાં ભણતા એક જુવાનિયાએ આપેલા શબ્દને પગલે ચાલી મુસ્લિમ લીગે ૨૩ માર્ચ, ૧૯૪૦ના રોજ મળેલા અધિવેશનમાં પાકિસ્તાનનો ઠરાવ પણ કરી નાંખ્યો હતો.
(૨) જ્યારે અલગ પાકિસ્તાન બનાવવાની વાત ઇંગ્લેન્ડની સંસદમાં ચાલતી હતી ત્યારે ભારતના વાઇસરૉય લોર્ડ વેવેલ બોલી ઉઠેલા કે, India is one, How can I divide it ?
(૩) નહેરુજી પણ બોલી ઉઠ્યા હતા કે, `પાકિસ્તાન કૌન સી ચિડિયા કા નામ હૈ?' અને મહાત્મા ગાંધી પણ બોલી ઉઠેલા કે, `પાકિસ્તાન મારી લાશ પર થશે.' ખુદ ઝીણાને પણ વિશ્વાસ ન હતો કે પાકિસ્તાન સાચે જ બનશે...
પરંતુ ૧૫ જૂન, ૧૯૪૭ના દિને જ્યારે કોંગ્રેસની કાર્યકારણીએ અલગ પાકિસ્તાનનો ઠરાવ પારિત કર્યો તેના સમાચાર સાંભળી ખુદ ઝીણાને પણ આંચકો લાગેલો અને બોલી ઉઠેલા કે, `Oh My God !' અને તે બાદ નવા બનેલા પાકિસ્તાનના કરાચી શહેરમાં પ્રવેશતી વખતે જ ઝીણાએ પોતાના અંગત સેક્રેટરીને કહેલું કે, `મારા જીવતે જીવ પાકિસ્તાન મળશે તેવી કલ્પના મેં કરી ન હતી.' આમ, ધાકધમકી, આડોડાઈ, ડર અને હિંસાને સાધન બનાવી ઝીણાએ પાકિસ્તાન લઈ જ લીધું.. ઝીણાએ આઝાદીના જંગમાં કોઈ સત્યાગ્રહ કે જાનફૈસાનીનો કાર્યક્રમ કર્યો ન હતો.
આઝાદી પછી પાકિસ્તાનના પત્રકારોએ ઝીણાને પ્રશ્ન પૂછેલો કે, `પાકિસ્તાનના સર્જનમાં મુસ્લિમ લીગનો ફાળો કેટલો?' તો ઝીણા બોલેલા કે `મેં મારા સ્ટેનોગ્રાફરની મદદથી હિન્દુસ્થાનના નેતાઓને ધમકાવીને પાકિસ્તાન લઈ લીધું છે.' ઝીણાએ આપેલો આ ઉત્તર ઇસ્કંદર મીર્ઝાની આત્મકથામાં નોંધાયેલ છે.
વિઘટનના સૂરો શરૂ થયા
અલબત્ત અપ્રાકૃતિક રીતે બનેલા પાકિસ્તાનમાં ઝીણાની હયાતીમાં જ અલગતાના સૂરો ઊઠ્યા હતા. અહીંથી જ પાકિસ્તાનમાં ભવિષ્યમાં થનાર વિઘટનના અંકુરો ફૂટી નીકળ્યા હતા. પાકિસ્તાન ૧૪ અૉગસ્ટ, ૧૯૪૭ના દિને આઝાદ બન્યું, પણ બલુચિસ્તાન તો તે તારીખના ૩ દિવસ અગાઉ એટલે કે ૧૧ અૉગસ્ટના દિને જ બલુચિસ્તાનીઓએ બલુચિસ્તાનનો `સ્વાતંત્ર્ય દિન' ઊજવી દીધો હતો. અને બલુચિસ્તાનની પ્રજા તે પછી આજ દિન સુધી પ્રતિ વર્ષ ૧૧ અૉગસ્ટને જ પોતાના સ્વાતંત્ર્ય દિન તરીકે ઉજવતી આવી છે તો બીજી બાજુ લોકપ્રિય પખ્તુન નેતા ખાન અબ્દુલ ગફારખાન પોતાનો આક્રોશ વ્યક્ત કરતાં બોલી ઉઠેલા કે, `નહેરુજી, આપ હમેં પાકિસ્તાની ભેડિયોં કો ક્યોં સોંપ રહે હો?' અને તે સાથે તેમણે પખ્તુનિસ્તાનને ભારત સાથે જોડવાની વિનંતી કરતો પત્ર પણ નહેરુજીને લખેલો, તો ત્રીજી બાજુ સિંધ પ્રાન્તમાં આગળ જતાં `જિયે સિંધ'ની લડત શરૂ થઈ જેમાં `જિયે સિંધ'ની સાથે `જિયે હિન્દ'ના નારા પણ ગાજવા માંડ્યા હતા.
કાયદે આઝમની કરૂણ દશા
સ્વતંત્ર પાકિસ્તાનમાં ઝીણા માત્ર ૧૩ મહિના જ જીવ્યા હતા. તેમને ફેફસાંનો જીવલેણ ટી.બી. થઈ ગયો હતો. તેમની બિમારી દરમ્યાન ઝીણાની પીઠ પાછળ સ્થાનિક કુટિલ નેતાઓના કાવતરાં શરૂ થઈ ગયાં હતાં. છેલ્લે તેમને ફેફસાંનું કેન્સર થઈ ગયું છે તેવું નિદાન જાહેર થયું ત્યારે તેમને હવાફેર માટે બલૂચિસ્તાનના ક્વેટામાં યોજનાપૂર્વક લઈ જવામાં આવ્યા. પાકિસ્તાનની તે સમયની પરિસ્થિતિથી સાવ નિરાશ થઈ ગયેલા ઝીણાએ પોતાના અંગત ડૉક્ટર કર્નલ ઇલાહીબક્ષી આગળ પાકિસ્તાનનું સર્જન તેમની મોટી ભૂલ હતી તે વાતનો સ્વીકાર પણ કર્યો હતો. તેથી પણ આગળ બિમાર ઝીણાને મળવા માટે પાકિસ્તાન ખાતેના ભારતીય હાઈકમિશ્નર શ્રીપ્રકાશજી આવેલા ત્યારે પણ તેમણે શ્રીપ્રકાશજીને કહેલું કે, `તમે નહેરુને જઈને કહેજો કે, પાકિસ્તાનની રચના મારા જીવનની મોટી ભૂલ હતી. (Pakistan is my greatest blunder in my life.)' ઝીણાની બિમારી વધી જતાં તેમને ૧૧ સપ્ટેમ્બર, ૧૯૪૮ના દિને વિમાન મારફતે કરાંચી પરત લાવવામાં આવ્યા, પરંતુ એરપોર્ટ ઉપર તેમને મળવા તેમના મંત્રીમંડળમાંથી એકપણ મંત્રી અથવા ઉચ્ચ અધિકારી ઉપસ્થિત ન હતા. એક ખખડી ગયેલી ગાડીમાં તેમને નિવાસસ્થાને લાવવામાં આવ્યા અને મૃત ઘોષિત કરવામાં આવ્યા. અલબત્ત તેમનું મૃત્યુ રહસ્યમય હતું, પણ તેની કોઈ તપાસ ન થઈ, એટલું જ નહીં તેમનાં બહેન ફાતિમાની પણ પાકિસ્તાનના વડા અયુબખાનના રાજ્યકાળમાં રહસ્યમય હત્યા કરવામાં આવી. આમ પાકિસ્તાનના મધુરા સપનાંનો ભંગાર જોતો ઝીણા પરિવાર હવે પાકિસ્તાનમાં ભુલાઈ ગયો. વધુમાં મહંમદ અલી ઝીણાની બલુચિસ્તાનના ઝિયારતમાં આવેલી તેમની હવેલી `કાયદે આઝમ રેસિડેન્સી'ને ૧૬ જૂન, ૨૦૧૩ના સમાચાર મુજબ વિદ્રોહીઓએ વિસ્ફોટ કરી ઉડાવી દીધી હતી.
સત્તાના ભાગીદારોનો ખેલ
પણ ઝીણાના મૃત્યુ પછી પાકિસ્તાનમાં સત્તાની ઝૂંટમઝૂંટનો ખેલ શરૂ થયો. આ ખેલમાં ચાર પરિબળોનો પ્રવેશ થયો. (૧) લોકતંત્રમાં વિશ્વાસ ન ધરાવતા નેતાઓનો (૨) કટ્ટર મુલ્લા-મૌલવીઓનો (૩) હિન્દુ અને હિન્દુસ્થાન વિરોધી તત્ત્વોનો અને (૪) રાજસત્તા કબજે કરી લેવાની મંશા ધરાવતા લશ્કરી વડાઓનો. બધાએ ભેગા મળીને પાકિસ્તાનને નિષ્ફળ દેશ બનાવવામાં કેવી પૂરી તાકાત લગાડી દીધી હતી તેની ઘટમાળ આપણે જોઈ લઈએ.
૨૦૨૫માં પાકિસ્તાન અત્યારે ૭૭ વર્ષનું થયું છે પણ તે લોકશાહી સાચવી શક્યું નથી. તેનાં ૩૫ વર્ષ સરમુખત્યારશાહીમાં ગયાં. તે દરમ્યાન ત્યાં ૧૪ સરકારો રચાઈ અને તેમાં ૨૩ વડાપ્રધાનો બન્યા.
- ૧૯૫૧માં વડાપ્રધાન લિયાકત અલીની હત્યા થઈ.
- ૧૯૫૧ થી ૧૯૫૭ સુધીમાં ૬ વડાપ્રધાનો બદલાઈ ગયા.
- ૧૯૫૮માં અયુબખાનની મિલિટરી સત્તા સ્થપાઈ.
- ૧૯૬૯માં જનરલ યાહ્યાખાનની લશ્કરી સત્તા આવી.
- ૧૯૭૭માં ભુટ્ટો વડાપ્રધાન બન્યા પણ જિયા-ઉલ-હકે તેમને હટાવ્યા.
- ૧૯૭૯માં ભુટ્ટોને ભ્રષ્ટાચારના મુદ્દે ફાંસી અપાઈ.
- ૧૯૮૬માં બેનઝીર વડાપ્રધાન બન્યાં.
- ૧૯૮૮માં બેનઝીર ભુટ્ટો વડાપ્રધાન તો બન્યાં પણ માત્ર બે જ વર્ષમાં ભ્રષ્ટાચારના આરોપસર સત્તામાંથી બરતરફ થયાં.
- ૧૯૯૦માં નવાઝ શરીફ વડાપ્રધાન બન્યાં.
- ૧૯૯૩માં તેઓ ફરીથી વડાપ્રધાન બન્યા, પણ લશ્કરના દબાણથી તેેમને વડાપ્રધાન પદ છોડવું પડ્યું.
- ૧૯૯૭માં નવાઝ શરીફ વડાપ્રધાન બન્યા.
- ૧૯૯૯માં બેનઝીર અને તેમના પતિ ઝરદારીને જેલની સજા થઈ.
- ૧૯૯૯માં જનરલ મુશર્રફે વડાપ્રધાન નવાઝ શરીફને બરતરફ કર્યા.
- ૨૦૦૨માં મુશર્રફ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા.
- ૨૦૦૭માં બેનઝીર ભુટ્ટોની હત્યા થઈ.
- ૨૦૦૮માં PPPના રઝા ગીલાની વડાપ્રધાન બન્યા.
- ૨૦૧૩માં શરીફ ચોથીવાર વડાપ્રધાન બન્યા પણ ભ્રષ્ટાચારમાં દોષિત ઠર્યા.
- ૨૦૧૭માં શરીફને વડાપ્રધાન પદ છોડવું પડ્યું અને અબ્બાસી વડાપ્રધાન બન્યા.
- પાકિસ્તાનમાં માત્ર બે જ પક્ષોએ ૧૨માંથી ૯ વડાપ્રધાન આપ્યાં. માત્ર મુશર્રફની સરકાર જ પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરી શકી જ્યારે બાકીની સરકારો વચ્ચેથી જ તૂટી પડી.
l ૨૦૧૮માં ઇમરાનખાનની સરકાર બની પણ ભ્રષ્ટાચારના કેસમાં અત્યારે ઇમરાનખાન જેલવાસ ભોગવી રહ્યા છે. નવાઝ શરીફ ગુના સબબ ભાગીને પરિવારસહિત વિદેશમાં આશરો લઈ રહ્યા છે અને વર્તમાનમાં તેમના ભાઈ શાહબાજ શરીફ પાકિસ્તાનમાં વડાપ્રધાનપદે અસ્થિરતાની ઝીંક ઝીલી રહ્યા છે.
ભારત સામે છેડેલાં યુદ્ધો
પાકિસ્તાનમાં ત્રણ વાર લશ્કરી બળવા થયા. (૧) ૧૯૫૮માં ઇસ્કંદર મિર્ઝાએ ફિરોજખાન નૂનને હટાવ્યા અને પોતે વડાપ્રધાન બન્યા અને અયુબખાનને લશ્કરી વડા બનાવ્યા. પણ આ સરકાર માત્ર ૧૩ દિવસો જ ચાલી. લશ્કરી વડા અયુબખાન પોતે જ વડાપ્રધાન બની ગયા. (૨) બીજો લશ્કરી બળવો થયો ૧૯૭૭માં. ઝિયા-ઉલ-હકે ભુટ્ટોની ધરપકડ કરી પોતે રાષ્ટ્રપતિ બની ગયા. (૩) ૧૯૯૯માં ત્રીજો લશ્કરી બળવો થયો. વડાપ્રધાન નવાઝ શરીફને ઉથલાવી જનરલ મુશર્રફ રાષ્ટ્રપતિ બની ગયા.
ભારત સામે પાકિસ્તાને અત્યાર સુધી ચાર યુદ્ધો કર્યા. ૧૯૪૮, ૧૯૬૫, ૧૯૭૧ અને ૧૯૯૯માં થયેલા તમામ યુદ્ધોમાં પાકિસ્તાન હાર્યું. ૧૯૭૧ના યુદ્ધમાં તો પાકિસ્તાનના ૯૩,૦૦૦ સૈનિકો કેદ થયા. પાકિસ્તાનના બે ટૂકડા થઈ ગયા અને બાંગ્લાદેશ નામનો નવો દેશ બન્યો.
બદનામ પાકિસ્તાન
પાકિસ્તાનની વિશ્વમાં એટલી ખરાબ છાપ છે કે, છેલ્લા માત્ર પાંચ વર્ષમાં જ પાકિસ્તાનના પાંચ લાખથી વધારે નાગરિકોને ૧૩૪ દેશોમાંથી પાકિસ્તાન પરત મોકલી દેવામાં આવ્યા છે. એકલા સાઉદી અરેબિયામાંથી ૨ લાખ ૮૦ હજારને પાકિસ્તાન મોકલી દેવામાં આવ્યા હતા. તેમાં સંખ્યાબંધ ભીખારીઓ હતા જેઓ જતા હતા હજ કરવા માટે પણ ત્યાં ધંધો કરતા હતા ભીખ માગવાનો.
પાકિસ્તાનમાં જન્મેલા આતંકવાદનું મૂળ ત્યાંની મદરેસાઓ છે. થોડા સમય અગાઉ પૂર્વ સેના પ્રમુખ બાજવાએ પોતે જ નિવેદન કર્યું હતું કે, પાકિસ્તાનમાં યુવકોને મદરેસાના શિક્ષણમાંથી બહાર કાઢો, નહીં તો તેમનું અને દેશનું કોઈ ભવિષ્ય નથી, કારણ કેે મદરેસામાંથી નીકળેલ યુવાન કાં તો કટ્ટર મૌલવી બને છે અથવા તો આતંકવાદી બની જાય છે. તાજેતરમાં આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા પોતાના પ્રવચનમાં એ જ કહ્યું હતું કે, પાકિસ્તાન આતંકવાદ બંધ કરે નહીં તો આ આતંકવાદ જ પાકિસ્તાનને ભરખી જશે.
૨૦૦૧ થી ૨૦૧૦ સુધીમાં પાકિસ્તાનના પંજાબના લશ્કરી ગોદામોમાંથી ૩૦ લાખ કરતાં વધારે સૈન્યનાં શસ્ત્રો ચોરાઈ ગયાં હતાં. આ સમાચાર પાકિસ્તાનની પત્રિકા ડૉનમાં ૧૮-૧૦-૨૦૧૦ના રોજ પ્રકાશિત થયા હતા.
`નવગુજરાત સમય' દૈનિકમાં દિ. ૧૦ ઑક્ટોબર, ૨૦૧૫ના રોજ એક ચોંકાવનારા સમાચાર છપાયા હતા. તેમાં લખાયું હતું કે પાકિસ્તાન વિશ્વનો સૌથી ખતરનાક દેશ છે, ત્યાં ત્રાસવાદનું જોખમ છે. ત્યાંનું અર્થતંત્ર ખાડામાં ગયું છે અને ન્યુક્લિયર શસ્ત્રો ઝડપથી વધારી રહ્યું છે. તેવી ચેતવણી અમેરિકાની ગુપ્તચર એજન્સી CIAના પૂર્વ અધિકારી કેવીન હલવર્ટે આપી છે.
દ્વિધામાં ફસાઈ ગયેલું પાકિસ્તાન
એવું લાગે છે કે પાકિસ્તાન વાઘ પર સવારી કરીને ચાલે છે. આ વાઘ ક્યારેક તાલિબાનો છે, તો ક્યારેક મુલ્લાઓ છે અથવા લશ્કર કે પછી વિદેશીશક્તિ છે, પરંતુ હવે આ વાઘ ઉપરથી સહીસલામત ઉતરવું પાકિસ્તાન માટે મુશ્કેલ છે. જો તે ઉતરે તો વાઘ તેને ખાઈ જાય તેવા ભયથી પાકિસ્તાન જીવે છે.
એક જ સમયે સ્વતંત્ર થયેલા ભારત અને પાકિસ્તાન પૈકી ભારત વિકાસને પંથે પૂરપાટ દોડી રહ્યું છે ત્યારે પાકિસ્તાન પોતાને સસ્તામાં મળી ગયેલા સત્તાના મહેલમાંથી નીકળી પોતાની મજાર તરફ દોડતું દેખાય છે. પરંતુ આ બિહામણું દૃશ્ય આપણા એક સમયના અખંડભારત માટે અવશ્ય લાંછનરૂપ અને ડરામણું છે.
અસ્તુ
***
(લેખક `સાધના' સાપ્તાહિકના ટ્રસ્ટી છે)