રાષ્ટ્ર સર્વોપરી એ જ જીવનમંત્ર.. | તો કોઈની તાકાત નથી, ભારતને મહાસત્તા બનતી રોકી શકે

24 May 2025 14:46:57

nation first gujarati article
 
 
`નમસ્તે, મહોદય..'
 
`નમસ્તે, શાશ્વત અને શૌર્ય..'
 
`આજે બહુ મજા આવી, કારણ કે અમારા એનસીસી દ્વારા એક તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી.'
 
`બહુ સરસ, અભિનંદન.. કેટલાં છોકરા છોકરીઓ હતાં?'
 
`સર, બધા થઈને ૫૫૦ હશે. અમે પરેડ તો અનેક વખત કરીએ છીએ. પણ આજે શહેરના રસ્તાઓ ઉપર આ રીતે દેશભક્તિનાં સૂત્રો અને ગીતો બોલતાં બોલતાં જવાથી ખૂબ જ આનંદ થયો. બે કારણસર, એક તો તમે યુનિફોર્મમાં હોવ ત્યારે વિશેષ પ્રકારની લાગણી થતી હોય છે, દેશભક્તિની અને પોતાની શિસ્તની. બીજું કારણ એ કે ભારતના સૈન્યએ જે બહાદુરી બતાવી તેના માટે બહુ ગૌરવ લેવા જેવી વાત બની છે..'
 
`સરસ, તમે મિલિટરીના અધિકારીઓએ જ્યારે પત્રકારો સાથે વાત કરી ત્યારે બે શબ્દો જે વાપરેલા એ સાંભળ્યા હશે. Precision Targets અને measured response. આ બંને શબ્દો બહુ સમજવા જેવા છે.'
 
`યસ, સર. અમને પણ થોડી સમજ પડી, પણ ખરેખર એનો અર્થ શું થાય?'
 
`જ્યારે અમેરિકાના સૈનિકોએ પાકિસ્તાનમાં આવી અને ઓસામા બિન લાદેનને મારેલો તે વખતે અમેરિકાના લોકો કેટલું બધું ગૌરવ અનુભવતા હતા. ભારતના બહાદુર સૈનિકોએ પણ આ કરી બતાવ્યું છે. સાત મકાન ઊભાં હોય તેમ છતાં પણ જે મકાનને પાડવાનું હોય એના ઉપર જ મિસાઈલ જાય એટલું બધું સૂક્ષ્મ પ્લાનિંગ કરીને દુશ્મનને નુકસાન પહોંચાડવાની આ યુદ્ધકલા એ આધુનિક અને નવા ભારતનો પરિચય છે. Precision એટલે એકદમ સ્પષ્ટ યથાર્થ અને ચોકસાઈ ભરેલું પ્લાનિંગ હોય અને એ સંદર્ભે જ્યારે લક્ષ્યને વેધવામાં સફળ થાય ત્યારે આપણો સૈનિક એ આધુનિક કાળનો સૈનિક હોવા છતાં પણ અર્જુનનો વંશજ બને છે. આ આપણું નવું ભારત છે, એનામાં નવાં આકાશ ખૂંદવાની તાકાત છે, એની આંખોમાં મધરાતના અંધારામાં પણ દુશ્મનના ગઢને શોધી કાઢવાની દૃષ્ટિ છે. અને બાહુઓમાં અર્જુન, ભીમ અને રાણા પ્રતાપનું શૌર્ય છે. દેશભક્તિ એના સાહસને પ્રાણવાયુ પૂરો પાડે છે.'
 
`આ તો અદ્ભુત વાત છે, સર..'
 
`અને ભારતના લશ્કરનો જવાબ જુઓ, કીધું કે અમે તો મર્યાદિત અને સંયમિત પ્રતિભાવ આપ્યો છે. અમે અમારી બધી શક્તિ પ્રદર્શિત નથી કરી. નહીં તો પાકિસ્તાન એક ભૌગોલિક ટુકડો ઇતિહાસ બની જાત. આ ભારતની સંયમ અને લક્ષ્યવેધ કરવાની તાકાત. બંનેને એક સાથે જોઈને ગૌરવ અનુભવવું જોઈએ. દરેક નાગરિકને ભારતના સૈન્ય માટે,ભારતના શૌર્ય માટે, ભારતના નેતૃત્વ માટે ગૌરવ થવું જોઈએ.'
 
`આટલા ટૂંકા યુદ્ધમાં ઘણું બધું શીખવા જાણવા મળે નહીં ! મહોદય..'
 
`બહુ સરસ પ્રશ્ન પણ છે અને અવલોકન પણ છે. આ ૨૦૨૫નું યુદ્ધ છે, આ યુદ્ધ માત્ર સૈનિકો લડે એટલું પૂરતું નથી, કારણ કે મીડિયાનું અને ડિજિટલ જગતનું પણ યુદ્ધ છે. જેને અંગ્રેજી ભાષામાં નેરેટિવ એટલે કે વિમર્શ કહેવામાં આવે છે તે તે વિમર્શનું યુદ્ધ પણ છે. દુનિયાના લોકો ચારે બાજુ જાત જાતની વાતો કરવા માંડે, સત્ય શું છે એ સમજ ન પડે એટલી હદે હકીકતોને તોડીમરડીને રજૂ કરવામાં આવે એવું પણ બની શકે. આવા સંજોગોમાં નાગરિકોએ ખૂબ જ સ્વસ્થતાથી રાષ્ટ્ર સર્વોપરીનો જીવનમંત્ર અપનાવવો જોઈએ. મારાથી મારા દેશને કોઈ નુકસાન ન થવું જોઈએ, એ પહેલી શરત. પરંતુ બીજી શરત એ કે મારી આસપાસમાં પણ કોઈ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ કરતું હોય તો એને ખુલ્લા પાડવાની જવાબદારી મારી છે. નાગરિક તરીકે આ રાષ્ટ્રભક્તિ છે. યુદ્ધ ચાલે ત્યારે અથવા સામાન્ય સંજોગો હોય ત્યારે પણ બહુ સતર્ક રહેવાની આવશ્યકતા છે.'
 
`વડીલ, શું દેશો દેશો વચ્ચે પણ ઈર્ષ્યા હોય તો શું કરવું ?'
 
`જો આ સમય સ્પર્ધાનો છે, જેમ વ્યક્તિ આગળ જાય તો બીજા લોકોને સહન નથી થતું. તેજોદ્વેષી લોકો જેમને હું ગમ્મતમાં મહાબળેશ્વર કહું છું, આવા લોકો સમાજનું પ્રદૂષણ છે. જેમ વ્યક્તિનું તેમ દેશનું પણ છે. ભારતની પ્રગતિ થાય, ભારત મહાસત્તા બને એ વાત દુનિયાના કેટલાક દેશોને પસંદ નથી. એટલે એ લોકો પ્રકાર પ્રકારનાં વિઘ્નો ઉભાં કરે છે. જ્યારે આપણા વડાપ્રધાન આત્મનિર્ભરતાની વાત કરે છે ત્યારે એ નાગરિકોને ભારતને વધુ મજબૂત બનાવવા માટેની અપીલ કરતા હોય છે. આપણે જોયું આ યુદ્ધમાં ભારત પાસે પોતાના બનાવેલાં હથિયાર, પોતાની બનાવેલી મિસાઈલ અને પોતાની બનાવેલી એર-ડિફેન્સ-સીસ્ટમને કારણે કેટલો બધો ફાયદો થયો! એક પણ ડ્રોન કે મિસાઇલ આ મજબુત રક્ષણ દિવાલને તોડી શકી નહીં. આ અદ્ભુત સિદ્ધિ છે. આપણી સેનાનું મનોબળ વધે એટલા માટે આપણે એમને અભિનંદન આપવાં જોઈએ. સમૂહમાં અભિનંદન આપવાં જોઈએ, ગામેગામ તિરંગાયાત્રા નીકળવી જોઈએ. સોશિયલ મીડિયા દ્વારા અભિનંદન આપવાં જોઈએ.'
 
`તો યુવાદોસ્તો.. આ જ આપણી જાગૃતિની ક્ષણ છે, યુગ બદલાઈ રહ્યો છે તેમ પડકારો પણ બદલાઈ રહ્યા છે. તમારા દાદાને જે પરિસ્થિતિનો સામનો કરવો પડતો હતો તેના કરતાં તમારા પિતાજીને સાવ અલગ પરિસ્થિતિને સંભાળવી પડી. પણ તમે જે યુગમાં પ્રવેશી રહ્યા છો તે નવો યુગ છે. આ યુગ ટેકનોલોજીનો યુગ છે, આ યુગ સોશિયલ મીડિયાનો યુગ છે. આપણે જ્યાં હોઈએ ત્યાં ભારતને મહાન બનાવવા માટે સંકલ્પ કરીએ. દરેક સંસ્થાએ અને દરેક વ્યક્તિએ પોતે ૨૦૪૭માં ક્યાં હશે, એનું ચિંતન કરવું જોઈએ. આ રીતે વિચારવાથી જ સામૂહિક શક્તિ ઊભી થશે. દરેક ક્ષેત્ર પ્રગતિ કરે, દરેક નાગરિક નવી ઊંચાઈ હાંસલ કરે. તો કોઈની તાકાત નથી, ભારતને મહાસત્તા બનતી રોકી શકે.'
 
Powered By Sangraha 9.0