૨૨/૪; ઈતિહાસનો ગોઝારો દિવસ.. અસહ્ય આક્રંદ.. ધૂંધવાયેલા રાષ્ટ એ ૬-૭ મેના રોજ આતંકવાદી પાકિસ્તાન જે ભાષા સમજે છે; એ ભાષામાં માત્ર ૨૨ મીનીટમાં જ અકલ્પ્ય બદલો લીધો. સંપૂર્ણ સમાજે સ્વતઃ `સ્વદેશી'નો આધાર લઈને એમઓયુ-આયાત-ટૂર વગેરે રદ કરીને આતંકપ્રેમી તૂર્કીયેને પણ પાઠ ભણાવી દીધો.
ઑપરેશન સિંદૂર પછી જયપુરની દુકાનોમાં મૈસૂરપાક હવે મૈસૂરશ્રી બની ગયો અને તે જ રીતે દૂધશ્રી, સાલમશ્રી પણ.. `પાક'થી કેટલી હદે છેડો ફાડ્યો! આ સ્થિતિ સાવ સ્વતઃ પેદા થઈ. પાકિસ્તાને ડીક્ષનરીવાળા અર્થને ખોટો પાડીને `પાક એટલે આતંકવાદી' એ અર્થને સાબિત-સ્થાપિત કરી દીધો.
`એક દેશ - એક સંદેશ' અંતર્ગત કુલ ૭ સર્વદલીય પ્રતિનિધિમંડળો પૈકી ત્રણનું નેતૃત્વ વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાના સભ્યો કરી રહ્યા છે. વળી તેમાં મુસ્લિમ જનસંખ્યાના અનુપાત મુજબની સંખ્યામાં મુસ્લિમ સાંસદ પણ જોડાયેલા છે. આ સાતેય પ્રતિનિધિમંડળો કુલ ૩૨ દેશોમાં જઈ પાક આતંકવાદને ખૂલ્લો પાડી રહ્યાં છે. આ કામમાં મહાભારતનું યુધિષ્ઠિરવાળું ‘वयं पंचाधिकम् शतम्’પુનર્પ્રતિષ્ઠિત થયું. નવા ભારતમાં વાત જ્યારે રાષ્ટહિતની હોય ત્યારે દેશનો શાસક પક્ષ અને પ્રતિપક્ષ એક સ્વરમાં બોલી ઉઠે છે, संवदध्वं!
વિપક્ષે ઑપરેશન સિંદૂરના વિરામ માટે કેન્દ્ર સરકારની ટીકા ન કરવી જોઈએ, આવું મહેબૂબા મુફ્તી કહે અને મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા કહે કે, લોકો હવે વિરામ ઈચ્છે છે, આ બંને ક્યારેય નહીં ભૂલાય તેવાં વિધાનો બની રહેવાનાં છે.
ભારતમાં ઓલ ઇન્ડિયા ઇમામ ઓર્ગેનાઇઝેશનના પ્રમુખ ડૉ. અહમદ ઇલીયાસીએ ફતવો બહાર પાડ્યો છે કે, કોઈપણ આતંકવાદીના જનાજાની નમાજ કોઈ ઈમામ કે કાઝી પઢાવી શકશે નહીં, તેની કબર માટે જગ્યા ફાળવવામાં આવશે નહીં. આ છે એક આવકાર્ય પરિવર્તન!
ઑપરેશન સિંદૂરના કારણે આવનારાંવર્ષોમાં યુદ્ધ વખતે ડ્રોન, એ કોઈપણ દેશની મુખ્ય તાકાત સાબિત થશે. ભારતે આ નવી પ્રણાલીમાં ન માત્ર એક અગ્રણી તરીકે સ્થાન બનાવ્યું, પરંતુ કુલ મળીને પોતાની જડબાતોડ `સ્વદેશી રક્ષક ક્ષમતા' પ્રસ્થાપિત કરી ચૂક્યું છે. ભારતીય શેરબજારમાં ડ્રોન બનાવતી કંપનીઓમાં ૫૦% સુધી ઉછાળો આવ્યો! (નિફ્ટી ઇન્ડિયા - ડિફેન્સ ઇન્ડેક્સ એક જ દિવસમાં ૧૯ ટકા વધી ગયો!) આમ.. આપણી આત્મનિર્ભરતા અને આપણા સ્વદેશી અભિયાનને અમાપ બળ મળ્યું છે. જી, હા અને ઈઝરાયેલે ભારતીય રક્ષા કંપની પાસેથી ૧૫૦ કરોડનાં રૉકેટ લોન્ચર માટે સોદો પણ કરી દીધો છે.
પાકિસ્તાની સાંસદ સૈયદ અલી ઝફરે સંસદમાં કહ્યું- સિંધુ જળસંધિ અટકવાથી ભૂખ્યા મરી જઈશું, આ તો એક વૉટરબોમ્બ છે, છતાં પાકિસ્તાન પોતાના ગાલ ઉપર કેટલી હદે લાફો મારી પણ શકે છે? (ગાલ લાલ રાખવા માટે)! ભારત સામે ભૂંડો પરાજય થયો છતાં પાકિસ્તાને (યુદ્ધ વખતે ડ્રોન-મિસાઈલથી બચવા બંકરમાં છૂપાઈ ગયેલા) મુનીરને પ્રમોશન આપીને તેની સેનાનો ફિલ્ડ માર્શલનો રેન્ક આપ્યો!
ઑપરેશન સિંદુરમાં ભારતે કોઈની પાસેથી મદદ માગી હોત તો તેની ભારે કિંમત ચૂકવવી પડી હોત. અમેરિકા પર વધુ પડતી નિર્ભરતાને કારણે ઇઝરાયેલને પણ બે વાર પાછું પડવું પડ્યું હતું. તેને વૈશ્વિક જાહેર ટેકો મળ્યો હોવા છતાં બદલામાં તેની વિરુદ્ધ સૌથી સંગઠિત આંતરરાષ્ટ્રીય ઝુંબેશનો સામનો કરવો પડ્યો હતો. જેમાં તેના જુના યુરોપિયન સાથીઓએ પણ તેના પર યુદ્ધના ગુનાઓ અને નરસંહારનો આરોપ લગાવેલો. હેગ ખાતેની આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતે તેના વિરુદ્ધ ચુકાદો આપ્યો હતો. નૈતન્યાહુ વિરુદ્ધ જારી કરાયેલા આંતરરાષ્ટ્રીય વૉરંટને કારણે કેટલાક દેશોમાં તેમની વિદેશયાત્રાઓ ઠપ થઈ ગઈ છે.
અટલ-અડગ-અણનમ ભારત હવે વિશ્વનું સૌથી મોટું ચોથું અર્થતંત્ર બન્યું છે. બહેનો સિંદૂર લગાવે તે શૃંગારની પરંપરા નહીં, પરંતુ એક ઉચ્ચ આધ્યાત્મિક પરંપરા છે. ભારતનું નિખરી રહેલું.. વૈદિક સમયથી ચાલ્યું આવતું આપણું આધ્યાત્મિક લોકતંત્ર આજે કહી રહ્યું છે, બાવનમી* શતાબ્દી - ભારતની શતાબ્દી!