યુવાસંવાદ । આ નૂતન ભારત છે, અખંડ અને અડીખમ

આજનો યુવાન ભગવદ ગીતા જાણવા પણ ઇચ્છે છે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં હોશિયાર થવા પણ તત્પર છે.

    ૩૧-મે-૨૦૨૫   
કુલ દૃશ્યો |

akhand bharat gujarati
 
 
`નમસ્તે, મહોદય !'
 
`નમસ્તે, શ્વેતા !'
 
`સર આજે અમે કૉલેજની કેન્ટીનમાં બેઠા હતા ત્યારે એક એવો પ્રશ્ન ઉભો થયો કે, આપણો દેશ મહાન હતો, આપણી સંસ્કૃતિ મહાન હતી. એટલે કે બધું ભૂતકાળમાં હતું, પણ વર્તમાનકાળમાં દેશ માટે કેવી રીતે જોડાયેલા રહેવું.'
 
`બહુ સરસ પ્રશ્ન છે, કારણ કે આપણે એવું માનીએ છીએ કે કોઈપણ હિસાબે પશ્ચિમના દેશોમાં જવું, અને ત્યાં તો બધું ખૂબ જ સુંદર છે, આપણા દેશમાં બધું પહેલાં હતું પણ હવે નથી. આ અને આવા પ્રશ્નો બહુ જ ઊભા થતા રહે છે.'
 
`પણ, સર ! અમારા જેવા લોકો માટે બહુ મુશ્કેલી થઈ જાય છે. કારણ ગઈ વખત તમે કહ્યું કે રાષ્ટ્ર સર્વોપરી.. તો બે છોકરાઓ કહે, પણ સ્પર્ધાત્મક દુનિયામાં તો જ્યાં સારી નોકરી મળે ત્યાં જવું જ પડશે..'
 
`જવાનું જ હોય અને સ્પર્ધામાં ઊભા પણ રહેવાનું હોય.'
 
`સર, અમારા મનમાં જે દ્વિધા છે, એ દૂર કરો.'
 
`બિલકુલ, તમારી વાત તદ્દન સાચી છે કે, રાષ્ટ્ર સર્વોપરી પણ સાથે સાથે આપણે વિશ્વ નાગરિક પણ ખરા! મેં જવાબ આપવાનું ચાલુ રાખ્યું, આ બંને વસ્તુ એકબીજાથી વિરોધી નથી..! તમે જોયું હશે કે જ્યારે આપણે પાકિસ્તાનના સૈન્યને જબરદસ્ત જવાબ આપી રહ્યા હતા, ત્યારે સરકારનો અને ખાસ કરીને વડાપ્રધાનનો એક સાથે ઉદઘોષ હતો કે યહ નયા ભારત હૈં..'
 
નવું ભારત એટલે શું? જો આપણી સનાતન સંસ્કૃતિને આપણે કહીએ છીએ કે નિત્ય નવીન ઔર ચિર પુરાતન સનાતનનો અર્થ એ છે કે કેટલુંક જે શાશ્વત છે, એ આપણા દેશની ઓળખ છે અને એટલા માટે આપણે રાષ્ટ્રને કોઈપણ સમયમાં વિજ્ઞાનની દરેક પ્રકારની પ્રગતિમાં પણ પ્રેમ કરી શકીએ એવી બૌદ્ધિક સંપદા આપણી પાસે છે.
 
`ટેકનોલોજીમાં પણ?' શ્વેતાએ વચ્ચે પ્રશ્ન કર્યો...
 
`સાવ સાચી વાત છે, ટેકનોલોજીમાં પણ આપણે દુનિયાની સાથે સરખામણીમાં ઊભા રહીએ એવા છીએ. આપણા યુવાનો સિલિકોન વેલીમાં ખૂબ જ મહેનત કરીને મહત્વનાં કોર્પોરેશનમાં મહત્ત્વની જગા ઉપર છે. યહ નયા ભારત હૈ.. પાકિસ્તાનને ખબર જ ના પડી અને એના નુર ખાન એરબેઝ ઉપર જઈને ભારતની મિસાઇલ ત્રાટકી.. આ કોઈ સામાન્ય વાત નથી. સમગ્ર અમેરિકામાં જે ડિજિટલ અમેરિકા છે એને ભારતીયો ચલાવે છે. એટલે આપણે એવું ઇચ્છીએ છીએ કે, આપણો યુવાન દુનિયામાં કોઈ પણ ખૂણે હોય એ દરેક વ્યક્તિની સાથે આંખમાં આંખ મિલાવીને વાત કરી શકે, એટલો સક્ષમ થવો જોઈએ.'
`જો એનામાં ભારતીય સંસ્કૃતિના સંસ્કાર હશે તો એનો કર્મયોગ સૌથી શ્રેષ્ઠ હશે, એવા યુવાનમાં વિવેકાનંદની તેજસ્વિતા અને નચિકેતાની દૃઢતા હશે. આજનું ભારત એટલે કે નવું ભારત છે, પણ નવું એટલા માટે છે કે, વચ્ચેના સમયમાં વિદેશી સત્તાઓએ ભારત ઉપર રાજ કર્યું ત્યારે એમણે ધરમૂળથી ભારતીય સંસ્કારોને દબાવી દેવાનો પ્રયત્ન કર્યો હતો. નવાભારતમાં આ પુરાતન ભારતનો આત્મા જગવવાનો એક પ્રયત્ન ચાલુ છે.
 
આજનો યુવાન ભગવદ ગીતા જાણવા પણ ઇચ્છે છે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં હોશિયાર થવા પણ તત્પર છે. હું શું કરું ? હું તો ગુજરાતી માધ્યમમાં ભણ્યો છું, એવી નબળી ભાવના સાથે માતૃભાષાને પ્રેમ નથી કરતો. એ કહેશે કે મને મારી માતૃભાષાએ સમજણ આપી છે, ડહાપણ આપ્યું છે, પણ રોજગારી માટે જે ભાષાની જરૂર હોય, જે કૌશલ્યની જરૂર હોય એ બધું મારી પાસે છે. યુવાનનો આવો થડકાર એ નવા ભારતની ઓળખ થઈ શકે. અને ૨૦૪૭માં જ્યારે ભારત પોતાની સ્વતંત્રતાની શતાબ્દી ઊજવે ત્યારે એના યુવાનમાં આ ખુમારી પણ હોવી જોઈએ.'
 
`સર, હવે થોડો તાળો મળે છે, કૉલેજમાં અમારા વાર્ષિક ઉત્સવમાં આવેલા એક મહેમાને પણ એવું કહેલું કે, ભારતીય સંસ્કૃતિ માટે આપણને ગૌરવ હોવું જોઈએ.'
 
હા, પણ એ ગૌરવ ત્યારે જ થશે, જ્યારે તમે જાણતા હશો કે ભારતીય સંસ્કૃતિ એટલે શું? ભારતીય સંસ્કૃતિ એટલે જિજ્ઞાસાથી ભરેલો યુવાન કૉલેજમાં જાય ત્યારે જ્ઞાનનાં અનેક ક્ષેત્રો કબજે કરે. આજે ટેકનોલોજીમાં અને વિશેષ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં ઘણા બધા યુવાનો એવું કામ કરી રહ્યા છે, જેનાથી આપણને ગૌરવ થાય. તમે કહેશો કે આ તો અત્યંત લેટેસ્ટ વાત છે! સાચી વાત છે, આ છેલ્લામાં છેલ્લું જ્ઞાન છે, પણ એનું મૂળ તો શંકરાચાર્ય કહે છે એમ બ્રહ્મસૂત્રના પહેલા સૂત્રમાં કહ્યું છે, જેને આ જગતનું કારણ જાણવાની જિજ્ઞાસા હોય એ વ્યક્તિ માટે ટેકનોલોજી કે બીજા કોઈ વિષય વિશેનું જ્ઞાન મેળવવાની જિજ્ઞાસા તો હોય જ હોય! એટલે આપણે એવા યુવાનો તૈયાર કરવા છે, જે યુવાનો આધુનિકતા સ્વીકારીને ભારતીય સંસ્કૃતિનું હૃદય સમજી વિચારી જીવનમાં અપનાવે.
 
શ્વેતા, આ સંદર્ભમાં હવે તમે ભારત પાકિસ્તાન વચ્ચે માત્ર પાંચ દિવસ ચાલેલા યુદ્ધનો વિચાર કરો. સિન્દૂર એ આપણા દાંપત્યજીવનનું એટલે કે પરિવારનું એક બહુ મોટું પ્રતીક છે. એની સાથે આખા ઓપરેશનનું નામ જોડ્યું. કારણ આતંકવાદીઓએ આપણી બહેનોનાં સિંદૂર ભૂંસી નાખવાનો પ્રયત્ન કર્યો, તો આપણે આ પૃથ્વી ઉપરથી એમનું અસ્તિત્વ ભૂંસી નાખ્યું. આ નવા ભારતની બહાદુરી છે, આ રાણા પ્રતાપ માટે ગૌરવ અનુભવવાની સાથે સાથે આધુનિકતા અપનાવીને યુદ્ધમાં શૌર્ય, સાહસ અને કૌશલ્યનો ઉપયોગ કરવાની જે શક્તિ છે, તે નવા ભારતની ઓળખ છે. હૈયામાં રાણા પ્રતાપ અને ઝાંસીની રાણીની બહાદુરી હોય, પરંતુ સમય પ્રમાણે તલવાર કે ચેતક ઘોડો ન હોય પણ જુસ્સો અને માતૃભૂમિ પ્રત્યેની ભક્તિ એવી ને એવી હોય એ નવા ભારતની ઓળખ છે. આ નવું ભારત કશુંક કરી શકશે એવો આપણને જ નહીં આખા વિશ્વને ખ્યાલ છે. ખ્યાલ જ નહીં આપણા દુશ્મનોને એનો ભય પણ છે.
 
 

ભાગ્યેશ જહા

ગુજરાતી રાજ્ય સરકારના વહીવટી વિભાગમાં એક સમયે સૌથી વરિષ્ઠ અધિકારી એવા ભાગ્યેશ જહા એક ઉત્તમ કવિ અને નિબંધકાર છે. તેમનું સંસ્કૃત ભાષા અંગેની સમજ અને જ્ઞાન પણ સરાહનીય છે.તે એક સમયે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ પણ રહી ચુક્યા છે.