સંઘગાથા – ૪ । સંઘશાખા એટલે સ્વયંસેવક નિર્માણ

શાખાસ્તરે જ યોજનાકૌશલ્ય વિકસિત થાય છે. ઝીણવટભર્યું વિગતવાર કામ કરવાની ટેવ પડે છે.

    ૧૦-જૂન-૨૦૨૫
કુલ દૃશ્યો |

all about rss and shakha gujarati bhag 4
 
 
આપણા દેશને પરમવૈભવ પ્રાપ્ત કરાવવાના સંઘના ધ્યેયનું રોજ થતી પ્રાર્થનામાં સ્મરણ કરાવી દેવાય છે. परम्‌ वैभवन्‌ नेतुमेतत्‌ स्वराष्ट्रम्‌.
 
પરમવૈભવ પ્રાપ્ત થવા માટે સમાજ સંગઠિત હોવો આવશ્યક છે. હિન્દુ સમાજ ઊંચનીચની ભાવનાથી ભરેલો, એકબીજાથી દૂર ગયેલો, જાતિભેદથી વિખરાયેલો, અસ્પૃશ્યતા જેવી રૂઢિથી ઊભાં બે ફાડચાં થયો હોય એવો દેખાય છે. મહાત્મા જ્યોતિબા ફૂલે, ડૉ. બાબાસાહેબ આંબેડકર, સ્વાતંત્ર્યવીર સાવરકર વગેરે બધા જ સમાજસુધારકોએ હિન્દુ સમાજને દોષરહિત કરવાના પ્રયાસોને પ્રાધાન્ય આપ્યું. `સમાજ' કહેવાય તેવા ગુણો હિન્દુ સમાજના આચરણમાં પ્રમાણમાં ઓછા દેખાય છે.
 
હું અને મારું એવા સંકુચિત વિચારથી હિન્દુ સમાજની સામાન્ય વ્યક્તિ ગ્રસ્ત છે.
 
દેશને સ્વતંત્ર, સમૃદ્ધ અને સુખી કરવા માટે હિન્દુ સમાજને નિર્દોષ અને સંગઠિત કરવો અતિઆવશ્યક છે. પરં વૈભવપ્રાપ્તિની તે પહેલી શરત છે, એ વાત સમજી લઈને સંઘે પોતાના કામ તરીકે હિન્દુ સમાજને સંગઠિત કરવાનો નિર્ણય નિશ્ચિત કર્યો.
સંઘનું ધ્યેય `પરં વૈભવ અને તે માટેનું કામ હિન્દુ સંગઠન. હિન્દુ સંગઠન શબ્દમાં સમાજસુધારની બધી જ સંકલ્પનાઓ સમાવાયેલી છે.
 
હિન્દુ સમાજના સંગઠનનું કામ સહેલું નથી અને તે ધૈર્યની પરીક્ષા લેનારું છે. જીવતાં દેડકાં તોળવાં જેટલું અઘરું છે તેના કરતાં પણ હિન્દુ સમાજનું સંગઠન કરવાનું કામ અઘરું છે.
 
હિન્દુ સમાજ અનેક પ્રકારના આંતરિક ભેદોથી એટલો જીર્ણ-શીર્ણ થઈ ગયો છે કે, આપણું જીવન પૂરું થશે પણ સંગઠન તો દૂર જ રહેશે. નિરાશા અને હતાશા જ હાથ લાગશે.
 
આટલું અશક્ય લાગતું હોય તો પણ તે કરવું અતિ આવશ્યક છે. સતત કરતા જ રહે, નિરાશ, હતાશ નહીં થાય, કામને વચ્ચેથી જ નહીં છોડી દે એવા સંગઠનકુશળ કાર્યકર્તા નિર્માણ કરવા પડશે. સંઘની શાખા સંગઠનકુશળ કાર્યકર્તા નિર્માણ કરવાના હેતુથી ચલાવાય છે. સંઘે તેનું નામ રાખ્યું છે, સ્વયંસેવક- રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો અર્થ ટૂંકમાં એવો કરી શકાય કે રાષ્ટ્રીય એટલે હિન્દુ, સંઘ એટલે સમાજ. હિન્દુ સમાજને સંગઠિત કરવાનું બીડું જેણે ઝડપ્યું છે તે સ્વયંસેવક.
 
સંપૂર્ણ હિન્દુ સમાજના સંગઠનની કલ્પના ગળે ઊતરવી એટલી સહેલી નથી. એકાદ જાતિનું, એકાદ ભાષા બોલનારાનું, ખેડૂતોનું, મજૂરોનું, કોંગ્રેસનું, ભાજપાનું સંગઠન વગેરે સંકલ્પનાઓ સમજવા માટે સહેલી છે. નિઃશેષ હિન્દુ સમાજનું સંગઠન એ સંકલ્પના ડૉ. હેડગેવાર સિવાય બીજા કોઈએ પ્રસ્તુત કરી નથી. ગ્રામવાસી, શહેરવાસી, ગિરીવાસી, વનવાસી, ધનવાન, નિર્ધન એવા લોકો છ લાખ ગામોમાં પ્રસરેલા અને વિવિધ ભાષા બોલનારા વિરાટ સમાજનું સંગઠન કરવાનો સંકલ્પ કરવો એ પણ એક ચમત્કાર જ છે. ડૉક્ટરજી તેને ઈશ્વરીય કાર્ય માનતા. ડૉક્ટરજીએ તો આ કામ કરતાં કરતાં જ પોતાનું જીવન સમાપ્ત કર્યું. ડૉક્ટરજીનો આદર્શ સામે રાખી સેંકડો કાર્યકર્તાઓએ પણ પોતાનાં જીવન સમર્પિત કર્યાં છે. પ.પૂ. સરસંઘચાલક શ્રી ગુરુજી, શ્રી બાળાસાહેબ દેવરસ, પ્રાધ્યાપક રાજેન્દ્રસિંહજી, માન્યવર સુદર્શનજી વગેરે મહાનુભાવોએ તે જ આદર્શ બધાની સામે પ્રસ્તુત
કર્યો છે.
 
અશક્ય લાગતું હિન્દુ સમાજસંગઠનનું કાર્ય કરવા નીકળેલા સ્વયંસેવકોમાં કયા ગુણો આવશ્યક છે એ સંઘનિર્માતા ડૉક્ટરજીના ગહન ચિંતનનો વિષય હોવો જોઈએ. સાર્વજનિક જીવનમાં કામ કરનારા અનેક મહાનુભાવો સાથે તેમનો પરિચય હતો. લોકમાન્ય ટિળક, મહાત્મા ગાંધી, નેતાજી સુભાષચંદ્ર બોઝ, મહર્ષિ યોગી અરવિંદ, ત્રૈલોક્યનાથ ચક્રવર્તી, ભાઈ પરમાનંદ વગેરે અનેકોનો ઉલ્લેખ આ શ્રેણીમાં કરી શકાશે.
 
સામાન્યતઃ કોઈ એકાદ અધિવેશન કે કાર્યક્રમની વ્યવસ્થામાં કામ કરનારા લોકો સ્વયંસેવક ગણાતા. ડૉક્ટરજીના મનમાં સ્વયંસેવકની કલ્પના પૂર્ણપણે જુદી હતી.
 
૧, સંગઠન કરવું એટલે માણસ જોડવા. જોડવા માટે અનુકૂળ સ્વભાવ જોઈએ. તોડનારો ન ચાલે. જોડવું
અઘરું છે.
 
૨, સ્વયંસેવક અહંકારી ન હોવો જોઈએ. સંપૂર્ણ સમાજ માટે આત્મીયતા જોઈએ. મનમાં કોઈ પણ ભેદભાવ ન જોઈએ.
 
૩, જોડવા માટે માણસને ઘેર જવું પડે છે. જાતે જ સામેથી અપરિચિત લોકોને ઘેર જવાનો સ્વભાવ બનાવવો
પડે છે.
 
૪, નવાનવા લોકોને ત્યાં જવા સમય કાઢવો પડે છે. અન્ય જવાબદારીઓ ઓછામાં ઓછા સમયમાં પૂર્ણ કરીને વધુમાં વધુ સમય સંગઠનને આપનારો માણસ જોઈએ.
 
૫, મૃદુભાષી અને મિતભાષી માણસ જોઈએ..
 
૬, પ્રતિજ્ઞા લઈને કામ કરનારો જોઈએ.
 
હિન્દુ સમાજના સંગઠનનું કાર્ય ધીરજની કસોટી કરનારું કાર્ય છે. “कार्यं वा साधयेत्‌ देहं वा पातयेत्‌” એવી મનોભૂમિકા રાખીને જ કામ સાતત્યપૂર્વક કરવું પડશે.
 
આ જ વારસો આગળની પેઢીને આપવો પડશે. ડૉ. હેડગેવાર પછી પાંચ સરસંઘચાલકો થયા. કામ નિરંતર ચાલુ જ છે.
આપણા મનમાં છુપાએલો સ્વયંસેવક નિર્માણ કરી શકનારી `શાખા' કાર્યપદ્ધતિ ડૉક્ટરજીએ વિકસિત કરી. સંઘની શાખા ભગવા ધ્વજને પ્રણામ કરી શરૂ થાય છે અને ભારતમાતાને પ્રણામ કરી પૂર્ણ થાય છે. શાખામાં કોઈ દેવતા કે વ્યક્તિની પ્રતિમા મુકાતી નથી. સર્વોચ્ચ સ્થાન ધ્વજને અપાય છે. ધ્વજ સામે બધા જ સરખા, ઊંચ-નીચ, શિક્ષિત-અશિક્ષિત, શહેરી-ગ્રામીણ એવા કોઈ પણ ભેદને અહીં સ્થાન નથી. સૌના એક જ આરાધ્ય દેવતા છે ભારતમાતા. ભારતમાતા માટે સર્વસ્વ ત્યાગની તૈયારી એટલે સ્વયંસેવક એવી ઇચ્છા સ્વયંસેવક દૈનિક પ્રાર્થનામાં વ્યક્ત કરે છે.
 
ભારતમાતા આપણી આરાધ્ય-દેવી, સમાજ આપણો પરમેશ્વર અને ભગવો ધ્વજ આપણો આદર્શ. શાખાની આવી રચના હોય છે. અહંકાર અને સ્વાર્થને અહીં ક્યાંય સ્થાન નથી.
 
શાખા માટે એક કલાકનો સમય નક્કી કર્યો છે. એક-એક મિનિટનો વિચાર કરી એક કલાકનું નિયોજન કરવામાં આવે છે. શરીર-મન-બુદ્ધિ વચ્ચે સમન્વય સાધનારું તે હોય છે. શરીર-મન-બુદ્ધિ વચ્ચે સમન્વય સધાય તો મનુષ્યે હાથમાં લીધેલાં કામ યશસ્વી બને છે. બુદ્ધિ એક તરફ, મન બીજી તરફ, અને શરીર ત્રીજી તરફ ખેંચતું હોય તો એવું વ્યક્તિત્વ એકાત્મ હોતું નથી. તે હંમેશાં દ્વિધાત્મક મનસ્થિતિમાં જ રહેશે.
 
એક કલાકનું નિયોજન સામાન્યતઃ આ પ્રમાણે હોય છે. શરૂઆતની પાંચ મિનિટ ધ્વજવંદન માટે, છેલ્લી પાંચ મિનિટ ભારતમાતાની પ્રાર્થના માટે. ૪૦ મિનિટ રમત, સૂર્યનમસ્કાર, યોગ, સમતા, સંચલન વગેરે શારીરિક કાર્યક્રમો માટે હોય છે. દસ મિનિટ બૌદ્ધિક કાર્યક્રમો માટે. એવું સાપ્તાહિક સમયપત્રક બને છે.
 
રમતને કારણે મન પ્રસન્ન, ઉત્સાહી, વિજયાકાંક્ષી બને છે. હું વિજયી થવાનો જ, એ ભાવના જીવનમાં મહત્ત્વની હોય છે. સમાજમાં વિજય પ્રાપ્ત કરવાની, આગળ વધવાની મહત્ત્વાકાંક્ષા આવશ્યક હોય છે.
 
યોગ, સમતા, સંચલન વગેરે કાર્યક્રમોમાંથી સ્વયંસેવકના શરીરને અનુશાસનની ટેવ પાડવાનો પ્રયાસ થાય છે. શરીર-ઇન્દ્રિયની મનમાની ઓછી
 
થાય છે. શરીર આપણા મનના કબજામાં રહે છે.
 
સૂર્યનમસ્કાર સર્વાંગસુંદર વ્યાયામ મનાય છે. સાત આસનો અને પ્રાણાયામનો તેમાં સુમેળ થાય છે. સૂર્યનમસ્કારથી શરીરસૌષ્ઠવ પ્રાપ્ત થાય છે. પરિશ્રમ કરનારું શરીર તૈયાર થાય છે.
 
शरीरमाध्यम्‌ खलु धर्म साधनम्‌ એ અમૃતવચન પ્રસિદ્ધ છે. આવડા મોટા શરીરના પ્રમાણમાં મગજ નાનું જ કહેવાય ને! દસ મિનિટ બૌદ્ધિક કાર્યક્રમ માટે હોય છે. હિન્દુ સમાજ પ્રત્યેની નિષ્ઠા, વર્તમાન સમાજની અસંગઠિત અવસ્થા, એકાત્મતાનો અભાવ, સમરસતાનો ભાવ નિર્માણ કરવા માટે કરવા પડતા પ્રયત્નો, તે માટે સમયદાન વગેરે વિષયો પર ચર્ચા થાય છે. સમાજપ્રેમ, શૌર્ય, પરાક્રમ, ચારિત્ર્ય, સેવા, સમર્પણ વગેરે ગુણવાચક નાના નાના પ્રસંગો કહેવા એવું બૌદ્ધિક કાર્યક્રમોનું સ્વરૂપ હોય છે. શાખામાં દેશભક્તિનાં ગીતો સાંઘિક (સામૂહિક)ગવાય છે. સ્વયંસેવકો તેમાં રમમાણ થઈ જાય છે. રોજ ગવાતી પ્રાર્થના પણ બૌદ્ધિક વિભાગનો મહત્ત્વનો વિષય છે.
 
શાખા ચલાવનારો સ્વયંસેવક મુખ્ય શિક્ષક કહેવાય છે. તેને જે થોડો મોટો સ્વયંસેવક મદદરૂપ થાય છે તે `કાર્યવાહ' કહેવાય છે. શિશુ, બાલ, વિદ્યાર્થી, તરુણ, પ્રૌઢ વગેરે શ્રેણી અનુસાર ગણશિક્ષકો નિયુક્ત થાય છે. શિશુ, બાલ, વિદ્યાર્થી, તરુણ, પ્રૌઢ વગેરે શાખાના પ્રકારો હોય છે. શાખામાં પાંચ-સાત સ્વયંસેવકોના ગટ હોય છે. પ્રત્યેક ગટનો એક ગટનાયક હોય છે. તે પોતાના ગટના બધા સ્વયંસેવકોને ઘેર જાય છે. ઘરના બધાનો પરિચય મેળવી લે છે. ગટનાયકથી જ સંગઠનકૌશલ્યનો પ્રારંભ થાય છે.
 
શાખાસ્તરે જ યોજનાકૌશલ્ય વિકસિત થાય છે. ઝીણવટભર્યું વિગતવાર કામ કરવાની ટેવ પડે છે.
 
યોજનાકૌશલ્ય અને આત્મસાત્‌ થએલા અનુશાસનને કારણે મોટાં મોટાં કામો સ્વયંસેવકો સહજપણે પાર ઉતારતા દેખાય છે. ભૂકંપ હોય, પૂર હોય, અન્ય પ્રકારનાં તોફાનો હોય કે કોરોના મહામારી હોય, આપત્તિ વખતે આ ગુણો પ્રકટપણે જોવા મળે છે.
થોડાં વર્ષ પૂર્વે ગંગામાતા-ભારતમાતા યાત્રા થઈ. પચાસ હજાર કિ. મીટરનો પ્રવાસ થયો. બધું સમયબદ્ધ થયું. વ્યવસ્થામાં ક્યાંય ગરબડ ન થઈ. પ્રસિદ્ધિપ્રાપ્ત દૈનિક INDIAN EXPRESSની કૉલમમાં મિલિટરી પ્રિસિજન દેખાઈ આવ્યું એવું વર્ણન કર્યું હતું. આ આખા કાર્યક્રમના અખિલ ભારતીય સંયોજક હતા નાની ઉંમરથી સ્વયંસેવક એવા માન્યવર મોરોપન્ત પિંગળે.
વિજયવિશ્વાસના આત્મવિશ્વાસ-પૂર્વક પ્રત્યેક પગલું આગળ મૂકનારા અને વિવેકાનંદ શિલાસ્મારક સાકાર કરી બતાવનારા માનનીય એકનાથજી રાનડે એ સંઘની પ્રક્રિયામાંથી તૈયાર થએલું વ્યક્તિત્વ.
 
મા. એકનાથજી રાનડે માત્ર સ્મારક ઊભું કરીને જ સ્વસ્થ બેસી ન રહ્યા, સ્વામી વિવેકાનંદ પાસેથી પ્રેરણા લઈ સમાજસેવા માટે જનારાં યુવક-યુવતીઓને યોગ્ય પ્રશિક્ષણ મળે એવી વિદ્યાપીઠ નિર્માણ કરી. વિવેકાનંદ કેન્દ્રમાં પ્રશિક્ષિત થએલાં સેંકડો યુવક-યુવતીઓ દેશભરમાં સંગઠનકાર્ય કરી રહ્યાં છે.
 
પ્રારંભકાળે નાગપુર અને મહારાષ્ટ્રમાંથી અનેક સ્વયંસેવકો. પોતાનું ઘર છોડીને બીજા પ્રાંતમાં, અપરિચિત પ્રદેશોમાં શાખાકાર્ય વધારવા માટે ગયા. જે શાખાએ તેમને તૈયાર કર્યા તે શાખાનું જેટલું ગૌરવગાન કરીએ તેટલું ઓછું છે. પંજાબમાં રાજાભાઉ પાતુરકર, અને માધવરાવ મુળ્યે, દિલ્હીમાં વસંતરાવ ઓક, ઉત્તરપ્રદેશમાં શ્રી ભાઉરાવ દેવરસ અને નાનાજી દેશમુખ, બિહારમાં મધુસૂદન દેવ, ઓરિસ્સામાં બાબૂરાવ પાલધીકર, દક્ષિણમાં દાદારાવ પરમાર્થ, દત્તોપંત ઠેંગડી અને યાદવરાવ જોશી એવાં કેટલાંક નામો કહી શકાશે. આ બધા લોકો ક્યાં સૂતા હશે? ક્યારે અને ક્યાં જમતા હશે? તેમની કલ્પકતાની અને યોજકતાની, એક-એક વ્યક્તિ પ્રત્યેની આત્મીયતાની ચીવટને કમાલ જ માનવી જોઈએ.
આજે સ્વયંસેવક નિર્માણ કરનારી એંસી હજાર શાખાઓ ચાલી રહી છે.
 
સ્વામી વિવેકાનંદના સાહિત્યમાં આ વાક્યો વાંચવા મળે છે, `જોઈએ છે માણસ' તેનાથી જ બધું સાધ્ય થશે. હું એવા માણસની શોધમાં છું જેના શબ્દમાં વપરાતો M, કેપિટલ હશે. I am in search of man making machine. Man with capital M, એવું કહેતા હતા ત્યારે દેશનો કેવો માણસ જોઈતો હતો? મૃત્યુનાં જડબામાં પ્રવેશવા તૈયાર, અથાગ સમુદ્ર તરીને પાર કરવા તત્પર એવા બુદ્ધિમાન અને ધૈર્યશીલ યુવકો મારે જોઈએ છે. ધ્યેયપૂર્તિની આગ એમનાં હૃદયોમાં પ્રજ્વલિત જોઈએ. પવિત્રતાના તેજથી ચમકતા ઈશ્વર પરની શ્રદ્ધાનું શુભકવચ ધારણ કરેલા, નસોમાં મૃગેન્દ્ર(સિંહ)ના સ્નાયુઓનું સ્ફુરણ થએલા યુવાનો જોઈએ. દીન-દલિતો પ્રત્યે અપાર કરુણા ધરાવતાં હજારો યુવક-યુવતીઓ હિમાલયથી કન્યાકુમારી સુધી સંચાર કરશે એવો મને વિશ્વાસ છે. મુક્તિ, સેવા અને સામાજિક ઉત્થાનનું અને સર્વપ્રકારની સમાનતાનું તેઓ આવાહન કરશે અને આખો દેશ ગૌરવથી ચમકી ઊઠશે.
 
વ્યક્તિનિર્માણ એટલે સ્વયંસેવક-નિર્માણ (Man with capital M) એવો ઉદ્દેશ્ય લઈને શાખા કાર્યપદ્ધતિરૂપે સ્વામી સ્વામી વિવેકાનંદની રાષ્ટ્ર પુનરુત્થાનના ઉપરોક્ત વિચારોને સાકાર કરવાના પ્રયાસો સંઘે ચલાવ્યા છે,
એમ કહીએ તો પણ તેમાં કોઈ અજુગતી વાત નથી.
 
 
***
 
લેખક – મધુભાઈ કુલકર્ણી
(વરિષ્ઠ પ્રચારક – રા.સ્વ.સંઘ)
 
અનુવાદ - જ્યોતિ ભાંડારી