એકાદો નાનકડો નિયમ પણ જો કરીએ અને તેનું જન્મભર પાલન કરીએ તો તે એક પ્રકારનું તપ જ થશે. કોઈ જો રામનામના જપની એક માળા પ્રતિદિન કરવાનો નિયમ કરે, સમય પણ નિશ્ચિત કરે અને તેનું આગ્રહપૂર્વક પાલન કરે તો તો તેને તપ જ કહેવું પડશે. નિયમ લીધા પછી પરીક્ષા હોય તો પણ શું અને પોતાનાં જ લગ્નનો સુખદ પ્રસંગ કે કોઈ દુખદ પ્રસંગ હોય તો પણ તેનું પાલન કરવું જ પડશે. વર્ષાનુવર્ષ પાલન થાય એટલે તે તપ જ થાય છે. આવા માણસનું મનોબળ વધે છે. જીવનમાં સુખદુઃખના પ્રસંગો આવે જ છે. સારું મનોબળ ધરાવતો માણસ તે સહજપણે સહન કરતો દેખાય છે.
પ્રતિદિન શાખામાં જવું એ પણ એક નિયમ જ છે. શાખા કાર્યપદ્ધતિ વિકસિત કરનારા ડૉ. કેશવ બળિરામ હેડગેવાર કોઈ કામ નિમિત્તે ગામડે ગયા હતા. કામ પતાવીને નીકળતાં મોડું થયું. નાગપુર પ્રભાતશાખામાં જવાનું હતું. ડૉક્ટર પગપાળા નીકળ્યા. ઘણું ચાલ્યા પછી એક ટ્રક આવી. ડૉક્ટરજી પાસે આવીને ટ્રક ઊભી રહી. ડ્રાઇવર ડૉક્ટરજીને ઓળખતો હોવાથી આગળ ચાલવાનું ટળ્યું. ડૉક્ટરજી સમયસર શાખામાં જઈ શક્યા.
તેમના પિતરાઈ આબાજી હેડગેવારનાં બહેન બીમાર હતાં એટલે ડૉક્ટરજીને થોડા દિવસ ઇન્દોર રહેવું પડ્યું. ઇન્દોર અને દેવાસ એમ બે શાખા શરૂ થઈ. બિહારના રાજગીરમાં ગરમ પાણીના ઝરા છે. ડૉક્ટરજી ઉપચાર માટે થોડા દિવસ ત્યાં રહ્યા. ડૉક્ટરજીએ ત્યાં એક વિદ્યાર્થી શાખા શરૂ કરી.
વિશ્વ હિન્દુ પરિષદ, મહારાષ્ટ્રનું અધિવેશન પંઢરપુર હતું. સભાના અધ્યક્ષ હતા પ. પૂ. ધુંડામહારાજ દેગલૂરકર. અનેક વક્તાઓ પૈકી એક વક્તા હતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દ્વિતીય સરસંઘચાલક શ્રી ગુરુજી. તેમણે અધ્યક્ષ મહોદયને વિનંતી કરી કે, હું સવારે ૭ વાગે સંઘની શાખામાં જઈશ, ૭.૩૦ સુધી પાછો આવીશ. આ સમય છોડીને મારું વક્તવ્ય ગોઠવાય તો સારું.
ધુંડામહારાજ શ્રી ગુરુજીનો આ નિયમ જાણતા હતા. નિશ્ચિત થયા પ્રમાણે પંઢરપુર નગરકાર્યવાહ મંચ સુધી કાર લઈને આવ્યા. શ્રી ગુરુજી શાખામાં જઈ આવ્યા. ગુરુજીનું વક્તવ્ય ૭.૩૦ કલાકે થયું.
પાંચમા પ. પૂ. સરસંઘચાલક શ્રી સુદર્શનજી પદમુક્ત થયા પછી ભોપાલના સમિધા કાર્યાલય પર રહેવા આવ્યા. તેમણે સ્વયંસેવકોનો સંપર્ક કરી બાળશાખા શરૂ કરી. તેઓ પોતે નિયમિત બાળશાખામાં જતા હતા. (ઉંમર- ૮૦ વર્ષ).
પરીક્ષા હોય, ઘરમાં મંગળ પ્રસંગ હોય, તો પણ (ગમે તેવી સ્થિતિમાં પણ) પોતાની શાખા ચૂકે નહીં તેની ચિંતા કરનારા કર્મઠ કાર્યકર્તાઓ પ્રત્યેક રાજ્યોમાં પણ મળશે.
એક જિલ્લા પ્રચારકે કહેલું સંસ્મરણ. એક સ્વયંસેવકની બહેનનું અચાનક મૃત્યુ થયું. ઉંમર વર્ષ અઠ્ઠાવીસ (૨૮). બસમાં બેઠી બેઠી જ ગુજરી ગઈ. પાર્થિવ શરીર ઘેર આવ્યા પછી માતાપિતાનાં આક્રંદનો પાર ન રહ્યો. બીજા દિવસે અંત્યસંસ્કાર થયો. તે દિવસે સાંજે તે સ્વયંસેવક શાખામાં હતો.
હજારો શાખા, લાખો સ્વયંસેવકો “पतत्वेष कायो नमस्ते नमस्ते” કહી ભારતમાતાની પ્રાર્થના રોજ કરતા જ રહે છે. પ્રાર્થના સામૂહિક હોય છે. તેમાં વ્યક્તિગત લાભનો લવલેશ પણ નથી. રાષ્ટ્રકલ્યાણના હેતુથી ચાલી રહેલું સામૂહિક તપ એટલે સંઘની શાખા. તપાશ્ચર્યાથી જેમ વ્યક્તિનું તેમ જ સમાજ અને રાષ્ટ્રનું પણ મનોબળ વધે છે. પરાભૂત માનસિકતામાંથી બહાર નીકળી વિજયની આકાંક્ષા લઈ હિન્દુ સમાજ ઊભો થવો જોઈએ.
દ્વિતીય સરસંઘચાલક શ્રી ગુરુજી કહેતા, સ્વયંસેવક શાખા ચાલુ રાખે તો સર્વદૂર विजय ही विजय है। માનવદર્શનના પ્રણેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયે કહ્યું છે કે, સમાજનો વિરાટ સદૈવ જાગ્રત હોવો જોઈએ. હિમાલયથી કન્યાકુમારી સુધી અને કચ્છથી કામરૂપ સુધી પ્રસરેલો હિન્દુ સમાજ એક મહત્ત્વાકાંક્ષાથી એક સાથે ઊભો રહ્યો તેનો અનુભવ રામજન્મભૂમિ મુક્તિ આંદોલનના માધ્યમથી આખા દેશને થયો છે. ગામલોકોએ પૂજન કરીને લાખો ગામોમાંથી શ્રીરામશિલા અયોધ્યા મોકલી હતી. રામભક્તિ હોવાથી જ આ શક્ય બન્યું એમ કહી શકાય. તે જ અરસામાં શ્રી રામાનંદ સાગર નિર્મિત રામાયણ ધારાવાહિક ચાલતી હતી. શ્રીરામ શબ્દનો જનમાનસ પર શું પ્રભાવ છે તેનો અનુભવ આખા દેશે કર્યો. સમાજના વિરાટ જાગરણનાં ખરાં દર્શન બંને કારસેવાઓમાં થયાં. બધા જ પ્રાંતોના, બધાં જ જાતિવર્ણના, સર્વ ભાષાભાષી, સર્વ પંથ સંપ્રદાયનાં સ્ત્રીપુરુષો, શ્રી રામ અમારા પણ પૂર્વજ છે એમ કહેનારા કેટલાક મુસ્લિમપંથીઓ અને ખ્રિસ્તીપંથીઓ પણ કારસેવક હતા. કદાચ બધા રાજકીય પક્ષોના પણ હશે. (ચોરીછૂપીથી આવ્યા હોય).
પાંચસો વર્ષ પહેલાં લાગેલું કલંક ધોઈ નાખવાની પ્રબળ ઇચ્છા (Will Power) કારસેવકોના મનમાં હતી. અપમાન ધોઈ નાખવાની ઇચ્છા હતી. ગુલામીનું નિશાન કહી શકાય તેવો બાબરી ઢાંચો પાંચ કલાકમાં ધ્વસ્ત થઈ ગયો.
રાજા સુહલદેવથી લઈને અત્યાર સુધી (૧૯૯૨)ઘણાં યુદ્ધો થયાં. લાખો લોકોનું બલિદાન થયું. પણ ઉત્તર-દક્ષિણ-પૂર્વ-પશ્ચિમ બધા જ હિન્દુઓ એક જ ઇચ્છા લઈ ઊભા રહ્યા, એવી દેદીપ્યમાન ઘટના આપણા દેશના ઇતિહાસમાં કદાચ પ્રથમ જ હશે. રાજારજવાડાંના કાળમાં “यथा राजा तथा प्रजा” શિખવાતું. હવે ‘यथा प्रजा तथा राजा’શીખવવું આવશ્યક છે.
સમાજનો `વિરાટ' જાગ્રત હોવાનો અનુભવ દૂર દૂરથી આવેલા કારસેવકોને થયો. તમિલ, મલયાલમ, તેલુગુ, કન્નડ ભાષા ઉત્તરના લોકોને સમજાવવા અશક્ય. દક્ષિણથી આવેલા કારસેવકોને હિન્દી આવડતું નહોતું.
માત્ર પ્રાંત અને કારસેવક કહેતાંની સાથે જ જે આત્મીયતા પ્રકટ થઈ તેનાથી દક્ષિણમાંથી આવતા કારસેવકો ગદ્ગદિત થઈ ગયા. પોતાનાં ઘરમાં બોલાવવા, માલિશ માટે તેલ આપવું, ગરમ પાણી, ભરપેટ ભોજન અને રાત્રે રોકાવાના હોય તો ઓઢવા-પાથરવાની વ્યવસ્થા આપવી, કોઈ ઓળખ વગર. માત્ર રામકાર્ય માટે જઈ રહ્યા છે એટલો જ પરિચય.
ન્યાયાલયમાં ત્રીસ વર્ષ સમય ગયો. પેઢી બદલાઈ. પણ મંદિર માટે નિધિ આપવામાં એટલો જ ઉત્સાહ હતો. પ્રાણપ્રતિષ્ઠાના દિવસે તો પ્રજાનો ઉત્સાહ અવર્ણનીય જ હતો.
શ્રીરામસેતુ રક્ષા આંદોલનમાં આ જ અનુભૂતિ થઈ. અરુણાચલથી એર્નાકુલમ સુધી નિશ્ચિત થયા પ્રમાણે બે કલાક રસ્તા રોકો આંદોલન થયું.
અમરનાથ શ્રાઇન બોર્ડ જમીનવિવાદ પ્રસંગે જમ્મુસ્થિત બધાં જ સ્ત્રી-પુરુષો અને બાળકો `શંકર-પાર્વતી અને ગણેશ થયાં હતાં. મહારાણા પ્રતાપ, શિવાજી મહારાજ, દશમેશ ગુરુ ગોવિંદસિંહજી મહારાજ, લચિત બડફૂકન, હરિહર, બુક્કા, વગેરે નજીકના કાળમાં થએલા વીર પરાક્રમી મહાપુરુષોને લીધે હિન્દુસામ્રાજ્યનો `વિરાટ' જાગ્રત હોવાની પ્રતીતિ થઈ. પણ તે વિશિષ્ટ ભૌગોલિક એકમ પૂરતો મર્યાદિત હતો અને થોડો સમય જ ટક્યો. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ સર્વદૂર હિન્દુ સમાજ જાગ્યો છે એવો અનુભવ સ્વતંત્ર ભારતમાં લોકતાંત્રિક સમાજરચના પછી પહેલી વાર થયો છે.
વારતહેવારે જાગ્રત થનારો સમાજ જગતની રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેની સ્પર્ધામાં કાંઈ બહુ આગળ જઈ નહીં શકે. સમાજનો `વિરાટ' કાયમ જાગ્રત જોઈએ. એટલે રાષ્ટ્રકલ્યાણનો સંકલ્પ કરીને ડૉ. હેડગેવારજીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો પ્રારંભ કર્યો. વિરાટ જાગ્રત હોવો એ સ્વાભિમાનનું લક્ષણ છે. પ્રગતિપથ પરના પ્રવાસનો વિશ્વાસ છે.
સંઘના કામને વ્યાવહારિક રૂપ આપ્યું તે એટલે પ્રતિદિનની શાખા. રોજ રાષ્ટ્રકલ્યાણના સામૂહિક સંકલ્પનું સ્મરણ કરવાનું સ્થાન. રોજ રામનામનો જપ કરવો એ વ્યક્તિનો પોતાનો સંકલ્પ થયો. રાષ્ટ્રકલ્યાણનો સંકલ્પ સામૂહિક જ હોઈ શકે. રોજ સંકલ્પનું સ્મરણ કરવું એને જ તપ કહેવાય. રાષ્ટ્રકલ્યાણનો સામૂહિક સંકલ્પ શાખા એટલે રાષ્ટ્રીય તપસ્થળી. વર્તમાનમાં આખા દેશમાં ૮૦,૦૦૦ સ્થાન પર લાખો નાગરિકો રાષ્ટ્રકલ્યાણનો સંકલ્પ “परं वैभवं नेतुमेतत् स्वराष्ट्रं” શબ્દોથી કરતા જ રહે છે.
“परं वैभवं नेतुमेतत् स्वराष्ट्रं” એવો રોજ શાખામાં ગવાતી પ્રાર્થનામાં ઉલ્લેખ છે. પરમ સુખ આપનારો તે પરમવૈભવ એમ કહી શકાશે. પરમ સુખની વ્યાખ્યા સૂત્રરૂપે પ્રાર્થનામાં આપી છે. समुत्कर्ष અને नि:श्रेयस એકાત્મ એ બંનેની પ્રાપ્તિ થાય તે પરમ સુખ. સમાજના પ્રત્યેક ઘટકને समुत्कर्ष અને नि:श्रेयसની પ્રાપ્તિ થવી જોઈએ. સમુત્કર્ષ એટલે ભૌતિક સંપદા અને नि:श्रेयस એટલે જ્ઞાનસંપદા.
`પરમવૈભવ' સર્વકલ્યાણકારી, સર્વસમાવેશક, એકાત્મ દૃષ્ટિકોણ આપનારો વિચાર છે. વર્ગસંઘર્ષ અને રાક્ષસી સ્પર્ધા એ તેનો આધાર નથી પણ તેનો સાચો આધાર બંધુભાવના છે. બંધુભાવ એ આધ્યાત્મિક તત્ત્વ છે. ‘तत् त्वम् असि’ એ વૈશ્વિક સત્યનું વ્યવહારમાં કરવાનું તે આચરણ છે. લિબર્ટી, ઇક્વેલિટી, ફેટર્નિટીનો તે વૈજ્ઞાનિક આધાર છે અને એટલે જ કદાચ ડૉ. બાબાસાહેબ આંબેડકરે કહ્યું હશે કે, આ તત્ત્વો મેં ભગવાન ગૌતમ બુદ્ધના ધમ્મમાંથી લીધાં છે.(ભૌતિકવાદી ફ્રેન્ચ ક્રાંતિમાંથી લીધેલાં નથી.)
`તત્ત્વમસિ એ સત્ય સમજી લઈએ, પચાવીએ, તો બંધુભાવનો વિસ્તાર અને વિકાસ જેટલો કરવો હોય એટલો થઈ શકે છે. આપણું કુટુંબ, આપણું ગામ, આપણો દેશ એ બધું વિશ્વ અને તેથી પણ આગળ ચરાચર સૃષ્ટિ સુધી તેનો વિસ્તાર થઈ શકે છે. ‘वसुधैव कुटुम्बकम्’ એ જ સત્યનું વિશાળ રૂપ છે.
`તત્ત્વમસિ' નામના વૈશ્વિક સત્ય પર આધારિત જ્ઞાનપરંપરાને ધર્મ' કહે છે. તપ અને સંગઠનશક્તિનો અહમ વધીને અથવા દુનિયાના આંજી નાખતા વાતાવરણમાં ભ્રમિત થઈ આપણે ધ્યેયથી ભટકી ન જઈએ એ માટે પ્રાર્થનાની એક પંક્તિ અત્યંત મહત્ત્વની છે. ભાવાનુવાદ કહેવો હોય તો `અમારી વિજયશાલિની સંગઠિત કાર્યશક્તિ' આ ધર્મનું(ભારતોત્પન્ન જ્ઞાન પરંપરાનું) રક્ષણ કરવા માટે રાષ્ટ્રને પરમવૈભવ પ્રાપ્ત કરાવી દેવા સમર્થ બનો.
‘विजेत्री च नः संहता कार्यशक्ति:
विधायास्य धर्मस्य संरक्षणम्
परं वैभवं नेतुमेतत् स्वराष्ट्रं
समर्था भवत्वाशिषा ते भृशम् ॥’
૧૯૪૦માં ડોક્ટરજીનું દેહાવસાન થયું. ૧૯૩૯માં ડોક્ટરજીની ઉપસ્થિતિમાં સિંદી સ્થાન પર પ્રમુખ પદાધિકારીઓની બેઠક થઈ. બેઠક દસ દિવસ ચાલી. તે બેઠકમાં આજની પ્રાર્થનાનો સંઘપ્રાર્થના તરીકે સર્વાનુમતે સ્વીકાર થયો. ત્યારથી એટલે ૧૯૪૦થી આજ સુધી બધી જ શાખાઓ પર આ પ્રાર્થના ગવાય છે. આટલાં વર્ષના તપને કારણે હવે સંઘપ્રાર્થનાને મંત્રસામર્થ્ય પ્રાપ્ત થયું છે.
સ્વાતંત્ર્ય ચળવળના ધમાલભર્યા કાળમાં પણ પ. પૂ. ડૉ. કેશવ બળિરામ હેડગેવારજીએ ઘણો દૂરનો વિચાર કરીને સંગઠનશાસ્ત્ર શીખવનારી સંઘ શાખા દેશને આપી અને રાષ્ટ્ર કલ્યાણનું દર્શન `પ્રાર્થનારૂપે' દેશને આપ્યું તેમાં જ તેમનું અસામાન્યત્વ સમાયેલું છે. ચાલો, આપણા ઘર પાસેની શાખામાં જવાની શરૂઆત કરીએ અને રાષ્ટ્રકલ્યાણના હેતુથી ચાલી રહેલા તપના આપણે પણ સહભાગી બનીએ.
***
લેખક – મધુભાઈ કુલકર્ણી
(વરિષ્ઠ પ્રચારક – રા.સ્વ.સંઘ)
અનુવાદ - જ્યોતિ ભાંડારી