સંઘગાથા – ૬ । સંઘશાખા એટલે લોકમત પરિષ્કાર

10 Jun 2025 14:12:15

all about rss and shakha gujarati bhag 6
 
 
૧૯૨૫ની સાલમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો પ્રારંભ થયો. ૧૯૪૦માં ડૉક્ટરજીનું દેહાવસાન થયું. માત્ર પંદર વર્ષમાં સંઘકાર્ય દેશભરમાં પ્રસર્યું. ૧૯૪૦માં નાગપુરમાં થએલા પ્રશિક્ષણ વર્ગ માટે ૧૪૦૦ સ્વયંસેવકો આવ્યા હતા. જૂનની નવમી (૯)તારીખે વર્ગનો સમારોપ થયો. પરમ પૂજનીય સરસંઘચાલક ડૉ. હેડગેવારજીનું ઉદબોધન થયું. કાર્યકર્તાઓને ઉદ્દેશીને કરેલું એ પૂજનીય ડૉક્ટરજીનું માર્ગદર્શન છેલ્લું સિદ્ધ થયું. ડૉક્ટરજીને આ કલ્પના હોવાથી જ બધી શક્તિ ભેગી કરીને કરેલું તેમનું તે ભાષણ છે.
`... મને લાગતું નથી કે તમારી સામે હું બે શબ્દ પણ સારી રીતે બોલી શકીશ. સંઘની દૃષ્ટિથી આ વર્ષ અત્યંત સદ્ભાગ્યભર્યું છે. આજે મારી સામે હું હિન્દુરાષ્ટ્રનું લઘુસ્વરૂપ જોઈ રહ્યો છું. મારો અને આપનો પરિચય ન હોવા છતાં એવી કઈ વાત છે કે જેને કારણે મારા તરફ તમારું અને તમારા તરફ મારું અંતઃકરણ ખેંચાણ અનુભવે છે.
 
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું તત્ત્વજ્ઞાન જ એવું પ્રભાવી છે કે, જે સ્વયંસેવકોને પરસ્પર (એકબીજા સાથે) પરિચય નથી, તેમને જોતાંની સાથે જ એકબીજા તરફ પ્રેમ જાગે છે. વાત કરતાં કરતાં તેઓ એકબીજાના મિત્ર થઈ જાય છે. હું ૨૪ દિવસ પથારીવશ હતો. પણ મારું અંતઃકરણ તમારી પાસે જ હતું. આજે તમે પોતપોતાના સ્થાને પાછા જવાના છો. હું તમને પ્રેમથી વિદાય આપું છું. `શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી સંઘને ભૂલીશ નહીં' એવી પ્રતિજ્ઞા કરો.
 
આજે મારા દ્વારા કેટલું કામ થયું તેનું રોજ સૂતી વખતે સ્મરણ કરો.
 
સંઘનું કાર્ય અચૂક કરવું, રોજ નિયમિત સંઘસ્થાન પર ઉપસ્થિત રહેવું (શાખામાં જવું), એટલા માત્રથી સંઘકાર્ય પૂરું થતું નથી. આસેતુ હિમાચલ પ્રસરેલા હિન્દુ સમાજને આપણે સંગઠિત કરવાનો છે.
 
`મહત્ત્વનું કાર્યક્ષેત્ર સંઘની બહારનું છે. સંઘ માત્ર સ્વયંસેવકો પૂરતો જ નથી. સંઘની બહારના લોકો માટે પણ સંઘ છે.
 
રાષ્ટોદ્ધારનો સાચો રસ્તો આખા સમાજને બતાવવો એ આપણું કર્તવ્ય (જવાબદારી) છે.
 
હિન્દુ જાતિનું(સમાજનું)અંતિમ કલ્યાણ સંગઠનમાં જ છે. સંઘ બીજું કોઈ કામ કરવા માગતો નથી.
 
સંઘ આગળ શું કરશે ? એ પ્રશ્ન નિરર્થક છે. સંઘ આ સંગઠનકાર્ય જ વધુ ને વધુ ગતિથી કરવાનો છે. આ માર્ગક્રમણ કરતાં કરતાં એવો એક સોનાનો દિવસ નિશ્ચિત ઊગશે કે જે દિવસે આખું હિન્દુસ્તાન સંઘમય થયેલું દેખાશે. પછી હિન્દુ સમાજ સામે વક્રદૃષ્ટિએ જોઈ પણ શકે તેવી કોઈ શક્તિ આખા વિશ્વમાં રહેશે નહીં.
 
આપણે કોઈના પર આક્રમણ કરવા નીકળ્યા નથી, પણ આપણા પર આક્રમણ ન થાય તેનું ધ્યાન પણ આપણે રાખવું જ પડશે. મહત્ત્વનું કાર્યક્ષેત્ર સંઘની બહાર જ છે. સંઘ માત્ર સ્વયંસેવકો પૂરતો જ નથી. સંઘની બહારના લોકો માટે પણ સંઘ છે. રાષ્ટોદ્ધારનો સાચો માર્ગ બધા લોકોને બતાવવો એ આપણું `કર્તવ્ય' છે.
 
સંઘશાખાની રચનામાં `ગટનાયક' આ કાર્ય કરે છે. સાત-આઠ સ્વયંસેવકોને ઘેર સંપર્ક રાખવાનું કાર્ય તેને અપાયેલું હોય છે. તે દરેકના ઘેર વારંવાર જાય છે. માતાપિતા, ભાઈ બહેન અને ઘરમાં રહેતા સગાંઓનો પરિચય કરી લેવો, તેમને સંઘ વિશે માહિતી આપવી વગેરે કામો તે સહજતાથી કરે છે. તેનો વ્યવહાર પરિવારના વડીલોને આદર આપનારો અને નમ્રતાપૂર્ણ હોય છે. વારંવાર અવરજવરથી તે ઘરનો એક સભ્ય જ બની જાય છે. એક ગટનાયક-આઠ પરિવારના પાંચ-પાંચ સભ્ય, એવો મોટો મોટો હિસાબ કરીએ તો એક ગટનાયક ૪૦ નાગરિકોનું માનસ સંઘાનુકૂળ એટલે કે રાષ્ટાનુકૂળ બનાવે છે. એક શાખામાં અંદાજે પાંચ ગટનાયક માનીએ તો પણ એક શાખા લગભગ ૨૦૦ નાગરિકોનું પ્રબોધન કરે છે. આને જ એકાત્મ માનવદર્શનના પ્રણેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયે `લોકમત પરિષ્કાર' કહ્યું છે. ગટનાયક એ સંઘ શાખાનો પહેલી પાયરીનો કાર્યકર્તા છે.
 
લોકમત અનેક માધ્યમોથી બનતો જ રહે છે. શિક્ષણ, સાહિત્ય, કલા, સંગીત, સંવાદ માધ્યમો, આજકાલ સોશિયલ મીડિયા, ચૂંટણીકાળમાં પક્ષોપપક્ષો વતી થતાં ચર્વિત્ચર્વણ વગેરે દ્વારા લોકમત બનતો જ હોય છે. આજનો યુગ માહિતીનો યુગ મનાય છે. આપણા પર વિચારોનો મારો સતત ચાલતો જ હોય છે. આવા વાતાવરણમાં શું લેવું અને શું છોડવું એનો વિવેક જાગ્રત રહેવો આવશ્યક છે. આને કેટલાક સદ-અસદ વિવેકબુદ્ધિ કહે છે. સત્-અસત્‌ વિવેક જોઈએ. વ્યક્તિને, કુટુંબને, સમાજ માટે અને દેશ માટે હિતકારક છે. તે સ્વીકાર્ય થવું જોઈએ. મારા હિતનું છે, પણ કુટુંબનાં હિતનું નથી. જે કુટુંબના હિતમાં છે, પણ મારા સમાજના (જાતિ, યુનિયન, સંપ્રદાય વગેરે)હિતનું નથી. સમાજનાં હિતનું છે પણ દેશના હિતનું નથી, એવું જે હોય તેને ત્યાજ્ય માનવું. મારા, કુટુંબના, સમાજના અને દેશના હિતનું હશે તે સ્વીકાર્ય, એને જ વિવેકબુદ્ધિ કહી શકાશે.
 
વ્યક્તિ અને સમાજની સારાસાર વિવેકબુદ્ધિ જાગ્રત રહે તે માટે જે પ્રયત્નો થતા હશે તેને `લોકમત પરિષ્કાર' કહી શકાશે. એવું કાર્ય સાધુસંતો, કીર્તનકારો, પ્રવચનકારો, ઋષિમુનિઓ, ભિક્ષુવર્ગ કરતો હોય છે. જેમને પોતાનો કોઈ સ્વાર્થ નથી, જે સત્તાતુર, કામાતુર, ધનાતુર, માનાતુર નથી અને રાષ્ટ્રહિત સર્વોપરી માનનારો વર્ગ જ `લોકમત પરિષ્કાર' કરી શકે છે.
 
સંઘ સ્વયંસેવકોની સમાજજીવનમાં એટલે કે રાષ્ટ્રજીવનમાં ભૂમિકા `લોકમત પરિષ્કાર'ની જ હોય છે. સ્વયંસેવક ભગવા ધ્વજને એટલે કે `ત્યાગમૂર્તિ'ની સાક્ષીએ પ્રતિજ્ઞા કરતો હોય છે. `સંઘનું કાર્ય હું પ્રામાણિકતાથી, નિઃસ્વાર્થબુદ્ધિથી અને તન-મન-ધનપૂર્વક કરીશ. સ્વયંસેવકને કશાનો મોહ નથી. એક કાવ્યની પંક્તિ તેના મનને હંમેશાં જાગ્રત રાખતી હોય છે.
 
“वृत्तपत्र में नाम छपेगा,
पहनुंगा स्वागत समुहार ।
छोड चलो ये क्षुद्र भावना,
हिंदूराष्ट्र के तारणहार ।”
 
સ્વયંસેવક જ્યાં રહે છે ત્યાં અનેક પરિવારો સાથે આત્મીયતાપૂર્ણ સ્નેહસંબંધ ઉત્પન્ન કરે છે. કોઈના પ્રત્યે ભેદભાવ કે પૂર્વગ્રહ મનમાં રાખતો નથી. પોતાનાં ચારિત્ર્ય, નિઃસ્વાર્થપણું તથા સ્નેહમય અને નમ્રતાપૂર્વકના વ્યવહારને કારણે પોતાના ક્ષેત્રમાં તે આદર પ્રાપ્ત કરે છે. કોઈ પણ એક સમાજ, ગટ, જાતિ, પક્ષનો પ્રવક્તા બનીને તે કામ કરતો નથી. ક્યારેક ક્યારેક મદદ માટે દોડી જાય છે. તેથી અનેકોને તે પોતાના મહોલ્લાનો, સોસાયટીનો આધાર લાગે છે. લોકો તેની સાથે ચર્ચા કરે છે. અહીં જ તેનું `લોકમત પરિષ્કાર'નું કાર્ય શરૂ થાય છે. ડૉ. હેડગેવારજીએ પોતાના છેલ્લા સંદેશમાં કરેલું માર્ગદર્શન તેને યાદ આવે છે.
 
`રાષ્ટોદ્ધારનો સાચો માર્ગ બધાને બતાવી દેવો તે આપણું કર્તવ્ય જ છે.' હિન્દુ સમાજનું અંતિમ કલ્યાણ સંગઠનમાં જ છે. તૃતીય સરસંઘચાલક મા. બાળાસાહેબ દેવરસ કહેતા, `આત્મીયતાપૂર્ણ કૌટુંબિક સંપર્ક હોય તો બોલવામાં સહજતા રહે છે. `ગૃહસંપર્ક' સંઘશાખાનો પ્રાણ છે. દશ હજાર લોકસંખ્યામાં ઓછામાં ઓછી એક શાખા એવો હિસાબ આજકાલ મંડાય છે. એટલે જ એક શાખાએ બે હજાર પરિવારોનો સંપર્ક રાખવો જોઈએ. સમાજ સંઘનો અને સંઘ સમાજનો છે. સમાજમન જાણવા માટે સંપર્ક આવશ્યક છે. શાખા સંપર્કનું નિમિત્ત શોધતી હોય છે. રક્ષાબંધન એવું જ એક નિમિત્ત છે. ભ્રાતૃભાવનો વિસ્તાર કરવા માટે રક્ષાબંધન પર્વ અતિ ઉપયોગી છે.
 
લોકસંપર્ક, લોકસંસ્કાર, લોકસંગ્રહ અને લોકનિયોજનને ડૉક્ટરજીનું જીવનસૂત્ર કહી શકાય. તે સૂત્ર પકડીને સ્વયંસેવકો કામ કરતા હોય છે. લોકસંપર્કમાંથી આત્મીયતા અને સહજતા નિર્માણ થાય છે, લોકસંસ્કાર એટલે સમાજાનુકૂળ, દેશાનુકૂળ વિચાર થવો. લોકસંગ્રહ એટલે દેશાનુકૂલ વિચાર કરનારી વ્યક્તિઓને કામ સાથે જોડવી અને લોકનિયોજન એટલે સંગઠનકાર્યને સમર્પિત કાર્યકર્તા ઊભા કરતા રહેવું. આ ચક્ર સતત ચાલતું રહેવું જોઈએ.
 
લોકસંપર્કનો પરિઘ જેટલો વધારી શકાય એટલો વધારવાનો સંઘનો પ્રયત્ન હોય છે. સમાજના બધા જ વર્ગના(વૈજ્ઞાનિક, ખેલાડીઓ, કલાકારો, સાધુસંતો, ધર્માચાર્યો, ખેડૂતો, મજૂરો, જનજાતિઓ વગેરે.) ગણમાન્ય નાગરિકોની યાદી તૈયાર કરી તેમની સાથે સંપર્ક વધારવાનો પ્રયાસ થાય છે. પ્રતિનિધિસભામાં પસાર થએલા પ્રસ્તાવ પર ચર્ચા થાય છે. પરમપૂજ્ય સરસંઘચાલકજીના વિજયાદશમી ભાષણ પર પ્રયત્નપૂર્વક દેશનાં ૪૦-૫૦ શહેરોમાં ચર્ચાનું આયોજન થાય છે.
 
છેલ્લાં ભાષણમાં ડૉ. હેડગેવાર કહે છે, `સંઘની દૃષ્ટિએ આ વર્ષ અત્યંત સદ્ભાગ્યપૂર્ણ છે. આજે મારી સામે હિંદુરાષ્ટ્રનું (એટલે જાગ્રત હિન્દુ સમાજનું)લઘુ સ્વરૂપ હું જોઈ રહ્યો છું. સંગઠન વધતાં વધતાં એવો એક સુવર્ણદિન ચોક્કસ ઊગશે કે જે દિવસે સંપૂર્ણ હિન્દુસ્તાન સંઘમય થયેલું દેખાશે. પછી હિન્દુ સમાજ તરફ વક્રદૃષ્ટિએ જોનારી શક્તિ સંપૂર્ણ વિશ્વમાં ક્યાંય બચશે નહીં. આવો અજેય શક્તિસંપન્ન હિન્દુસમાજ ઊભો રહે તેમાં જ વિશ્વનું અને માનવતાનું કલ્યાણ છે એવું ધ્યેય રાખી ડૉ. હેડગેવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો પ્રારંભ કર્યો.
 
लोकमन संस्कार करना,
यह परम गति साधना है ।
और रचना गौण है सब,
यह शिखर संयोजना है ।।
 
***
 
લેખક – મધુભાઈ કુલકર્ણી
(વરિષ્ઠ પ્રચારક – રા.સ્વ.સંઘ)
 
અનુવાદ - જ્યોતિ ભાંડારી
Powered By Sangraha 9.0