તંત્રીસ્થાનેથી | વિશ્વાસ જાગ્યો છે કે, આપણાં દર્શનો નવો પ્રાણ ફૂંકશે, કારણ કે.. સમર્થ ભારતનું દર્શન કરાવવામાં સફળ થયા

શાસક પક્ષ હોય કે પ્રતિપક્ષ હોય, આ બંને પક્ષો એક જ ભારતના છે, ભારત માટે છે, ભારત થકી છે, આવી સ્થિતિ; સ્વસ્થ સ્થિતિ છે.

    ૧૪-જૂન-૨૦૨૫   
કુલ દૃશ્યો |

operation sindoor and indian delegation
 
 
વિશ્વ યોગ દિનની પ્રતિક્ષામાં છીએ. પ્રતિક્ષા કરતાં કરતાં અગર યોગદર્શનમાં સરી પડાય તો જીવન સાર્થક! સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા (વેદાંત) એમ આપણાં કુલ છ (૬) દર્શનોનો મૌન સ્વરે ઘૂઘવતો(!) આપણો જ્ઞાનસિંધુ અગાધ છે.
 
પરમ ગહન અને અલૌકિક છતાં પૂર્ણ લૌકિક શબ્દ છે- `મીમાંસા', જેને સિદ્ધ-સમર્થ આધ્યાત્મિક પ્રજ્ઞાવાન પણ સમજાવે તો ય એક સામાન્ય વ્યક્તિ તરીકે સમજતાં આપણાં આખાં આયખાં ઓછાં પડે! મીમાંસા આગળ બે ભિન્ન શબ્દો છે. એક `પૂર્વ' અને બીજો `ઉત્તર'. સામાન્ય અર્થ મુજબ.. પૂર્વ એટલે પહેલાંનું અને ઉત્તર એટલે પછીનું.
 
આ ક્રમને યાદ રાખવા રાષ્ટ્રની વર્તમાન સ્થિતિનું દર્શન કરાવતું સરળ લૌકિક ઉદાહરણઆ રહ્યું.. `ઑપરેશન સિંદૂર'ની પહેલાં (`પૂર્વ') એક જ્ઞાન લાધ્યું પાકિસ્તાનને, જ્યારે ભારતે સિંધુ જળસંધિને સ્થગિત ઘોષિત કરી દીધી. પાકિસ્તાન હવે જે કંઈ વર્ષો જીવશે ત્યાં સુધી તેને ભૂલી નહીં શકે. તાજેતરમાં પાકિસ્તાની સાંસદ સૈયદ અલી ઝફરે ત્યાંની સંસદમાં કહ્યું કે, સિંધુ જળસંધિનું સ્થગન એ ભારતે પાકિસ્તાન પર ઝીંકેલો વોટરબોમ્બ છે, જેના કારણે પાકિસ્તાન ભૂખે-તરસે મરી જશે.
 
`ઑપરેશન સિંદૂર' પછી `ઉત્તર' કાંડમાં આપણાં સર્વપક્ષીય પ્રતિનિધિ-મંડળોએ સર્જેલું, વિશ્વએ અનુભવેલું `એક ગીત - એક તાન - એક લય - એક સૂર' વાળું ભારતનું ઉજ્જવળ એકાત્મ સ્વરૂપ, જે સૌ માટે સદા અવિસ્મરણીય રહેશે.
 
`ઑપરેશન સિંદૂર' પહેલાં અને પછી થયેલ સમર્થ ભારતનું દર્શન આપણી દાર્શનિકતાને, દાર્શનિક મૂલ્યોને ગતિ આપશે! `એક ભારત - શ્રેષ્ઠ ભારત'નું એકદમ સટિક ઉદાહરણ એટલે ભારતનાં સાતેય સર્વપક્ષીય પ્રતિનિધિ-મંડળોના વિશ્વભરમાં ગૂંજેલા એ સૂર, જેને સાંભળીને ઋગ્વેદના ઋષિને સ્ફૂરેલ ‘संगच्छध्वं संवदध्वं सं वो मनांसि जानताम्‌’નું પુણ્યસ્મરણ થાય! અમે સૌ એક મને.. એક સાથે ગતિ કરીએ.. એક કંઠે ઉચ્ચારણ કરીએ.. આ શુદ્ધ ઐક્યભાવનું પ્રાગટ્ય થયું, સાથે સાથે ભારતના વિરાટ (જન-જન)નું સામર્થ્ય મૂર્તિમંત થયું.
 
ભારતની બહાર પ્રતિનિધિ-મંડળ તરીકે કનિમોઝી, અસદુદ્દીન ઓવૈસી અને શશિ થરૂરે રાજકીય પક્ષા-પક્ષીથી પર થઈને જે તર્કબદ્ધ રીતે ભારતનો પક્ષ મૂક્યો, વિશ્વ પણ મંત્રમુગ્ધ બન્યું. ક્યાંક રાજ્યની સીમિત ઓળખને ત્યાગીને તો વળી ક્યાંક અને લઘુમતીજન્ય વામણી ઓળખ છોડીને રાષ્ટ્રીયતાની વિરાટ ઓળખને અપનાવતાં આવાં ઉદાહરણ સતત સામે આવ્યાં. તો વળી વિપક્ષમાં પરિવારવાદના કારણે રૂંધાયેલા, Sideline કરાયેલા અસલી નેતૃત્વની - પ્રતિભાની એક નવી ઓળખ આખા રાષ્ટ્રને થઈ.
 
ભારતીય ડાયસ્પોરા ત્યાં વિદેશમાં આ બધું સાંભળીને નવા ભારતની અનુભૂતિ થકી ભાવવિભોર બન્યું. જેમકે.. ૧, જ્યારે પ્રિયંકા ચતુર્વેદીએ ભારતને માત્ર બુદ્ધ અને ગાંધીની જ નહીં, પરંતુ પાંડવોને ધર્મની રક્ષા માટે યુદ્ધ કરવાની પ્રેરણા આપનાર શ્રી કૃષ્ણની ભૂમિ તરીકે પણ વર્ણવ્યું ત્યારે ભારતની સનાતન વિરાસતની, તેના પરંપરાગત વૈવિધ્યપૂર્ણ વારસાની ગૌરવશાળી ઓળખ વિશ્વને થઈ. ૨, પૂર્વ વિદેશ મંત્રી સલમાન ખુરશીદે તો આર્ટિકલ ૩૭૦ની નાબૂદીને સમર્થન જાહેર કરતાં એ પણ ઉમેર્યું કે, આર્ટિકલ ૩૭૦ના કારણે એવો સાવ ખોટો ભ્રમ પણ ઊભો થયેલો હતો કે, કાશ્મીર ભારતથી અલગ છે.
 
વોશિંગ્ટન ડીસીમાં શશિ થરૂરે; ટ્રમ્પે ભારત ઉપર દબાણ કર્યું હતું એ વાતને પણ નકારી દીધી. તેઓએ રાહુલ ગાંધીના સરેન્ડરવાળા ગપગોળાને પણ હાસ્ય સાથે હડસેલી દીધો. આપણા પ્રતિનિધિ-મંડળે કરેલું સ્પષ્ટીકરણ જાણ્યા પછી કોલંબિયાએ તો અગાઉ કરેલી પોતાની પાકિસ્તાન તરફી ટિપ્પણીને ફગાવી દેવી પડી.
 
શાસક પક્ષ હોય કે પ્રતિપક્ષ હોય, આ બંને પક્ષો એક જ ભારતના છે, ભારત માટે છે, ભારત થકી છે, આવી સ્થિતિ; સ્વસ્થ સ્થિતિ છે. સ્વસ્થ હોવું એટલે `સ્વ'માં રહેવું..! `સ્વ'માં સ્થિર થવું..!
 

શ્રી ભાનુભાઈ ચૌહાણ

ભાનુભાઈ ચૌહાણ ‘સાધના’ સાપ્તાહિકના તંત્રીશ્રી તથા ટ્રસ્ટ્રીશ્રી છે. તેમણે "એલ.ડી. એન્જિનિયરિંગ" કોલેજમાંથી બી.ઈ.(સિવિલ) નો અભ્યાસ કર્યો છે તથા "સેપ્ટ યુનિવર્સિટી - અમદાવાદ"માંથી અર્બન એન્ડ રીજીયોનલ પ્લાનિંગમાં એમ. ટેક. કર્યુ છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ડાયરેક્ટર તરીકે પણ તેમણે જવાબદારી નિભાવી છે. રા.સ્વ.સંઘમાં તેઓ કર્ણાવતી મહાનગરના સહ કાર્યવાહ તથા ગુજરાત પ્રાંતના કાર્યકારીણી સદસ્ય છે. તેમણે કર્ણાવતી કો. ઓપ. બેંક તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાં ડિરેક્ટરનું દાયિત્વ સંભાળ્યું છે. તેઓ વિચારક અને લેખક છે. સાધનામાં "અવલોકન" અને "વિચારવિમર્શ" શીર્ષક હેઠળ વિવિધ વિચારપ્રેરક લેખો તેઓ નિયમિત લખે છે.