પાથેય ।… અને શિષ્યએ ઉપલબ્ધિઓનાં વખાણ કે અભિમાન નહીં કરવાના સોગંદ ખાધા

14 Jun 2025 17:02:27

pathey
 
 
ઋષિ અંગિરાના શિષ્યોમાં એક હતો ઉદયન. તે ઘણો પ્રતિભાશાળી હતો, પરંતુ તેનામાં વિનમ્રતાની કમી હતી. તે દરેક વખતે પોતાના ગુણોનાં વખાણ કર્યા કરતો અને પોતાના સહપાઠીઓની મજાક ઉડાવતો હતો. ઋષિએ વિચાર્યું કે, સમય રહેતાં તેને સમજાવવામાં નહીં આવે તો તે ભ્રમિત થઈ જશે.
 
એક વખત શિયાળાની રાત્રે સત્સંગ ચાલી રહ્યો હતો. વચ્ચે મૂકેલ સગડીમાં કોલસા ધગધગી રહ્યા હતા. એક તરફ ઋષિ બેઠા હતા, બીજી તરફ શિષ્યો. ઋષિ બોલ્યા, `સગડી બહુ ચમકી રહી છે. તેનું શ્રેય તેમાં ધગધગી રહેલા કોલસાને જાય છે.' બધાએ સહમતીમાં માથું હલાવ્યું. ઋષિએ ઉદયનને કહ્યું, `જુઓ, આ સૌથી મોટો કોલસો સૌથી તેજસ્વી છે. તેને કાઢીને મારી પાસે મૂકી દો.' ઉદયને ચીપિયાથી પકડીને તે સળગતો અંગારો કાઢીને ઋષિની પાસે મૂકી દીધો.
 
પરંતુ જેવો એ કોલસો સગડીના અન્ય કોલસાથી અલગ થયો કે તરત જ તેની આગ ધીમી પડવા લાગી, તેની ચમક ઝાંખી પડવા લાગી. તેના પર રાખનું આવરણ છવાઈ ગયું અને એ તેજસ્વી અંગારો એક કાળો કોલસો બની ગયો. ઋષિએ સમજાવ્યું, `તમે ભલે ગમે તેટલા તેજસ્વી હો, પરંતુ આ કોલસા જેવી ભૂલ ના કરી બેસશો. જો આ કોલસો સગડીમાં સૌની સાથે રહ્યો હોત તો અંત સુધી તેજસ્વી જ રહ્યો હોત અને સૌને ગરમી આપી શક્યો હોત. અલગ થતાં જ તેની ચમક ન રહી. હવે આપણે તેની તેજસ્વિતાનો લાભ ન ઉઠાવી શકીએ. પરિવાર પણ આવી જ સગડી છે, જેમાં પ્રતિભાઓ સંયુક્ત રીતે તપે છે. વ્યક્તિગત પ્રતિભાનો અહંકાર ન ટકે છે, ના ફલિત થાય છે. બધાંની સાથે રહેવામાં જ વાસ્તવિક બળ છે.'
 
આ ઉદાહરણથી ઉદયનને પોતાની ભૂલ સમજાઈ ગઈ અને હવે પછી પોતાની ઉપલબ્ધિઓનાં વખાણ કે અભિમાન નહીં કરવાના સોગંદ ખાધા.
Powered By Sangraha 9.0