# મંદિરમાં શ્રીકૃષ્ણનું હ્રદય ધબકતું હોવાની છે માન્યતા
# સર્જનહાર બ્રહ્મા દ્વારા મંદિરની મૂર્તિઓનું કરાયું છે સર્જન
# દર બાર વર્ષે મંદિરમાં રહેલ મૂર્તિ બદલવાનો છે ઉલ્લેખ
# દક્ષિણામુખી શંખ જેવું છે જગતના નાથનું શહેર
# પુરીની રથયાત્રા ભારતમાં જ નહિ પરંતુ વિદેશોમાં પણ છે પ્રસિદ્ધ
# અહીં 10 દિવસ સુધી રથયાત્રાનું આયોજન થાય છે
# Jagannath Temple Puri History
હિંદુ ધર્મમાં ચાર ધામયાત્રાનું વિશેષ મહત્ત્વ છે. આ ચાર ધામમાં રામેશ્વર, બદ્રીનાથ, દ્વારિકા અને જગન્નાથપુરીનો સમાવેશ થાય છે. આ લેખમાં આપણે આ ચાર ધામ યાત્રામાંથી જ એક એવા જગન્નાથપુરી મંદિરની વાત કરીશું. જાણીશું કે એવું તે શું છે જે આ મંદિરને ખાસ બનાવે છે.
ભગવાન વિષ્ણુ ચાર ધામની યાત્રા પર જાય છે તો સૌ પ્રથમ તે હિમાલયના શિખર પર આવેલ બદ્રીનાથમાં સ્નાન કરે છે. પશ્ચિમ દિશામાં ગુજરાતમાં આવેલ દ્વારકામાં વસ્ત્ર ધારણ કરે છે. પુરીમાં ભોજન કરે છે અને દક્ષિણના રામેશ્વરમાં વિશ્રામ કરે છે. દ્વાપર યુગ પછી ભગવાન કૃષ્ણ પુરીમાં રહેવા લાગ્યા અને જગતના નાથ એટલે કે જગન્નાથ કહેવાયા.
હિન્દુઓના પ્રાચીન અને પવિત્ર 7 નગરોમાંથી એક ‘પુરી’ ઓરિસ્સા રાજયના સમુદ્ર કિનારે વસેલું છે. જગન્નાથ મંદિર વિષ્ણુના 8માં અવતાર શ્રીકૃષ્ણને સમર્પિત છે. હાલનું ઓરિસ્સા પ્રાચીન સમયમાં ઉત્કલ પ્રદેશના નામે ઓળખાતું હતું.
જગન્નાથની મૂર્તિમાં છે બ્રહ્મ પદાર્થ
એક પૌરાણિક માન્યતા અનુસાર જ્યારે શ્રીકૃષ્ણની જીવનલીલા પૂર્ણ થઈ ત્યારે તે દેહત્યાગ કરી વૈકુંઠ જતા રહ્યા. પાંડવો દ્વારા તેમના પાર્થિવ શરીરનો દાહ સંસ્કાર કરવામાં આવ્યો. પરંતુ આ દરમ્યાન તેમનું હ્દય (બ્રહ્મ પદાર્થ) સળગતુ જ રહ્યું. પાંડવો દ્વારા તેમનું સળગતુ હ્દય પાણીમાં વિસર્જિત કરવામાં આવ્યું જે રાજા ઈંદ્રયુમ્નને મળ્યું હોવાનો ઉલ્લેખ છે. રાજા દ્વારા મળેલ બ્રહ્મ પદાર્થને ભગવાન જગન્નાથની મૂર્તિમાં સ્થાપિત કરાવામાં આવ્યું. ત્યારથી તે બ્રહ્મ પદાર્થ અહીં જ છે. જ્યારે બાર વર્ષ પછી મૂર્તિ બદલાવામાં આવે છે, ત્યારે તેને નવી મૂર્તિમાં સ્થાપિત કરવામાં આવે છે. આશ્ર્ચર્યની વાત તો એ છે કે પુજારીઓએ પણ તેને કદી જોયું નથી. જ્યારે બ્રહ્મપદાર્થને બદલાવામાં આવે છે ત્યારે પૂજારીની આંખો પર પટ્ટી બાંધવામાં આવે છે અને હાથ કપડાથી ઢાંકેલા હોય છે. જોયા અને સ્પર્શ્યા વિના જ બ્રહ્મપદાર્થને જૂની મૂર્તિમાંથી કાઢી નવી મૂર્તિમાં લગાવવામાં આવે છે. તેમણે કરેલ અનુભવ અનુસાર આ બ્રહ્મ પદાર્થ ખૂબ જ કોમળ છે.
મંદિરમાં નથી આવતો સમુદ્રનો અવાજ
આ મંદિરમાં એક બે નહિ પરંતુ ચાર દરવાજા છે. મુખ્ય દ્વારને સિંહદ્વારમ કહે છે. જેની રક્ષા હનુમાન દાદા કરે છે. મંદિર સમુદ્ર કિનારે હોવાના કારણે તેની આસપાસ સમુદ્રનો ઘણો અવાજ રહે છે. પરંતુ રહસ્યમય વાત એ છે કે મંદિરમાં પ્રવેશ કરતાની સાથે જ સમુદ્રનો અવાજ સંભાળતો બંધ થઈ જાય છે.
હવાની વિપરિત દિશામાં લહેરાય છે ધજા
જગન્નાથ મંદિરના શિખર પર રહેલ ધજા હમેંશા હવાની વિપરીત દિશામાં લહેરાય છે. આજ સુધી તેનું વિપરિત દિશામાં લહેરાવા અંગે કોઈ જ વૈજ્ઞાનિક કારણ જાણી શકાયુ નથી.
રોજ બદલાવવામાં આવે છે ધજા
પુરીના મંદિરમાં રોજ ધજા બદલાવવામાં આવે છે. તેના માટે પુજારી રોજ 45 માળ જેટલી ઉંચાઈ વાળા મંદિરની દિવાલ પર ચઢે છે. આ એક અઘરું કામ છે છતાં પણ આ નિયમ મંદિર નિર્માણ થયુ ત્યારથી ચાલી રહ્યો છે. રોજ ધજા બદલવા માટેની એક માન્યતા એવી પણ છે કે જો ધજા બદલવામાં એક દિવસ પણ છોડવામાં આવે તો 18 વર્ષ સુધી મંદિર બંધ થઈ જશે. આ જ કારણ છે કે આ મંદિરમાં રોજ ધજાબદલવામાં આવે છે.
પુરાણોમાં પુરીનો ઉલ્લેખ
જગન્નાથ પુરીને પૃથ્વી પરના વૈકુંઠ તરીકે ઓળખવામાં આવે છે. આ વિસ્તારને હિંદુ શાસ્ત્રોમાં શાકક્ષેત્ર,નીલાંચલ ક્ષેત્ર, શ્રીક્ષેત્ર, શ્રીપુરુષોત્તમ ક્ષેત્ર, અને નીલગિરિ તરીકેનો ઉલ્લેખ જોવા મળે છે. અહીં શ્રીકૃષ્ણએ અનેક લીલા કરી છે. અહીં તે નીલમાધવ તરીકે જન્મ્યા હતા. હિંદુ શાસ્ત્રો અનુસાર ચારધામની યાત્રામાં સૌથી છેલ્લે પુરીમાં આવી યાત્રા સમાપનનો ઉલ્લેખ છે. પુરીમાં આવેલ ભગવાન જગન્નાથનું આ મંદિર વૈષ્ણ સંપ્રદાયને સમર્પિત છે. પુરી પણ દ્વારકાની જેમ સમુદ્ર કિનારે વસેલુ છે.
પુરાણો અનુસાર નીલગિરિમાં પુરુષોત્તમ હરિની પૂજા રામ તરીકે કરવામાં આવતી હતી. સૌથી પ્રાચીન એવા મત્સ્ય પુરાણમાં ઉલ્લેખ છે કે પુરુષોત્તમ ક્ષેત્રની દેવી વિમલા છે અને અહીં તેમની પૂજા કરવામાં આવે છે. રામાયણના ઉત્તરાખંડ અનુસાર શ્રીરામે રાવણના ભાઈ વિભીષણને પોતાના કુળદેવતા ભગવાન જગન્નાથની આરાધના કરવાનું કહ્યું હતું. આજે પણ પુરીના શ્રી મંદિરમાં વિભીષણ વંદનની પરંપરા યથાવત છે.
તો સ્કંદ પુરાણમાં પુરીનું ભૌગોલિક વર્ણન જોવા મળે છે. તે અનુસાર પુરી એક દક્ષિણામુખી શંખ જેવું છે અને તે 5 કોશ એટલે કે 16 કિમીના વિસ્તારમાં ફેલાયેલું છે.એવું કહેવામાં આવે છે કે અંદાજે પુરીનો 2 કોશ જેટલો વિસ્તાર બંગાળની ખાડીમાં ડૂબી ગયો છે. તેમાં કરવામાં આવેલ ઉલ્લેખ અનુસાર સમુદ્રની સોનેરી રેત પુરીનું ઉદર છે. જેને મહોદધીનું પવિત્ર જળ ધોવે છે. મસ્તક સમાન પશ્ચિમ દિશાનું રક્ષણ મહાદેવ કરે છે. શંખના બીજા ભાગમાં શિવ બ્રહ્મ કપાલ મોચન રૂપે બિરાજેલા છે. કહેવાય છે કે બ્રહ્માજીનુ એક મસ્તક શિવના હાથમાં ચોંટી ગયુ હતુ અને તે અહીં આવીને પડયુ હતુ. ત્યારથી અહીં મહાદેવ બ્રહ્મ સ્વરૂપે પૂજાય છે. શંખની ત્રીજા ભાગમાં માં વિમલા અને નાભિ સ્થળમાં ભગવાન જગન્નાથ રથ સિંહાસન પર બિરાજમાન છે.
મંદિરનો ઈતિહાસ । Jagannath Temple puri history
આ મંદિરનો સૌ પ્રથમ ઉલ્લેખ મહાભારતના વનપર્વમાં જોવા મળે છે. તે અનુસાર સૌથી પહેલા સબર આદિવાસી વિશ્વવસુએ નીલમાધવના રૂપમાં તેમની પૂજા કરી હતી.
રાજા ઈન્દ્રયુમ્ન માલવાના રાજા હતા. એક રાતે તેમને ભગવાન વિષ્ણુએ સ્વપ્નમાં દર્શન આપ્યા અને કહ્યું કે નીલાંચલ પર્વતની એક ગુફામાં મારી એક મૂર્તિ છે. તેને નીલમાધવ કહે છે. ભગવાને રાજાને ત્યાં એક મંદિર બનાવી પોતાની મૂર્તિ સ્થાપિત કરવાનું કહ્યું. રાજાએ પોતાના સેવકોને નીલાંચલ પર્વત શોધવા મોકલ્યા. તેમાં એક બ્રાહ્મણ વિદ્યાપતિ હતો. જે ખૂબ જ હોંશિયાર હતો. તેણે સાંભળ્યું હતું કે સબર જાતિના લોકો નીલમાધવની પૂજા કરે છે. તે જાણતો હતો કે સબર જાતિનો મુખિયા વિશ્વવસુ નીલમાધવનો ઉપાસક છે અને તેણે જ મૂર્તિ ગુફામાં છુપાવી છે. મૂર્તિ સુધી પહોંચવા માટે બ્રાહ્મણ વિદ્યાપતિએ વિશ્વવસુની દીકરી સાથે લગ્ન કરી લીધા. લગ્ન બાદ પત્નીના કારણે તે નીલમાધવની ગુફા સુધી પહોંચવામાં સફળ થયો. તેણે મૂર્તિ ચોરી રાજાને આપી દીધી. વિશ્વવસુ પોતાના આરાધ્ય દેવની મૂર્તિ ચોરી થવાથી ખૂબ જ દુઃખી થયો. પોતાના ભક્તને આમ દુઃખી જોઈ ભગવાન પણ દુઃખી થયા અને તે ગુફામાં પાછા આવી ગયા. પરંતુ સાથે જ રાજાને વચન આપ્યું કે તે એક દિવસ ચોક્કસ પાછા આવશે શરત એ છે કે રાજા તેમના માટે એક વિશાળ મંદિરનું નિર્માણ કરાવે. ભગવાના કહ્યા મુજબ રાજાએ મંદિર બનાવ્યું અને ભગવાન વિષ્ણુને મંદિરમાં બિરાજવા કહ્યું. ત્યારે ભગવાને રાજાને કહ્યું કે દ્વારકાથી તરીને આવી રહેલ લાકડાના ટુકડામાંથી મારી મૂર્તિ બનાવી મંદિરમાં મને સ્થાપિત કરવામાં આવે. ત્યારે રાજાના સેવકોએ તે તરતા આવી રહેલા લાકડાને શોધી તો કાઢ્યું પણ તે બધા મળીને પણ તે લાકડાને ઉઠાવી શક્યા નહિ. ત્યારે રાજાને ભાન થતા તે નીલમાધવના પરમ ભક્ત અને સબર જાતિના વિશ્વવસુની મદદ લે છે. અને આ રીતે સમુદ્રમાંથી મળેલ લાકડામાંથી ભગવાનની મૂર્તિ બનાવાનું કાર્ય શરૂ થાય છે.
અધૂરી મૂર્તિઓ અને તે સાથે સંકળાયેલી કથા
રાજાના કારીગરોએ અનેકપ્રયત્નો કર્યા પણ તે લાકડામાં એક હથોડી પણ મારી શક્યા નહિ . ત્યારે ત્રણેય લોકના સર્જનહાર એવા ભગવાન વિશ્વકર્માએ એક વૃદ્ધ વ્યક્તિના રૂપમાં આવી મૂર્તિ બનાવી આપવાનું કહ્યું. પરંતુ તે માટે તેમણે રાજા સમક્ષ એક શરત મૂકી, તે અનુસાર તે 21 દિવસમાં મૂર્તિઓ બનાવશે અને એકલામાં દરવાજા બંધ કરી બનાવશે. જોકે, દરવાજો 21 દિવસ પહેલા ખુલી ગયો તો, તે મૂર્તિ બનાવાવનું છોડી દેશે. રાજા એ તેમની શરત મંજૂર કરી અને મૂર્તિ બનાવાનું કાર્ય શરૂ થયુ. બંધ દરવાજાની અંદર મૂર્તિ નિર્માણનું કામ થઈ રહ્યું છે કે નહિ તે જાણાવા રાજા રોજ દરવાજાની બહાર ઉભા રહી મૂર્તિ બનવાનો અવાજ સાંભળતા હતા. એક દિવસ નિત્યક્રમ અનુસાર રાજા જ્યારે દરવાજા પાસે ગયા તો અંદરથી કોઈ અવાજ આવતો ન હતો. તેમને લાગ્યું કે વિશ્વક્રર્મા કામ છોડીને જતા રહ્યા છે. રાજાએ દરવાજો ખોલી દીધો અને શરત અનુસાર વિશ્વકર્મા કામ છોડીને જતા રહ્યાં. તે જ કારણ છે કે ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાની મૂર્તિઓ અધૂરી રહી ગઈ.ભગવાન નીલમાધવ અને તેમના ભાઈના નાના નાના હાથ બનેલા હતા અને પગ બાકી હતા. જ્યારે બહેન સુભદ્રના હાથ અને પગ બંન્ને બાકી હતા. ત્યારે રાજાએ ઈશ્વર ઈચ્છા માનીને આ અધૂરી મૂર્તિઓનું જ મંદિરમાં સ્થાપન કર્યુ. જે આજે પણ આપણે તેને અધૂરી જ જોઈ શકાય છે.
આ મંદિરમાં જગતના નાથ એવા જગન્નાથ પોતાના મોટા ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે બિરાજમાન છે. આમ તો મંદિરમાં ધાતુ કે પાષણની મૂર્તિઓ જોવા મળે છે. પરંતુ અહીં રહેલ ત્રણેય દેવોની મૂર્તિઓ કાષ્ઠ (લાકડા)ની બનેલી છે. દર બાર વર્ષે મંદિરમાં રહેલ મૂર્તિ બદલવાનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. પવિત્ર વૃક્ષના લાકડામાંથી ફરી મૂર્તિઓ બનાવી ખૂબ જ મોટા ઉત્સવના આયોજનની સાથે ફરીથી મૂર્તિઓની પ્રતિષ્ઠા કરવામાં આવે છે.
વેદોમાં જોવા મળતા ઉલ્લેખ અનુસાર ભગવાન બળભદ્ર ઋગ્વેદ સ્વરૂપે છે, શ્રી હરિ (નૃસિંહ) સામદેવ સ્વરૂપે અને બહેન સુભદ્રા અર્થવેદ સ્વરૂપે છે. જ્યારે ભગવાનના સુદર્શન ચક્રને અથર્વવેદનું સ્વરૂપ માનવામાં આવે છે.
મંદિરમાં રહેલ આ ત્રણેય મૂર્તિઓ રત્ન જડિત પથ્થરના ચોક પર મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત છે. આ મંદિરમાં ચાર પ્રવેશદ્વાર છે. જેનું રક્ષણ હનુમાનજી કરે છે.
મંદિરના શિખર સાથે જોડાયેલ રહસ્ય
સામાન્ય રીતે, અનેક મંદિરોના શિખર પર હજારોની સંખ્યામાં પક્ષીઓ વિહરતા જોવા મળે છે. પણ આ મંદિર તેમાં અપવાદરૃપ છે.
અહીં રહેલ લોકોની માન્યતા છે કે જગન્નાથપુરી મંદિરની સુરક્ષા પક્ષીરાજ ગરુડ કરે છે. જેના કારણે આ મંદિરના શિખર પર ક્યારેય કોઈ પક્ષી ઉડતું જોવા મળ્યુ નથી. જે એક રહસ્ય છે. એટલું જ નહીં, મંદિરના ગુંબજ કે શિખરનો કોઈ પણ રીતે પડછાયો જોવા મળતો નથી.
સુદર્શન ચક્ર
મંદિરના શિખર પર રહેલ એક અષ્ટ ધાતુ ચક્ર છે જેને સુદર્શન ચક્ર કે નીલ ચક્રના નામે પણ ઓળખવામાં આવે છે. ચક્રને લઈને બે રહ્સ્ય છે. એક ટનના વજનના આ ચક્રને તે સમયના કારીગરોએ કોઈ પણ પ્રકારની આધુનિક ટેકનીક વગર શિખર પર કેવી રીતે સ્થાપિત કર્યુ હશે. બીજી એ કે આ ચક્રની ડિઝાઈન એવી રીતે બનાવવામાં આવી હતી કે કોઈ પણ દિશાથી જોતા આ ચક્ર તમને તમારી સામે જ હોવાનું લાગે.
હનુમાનજી કરે છે રક્ષણ
કહેવાય છે કે ત્રણ વખત સમુદ્રએ જગન્નાથ મંદિરને નુકસાન પહોંચાડેલું છે. કહેવાય છે કે ભગવાન જગન્નાથએ હનુમાનજીને અહીં સમુદ્રને નિયંત્રિત કરવા માટે નિમ્યા હતા. પરંતુ જ્યારે જ્યારે હનુમાનજી જગન્નાથ- બલભદ્ર અને સુભદ્રાજીના દર્શન કરવાની લાલચ રોકી શકતા ન હતા અને તે જગન્નાથના દર્શન કરવા માટે નગરમા પ્રવેશ કરતા, ત્યારે સમુદ્ર પણ તેમની પાછળ નગરમા પ્રવેશ કરતું. કહેવાય છે કે હનુમાનજીની આ ટેવના લીધે ભગવાન જગન્નાથએ હનુમાનજીને અહીં સુવર્ણ બેડીથી બાંધી દીધા હતા . અહીં જગન્નાથપુરીમાં જ સાગર કિનારે બેદી હનુમાનનું એક પ્રાચીન તેમજ પ્રસિદ્ધ મંદિર છે. અહીં ભક્તો બેડીમાં જડકાયેલા હનુમાનજીના દર્શન કરવા આવે છે.
મહાપ્રસાદ અને તેને બનાવાની અનોખી રીત
પુરીમાં આપવામાં આવતા પ્રસાદને મહાપ્રસાદ કહેવામાં આવે છે.આ મહાપ્રસાદને 500 રસોઈયા 300 મદદનીશ સાથે મળીને બનાવે છે. અહીં અદાંજે 20 લાખ ભક્તો ભોજન કરી શકે છે. કહેવાય છે કે ભક્તોની ગમે તેટલી સંખ્યા વધી જાય પણ પુરીમાં ક્યારેય પ્રસાદ ખૂટતો નથી. જે તેનું માહત્મ્ય દર્શાવે છે.
કહેવાય છે કે તેને બનાવવામાં એક ખાસ રીતનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રસાદની ખાસિયત એ છે કે તેને માટીના વાસણમાં જ બનાવામાં આવે છે. તે ઉપરાંત આ પ્રસાદ ગેસ પર નહીં પરંતુ ચૂલા પર તૈયાર કરવામાં આવે છે.
મહત્વની વાત એ છે પુરીમાં તૈયાર થતો પ્રસાદ એક ઉપર એક એમ સાત માટીના વાસણો મૂકી બનવાવામાં આવે છે. જેની સૌથી આશ્ર્ચર્ય કરનારી વાત એ છે કે આ પ્રસાદમાં સૌથી ઉપર રહેલ વાસણનો પ્રસાદ પહેલા બને છે . ત્યાર પછી તેની નીચેના વાસણનું ભોજન અને છેક છેલ્લે ચૂલા પર રહેલા વાસણું ભોજન બને છે જે એક આશ્ર્ચર્યજનક વાત છે. વૈજ્ઞાનિક રીતે ચૂલા પર રહેલ વાસણનું ભોજન સૌથી પહેલા તૈયાર થઈ જવું જોઈએ પરંતુ અહીં સૌથી ઉપર રહેલ વાસણનું ભોજન પહેલા બને છે . જે એક ખૂબ જ રોચક વાત છે.
પુરીની રથયાત્રા | Rathayatra Puri
અષાઢી બીજના દિવસે રથયાત્રા શરૂ થાય છે. પુરમાં આ રથયાત્રા 10 દિવસ સુધી ચાલે છે.સ્કંદ પુરાણ, નારદ પુરાણ, પદ્મ પુરાણઅને બ્રહ્મ પુરાણમાં પણ રથયાત્રાનું વર્ણન જોવા મળે છે.
રથયાત્રાની શરૂઆત થવા અંગે એવી લોકવાયકા છે કે ભગવાન જગન્નાથની બહેન સુભદ્રાએ દ્વારકાના દર્શન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારે ભગાવન જગન્નાથે પોતાની બહેનને રથમાં બેસાડી ફેરવ્યા હતા.બસ ત્યારથી રથયાત્રાની શરૂઆત થઈ હોવાનું કહેવાય છે.
લોકોનું માનવું છે કે જે પણ વ્યક્તિ રથયાત્રાના રથને ખેંચે છે તેને સો યજ્ઞ કરાવા જેટલું પુણ્ય મળે છે.
રથયાત્રામાં ભગવાન જગન્નાથના રથની સાથે જ તેમની બહેન સુભદ્રા અને મોટા ભાઈ બલરામનો રથ પણ હોય છે. તેમના રથ બનાવવાની કામગીરી અખાત્રીજીથી શરૂ થઈ જાય છે. રથ બનાવામાં સૌથી વધુ લીમડાના વૃક્ષના લાકડાનો ઉપયોગ થાય છે.ત્રણેય રથના પૈડાની વાત કરીએ તો એક રથમાં 14 પૈડા , બીજામાં 16 અને ત્રીજામાં 12 પૈડા હોય છે.
જ્યારે ત્રણેય રથ બનીને તૈયાર થઈ જાય છે ત્યારે ત્રણેય રથની વિધિવત પૂજા કરવામાં આવે છે. તે સાથે જ જે રસ્તેથી આ રથ નીકળવાના હોય છે તેને સોનાની સાવરણીથી સાફ પણ કરવામાં આવે છે. રથયાત્રા દરમ્યાન સૌથી આગળ બલરામજીનો રથ, વચ્ચે બહેન સુભદ્રાજીનો રથ અને સૌથી છેલ્લે ભગવાન જગન્નાથનો રથ હોય છે.
રથયાત્રાના દિવસે ભગવાન પોતે વરસમાં એક વાર આખા નગરની યાત્રા પર નીકળે છે. જેના કારણે પુરીમાં ઉત્સવ જેવુ લાગે છે. લોકો ભગવાનની નગરચર્યાનની ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવણી કરે છે. પુરીમાં દેશ-વિદેશમાંથી પણ લોકો રથયાત્રા માટે આવે છે. તેમજ તેના દર્શન કરી ધન્યતા અનુભવે છે.
ગુડિચા મંદિર (ભગવાનની માસીનું ઘર) | Gundicha Temple in Puri
ગુડિચા મંદિરને ભગવાનની માસીનું ઘર કહેવાય છે. ભગવાન જગન્નાથ પોતાની બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સાથે અહીં રથયાત્રા પહેલા 15 દિવસ રોકાય છે. અહીં ભગવાનનો પોતાનો એક અલલગ રૂમ છે. જ્યાં તેમની પ્રતિમાને દર વર્ષે 15 દિવસ માટે સ્થાપિત કરવામાં આવે છે. કહેવાય છે કે માસીના ઘરે ભગવાનનું ખૂબ જ આદર સત્કાર કરવામાં આવે છે. તેમને લાડલડાવવવામાં આવે છે. ત્યાર બાદ ભગવાન નગરચર્યા પર નીકળે છે.
જીવનમાં ચાર ધામ યાત્રા થાય કે ન થાય પરંતુ જગન્નાથ પુરીની યાત્રા કરવાથી ચાર ધામ યાત્રા કર્યા જેટલું પુણ્ય મળે છે.
કઈ રીતે જવું
પુરી એ ઓરિસ્સાનું જ નહિ પરંતુ દેશનું ખૂબ જ મહત્વ ધરાવતુ ધાર્મિક સ્થળ છે. અહીં જવા માટે રેલ માર્ગ, સડક માર્ગ અને હવાઈ માર્ગ ઉપલબ્ધ છે. સડક માર્ગે તમે પ્રાઈવેટ વાહન કરીને કે રાજ્ય પરિવહનની બસ દ્વાર મુસાફરી કરી શકો છો. પુરી દેશના બધા જ મોટા શહેરો સાથે સારી રીતે જોડાયેલું છે. તે ઉપરાંત ટ્રેન દ્વારા પર સહેલાઈથી પહોંચી શકાય છે. પુરી માટે દેશના દરેક શહેરમાંથી ટ્રેન મળી રહે છે. જ્યારે ફલાઈટથી બિજુ પટનાયક એરપોર્ટ મંદિરથી નજીકનું એરપોર્ટ છે. તે મંદિરથી 56 કિમીના અંતરે આવેલું છે.
- મોનાલી ગજ્જર