યુવાસંવાદ । નવા ભારતનો દેશભક્તિભર્યો સિંદુરીયો માહોલ...આ નવું ભારત છે.. જવાબ આપે એવું ભારત છે...

07 Jun 2025 12:22:24

Opration sindoor and tiranga yatra
 
 
`નમસ્તે, મહોદય...'
 
`નમસ્તે, કહો, સિંદૂરીયા તિરંગા યાત્રા કેવી રહી?'
 
`અદભુત..! એક વાત ચોક્કસ કહેવી જોઈએ આટલી ગરમીમાં પણ જ્યારે દેશભક્તિની વાત આવે છે ત્યારે અમદાવાદના લોકો તડકાને અવગણીને પણ ભારતના શૌર્યને જગાવનાર આપણા ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈનું અભિવાદન કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા..! આ દ્રશ્ય બહુ જ લાગણીસભર હતું, કારણ કે એક તરફ લહેરાતા તિરંગાઓ, બીજી તરફ સ્ટેજ ઉપરથી ગુજરાતનાં ગૌરવ ગાન અને ત્રીજી બાજુ રોડ ઉપરથી પસાર થતો આપણા વડાપ્રધાનનો કાફલો! રુંવાડાં ઊભાં થઇ જાય એવો માહોલ હતો... મહોદય, તમને યાદ કર્યા, કારણ કે નરેન્દ્રભાઈએ પણ એમ કહ્યું કે, જનજનમાં આ સિંદુરિયા ભાવ જગવવો પડશે.'
 
`સાચી જ વાત છે! અંગ્રેજીમાં એવું કહેવાય છે, Battle is won but war will continue. આ પશ્ચિમના સીમાડે રહેતા પાડોશીને ઓળખવા જેવા છે. આ લડાઈ કે આક્રમણ માત્ર ભારત પાકિસ્તાનના ભાગલા થયા ત્યારથી જ શરૂ નથી થયું! હજારો વર્ષોથી આ ચાલી રહ્યું છે. હિન્દુ પ્રજા ઉપર આક્રમણ કરીને કાં તો હિન્દુઓનું ધર્માંતરણ કરીને અથવા લૂંટ ચલાવીને, આ મનોભાવ હજારો વર્ષોનો છે, એને એક જ યુદ્ધથી નેસ્તનાબૂદ કરી શકાય એવું નથી, પાઠ ચોક્કસ ભણાવ્યો છે. એમની કેડો ભાગી જાય એવી સજા કરી છે, પણ જેનો નકશો એક કૂતરું બેઠું હોય તેવો લાગે છે, તે કૂતરાની પૂંછડી વાંકી જ રહેવાની..! આદરણીય નરેન્દ્રભાઈના શૌર્યભર્યા નેતૃત્વને કારણે જગત આખું ભારતની તાકાતથી અંજાઈ ગયું છે, આ સિંદૂર એ હનુમાનજીનું સિંદૂર છે, સિંદૂર પ્રત્યેક અખંડ સૌભાગ્યવતી મહિલા જે જગદંબાનો અવતાર છે, તેના રક્ષણહાર પતિની શૌર્ય અને સાહસની કથાનું શીર્ષક છે..'
 
`સર, તમે આ બોલો છો ત્યારે પણ મારા રુંવાડાં ઊભાં થઈ જાય છે!'
 
`બરાબર છે, કારણ કે તમે દેશભક્ત છો, તમને ખબર છે કે રાષ્ટ સર્વોપરી એટલે શું! `નેશન ફર્સ્ટ'ની ભાવના તમારા રક્તસંચાર સાથે ભળી ગઈ છે. એટલે તમને આ થાય તે સ્વાભાવિક છે. આપણા નરેન્દ્રભાઈની અપીલ સમજવા જેવી છે. એમણે કહ્યું છે કે સતર્કતા રાખવી પડશે. ગુજરાત એક સરહદી રાજ્ય છે, ગુજરાતની પ્રગતિ કોઈને પણ ઈર્ષ્યા કરાવે તેવી છે. નાના નાના મંડળોમાં રહીને હિન્દુ સમાજ એક બની જાય એ ખૂબ જરૂરી છે. પોતાના સંરક્ષણ માટે સંગઠન રચે, રાષ્ટીય સ્વયંસેવક સંઘની નજીકની શાખામાં યુવાનો જાય. અને રાષ્ટભક્તિ સાથે સાથે સ્વરક્ષણની અને રાષ્ટનિર્માણની રીત પણ શીખે! ઇતિહાસના પાઠ અને ભવિષ્યનું વિઝન આ જ આપણા માટે આજની પ્રતિજ્ઞા હોઈ શકે! આપણો કોઈપણ યુવાન જો વ્યસનમાં હોય, તો એને કેવી રીતે સન્માર્ગે લઈ આવવો એ આ સમૂહની જવાબદારી હોવી જોઈએ. ક્યાંક ને ક્યાંક સમાચાર મળે છે કે, યુવાનો ડ્રગ લે છે. આ બહુ જ ભયાનક સમાચાર છે, આપણે ઇચ્છીએ કે આ સમાચાર ખોટા હોય..! અનેક લોકો વ્યસનને કારણે આખા પરિવારને બરબાદ કરી દેતા હોય છે. સમાજમાં અંધાધુંધી ફેલાવતા હોય છે, બધા સમયે પોલીસ જ સમાજને મદદ કરે એવી સવલતભરી સમજમાંથી બહાર આવવાની જરૂર છે! આપણો યુવાન સશક્ત બને, બહાદુર બને. એ આજની જરૂરિયાત છે. પણ માત્ર શારીરિક સૌષ્ઠવ પૂરતું નથી. આપણે બૌધ્ધિક અને કૌશલ્યપ્રધાન સમાજ રચવો છે. આપણો યુવાન દુનિયાના કોઈપણ યુવાન સાથે સ્પર્ધામાં ઉભો રહી શકે એવો મજબૂત હોવો જોઈએ. એને અંગ્રેજી આવડે પણ માતૃભાષા માટેનું ગૌરવ પણ એટલું જ હોય, હિન્દીમાં બોલી શકે અને સંસ્કૃતમાં ગાઈ શકે એવો ભાષાભિમાની હોવો જોઈએ! માતૃભાષાને નુકસાન કરનાર કોઈને જુએ તો એનો વિરોધ કરે! બાળકોને ગુજરાતીમાં વાર્તાઓ કહે, આવા યુવાનોની જરૂર છે.
 
`સર, બીજો એક મુદ્દો પણ અગત્યનો માન્ય માનનીય વડાપ્રધાન શ્રી એ કહ્યો છે, અને એ છે સ્વદેશીનો..'
 
`બહુ સરસ કહ્યું, શ્વેતા! એમના ગાંધીનગરના પ્રવચનને જરા ફરીથી ધ્યાનથી સાંભળો..! એમને કહ્યું કે, આપણે યુદ્ધમાં જે ચમત્કાર બતાવ્યો તે `મેડ ઇન ઇન્ડિયા'નો ચમત્કાર છે! એટલે કે બ્રહ્મોસ મિસાઈલ એ ભારતમાં બનાવેલી મિસાઈલ છે. નામ પણ કેટલું સરસ છે! દરેક હિન્દુ; બ્રહ્મને સમજવો, આત્મસાક્ષાત્કાર કરવો એને પોતાના જીવનનું લક્ષ્ય માને છે, એટલે આ મિસાઈલોએ બરાબર એમના લક્ષ્ય ઉપર જ ઘા કર્યો. પહેલા તબક્કામાં તમામ નવ જગાઓ જ્યાં આતંકવાદીઓના કેમ્પ હતા. એના ઉપર એકદમ ધારેલી જગા ઉપર જ મિસાઈલ પહોંચી અને એમનાં સમગ્ર મકાનો અને સાધનોનો વિનાશ કર્યો. ત્યાર પછી પાકિસ્તાનના સૈન્ય દ્વારા જે રીતે ડ્રોન હુમલાઓ ચાલુ રાખ્યા અને એ પણ હોસ્પિટલ અને શ્રદ્ધાકેન્દ્રો ઉપર એટલે સ્વાભાવિક રીતે ભારતે જવાબ આપવો પડે. અને એવો જવાબ આપ્યો, એવો જવાબ આપ્યો કે આખું વિશ્વ અચંબામાં પડી ગયું!! ભારતે છેક અંદર જઈને એમનાં એરબેઝ તોડી નાખ્યાં..! નુરખાન એરબેઝ તો ન્યુક્લિયર શસ્ત્રોનું પ્રવેશદ્વાર જેવું હતું, તેના ઉપર પણ ઘા કર્યો. આખું વિશ્વ હલબલી ઉઠ્યું. પાકિસ્તાનના જનરલોની ઉંઘ હરામ થઈ ગઈ! અડધી રાત્રે મિટિંગો બોલાવવી પડી.. પાકિસ્તાનનું રક્ષણ કરી શકાશે કે કેમ એ વિશે એમના સૈન્યના મનમાં પણ શંકા ઉભી થઇ... એમને પણ સમજાઈ ગયું કે, આ નવું ભારત છે.. જવાબ આપે એવું ભારત છે...
 
 
 
Powered By Sangraha 9.0