પ્રકરણ – ૧૧ । મારા નામના ઉદઘોષથી ચારે દિશાઓ નિનાદિત થઈ ઊઠી

07 Jun 2025 18:13:06

Vande Mataram novel gujarati prakaran 11
 
 

જન્મભૂમિની આઝાદી માટે એમનાં જીવન સમર્પિત હતાં. એમના મનમાં હું સમાઈ ગઈ હતી. એટલે અંતરિક્ષ મારા નામથી મુખરિત થઈ ગયું. એક લાઠી સામે દસ વાર એ હિસાબે બધાના કંઠે મારું નામ લેવાતું રહ્યું. લાઠીઓ તૂટી ગઈ, લોકો હઠયા નહીં, એકબીજાના હાથ પકડીને માનવસાંકળ રચીને જમીન પર બેસી ગયા. કોઈ દોડાદોડ નહીં, રણચંડિકાની જેમ હું અંતરિક્ષમાં વિલસિત થઈ.
 
 
૧૪, એપ્રિલ, શનિવાર, બિહૂનો દિવસ, બપોરે ૨ વાગ્યે સંમેલન સ્થાનેથી શોભાયાત્રા શરૂ કરવા માટે બધા પ્રતિનિધિઓ રાયબહાદુર મેદાનમાં એકત્ર થયા. દરેકની છાતી પર વંદે માતરમ્નો બેજ લગાવેલો હતો. કેટલાક લોકો ક્રોસબેલ્ટની જેમ વંદે માતરમ્‌ લગાવીને પહેરતા હતા. કેટલાક લોકો પાસે એનાં કાર્ડ પણ હતાં. રાષ્ટ્રીય આંદોલનમાં પોતાની ભાગીદારી દર્શાવતી સેંકડો મહિલાઓએ પણ એમાં ભાગ લીધો હતો. એમની પાસે પણ વંદે માતરમ્ લખેલા ઝંડા તથા અન્ય વસ્તુઓ હતી. જે રીતે અર્જુન કૃષ્ણમંત્રનો જપ કરતો હતો એ રીતે સૌનાં હોઠે વંદે માતરમ્નો મંત્ર હતો. હજારો લોકો ત્યાં ભેગા થયા હતા. એમની વચ્ચે શેરડીના સાંઠા જેવા અથવા પોલાદી દંડા જેવા મજબૂત રમાકાંત રાયનું પ્રશિક્ષણ લીધેલા, લાઠીના ઉપયોગમાં નિપુણ, નવયુવાનો પણ ઉપસ્થિત હતા.
 
તકલી પર કાંતતી વખતે જે રીતે રૂ આંગળીઓ વચ્ચેથી પસાર થઈને સૂતર બની જાય છે એ જ રીતે ધીરે ધીરે બાળકોનો વેરવિખેર સમુદાય શોભાયાત્રામાં રૂપાંતરિત થઈ ગયો. આગળ નેતાઓ હતા. સૌથી આગળ ઘોડા પર સવાર અધ્યક્ષ અબ્દુલ રસૂલ પોતાની અંગ્રેજ પત્ની સાથે હતા. એમની પાછળ સુરેન્દ્રનાથ બાબુ, મોતીલાલ ઘોષ, ભૂપેન્દ્ર બસુ, બિપિનચંદ્ર પાલ, અરવિંદ ઘોષ વગેરે ઊભા થયા. શોભાયાત્રા ધીરે ધીરે શાંત, પરંતુ પ્રસન્ન ભાવથી આગળ વધતી હતી. એવામાં જ અચાનક એક અવાજ ઊઠ્યો, એ અવાજ અન્ય કશાનો નહીં, લોકોને મારવાનો હતો. પાછળથી આવેલા સૈનિકોએ સીધાસાદા લોકો પર લાઠી વરસાવવાનું શરૂ કર્યું હતું. એમના હાથ તથા હાથમાં રહેલી લાઠીને આંખો નહોતી, એટલે મારને પણ આંખો નહોતી. નાના, મોટા કે સ્ત્રી-પુરુષના ભેદભાવ વિના જ લાઠીઓ વરસતી રહી,. માર ખાઈ ખાઈને અનેક લોકોનાં શરીર લોહીથી લાલ રંગાઈ ગયાં અને ઠંડાં પણ પડી ગયાં, પરંતુ મન દૃઢ હતાં. જન્મભૂમિની આઝાદી માટે એમનાં જીવન સમર્પિત હતાં. એમના મનમાં હું સમાઈ ગઈ હતી. એટલે અંતરિક્ષ મારા નામથી મુખરિત થઈ ગયું. એક લાઠી સામે દસ વાર એ હિસાબે બધાના કંઠે મારું નામ લેવાતું રહ્યું. લાઠીઓ તૂટી ગઈ, લોકો હઠયા નહીં, એકબીજાના હાથ પકડીને માનવસાંકળ રચીને જમીન પર બેસી ગયા. કોઈ દોડાદોડ નહીં, રણચંડિકાની જેમ હું અંતરિક્ષમાં વિલસિત થઈ. એ ઉત્સાહી વાતાવરણમાં કોઈને પોતાની પીડાનો અનુભવ ન થયો. પોલીસ અધિકારી મિ. કેમ્પે શચીન્દ્રનાથના મોં પર એક તમાચો માર્યો. પોતાના નેતાને માર પડેલો જોઈને લોકોનો ગુસ્સો ઉછળી પડ્યો, મારો એ નપાવટને, સુબેદાર બાબુરામે ત્રાડ પાડી. બૅરિસ્ટર ચૌધરી તો જાણે ક્રોધમાં સળગી ગયા. ક્રોધવશ તેઓ ગર્જના કરી ઉઠ્યા, મિસ્ટર કેંપ તમારો અત્યાચાર બંધ કરો, નહીં તો પરિણામ ગંભીર થશે.' એ સાંભળતાં જ કેંપે પોતાનું બ્યૂગલ વગાડ્યું.
 
મારા દેશવાસીઓને નવા વર્ષની એ જ ભેટ મળી. પરંતુ એને માટે મારા બાંધવોને પોતાના રક્તની પુષ્પાંજલિ આપવી પડી. આંસુનું એક પણ ટીપું ભૂમિ પર પડ્યું નહીં. શોભાયાત્રાની પાછલી પંક્તિમાં રહેલા ચિત્તરંજન ગુહા, ફણીંદ્ર નાથ બંદોપાધ્યાય, વ્રજેન્દ્ર ગંગોપાધ્યાય વગેરે ઘવાયાના સમાચાર મળતાં જ સુરેન્દ્રબાબુ આગળ આવી ગયા. ગમે તેટલી યાતનાઓ સહીને પણ શોભાયાત્રા લક્ષ્યસ્થાન સુધી લઈ જવાનું એમણે આહ્વાન કર્યું. એમના આદેશનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવ્યું. સડકના મુખ્ય ચોકમાં કીચકની જેમ ઊભા રહેલા કેંપ પાસે જઈને સુરેન્દ્ર બાબુએ પૂછ્યું, તમારી આ કઈ નીતિ છે? શાંત, નિઃશસ્ત્ર લોકો પર લાઠીની વર્ષા શા માટે? એમનો શું દોષ છે? અહીં શું કોઈ નિયમ નથી? આ કાર્યક્રમ માટે હું જવાબદાર છું, તમે ઇચ્છો તો મારી ધરપકડ કરો.
 
એ સાંભળતાં જ કેંપે કહ્યું, ઠીક છે, તમારી ધરપકડ કરવામાં આવે છે.' એમની સાથે રહેલા અશ્વિની દત્તે કહ્યું, તો મારી પણ ધરપકડ કરો.' એમને ના પાડતાં પોલીસ અધિકારીએ કહ્યું, ના, તમને નહીં, આમને જ.
 
સુરેંદ્રબાબુને સીધા જિલ્લાધિકારીના કાર્યાલયે લઈ જવામાં આવ્યા. અશ્વિનિબાબુએ પોતાના નેતાને એકલા છોડ્યા નહીં. એ પોતે પણ ત્યાં પહોંચી ગયા. બંગાળી નવવર્ષ હોવાને કારણે એ દિવસે રજા હતી. એટલે ગુનેગારને કલેક્ટરને બંગલે લઈ જવાયા. કેંપ પાસેથી આખી ઘટના વિશે જાણીને કલેક્ટર એમર્સને ૨૦૦ રૂા.નો દંડ કર્યો. કલેક્ટરે સુરેન્દ્રબાબુને પૂછ્યું, મિસ્ટર બેનર્જી, તમને શરમ નથી આવતી? ત્યારે ના જરાય નહીં, તમારા આવા વર્તનને કારણે મને દુઃખ થાય છે. એવો અણધાર્યો જવાબ સાંભળીને એમર્સન સ્તબ્ધ થઈ ગયો. સરકાર દ્વારા તૈયાર કરાયેલી સજ્જનોની યાદીમાં પોતાનું નામ સામેલ હોવા છતાં પોતાને બેસવાનું પણ ન કહેનારા `સરકારી મહારાજ' સામે ખાલી પડેલી ખુરશીમાં સુરેન્દ્રબાબુ બેસી ગયા. ઊભા થઈ જાવ... તમે અદાલતનું અપમાન કર્યું છે એટલે તમને ૨૦૦ રૂા.નો દંડ કરું છું.' એવી જિલ્લાધિકારીની કાર્યવાહી જોઈને સુરેંદ્રબાબુનો ભાવ બદલાઈ ગયો. તેઓ કાયદાકીય યુદ્ધ માટે તૈયાર થઈ ગયા. એ વખતે અશ્વિનીબાબુએ અંગ્રેજો માટે અજાણી એવી પોતાની માતૃભાષા બંગાળીમાં સુરેંદ્રબાબુને કહ્યું, અત્યારે કશું ન કરશો. આપણે ત્યાં પહોંચવું જરૂરી છે.' એમણે ત્યાં જ દંડની રકમ ભરી દઈને પોતાના નેતાને મુક્ત કરાવ્યા.
 
સંમેલન શરૂ થઈ ગયું હતું. મહાભારત યુદ્ધની શરૂઆતમાં જે રીતે શ્રીકૃષ્ણે પાંચજન્યનો ઘોષ કર્યો હતો એવો જ ઘોષ સ્વદેશપ્રેમીઓએ વંદે માતરમ્' દ્વારા કર્યો. એ જ વખતે એક હાથીની જેમ ધીર ગંભીર ડગલાં ભરતા સુરેન્દ્રનાથ બેનર્જીએ સભામાં પ્રવેશ કર્યો. નેતાને જોતાં જ ભાષણ ઉગ્ર બની ગયું. મારા નામના ઉદઘોષથી ચારે દિશાઓ નિનાદિત થઈ ઊઠી. સંમેલન પોતે રાષ્ટ્રીય દુઃસ્થિતિના નિવારણ માટેના રાષ્ટ્રમંત્રના અખંડ નામજપની વેદીમાં પરિવર્તિત થઈ ગયું.
 
જ્યારે બિપિનચંદ્ર પાલ ભાષણ કરી રહ્યા હતા ત્યારે એક પિતા પોતાના પુત્ર સાથે મંચ પર ચઢી ગયા. ભાષણ કરતાં વાસ્તવિક પ્રદર્શન સારું રહેશે એમ માનીને એમણે એ પિતાને પોતાનો અનુભવ જણાવવા માટે કહ્યું. મનોરંજન ગુહાએ પોતાની કથા શરૂ કરી. પુત્ર તરફ આંગળી ચીંધીને એમણે કહ્યું એનું નામ છે ચિત્તરંજન. તમે જોઈ શકો છો કે એની ડાબી આંખ અને કપાળ પર પાટો બાંધેલો છે. એની વાત કહેવા માટે જ હું અહીં આવ્યો છું. એ શોભાયાત્રાની પાછળ આવી રહ્યો હતો. એની ઉંમર ૧૫ વર્ષ કરતાં પણ ઓછી છે. એણે મારી પાસે શોભાયાત્રામાં જવાની અનુમતિ માગી અને મેં આપી. જતાં પહેલાં મેં એને વંદે માતરમ્ કેવી રીતે ગાવાનું છે એનું પ્રશિક્ષણ આપ્યું હતું. (સભામાંથી વંદે માતરમ્નો અવાજ આવે છે). એ રીતે એ શોભાયાત્રામાં ગયો. પછી શું થયું? એ તો તમે બધા જાણો જ છો. અચાનક જ્યારે લાઠીચાર્જ શરૂ થઈ ગયો ત્યારે મારો પુત્ર નાસી ગયો નહીં. એના `વંદે માતરમ્' બોલવાની રીતમાં વિશિષ્ટ્રતા દેખાવાને કારણે પોલીસોએ એના પ્રત્યે વધુ પડતો ક્રૂર વ્યવહાર કર્યો. વંદે માતરમ્ના તાલ અને લય અનુસાર પોલીસે પણ લાઠી એ જ તાલ અને લય પર ઉગામી. એ તાલ-મેળમાં એનું માથું ભાંગી ગયું. આંખમાંથી લોહી નીકળ્યું (સભામાંથી વંદે માતરમ્) એમ છતાં એ બાળકે વંદે માતરમ્ બોલવાનું બંધ કર્યું નહીં.
 
પોલીસવાળાની દશા તો એવી થઈ કે સાપ મર્યો પણ નહીં અને લાઠી છૂટી પણ નહીં. કંટાળીને એમણે એને નજીકના એક તળાવમાં ફેંકી દીધો. દેશવાસીઓએ એને બહાર કાઢ્યો. નહીં તો અત્યારે હું એને અહીં લાવી શક્યો ન હું હોત.' સભાના લોકોની આંખોમાં આંસુ આવી ગયાં. લાઠીના ભારે મારને કારણે તેઓ રડ્યા નહોતા. લોકોની ભાવના જોઈને ચિત્તરંજન વધુ દૃઢ સંકલ્પ સાથે ત્યાં ઊભો હતો.
 
નેતાઓના ઉદ્બોધન સાથે એ દિવસની સભા સમાપ્ત થઈ. બધાના ચહેરા પર બેઠક સફળ થવાનો સંતોષ તથા પ્રસન્નતા જોવા મળી. બીજા દિવસે સવારે ફરી બેઠક શરૂ થઈ. બિપિનચંદ્ર પાલે ભાવિ કાર્યક્રમો વિશે જણાવ્યું. એ પછી સંયોજકને નાતે અશ્વિનીબાબુએ થોડી વાત કરી. ગઈ કાલે સ્વતંત્રતા સંગ્રામના વીર સૈનિકો પર થયેલા પોલીસના કઠોર વ્યવહાર વિશે ટીકા કરી. એ ઐતિહાસિક ઘટનાની સ્મૃતિમાં એક સ્મૃતિચિહ્ન સ્થાપિત કરવાનો વિચાર આગળ આવ્યો. એ પ્રસ્તાવને મારા નામોચ્ચારણ સાથે સર્વસંમતિથી સ્વીકારી લેવામાં આવ્યો. એને માટે પૈસા ભેગા કરવાનું કામ બેઠકમાં જ શરૂ થયું. જ્યાં ત્યાગની ભાવના અને બુદ્ધિ છે ત્યાં ગરીબી ક્યાંથી હોય? સોનાની વીંટીઓ, બંગડીઓ, હાર વગેરે વસ્તુઓ સ્વરૂપે તથા રોકડા રૂપિયામાં પણ ઘણું ધન ભેગું થયું. થોડા જ સમયમાં બારિસાલમાં એક સ્મૃતિસ્થંભ બનાવવામાં આવ્યો,. એ પછી જ્યારે પૂર્વ બંગાળ પૂર્વ પાકિસ્તાન બની ગયું તથા પાછળથી બાંગ્લાદેશ બન્યું ત્યારે એ સ્મૃિતિચિહ્નનું શું થયું એ વિશે મને ખાસ માહિતી નથી.
 
કાર્યયોજના અનુસાર બેઠક આગળ વધી. એ વખતે પોલીસ અધિકારી કેંપ પોલીસ સેના સાથે ત્યાં આવી પહોંચ્યો. લોકોની માનસિક સ્થિતિ સમજીને એ સુરેન્દ્રબાબુ પાસે આવીને તમારી પાસે હું સુરક્ષિત છું એમ કહીને ત્યાં ઊભો રહ્યો. એણે કહ્યું કે, એ જિલ્લાધિકારીના આદેશથી ત્યાં આવ્યો હતો. એણે એ આદેશ વાંચી સંભળાવ્યો બેઠકના અંતે વંદે માતરમ્ની ઘોષણા ન કરવી. એ આદેશનું પાલન નહીં થાય તો જબરદસ્તી કરવી પડશે.' લોકો એ આદેશ માનવા તૈયાર ન થયા. કેંપે બેઠકને કાયદા વિરુદ્ધ જાહેર કરી. એણે સભાનું નિયંત્રણ પોતાના હાથમાં લઈ લીધું. એણે વિચાર્યું કે, ચોવીસ કલાકની અંદર જ ફરી એક વાર દેશવાસીઓનું લોહી ન વહે. બિપિનચંદ્ર પાલે કરડે અવાજે પ્રતિનિધિઓ સામે એક કાર્યપદ્ધતિ રજૂ કરી. એમણે સભા સમાપ્ત કરવાની ઘોષણા કરી. હવે આપણે ઘેર જઈએ... દરેક પ્રદેશમાં આ પ્રકારની બેઠક બોલાવવાની છે. લોકોને જાગ્રત કરવાના છે. દરેક પ્રદેશમાં અગ્નિ પ્રગટાવવાનો છે. આજે આપણે દુઃખી થવાનો દિવસ નથી. આનંદ સાથે કાર્યપ્રવૃત્તિ શરૂ કરવાનો શુભ દિવસ છે. તરત જ એક શીઘ્રકવિએ ઊંચે અવાજે ગાયું...
 
बल सिंहनादे जयजयारवे वंदे मातरम्‌
उठ भवे शुनुक सबे मंत्र गंभीरतम्‌
वंदे मातरम्‌.. वंदे मातरम्‌..
गुंज रहे सिंहनाद, जयजयारव वंदे मातरम्‌..
सुणो देशवासी, मंत्र गंभीरतम्‌..
वंदे मातरम्‌.. वंदे मातरम्‌..
 
એ રીતે કોઈ વિશેષ પ્રસ્તાવ પસાર કર્યા વિના બારિસાલનું સંમેલન સમાપ્ત થઈ ગયું.
 
નાટક સમાપ્ત થઈ ગયા પછી રસ્તામાં કે ઘેર જઈને એનું મૂલ્યાંકન કરવામાં આવે છે. બારિસાલ શોકાંતિકાની પણ એ જ સ્થિતિ હતી. શરીર પર થયેલા ઘાની વેદના થોડા દિવસ પછી ધીમે ધીમે શમી જાય છે અને ભુલાઈ જાય છે, પરંતુ મન પર થયેલા ઘા ક્યારેય ભુલાતા નથી.
 
સુરેન્દ્રનાથ બેનર્જી સંતુલન જાળવી રાખીને પરિપક્વ બુદ્ધિથી લખનારા નેતા હતા. બંગાળી એમનું સમાચારપત્ર હતું. એના માધ્યમથી તેઓ દેશવાસીઓ સાથે સંવાદ કરતા હતા. ઉપરોક્ત ઘટનાના એક અઠવાડિયા પછી એમણે સમાચારપત્રમાં લખ્યું હતું એક બીજા આયર્લેંડનું સર્જન કરવામાં આવ્યું છે. આંદોલનના માર્ગમાંથી લોકોનો વિશ્વાસ ઓછો થઈ ગયો છે.
 
બે દિવસ પછી અરવિંદ ઘોષના નાના ભાઈ બારીન્દ્રકુમાર ઘોષના પત્ર `યુગાન્તરે' લખ્યું, ભારતના ત્રીસ કરોડ લોકોએ એ જબરદસ્તી વિરુદ્ધ અવાજ ઉઠાવવાનો છે. શારીરિક બળનો એ જ પ્રકારે સામનો કરવો પડશે. બારિસાલ ઘટનાનો પ્રભાવ સંપૂર્ણ ભારતમાં ફેલાવવાની સૂચના એમાં સમાયેલી હતી.
 
આનંદમઠના સંતોનું ઉદબોધન કરતા બ્રહ્મબાંધવ ઉપાધ્યાય સ્વદેશની મુક્તિ માટે બ્રહ્મચર્યનું અનુષ્ઠાન કરીને રાતદિવસ કાર્યરત રહેનારા પ્રચારક તથા કર્મયોગી હતા. એમની જિલ્લા સમાન સંધ્યાએ બારિસાલ ઘટના વિશે લખ્યું હતું. આજની નિષ્ફળ નારાજગી રાષ્ટ્રીય સ્વતંત્રતા આંદોલન માટે અપમાન છે. ક્ષમાની ભાવના આપણા માટે ભૂષણરૂપ નથી.
 
જીવનસંઘર્ષમાં બદલાની ભાવના તથા એની કામના જરૂરી છે. રાષ્ટ્રીય અપમાન માટે સાચો ઇલાજ છે પ્રતિશોધ, બદલો !'
એ જ દિવસે યોગી મનાતા અરવિંદ ઘોષે સ્પષ્ટ્ર કર્યું, મનુષ્યના સ્વાભાવિક સ્વાતંત્ર્યપ્રેમને દબાવવાની હિરણ્યકશ્યપુએ હંમેશાં કોશિશ કરી છે, પરંતુ એમાં શું એમને સફળતા મળી છે ખરી? દમન કરવાથી ઊલટી વધુ શક્તિ પ્રાપ્ત થઈ જાય છે. એક ક્રૂર આપખુદશાહ આંદોલનને દબાવી દેવાનો પ્રયત્ન કરે તો એ અનેક સ્વરૂપે રૂપાંતરિત થઈ જશે. નિરંતર પરાજય તથા અનહદ યાતનાઓને કારણે બળ અને શક્તિમાં જોશ ને આવેગનો ઉમેરો થાય છે જે અનેક સ્વરૂપે પ્રકટ થઈ જાય છે અને છેવટે એ દમનખોરની જ કબર ખોદાય છે. એ જ માનવજાતિનો સંદેશ છે.
 
પુરાણોમાં દુઃશાસનને કાળિનાગ જેવો દર્શાવવામાં આવ્યો છે. આંખો ઉઘાડી છે પરંતુ જોતો નથી, કાન છે પરંતુ સાંભળતો નથી. ઇતિહાસના બધા જ પદાર્થપાઠ તથા માનવજાતિના શાશ્વત સંદેશ ત્યાં પોતાનો પ્રભાવ ખોઈ બેસે છે.
 
બારિસાલ ઘટનાનાં વર્ણનો, એના વિશે સમાચારપત્રોની પ્રતિક્રિયાઓ, પ્રજાના મન પર એનો પ્રભાવ તથા દેશભરમાં એના પ્રત્યે ઊભી થયેલી સહાનુભૂતિની ભાવના એ બધી જ વિગતો એકઠી કરીને અંગ્રેજ સરકારના ગુપ્તચર વિભાગે બ્રિટનને જણાવી હતી. કપટી તથા બળવાન શાસકને પરિસ્થિતિની ગંભીરતા તથા એમાં રહેલી આપત્તિ ખૂબ જલદી સમજાઈ ગઈ. બ્રિટનની પાર્લામેંટમાં પણ બારિસાલનો પડઘો પડ્યો. રાજ્યકર્તાઓએ પોતે કરેલી કાર્યવાહીનું સમર્થન કરવાનો પ્રયત્ન કર્યો. પોતાની આ કૃતિ યોગ્ય સાબિત કરવા માટે ઘણા લોકો કામે લાગ્યા, બ્રિટિશરોની નીતિનો ખુલાસો કરીને એનું સમર્થન કરવા લાગ્યા. પોતાને નીતિવાન સાબિત કરવા માટે પૂર્વબંગાળના લેફ્ટનન્ટના આદેશથી નિષ્કાસિત કરાયેલા ત્રણસો વિદ્યાર્થીઓને ફરીથી વિદ્યાલયોમાં પ્રવેશ અપાવ્યો. બોધ લેવા જેવી બાબત એ છે કે એ સૌજન્યનું કારણ એ વખતે પૂર્વ બંગાળની જનતા દ્વારા કરાયેલો `સારો વ્યવહાર' જ હતું. એ સાથે જ એ નિર્ણય લેવામાં આવ્યો કે શોભાયાત્રાઓમાં વંદે માતરમ્ પર લગાવેલો પ્રતિબંધ ઉઠાવી લેવાશે. એ રીતે છેવટે સરકારે નમતું જોખ્યું. બારિસાલમાં લોહી વહેવડાવવાની ઘટના વ્યર્થ ન ગઈ.
 
***
 
(ક્રમશઃ)
 
 
Powered By Sangraha 9.0