
એક વખત નાગપુરની નીલસીટી હાઈસ્કૂલમાં વર્ગખંડ નિરીક્ષણ માટે ઇન્સ્પેક્ટર આવ્યા. એની તૈયારી તરીકે સફાઈનું કામ કરવાનું હતું. સ્કૂલની દીવાલો સાફ કરવી, તથા કોટ સહિત સ્વચ્છ ગણવેશ પહેરીને આવવાનો આદેશ, ઇન્સ્પેક્ટરના પ્રવેશ વખતે ગુડમોર્નિંગ સર કહેવાનું પ્રશિક્ષણ, નિરીક્ષક દ્વારા પૂછવામાં આવનારા સવાલો તથા એના જવાબ વગેરે નાટકના પૂર્વાભ્યાસની પ્રવૃત્તિ ચાલતી હતી. સમય પ્રત્યેની નિષ્ઠા દર્શાવવા માટે બરાબર સમયે ઘંટ વાગ્યો. વર્ગ શરૂ થયો. ખામોશીનું વાતાવરણ. ઇન્સ્પેક્ટરના બૂટનો અવાજ આવ્યો. એણે વર્ગમાં પ્રવેશ કરતાં જ ગુડમોર્નિંગ સર સાંભળવાની અપેક્ષાથી બધાએ કાન સરવા કર્યા, પરંતુ સ્વચ્છ આકાશમાં વીજળી ચમક્યા પછી વાદળ ગરજે એ રીતે વંદે માતરમ્ સંભળાયું. શિક્ષક સ્તબ્ધ થઈ ગયા. વર્ગમાં પહેલી લાઇનમાં બેઠેલા વિદ્યાર્થીઓના મોં પર તોફાની સ્મિત હતું. ઇન્સ્પેક્ટર તરત જ બીજા વર્ગમાં જતા રહ્યા. વર્ગશિક્ષકે ઊભા થવાનો આદેશ આપ્યો. પૂરતી શિસ્ત જાળવીને બધા ઊભા થયા. ફરી સાંભળવા મળ્યું. વંદે માતરમ્, એ પછીના વર્ગમાં પણ એ જ સ્થિતિ હતી. ઇન્સ્પેક્ટર બુદ્ધિશાળી હતો. એ પાછો ફરી ગયો, પરંતુ સમસ્યા તો એથી પણ વધી ગઈ. પ્રધાનાચાર્ય હેરાન-પરેશાન થતાં નારાજ થઈને ચારે તરફ દોડાદોડી કરી રહ્યા હતા. વોલ્સનનું માટલું કોણે ફોડી નાખ્યું? કોણ છે એ રાજદ્રોહી? તપાસ શરૂ થઈ. છેવટે શોધી કાઢ્યું. દસમા ધોરણનો વિદ્યાર્થી કેશવ હેડગેવાર. પૂછપરછ, સલાહ, સદુપદેશ અને માફી માગવાનું સૂચન... પ્રધાનાચાર્યે ઘણો પ્રયત્ન કરી જોયો; પરંતુ એ બાળકે માફી માગી નહીં. `માતાને નમસ્કાર કરવા માટે વળી શા માટે માફી માગવી?' એ બાળકની સિંહગર્જના સામે બધાનાં મોં બંધ થઈ ગયાં. એમ છતાં રિસ્લેના પરિપત્ર નિયમ મુજબ કાર્યવાહી કરી. કેશવને શાળામાંથી રુખસદ આપવામાં આવી.
થોડાં અઠવાડિયાં પછી વિજ્યાદશમીનો દિવસ આવ્યો. કેશવ રામપાયલી પહોંચી ગયો. દેશવાસીઓ રિવાજ અનુસાર સીમોલ્લંઘન કરવા માટે એકત્ર થયા. સમારોહની શોભાયાત્રામાં યુવાનીના જોશમાં કેશવે ઊંચે અવાજે વંદે માતરમ્નો નારો લગાવ્યો. અને બાકીના લોકોએ એ દોહરાવ્યો. કેશવ એટલાથી જ અટક્યો નહીં. `વિદેશીઓને દેશમાંથી કાઢી મૂકવાનો સમય આવી ગયો છે. એ માટે તૈયાર થઈ જાઓ.' ચિનગારી ફૂટે એવા સ્વરે કેશવે ભાષણ આપ્યું.
સ્વદેશીના પ્રતિબંધને કારણે આશ્રયહીન થઈ ગયેલા કેશવને મેં સાથે લીધો. મારી સાથે ચાલનારાનો સાથ હું કેમ છોડું? એને હું કોલકતા લઈ આવી. સ્વદેશીઓ દ્વારા શરૂ કરાયેલી મેડિકલ કૉલેજમાં એને પ્રવેશ અપાવ્યો. સારી રીતે ભણતી વખતે જ એ `અનુશીલન સમિતિ'માં જોડાઈ ગયો. ક્રાંતિકારી વિચારો તરફ એ આકર્ષિત થયો. પરીક્ષા પાસ કરીને પોતાને વતન જઈને એણે માતૃભૂમિની આઝાદી માટે કામ કર્યું.
મહારાષ્ટ્રમાં સૂર્યોદય સમયે કન્યાઓ પોતાના ઘરના આંગણામાં રંગોળી પૂરે છે. ગણેશોત્સવના પ્રસંગે કલાકારોએ મારા પાંચ અક્ષરો વડે ગણેશનું ચિત્ર દોર્યું હતું. વિઘ્નેશ્વર અને વંદે માતરમ્ એક બની ગયાં. મહારાષ્ટ્ર અને બંગાળે હાથ મેળવ્યા. બાલ-પાલ મિત્રતા થઈ. વીરેંદ્રબાબુએ ગાયું.
મરાઠી સાથી આજી હે બંગાલી
એક સાથ ચલે મહોત્સવ કો
(મરાઠી અને બંગાળી એકસાથે ચાલે, એક સાથે ઉત્સવ ઊજવે)
***
બંગાળ પ્રાંત અધીન કરી લીધા પછી પંજાબને અધીન બનાવવા માટે બ્રિટિશ ષડયંત્રકારીઓને ૬૦ વર્ષ જેટલો લાંબો સમય લાગ્યો, પરંતુ પંજાબી ભાઈઓનાં મન વશ કરી લેવામાં મને એક વર્ષ જેટલી પણ રાહ ન જોવી પડી.
ખરેખર તો સુરેન્દ્રનાથ બેનર્જીની મદદ કરવા માટે હું ત્યાં પહેલેથી જ પહોંચી ગઈ હતી. `પંચનદપંચાસ્ય' લાલા લાજપતરાયે એ માટે મારી મદદ કરી. લાહોરમાં એમણે મને ઉર્ર્દૂ વેશ પહેરાવ્યો. એ કારણે મને પંજાબી ઘરોમાં સહેલાઈથી પ્રવેશ મળી ગયો. ત્યાંના લોકોએ આદરપૂર્વક મારું સ્વાગત કર્યું. હું સમજી ગઈ કે, ત્યાં મને કોઈ અટકાવી શકે એમ નથી. મારા પંજાબ આવવાથી બાલ-પાલ દોસ્તી વિકસિત થઈને લાલ-બાલ-પાલ થઈ ગઈ.
રાવલપિંડીમાં મારા નામ સાથે આંદોલને જોર પકડ્યું હતું. એમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓને ઘોડેસવાર પોલીસોએ ખૂબ માર્યા. પવનવેગે એ સમાચાર લાહોર પહોંચ્યા. `ભારતમાતા' સમાચાર પત્રના કાર્યાલય સામે લોકો એકઠા થઈ ગયા. અંગ્રેજોની વસાહત અધરમાલી તરફ આગળ વધતા લોકોને અનારકલી પોસ્ટ પાસે પોલીસોએ અટકાવ્યા. લોકોએ વિરોધ કર્યો.
બારિસાલનું પુનરાવર્તન થશે કે કેમ એવી શંકા મારા મનમાં જાગી. ઘોડેસવાર પોલીસે પોતાનું કામ ચાલુ રાખ્યું. જે નજરે ચઢ્યું એને લાઠીનો માર પડ્યો. ચારે તરફથી એનો વિરોધ થયો. સમાચાર પત્રોએ વિરોધ કરતા લેખો લખ્યા. એકી અવાજે સૌએ પૂછ્યું, `માતૃવંદના શું પાપ છે?'
પૂર્વજોનો આદેશ છે નિરંતર આગળ વધવાનો એટલે મેં ઉત્તરાયણ ચાલુ રાખ્યું. હું જમ્મુ પહોંચી. જમ્મુની સરકારી શાળાના વિદ્યાર્થીઓને બંગાળ વિભાજનની કડીમાં જ કોલકતા તથા બારિસાલમાં થયેલી વિરોધ સભાઓ, આંદોલનો તથા પોલીસ કાર્યવાહીના તાજા સમાચાર વખતોવખત મળતા રહેતા હતા. તેઓ પૈસા ભેગા કરીને પંજાબી ટ્રિબ્યુન, વંદે માતરમ્ વગેરે સમાચાર પત્રો લાવીને વાંચતા હતા. દેશમાં બનતી મહત્ત્વની ઘટનાઓ વિશે ચર્ચા કરતા રહેતા. દેશી સરકારની દેશી પોલીસે એમની પ્રવૃત્તિઓ પર વિશેષ ધ્યાન આપ્યું નહીં, પરંતુ રેસિડેન્ટ સાહેબ હોંશિયાર હતો. રાજ્ય તો રાજા રાણા પ્રતાપ કરી રહ્યો હતો, પરંતુ એની લગામ સાહેબના હાથમાં હતી. સાહેબે સમાચાર પત્રો પર નિયંત્રણ લાદ્યું. એમ છતાં બાળકો પાસે સમાચાર પત્રો તો આવતા જ રહ્યા.
કેટલાક યુવાનોએ મારા નામે ચાલતા આંદોલનમાં સક્રિય રીતે ભાગ લેવાનો નિર્ણય લઈ લીધો હતો. એક અંધારી રાતે સરકારી હાઈસ્કૂલની દીવાલો પર એ યુવાનોએ `ભારતમાતા કી જય' એમ લખ્યું. સવારે જ્યારે લોકો ધંધાર્થે બહાર નીકળ્યા ત્યારે એમણે `વંદે માતરમ્' કહીને સરઘસ કાઢ્યું. અંગ્રેજો વિરુદ્ધ નારા લગાવ્યા. એ રીતે હું બંગ-ભવાનીના દેશમાંથી ક્ષીરભવાનીના દેશમાં પહોંચી. રેસિડેન્ટ સાહેબે એ યુવાનોની દિશાહીન પ્રવૃત્તિઓને રોકવાનું અનિવાર્ય માન્યું. એમણે ચાર વિદ્યાર્થીઓ તથા બે અધ્યાપકોને બરખાસ્ત કર્યા.
મારું દેશાટન એમ છતાં ચાલુ રહ્યું. તીર્થાટન ચાલુ રહ્યું. ભારતવર્ષની પ્રાચીનતમ નગરી વારાણસી તથા પ્રયાગમાં હું પહોંચી. ધર્માંધ ઔરંગઝેબનાં મૂળિયાં સહિત ઉખાડી નાખવાના અનેક પ્રયત્નો છતાં કાળને પણ આહ્વાન આપીને વધતાં જતાં એ વટવૃક્ષને મેં આંખ ભરીને જોયું. એની નીચે બેસીને થોડી વાર આરામ કર્યો. અનશ્વર કાલજયી ભારતમાતાના પ્રતીક સ્વરૂપે હંમેશાં પ્રવાહમાન ભાગીરથીને મેં જોઈ. શ્રીશંકર, રામાનંદ તથા દયાનંદના પાદસ્પર્શથી પુનિત થયેલા એ ઘાટ પર સ્નાન કરીને મેં આત્મશાંતિનો અનુભવ કર્યો.
ભારતવર્ષ વિશાળ છે. ડગલે ને પગલે ત્યાં તીર્થસ્થાનો આવેલાં છે. કેટલાં ઐતિહાસિક સ્થળો, વેપારનાં કેન્દ્રો... સંપૂર્ણ દેશનું પરિભ્રમણ તો હજાર પગવાળો પણ કરી શકે નહીં. ધરાના ત્રણ ફૂટ પાણીમાં નહાઈને મેં નદીસ્નાન કર્યું એમ કહેવા જેવી જ મારી આ દેશયાત્રા છે. મેં મારા સીમિત અનુભવો તમારી સમક્ષ મૂક્યા એટલું જ. વાસ્તવમાં મારી પ્રદક્ષિણાનો કોઈ છેડો નથી. મને થાક પણ નથી અને ઉત્સાહમાં ઓટ પણ નથી આવી. મને મળેલા આનંદ અને ધન્યતાની કોઈ સીમા નથી. મારું પોતાનું લક્ષ્ય સ્પષ્ટ્ર છે. ‘भारत पूजार्थम् चरैवेति चरैवेति’ (ભારતમાતાના પૂજનઅર્થે નિરંતર ચાલતા રહો.)
***
બંગાળ વિભાજનના સંદર્ભે જ કોલકતામાં આયોજિત પહેલી વિરોધસભાનું આપણા દેશના સ્વતંત્રતા આંદોલનના ઇતિહાસમાં વિશેષ મહત્ત્વ છે. સામ્રાજ્યવાદ વિરુદ્ધ જનઆંદોલનની એ શરૂઆત હતી. એ ઉપરાંત એ સભામાં એ સંકલ્પ પણ પસાર કરવામાં આવ્યો કે વિદેશી વસ્તુઓનો ત્યાગ કરીને સ્વદેશી વસ્તુઓનો સ્વીકાર કરવો. એ સભાનું આયોજન કોઈ રાજકીય પક્ષે કર્યું નહોતું. અંતરથી દુઃખી એવા રાષ્ટ્રભક્તોએ એનું આયોજન કર્યું હતું. એ જ એનું મહત્ત્વ હતું.
વાસ્તવમાં, એ સમયથી જ હું સ્વતંત્રતા આંદોલનનો મહામંત્ર બની ગઈ. સ્વદેશી સંકલ્પે ત્યારથી સ્વદેશી આંદોલનનું સ્વરૂપ ધારણ કર્યું. સ્વદેશી સંકલ્પ અને સ્વદેશી આંદોલન અમે બન્ને અશ્વિનીકુમારો જેવા અથવા લવ-કુશ જેવા હતા. અમે એક સાથે લડ્યા અને મેળવ્યું. આઝાદીના સંઘર્ષરૂપી રથનાં બે પૈડાં તરીકે અમે કામ કર્યું હતું. શાશ્વત વાત્સલ્યમયી માતૃભૂમિ પ્રત્યેની ભક્તિ જ મારે માટે મારો સ્રોત, સ્પંદન, સ્વપ્ન બધું જ છે. बाहुते तुमि मा शक्ति, हृदये तुमि मा भक्ति,’ એ જ અમારી વચ્ચેનો સંબંધ છે. સ્વદેશી મૂળે તો આધ્યાત્મિક, આર્થિક અને રાજકીય રામબાણ હતું.
ભારતવાસીઓનો વિશ્વાસ છે કે, ગંગા નદીની બે સિદ્ધિઓ છે. એક પાપનો નાશ કરવો અને બીજી પુણ્ય પ્રદાન કરવું. એ જ રીતે સ્વદેશીમાં પણ બે વાત હતી, વિદેશી વસ્તુઓનો બહિષ્કાર અને સ્વદેશી વસ્તુઓનો સ્વીકાર. આવેગવશ પહેલું તો સરળ છે, પરંતુ બીજું અમલમાં મૂકવા માટે કાર્યપદ્ધતિ હોવી જોઈએ. એને માટે ઉદાહરણ જોઈએ. બંગાળનું નેતૃત્વ ઉદાહરણ આપીને જ આગળ વધ્યું. સ્વદેશી સંકલ્પના પ્રણેતા કૃષ્ણકુમાર મિત્રે માતૃભંડાર નામથી દેશી કિટ તૈયાર કરી. ગલીગલીમાં એક લારીમાં એમણે સ્વદેશી વસ્તુઓનો વેપાર કર્યો. અવનીન્દ્ર બાબુએ ખુલ્લી ઘોડાગાડીમાં (વિક્ટોરિયા) સ્વદેશી વસ્તુ ભંડાર શરૂ કર્યો. ભગિની નિવેદિતા હાથગાડી લઈને ઘેર ઘેર ફર્યાં. એમના વિચાર પ્રમાણે વિદેશી વસ્તુઓનો ઉપયોગ કરવો એ ગૌહત્યા જેટલું મોટું પાપ છે. આંદોલનને ઘણું સમર્થન મળ્યું. હાથ બનાવટના કાપડને રેશમનું સ્થાન મળ્યું. બંગાળના આઠ જિલ્લાઓમાં ૧૯૦૪માં રૂા. ૭૭૦૦૦નાં સ્વદેશી કપડાં વેચાયાં હતાં. મુંબઈ તથા અમદાવાદમાં વીસથી પણ વધુ મિલો શરૂ કરવામાં આવી. દેશી બેંકોની સ્થાપના થઈ. લોકોએ જહાજોની પાંચ પરિવહન કંપનીઓ શરૂ કરી.
`માયેરવસ્ત્ર' (માતાનું વસ્ત્ર) શબ્દ બંગાળમાં અતિ પ્રચલિત બની ગયો. મહિલાઓએ એ આંદોલનમાં ઘણો રસ દર્શાવ્યો. માયેરવસ્ત્રની ગુણવત્તા તેઓ જાણતી હતી. દરેક આંદોલન વખતે નવા કવિઓનો ઉદય થવો સ્વાભાવિક છે. માયેરવસ્ત્ર વિશે ગીત લખવા માટે પણ એક રજનીકાંતનો ઉદય થયો.
`માતા પાસેથી મળનારું વસ્ત્ર, થોડું જાડું હોય, તો પણ પ્રણામ સાથે એને લઈ લો દુઃખ અને દીનતાથી પીડિત છે માતા એનાથી બારીક ન આપી શકીયો, બેટા...'
પગે ચાલતા વેપારીઓ સરસ રીતે એ ગીત ગાતા ઘેરઘેર ફરી રહ્યા હતા. લગભગ દરેક ઘરમાં ચરખાને સ્થાન મળ્યું. સ્વદેશીથી આગળ વધીને સ્વગૃહી અથવા સ્વદેહી વસ્ત્રો ધારણ કરવા લાગ્યા. રસોડામાંથી ચીની વાસણો જતાં રહ્યાં અને એને બદલે માટીનાં વાસણો આવ્યાં. ચીની નીકળી ગઈ અને ખાંડ આવી.
એક વાર સુરેંદ્રનાથ બેનર્જીના પૌત્રને એક સંબંધીએ ઊંચી જાતનાં મોંઘાં જૂતાં ભેટ આપ્યાં. આપનારને લાગ્યું કે, એટલી સરસ ભેટ મેળવીને એ આનંદવિભોર થઈ જશે. પરંતુ એણે શું કર્યું? એણે એ લઈને સળગાવી દીધાં અને પછી બળેલી દીવાસળીની જેમ એક ખૂણામાં ફેંકી દીધાં. એ વિશે પૂછતાં જવાબ મળ્યો, વિદેશી છે. તાવથી પીડિત બાળકોને દેશી દવાઓ આપવામાં આવી. શાળાઓમાં વિદ્યાર્થીઓ દેશી કાગળ માટે હઠ પકડી. ઉચ્ચ અધિકારીઓને એ માટે સંમત થવું પડ્યું. સ્વદેશી આંદોલનને ગુપ્ત રીતે મદદ કરવાના કારણસર મહાનંદ ગુપ્તને નોકરીમાં નીચેના સ્થાને ઉતારી દેવાયા હતા. એમનો પગાર ૧૨૦૦ રૂા.થી ઘટાડીને ૪૦૦ રૂા. કરી દેવામાં આવ્યો હતો. ડેપ્યુટી કલેક્ટરના પદેથી ઉતારીને એમને ડેપ્યુટી મેજિસ્ટ્રેટ બનાવી દેવાયા. એમાં એમને ખરાબ તો ઘણું લાગ્યું એમ છતાં એમણે અંદર રહીને જ બહારના લોકોની સહાયતા માટે નિષ્ઠાપૂર્વક કામ કરવાનું ચાલુ રાખ્યું.
બારિસાલના એક વેશ્યાઘરમાં એક પુરુષ વિદેશી દારૂ સાથે આવ્યો. વેશ્યાએ એ દારૂની બાટલી લઈ લીધી અને સીધા અશ્વિનીબાબુ પાસે આવીને કઠોર શબ્દોમાં ફરિયાદ કરી. આનકામા માણસની આ રીતે મારી પાસે આવવાની હિંમત કેવી રીતે થઈ? આ પણ એક પ્રકારનો નૈતિક વિરોધ જ હતો.
વેપારીઓએ વિદેશી વસ્તુઓ વેચવાનું બંધ કરી દીધું. એક દિવસ બારિસાલનો કલેક્ટર સાંજે બજારમાંથી નીકળ્યો. આખું શહેર ફરવા છતાં એને એની પસંદની કેટલીક વસ્તુઓ ન મળી. એણે એક દુકાનદારને પૂછ્યું, `શું બધી વસ્તુઓ ખલાસ થઈ ગઈ છે?' જવાબ મળ્યો, `ના, અશ્વિની બાબુએ વેચવાની ના પાડી છે. ક્યાં સુધી? એ કહે ત્યાં સુધી.' એ સાંભળીને કલેક્ટર સાહેબ પોતાની ગાડીમાં બેસીને ભાગી ગયા.
***
(ક્રમશઃ)