ચરણ છે. ગામેગામ જવાનું અને લોકોને જાગ્રત કરવાના, નિદ્રામાં પડેલા બંગાળને જગાડવાનું.' આદેશ મળતાં જ એમણે જાગરણ યજ્ઞ શરૂ કર્યો. એક ગીત `વિલાયતી કાચની બંગડીઓ વિશે હતું. વિલાયતી બંગડી પહેરીને હાથ કલંકિત ન કરશો, મિલનું કપડું પહેરીને હાથ કલંકિત ન કરશો. યાદ રહે... ગૃહલક્ષ્મી ધર્મલક્ષ્મી છે.'
બંગ નારી માટે એ આહ્વાન હતું. એની ઘણી અસર થઈ. શહેરની સ્ત્રીઓ જ નહીં તો સંથાલ આદિવાસીઓએ પણ એ વ્રતનો સ્વીકાર કર્યો. ધાર્મિક આચરણ જાણે સ્વદેશી સમાજની આદત બની ગઈ.'
***
દરેક પ્રદેશની વિશેષતા અને પૃષ્ઠભૂમિ અનુસાર સ્વદેશી આંદોલનનો સ્વીકાર થયો. લગભગ દરેક સ્થળે સ્વદેશી વસ્ત્રભંડાર શરૂ કરવામાં આવ્યા. હેતુ માત્ર વિદેશી વસ્તુઓને બજારમાંથી સમાપ્ત કરવાનો હતો. એ પરિવર્તન માનસિક હતું. તામિલનાડુ એ આંદોલનમાં ઘણું આગળ નીકળી ગયું હતું. એ યાદ કરતી વખતે મને ગર્વનો અનુભવ થાય છે કે, તામિલનાડૂના લોકોએ એક સ્વદેશી જહાજ કંપની શરૂ કરવાનું સાહસ દેખાડ્યું.
તમિલ લોકોની સાગરયાત્રા પ્રસિદ્ધ છે. ચોલ સામ્રાજ્યની સીમાનો એમણે મલેશિયા સુધી વિસ્તાર કર્યો. મલેશિયાની ભાષામાં પશ્ચિમ માટે વપરાતો શબ્દ- `ભારતમ્'. એ એનું પ્રમાણ છે. બર્મામાં આજે પણ ચેટ્ટિયાર સંઘ છે. જ્યારે ભારત અંગ્રેજોને અધીન થઈ ગયું ત્યારે પણ તમિલનાડુથી લોકો નોકરી તથા વેપાર માટે રંગૂન, પૈના, કોલાલંબૂર વગેરે સ્થાનોએ ગયા છે. તુતુકુડીથી કોલંબોમાં દૈનિક જહાજ પ્રવર્તન હતું. બ્રિટિશ જહાજ કંપનીઓએ વાસ્તવમાં લોકોનું ખૂબ શોષણ કર્યું હતું. મૂડીવાદની શક્તિનો ઉપયોગ કરીને એમણે પ્રવાસીઓનું શોષણ કર્યું. એ શોષણ સમાપ્ત કરવા માટે કોઈ ઉપાય શોધી કાઢવા માટે તુત્તુકુડીના ચિદંબરમ્ પિલ્લે વકીલે ઘણો વિચાર કર્યો. એમણે લોકો સામે પોતાનો આશય રજૂ કર્યો. એમણે કહ્યું, ભાઈઓ, જો આપણે સંગઠિત નહીં થઈએ તો અંગ્રેજ લોકો હજુ આગળ પણ આપણું શોષણ કરતા રહેશે. આપણા દેશનું ધન એ લોકો પોતાના દેશમાં લઈ જશે. આપણા માટે જીવવું મુશ્કેલ બની રહેશે. શું તમે જાણો છો કે બ્રિટિશ નેવિગેશન કંપની આપણું કેટલું અને કઈ કઈ રીતે શોષણ કરે છે? જહાજમાં જાનવરોની જેમ લોકોને ભરીને, પ્રાથમિક સુવિધાઓ પણ પૂરી પાડ્યા વગર મોટું ભાડું વસૂલ કરે છે. આ બંધ થવું જ જોઈએ. આપણી પાસે એટલી શક્તિ છે. તો આપણે આપણી જહાજ કંપની શા માટે શરૂ ન કરીએ? આ રાક્ષસોની જેમ લોહી પીવા માટે નહીં, મનુષ્યની જેમ મનુષ્યની સહાયતા કરવા માટે, એ રીતે તુત્તુકુડીમાં સ્વદેશી નેવિગેશન (વહાણવટું) કંપનીનો જન્મ થયો.
વેપારનો મર્મ સમજનારા અંગ્રેજોએ આ નવા ઊભા થયેલા પડકારને ઓળખી લીધો. એમણે સ્વદેશી કંપનીને હરાવવા માટે ઉપાય શોધી કાઢ્યો. તરત જ ભાડું ઓછું કરી નાખ્યું અને પ્રવાસીઓને થોડી સગવડ આપવાની પણ શરૂઆત કરી. પરંતુ જાગ્રત દેશવાસીઓ પાછા ન હઠ્યા. પછી અંગ્રેજોએ વધુ યુક્તિઓ કરવા માંડી. લાંચ અને અન્ય લાલચો આપીને એ દેશી કંપની માટે કામ કરતા લોકોને પોતાની બાજુએ કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ એનો કોઈ ફાયદો થયો નહીં. છેવટે એમણે જે જહાજ ચલાવ્યું એ તમિળ નામે પ્રસિદ્ધ થઈ ગયું. ચિદંબરમ્ પિલ્લે તથા સુબ્રહમણ્ય શિવાને પકડી લેવામાં આવ્યા. એમના માથે આરોપ શું હતો?
સ્વદેશી આંદોલનને પરિણામે જાગ્રત થઈ ગયેલા તિરુનેલવેલી તથા તુત્તુકુડીનાં વિદેશી કારખાનાંના શ્રમિકોએ શોષણના વિરોધમાં હડતાલ પાડી હતી. ૨૭ ફેબ્રુઆરી, ૧૯૦૮ને દિવસે થયેલી એ હડતાલમાં હજારો શ્રમિકોએ ભાગ લીધો. મજદૂર સંઘોની સ્થાપનાનાં અનેક વર્ષો પહેલાં એ ઘટના બની હતી. એ ઘટના પાછળ અંગ્રેજોને પિલ્લે તથા શિવાનો હાથ હોવાનું માની લીધું. એમની ધરપકડનું એ જ કારણ હતું.
ધરપકડના વિરોધમાં તૂત્તુકૂડી તથા તિરુનેલવેલીમાં હડતાલ પડી. વિદ્યાર્થી તથા દેશવાસીઓ બહાર નીકળી પડ્યા. પોલીસની વચ્ચે મેજિસ્ટ્રેટ કોકસ સાહેબને જોતાં જ એક યુવાને હાથ ઊંચો કરીને વંદે માતરમ્ કહ્યું. વંદે માતરમ્ સાંભળીને સાહેબ નારાજ થઈ ગયો. એમણે એ યુવકનો ચાબુકથી ફટકારવાનો આદેશ આપ્યો. સમાચાર વાયુવેગે પ્રસરી ગયા. ચારે તરફથી વિરોધના સ્વરો ઊઠ્યા. કોકસની સાથે કલેક્ટર રોબર્ટ વિલિયમ તથા ડેસ્ટકોર્ટ આષ બન્નેએ મળીને વિરોધ દબાવી દેવાનો ઘણો પ્રયત્ન કર્યો, સ્વદેશીવાળા લોકોને અનેક પ્રકારે હેરાન કર્યા, તમિળ જહાજ કંપનીને જ સાગરમાં ડુબાડી દીધી. પરંતુ તમિળ લોકો પરાજય લઈને નિષ્ક્રિય બેસનારા નહોતા. અન્યાય તથા અધાર્મિકતા વિરુદ્ધ લડવા માટે વૉચીશ્વર અય્યરે એક પદ્ધતિ તૈયાર કરી.
બ્રહ્મશ્રી વૉચીશ્વર ઐયર તિરુવિંતાંકૂર રિયાસતનો કર્મચારી હતો. કેરળના આજના પુનલૂરમાં એ રહેતો. એ જમાનામાં પુનલૂર જંગલ હતું. અંકોટાથી તૂત્તુકુડી સુધીનો પ્રદેશ એમને માટે હાથ પરની રેખાઓ જેટલો પરિચિત હતો. પુનલૂરના વકીલ વેંક્ટેશ અય્યર તથા ધર્મરાજ અય્યર એના ઘનિષ્ઠ મિત્રો હતા. એ ત્રણેએ મળીને એક સંઘની સ્થાપના કરવાનો નિર્ણય લીધો. એ અનુસાર તૂત્તુકૂડીને કેંદ્ર બનાવીને ભારતમાતા એસોસિયેશનની સ્થાપના કરવામાં આવી. એની શાખાઓ તેંકાશી, ચેંકોટા, પુનલૂર, ઓટ્ટપિડારમ્, તિરુનેલવેલી, ભારતીનો પ્રદેશ એટ્ટયપુરમ વગેરે સ્થાનોએ શરૂ કરી. એનું પ્રચાર સાહિત્ય પણ છાપવામાં આવ્યું હતું. સંઘમાં સભ્યપદ માટે શપથ લેવાની હતી. એ તેજસ્વી શપથના આરંભ અને અંતમાં મારું નામ હતું.
એસોસિયેશનનો એ દૃઢ વિશ્વાસ હતો કે ભારતની દુર્ગતિનું કારણ અંગ્રેજ રાજ્ય છે. સરકારી કર્મચારી હોવાને લીધે વૉચી અય્યરે એ માટેનાં પ્રમાણો માટે દસ્તાવેજો પણ પ્રસ્તુત કર્યા. ધર્મરાજ અય્યરે અંગ્રેજોને ખૂબ હેરાન કર્યા. નારાજ અંગ્રેજ રાજ્યકર્તાઓએ એ કારણસર જહાજચાલક તમિળને કેદ કર્યો. વૉચીએ એનો બદલો લેવાનો નિર્ણય કર્યો. પુત્તુશ્રોરી જઈને એણે શસ્ત્રો ભેગાં કર્યાં. બીજી તરફ કલેક્ટર આષને એસોસિયેશનને નામે આ પ્રમાણે પત્ર લખ્યો. `ભારતમાતા એસોસિયેશનના સભ્યોની હેસિયતથી અમે તમને ચેતવણી આપીએ છીએ કે સાર્વજનિક સંસ્થાઓની બાબતમાં હસ્તક્ષેપ ન કરશો. આ ચેતવણીની અવગણના કરીને જબરદસ્તી કરશો તો ધડ પર માથું નહીં રહે. આપના વિશ્વાસુ ભા.મા.એ.ના સભ્યો.' એ પત્ર ૧૨ ડિસેંબર ૧૯૧૦ના દિવસે લખાયો હતો.
છ મહિના વીતી ગયા. જૂન મહિનો આવ્યો. તમિલનાડુમાં ગરમીની ઋતુ હતી. પરંપરા અનુસાર કલેક્ટર આર્ષ સાહેબ કોડાઈકેનાલમાં આરામ કરવા માટે પહોંચી ગયા. ૧૭ જૂનના દિવસે તિરુનેલવેલીથી મણિયાસી જંક્શને ગાડીમાંથી ઊતર્યા. પછી કોડાઈકેનાલની ગાડીમાં બેસીને વાંચવાનું શરૂ કરી દીધું. એમનાં પત્ની પ્લેટફોર્મ પરની ચહલ-પહેલ જોઈ રહ્યાં હતાં. કલેક્ટર સાહેબ જે ડબામાં એકલા બેઠેલા હતા એ ડબામાં વૉચીએ પ્રવેશ કર્યો અને કલેક્ટરની છાતી પર પિસ્તોલ તાકીને ગોળી ચલાવી. ગાડીમાંથી ઊતરીને પ્લેટફોર્મની બીજી તરફ જતો રહ્યો અને પોતાના મોમાં પિસ્તોલ રાખીને ગોળી છોડી. આ બાજુ આષ અને એ બાજુ વૉચી બન્ને મૃત્યુ પામ્યા. મુકદ્દમો ચાલે એ પહેલાં જ વ્યંકટેશ અય્યરે ગળું કાપીને તથા ધર્મરાજે વિષ પીને વૉચીનો રસ્તો પકડ્યો. સાવરકરે જે કહ્યું હતું, એ મેં એ દિવસે યાદ કર્યું, સ્વતંત્રતાનું મૂલ્ય ધગધગતું લોહી છે.
મારી સાથે નિકટ સંબંધ ધરાવતા સ્વદેશી આંદોલન વિશે મેં થોડી વાતો રજૂ કરી. સ્વદેશી આંદોલનનાં એ પાયાના માળખાં પર વર્ષો પછી ગાંધીજીએ સ્વદેશી આંદોલનનું બહુમાળી ભવન ચણાવ્યું. પરંતુ આજની પેઢી શું જૂની વાતો યાદ કરે છે ખરી? નર્મદામાં ભૃગુકચ્છમાં બેસીને શ્રાદ્ધ કરનારા, અંકલેશ્વરમાં ડૂબકી લગાવીને પવિત્ર થનારા, ભેડા ઘાટમાં આનંદયાત્રા કરનારાઓ નર્મદાના મૂળ સ્રોત એવા વિંધ્યાચળના શિખર અમરકંટકનો યાદ કરે છે ખરા?
***
એ જમાનાની પ્રજા, ન્યાયાલય, સરકાર તથા મારા સાથીઓએ સમય જતાં `વંદે માતરમ્ વિચારણા' શબ્દનો પ્રચાર પ્રસાર કર્યો હતો. એ પછી રાજ્યની નોંધોમાં, ગુપ્ત દસ્તાવેજોમાં તથા ભારતીય નિયમ સંહિતાની અહેવાલ પુસ્તિકાઓમાં એ જ સ્વરૂપે લખાયું. મારી લાંબી જીવનયાત્રામાં મેં ખાટામીઠા અનેક અનુભવો મેળવ્યા. મારે માટે આ ઘટના એટલી મહત્ત્વની નથી. બંગાળ વિભાજનના ક્રમમાં જ દેશ અને જનતાની માગણીને અનુરૂપ મારે અનેક રૂપો ધારણ કરવાં પડ્યાં હતાં, જેમાં એક સ્વરૂપ સમાચારપત્રનું પણ હતું. સમાચારપત્રના સ્વરૂપે મને અદાલતમાં પહોંચાડી. પછી મારું મોં બંધ કરીને અંધકારમય પાતાળમાં ધકેલી દીધી. પરંતુ ત્યાં પણ હું છાની ન રહી. જનતાના કલ્યાણ માટે સદૈવ સમર્પિત પાતાલસ્થ મહાબલિએ મને ત્યાં પ્રેરણા આપી.
ઉપર કહી એ `વંદે માતરમ્'ની કથા તાજી હતી. એની કેટલીક વિશેષતાઓ પણ હતી. અનેક સ્તર પણ રહેતાં હતાં. અદાલતમાં એની વિચારણા અદાલતમાં ફટાકડા ફૂટવા જેવી હતી. એક પછી બીજો અને બીજા પછી ત્રીજો, એ રીતે વિચારણા અનેક સ્તરોમાં આગળ વધી.
બંગાળ વિભાજનના વિરોધમાં પહેલી વિરોધ સભા ૭ ઑગસ્ટ ૧૯૦૫ના દિવસે થઈ. એ પછી બરાબર એક વર્ષ બાદ ૬ ઑગસ્ટ, ૧૯૦૬ના દિવસે એક બીજ સમાચારપત્ર બની ગયું. મારા નામે રાષ્ટ્રવાદીઓએ એક સમાચારપત્ર શરૂ કર્યું. એ રીતે ગીત ઉપરાંત હું સમાચારપત્ર પણ બની ગઈ. એના સંપાદક હતા બિપિનચંદ્ર પાલ. નિઃસ્વાર્થ, રાષ્ટ્રપ્રેમી, તથા ઉદારવાદી હરિદાસ હલધરે એના ખર્ચ પેટે સૌથી પહેલાં ૫૦૦ રૂપિયા દાન તરીકે આપ્યા. એ પૈસાનું આજનું મૂલ્ય કેટલું હશે? હિસાબ તમે જ કરજો. એ પછી ધન એકત્ર કરવાની જવાબદારી સુબોધચંદ્ર મલિકે માથે લીધી. અંગ્રેજ પત્ર વંદે માતરમ્નું શીર્ષક વાક્ય કે બોધવાક્ય હતું. `India for Indians' (ભારત ભારતીયો માટે) આછા લીલા રંગનાં પાનાં તથા ભૂલ વગરનું સુંદર છાપકામ હતું. તેનું થોડા જ સમયમાં મેં બધાને આકર્ષિત કરી દીધા. મને તૈયાર કરવા માટે પડદા પાછળ શ્યામસુંદર ચક્રવર્તી, હેમેંદ્રપ્રસાદ, વિજયચંદ્ર ચટ્ટોપાધ્યાય જેવી મહાન વ્યક્તિઓએ કામ કર્યું હતું. સંધ્યાના સંપાદક બ્રહ્મબાંધવ ઉપાધ્યાયે પણ મારે માટે કામ કર્યું હતું. બહાર પડતાં જ સરકારની વક્ર દૃષ્ટિ મારા પર પડી. સરકાર દ્વારા મને કપટી ક્રાંતિકારી કહેવામાં આવી. ચાર મહિના પછી ડિસેમ્બરમાં બિપિનબાબુએ કામની વ્યસ્તતાને કારણે સંપાદક તરીકેની જવાબદારી અરવિંદ ઘોષને સોંપી દીધી. એ કારણે તો સરકાર વધુ જાગ્રત થઈ ગઈ. એને માટે એક કારણ પણ હતું. એ એક ઇતિહાસ છે.
નવો શબ્દ સ્વરાજ પ્રકટ થયો હતો એવા જમાનામાં મુખ્યત્વે ચાર પ્રકારનાં સમાચારપત્રો પ્રચલિત હતાં. રાજ્યકર્તાઓનું સમર્થન કરનારાં સમાચારપત્રો, ધર્માંતરણને પ્રામુખ્ય આપનાર મિશનરી સમાચારપત્ર, કોઈ પ્રતિબદ્ધતા વગરનું વાણિજ્ય સમાચારપત્ર અને છેલ્લે સ્વરાજ્ય પ્રાપ્ત થવા માટે ધ્યેયનિષ્ઠા સાથે કાર્યરત રાષ્ટ્રીય સમાચારપત્રો. એમાંથી પહેલા ત્રણને સરકારી મદદ મળતી હતી. અંતિમ વિભાગનાં સમાચારપત્રોને પ્રવાહથી વિરુદ્ધ દિશામાં તરવાનું હતું. પરંતુ જનમાનસમાં એમને સ્થાન મળ્યું હતું. એના નાયકો બુદ્ધિજીવી હતા. તેઓ સમકાલીન નિયમો વગેરે બધું જ જાણતા હતા.
***
(ક્રમશઃ)