પ્રકરણ – ૧૯ । એ સાથે જ `વંદે માતરમ્'ની જવાબદારી ભગિની નિવેદિતાએ લીધી

07 Jun 2025 19:34:42

Vande Mataram novel gujarati prakaran 19
અદાલતમાં વંદે માતરમ્ની સુનાવણી ચાલુ હતી. બિપિનચંદ્ર પાલે જુબાની આપવાની ના પાડી દીધી તો હવે કોણ આગળ આવશે? એટલે સરકારી પક્ષ આગળ વધી શક્યો નહીં. સમાચાર પત્રોમાં છપાયેલા લેખો માટે અરવિંદબાબુને અદાલત આરોપી સાબિત કરી શકી નહીં. સૂર્યપ્રકાશ પણ ન મળ્યા. સંપાદક સૂર્યપ્રકાશને કોર્ટમાં હાજર કરી શકાયા નહીં. અપૂર્વ બોઝે કોર્ટને કહ્યું કે, `પ્રેસનો માલિક હું છું, પરંતુ કંપોઝિંગ કરનારો હું નથી. હું અંગ્રેજી જાણતો નથી. સૂર્યપ્રકાશ મેટર મોકલે છે એટલું જ હું જાણું છું. મેં એને જોયો પણ નથી. હિસાબ યોગ્ય સમયે બરાબર કરે છે. એટલે એને મળવાની જરૂર પણ નથી પડી. અને મારી ટેવ મુજબ એને મળવાની મને ઇચ્છા પણ થઈ નથી.'
 
કંપોઝિંગ કરનારા નોકરે પણ લગભગ આવો જ જવાબ આપ્યો. બિપિનબાબુ તથા અરવિંદબાબુની યોજના સમક્ષ અદાલત ઘૂંટણિયે પડી ગઈ. કેસ છોડી દેવો પડ્યો.
 
અરવિંદબાબુ સમજી ગયા કે અત્યારની જીત તાત્કાલિક છે. નવ મહિના પછી ફરીથી એમની ધરપકડ થઈ. અલીપુર બૉમ્બ કેસમાં એમને અપરાધી બનાવીને મુકદ્દમો ચલાવવામાં આવ્યો, પરંતુ છેવટે નિર્દોષ સાબિત થઈને એમને છોડી દેવામાં આવ્યા. એ પછી તેઓ દક્ષિણ ભારતની ફ્રાંસની વસાહત પોંડિચેરી ચાલ્યા ગયા. એ સાથે જ વંદે માતરમ્ની જવાબદારી ભગિની નિવેદિતાએ લીધી. પરંતુ એક સમાચારપત્ર તરીકે મારી મુશ્કેલીઓ ઓછી ન થઈ. સરકાર મોકો જ શોધતી હતી. ભગિની તથા એમના સાથીઓએ એવો કોઈ મોકો આપ્યા વગર લખવાનું શરૂ કર્યું. વધુ સમય ન થયો. આંતરિક સમસ્યાઓ સપાટી પર આવી. લખવા માટે લોકો ઘણા હતા, પરંતુ છાપનારું કોઈ નહોતું. બધાં છાપખાનાં સરકારે બંધક બનાવેલાં હતાં.
 
સમાચારપત્રનું પ્રકટ રીતે વિતરણ પણ અશક્ય બની ગયું, સાહસનું કામ બની ગયું. સમસ્યાઓ એક પછી એક આવતી જ રહી. છેવટે આગળ વધી જ ન શકાય એવી સ્થિતિ આવી ગઈ. ત્યારે બધાંએ મળીને નિર્ણય લઈ લીધો કે, નિરાશ થઈને મરવા કરતાં સારી લડત આપીને મરવું સારું. સામાન્ય મૃત્યુ કરતાં વીરમૃત્યુ વધુ સારું. સરકારને ક્રોધિત કરીને વિરોધને આમંત્રણ આપવાનું નક્કી થયું.
 
એ યોજના અંતર્ગત વિજય ચટ્ટોપાધ્યાયે મારા વિશે લખ્યું કે, `વંદે માતરમ્ આઝાદીનું મંત્રગાન કરીને શાસનનાં કેંદ્રોને ક્રોધિત કર્યાં છે. વંદેમાતરમ્ ઈશ્વરી મંત્ર છે. રાજકીય, સામાજિક, આર્થિક ક્રાંતિ દ્વારા અભિવ્યક્તિ માટે તૈયાર થઈ ગયેલી ભારતમાતાનું એ સ્પંદન છે. માતાએ માધ્યમ તરીકે અમારી પસંદગી કરી છે. છાપવાનાં યંત્રોમાં પ્રવેશ કરીને અમે જનમાનસમાં વ્યાપી ગયા છીએ. જનતાની વચ્ચે જતાં પહેલાં જ માતાએ કાર્યયોજના શરૂ કરી દીધી હતી.
 
આવનારા દિવસોમાં આ લીલો કાગળ દેશવાસીઓ પાસે પહોંચે કે ન પહોંચે, પરંતુ એક વાત સ્પષ્ટ છે, એણે એમને સાચી પ્રેરણા આપી છે. હા, શસ્યશ્યામલા, શુભ્રજ્યોત્સ્ના, તમારા પ્રત્યેક કણને ભાવાવેગથી સ્વીકારીને આગળ વધીશું. ભારતરૂપી સૂર્યના તાપથી, એમનું લોહી ઊકળી ઊઠશે. અમને ગમે તે થાય એની અમને પરવા નથી.'
 
બીજી તરફ રાક્ષસી રાજ્ય વધુ કઠોર બન્યું. એકે પક્ષ સમજૂતી કરવા માટે તૈયાર નહોતો. કોઈ પણ પરિણામ આવે એને સહેવા માટે તૈયાર થઈને ફરી છાપવાનું શરૂ કર્યું. નવા કાર્યકર્તાઓ મળવા, ઉદ્દેશ સાથેનો સફળ પ્રચાર આજની સ્થિતિમાં અત્યંત ત્રાસદાયક છે. પરંતુ ધ્યેયનિષ્ઠાથી યુક્ત પ્રેરણા પેદા કરવા જેવા સેંકડો ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકા અને જાપાન છે. એમની વચ્ચે કામ કરવા માટે, કુશળ કાર્યકર્તાઓ મોકલવાના છે. પાક તો તૈયાર ઊભો છે, જરૂર છે એને લણી લેનારાની, ભારતમાં કદાચ સરકાર તમને રોકવામાં સફળ રહે પરંતુ સાગરપારના ભારતીયો વચ્ચે કાર્યરત થવાની ઘણી શક્યતા છે.
 
વધુ સમય ન ગયો. જેની રાહ જોવાતી હતી એ થઈને જ રહ્યું. સમાચારપત્રને સ્વરૂપે ભારતમાં મારા અવતારનો અંત થઈ ગયો. મારા પર પ્રતિબંધ મુકાયો. ૨૬ ઑક્ટોબર, ૧૯૦૮ના દિવસે મારું સ્થાનક `સીલ' થયું. એક વસ્તુ પણ બચી નહીં, બધું જ જપ્ત કરી લેવાયું. છેવટનું જે કહ્યું હતું એ જ સાચું પડ્યું. મથુરા છોડીને વાસુદેવે જે રીતે દ્વારકામાં કાર્ય કર્યું એ જ રીતે સમાચારપત્ર અહીંથી નીકળીને યૂરોપમાં પ્રકટ થયું. એના નેતા હતા શ્યામજીકૃષ્ણ વર્મા. મારી સમુદ્રલંઘન કથામાં એ વિશે કહેવામાં આવ્યું છે. એકંદરે સમાચારપત્ર સ્વરૂપે પોણા બે વર્ષ ચાલેલા મારા જીવનઅધ્યાયનો અંત થઈ ગયો. જેણે મરવાનું શીખી લીધું છે એને જ જીવવાનો અધિકાર છે. એ ક્રાંતિકારી સત્યને મેં સાર્થક કરી દીધું.
 
***
 
એ પછી અમે સુશીલ પાસે ગયા. ભણવામાં તેજસ્વી અને હોંશિયાર સુશીલે વિજ્ઞાનના અભ્યાસમાં રુચિ દર્શાવી. રસાયણ વિજ્ઞાનમાં એણે વિભાગાધ્યાક્ષને પણ આશ્ચર્યમાં મૂકી દીધા. બધા અધ્યાપકોએ એની પ્રશંસા કરી. વર્ગની બહાર સુશીલ અનુશાસન સમિતિનો અધ્યક્ષ હતો. અડધી રાતે એ પોતાની યોજનામાં વ્યસ્ત હતો. રસાયણ અને અનુશીલન ભેગા આવવાને કારણે સુશીલ બોંબ બનાવવામાં પ્રવીણ થઈ ગયો. એમાં એણે સંશોધન પણ કર્યું. એણે એક પુસ્તક બોંબ બનાવ્યો. એને સરસ પૅકિંગ કરીને એક દૂત સાથે કિંગ્સફોર્ડના ગાર્ડન રીચ હાઉસમાં મોકલવામાં આવ્યો. સૂચના અનુસાર દૂતે નોકરને બોલાવીને પુસ્તક બોંબ એના હાથમાં આપ્યો અને કહ્યું કે સીધું સાહેબને જ આપવાનું છે, એક મિત્રે એ વાંચવા માટે મોકલાવ્યું છે. એ દિવસે સાંજે સુશીલ તાજા સમાચારની રાહ જોતો હતો. પરંતુ પરિણામ ન દેખાયું. મામલો નિષ્ફળ રહ્યો કે શું એવી શંકા પણ એણે બોલી બતાવી.
 
વાત એમ બની કે નોકરે એ `પુસ્તક બોંબ' સાહેબના કબાટમાં અન્ય પુસ્તકો સાથે મૂક્યો. સાહેબને કહેવાનું એ ભૂલી ગયો. દિવસો વીત્યા. છ મહિના પછી એક દિવસ કબાટ સાફ કરતી વખતે એ પેકેટ નજરે ચઢ્યું. દોરીથી બાંધેલું પૅકેટ ખોલીને જોયું, દુર્ઘટના ન બની. ઈશ્વરનો આભાર માનીને કિંગ્સફોર્ડે નિઃશ્વાસ છોડ્યો. એ પુસ્તક ૧૨૦૦ પાનાંનું હતું. એમાંથી ૬૦૦ પાનાં કાઢી નાખીને એની જગ્યાએ એક ડબામાં પ્રિકિઝ ઍસિડ, મરક્યુરી તથા અન્ય સ્ફોટક પદાર્થો મૂક્યા હતા. એ બધું ભેગું કરીને વિસ્ફોટ કરવા માટે સહાયક તરીકે એક સ્પ્રિંગ પણ રાખી હતી. પુસ્તકને બાંધેલી દોરથી દબાવીને સ્પ્રિંગ બેસાડવામાં આવી હતી. દોરી ટૂટી ગયા પછી સ્પ્રિંગને કારણે વિસ્ફોટ થાય એમ હતું. ક્રાંતિકારી સુશીલની વૈજ્ઞાનિક દૃષ્ટિ તથા મિકેનિઝમ (તાંત્રિકતા) વચ્ચે સમયે અવરોધ ઊભો કર્યો. વિસ્ફોટક પદાર્થો નકામા થયા નહોતા, પરંતુ છ મહિનાના સમયગાળામાં લોખંડની સ્પ્રિંગ કાટ લાગવાને કારણે નકામી થઈ ગઈ હતી. વાસ્તવમાં કિંગ્સફોર્ડ ખરેખર બચી ગયા. માનસિક રીતે તેઓ અવશ્ય ભયભીત થઈ ગયા હતા. મૃત્યુનો ભય એમને હંમેશાં સતાવતો રહ્યો. એણે પોતાની બદલી કરી આપવા માટે ઉચ્ચ અધિકારીઓને વિનંતિ કરી. એમની સુરક્ષા એટલે સરકારના માન અને કાર્યકુશળતાની કસોટી હતી. કોલકતાના ચીફ પ્રેસિડેંસી મેજિસ્ટ્રેટ રહેલા કિંગ્સફોર્ડને ૨૮ માર્ચ, ૧૯૦૮ના દિવસે મુઝફફરપુર જિલ્લા સેશન્સ જજ તરીકે બદલી આપવામાં આવી.
 
ખાટલો બદલવાથી યમરાજથી બચી શકાય ખરું ?
 
***
 
કોલકતાથી ૬૦૦ કિ.મી. દૂર ઉત્તરપશ્ચિમ દિશામાં મુજફ્ફરપુર વસેલું છે. સરકારની ચોક્કસ ધારણા હતી કે કોલકતાની રાજકીય પ્રવૃત્તિઓથી એ દૂરનું શહેર મુક્ત છે. એ વિશ્વાસ નવા સેશન્સ ન્યાયાધીશને પણ થયો. ઇંદ્રના સિંહાસનના આશ્રયે રહેલા તક્ષકની જેમ એમણે પોતાનું કામ શરૂ કરી દીધું. પરંતુ સ્વતંત્રતા યજ્ઞના યજમાન બનેલા જનમેજયો માટે મુજફ્ફરપુર પહોંચની બહાર નહોતું. અરવિંદ ઘોષના ભાઈ બારિન્દ્ર ઘોષ તથા અન્ય આંદોલનકારીઓએ કિંગ્સફોર્ડને સારી રીતે જોઈ લેવાનો નિર્ણય કર્યો. એ માટે બે હોંશિયાર કિશોરોની પસંદગી કરવામાં આવી. યજ્ઞભંગ કરનારા અસુરોના અંત માટે બાણ ચલાવનારા રામ-લક્ષ્મણ, ચાણર અને મુષ્ટિકનો અંત કરનારા કૃષ્ણ અને બલરામ, ચૌદ વર્ષની વયે જહાંગીરનો વિરોધ કરનારો બહાદુર બાળક, પંદર વર્ષની ઉંમરે તોરણા કિલ્લા પર કબજો મેળવનારા શિવા, વગેરેનો ઉજ્જ્વલ ઇતિહાસ એ કિશોરે આ નેતાઓ પાસેથી સાંભળ્યો હતો. એમાંથી તેઓ પ્રેરણા મેળવી રહ્યા હતા. આત્મવિશ્વાસ સાથે પોતાને સોંપાયેલી જવાબદારી પાર પાડવાનો દૃઢ નિશ્ચય કરીને તેઓ આગળ વધ્યા.
 
કિંગ્સફોર્ડ મુઝફફરપુર પહોંચ્યા એના એક મહિના પછી દિનેશચંદ્ર રાય અને ખુદીરામ બોઝ મુઝફ્ફરપુર પહોંચ્યા. તેઓ એક ધર્મશાળામાં રહેતા હતા. આખું શહેર તેઓ ફરી વળ્યા અને સાહેબના ઘર તથા વાતાવરણનો પૂરો અભ્યાસ કરી લીધો. સાહેબની દિનચર્યા પણ જાણી લીધી. એમની મુશ્કેલી એક જ હતી કે, સાહેબ અદાલત અને ક્લબ સિવાય ક્યાંય જતો નહોતો. એમ છતાં તેઓ નિરાશ ન થયા. તકની રાહ જોતા રહ્યા.
 
એક દિવસ, એટલે જ ૩૦ એપ્રિલના દિવસે કિંગ્સફોર્ડ બંગલાની નજીક આવેલી ક્લબમાં રમવા માટે ગયો હતો. એના પાછા ફરવાની રાહ જોતા ક્રાંતિકારી યુવકો બગીચામાં વૃક્ષોની આડશમાં સંતાઈ ગયા. સાહેબ એ દિવસે વધુ સમય રમ્યા. રાતના ૮-૩૦ વાગ્યા. એમ છતાં એ બહાર નીકળ્યો નહીં. એ જ વખતે ઘોડાગાડીનો અવાજ સંભળાયો. પહેલી ઘોડાગાડી બંગલાના ફાટક પાસે ઊભી રહી ત્યારે બન્ને કિશોરો વાઘની જેમ કૂદી પડ્યા. ખુદીરામે સાથે લાવેલો બોંબ ઘોડાગાડીની અંદર ઝીંકી દીધો. લોહીથી લથપથ બે લાશ જોવા મળી, બન્ને મહિલાઓ હતી. એ ગાડીમાં કેન્નડીમા તથા એમની પુત્રી હતાં. બન્ને મૃત્યુ પામ્યાં. સાહેબ બીજી ગાડીમાં આવ્યો. પોતાના નિયત દૈનિક કાર્યક્રમથી વિપરીત એણે એમ કર્યું હતું. પાછળ આવનારી ગાડીમાં બેઠેલા સાહેબે વિસ્ફોટની ચહલપહલમાં અંધારાનો લાભ લઈને ભાગી જઈને પોતાની જાત બચાવી.
 
ઘટનાની જાણ થતાં જ તરત જ પોલીસ અને સૈનિકો દોડી આવ્યા. અપરાધીને પકડવા માટે ખૂબ મહેનત કરી. બધાં પોલીસ થાણાંઓને માહિતગાર કરાયાં. બચીને નાસી જવાના બધા માર્ગો બંધ કરી દેવાયા. સરકારે રડાર જેવી કાર્યવાહી કરી. દરેક રેલ્વે સ્ટેશન પર લોકોની પૂછપરછ કરવામાં આવી. પોતાનું કામ પતાવીને રાય અને બોઝ ધર્મશાળામાં પાછા આવી ગયા. બન્નેએ ત્યાંથી અલગ માર્ગે જવાનું નક્કી કર્યું. યુદ્ધમાં બધું જ યોજનાબદ્ધ રીતે થતું નથી. અહીં પણ એમ જ થયું. ઝડપથી દોડવા માટે બન્નેએ પોતાના બૂટ કાઢેલા હતા. દોડતી વખતે એ સાથે લેવાનું ભૂલી ગયા. પોલીસ માટે એ એક મહત્ત્વનો પુરાવો હતો. બૂટ વગર ચાલનારા તથા શહેરમાં નવા આવેલા લોકોનું નિરીક્ષણ કરવાનો આદેશ આપવામાં આવ્યો.
 
દિનેશચંદ્ર રાય ૧ મેના દિવસે ૫૦ કિ.મી. દૂર આવેલા સમસ્તીપુર રેલ્વે સ્ટેશને પહોંચી ગયા હતા. નવા પોશાકમાં, નવાં લગ્ન થયાં હોય એવા યુવકની જેમ બીજી વર્ગની ટિકિટ લઈને તેઓ ગાડીમાં બેઠા. ટિકિટ ૬૦ કિ.મી. દૂર આવેલા મેકાખાની હતી. એ પ્રવાસી પર સબ ઇન્સ્પેેક્ટર નંદલાલ બંદોપાધ્યાયની નજર પડી. એમણે પોતાની શંકા દર્શાવતો તાર મોકલ્યો. જ્યારે ગાડી મોકામા પહોંચી ત્યારે સ્ટેશન માસ્તરે એમને મળેલો તાર સબ ઇન્સ્પેક્ટરને આપ્યો. એમાં લખ્યું હતું કે, જેના પર શંકા છે એની તરત જ ધરપકડ કરશો. એમની મદદ કરવા માટે પ્લેટફોર્મ પર બે કોન્સ્ટેબલ પણ પહોંચવાના હતા. ત્રણે જણાએ મળીને ગાડીમાંથી ઊતરેલા દિનેશચંદ્ર રાયને પકડ્યા. ત્યારે દિનેશ એમની પકડમાંથી છૂટીને નાઠો અને બૂમ પાડીને કહ્યું, તું એક બંગાળી છે ને? મારો દેશવાસી જ મને પકડવા માટે આવ્યો છે. શું તને શરમ નથી આવતી? અને એમ બોલતા બોલતા પોતાને બચાવવા દોડતો જ રહ્યો. પોલીસે પીછો કર્યો. પ્લેટફોર્મને બીજે છેડે એમનો રસ્તો બંધ થઈ ગયો. ત્યારે એણે ગોળી છોડી. પોલીસવાળા સહેજમાં બચી ગયા. એ પછી દિનેશે પોતાની ગરદન પર તાકીને ગોળી ચલાવી. એક ગોળી ગરદન ચીરીને અંદર ઘૂસી ગઈ. દિનેશ પોલીસની પકડમાં આવતા પહેલાં યમલોક પહોંચી ગયો.
 
***
 
(ક્રમશઃ)
Powered By Sangraha 9.0