જ્યારે કોઈની તરફ એક આંગળી ચિંધવામાં આવે ત્યારે ત્રણ આંગળી ચિંધનાર તરફ હોય છે

07 Jun 2025 11:54:00

indian judiciary system gujarati
 
 
કાયદા ઘડનારી સંસ્થા (લેજીસ્લેચર), કાયદાનો અમલ કરાવનારી સંસ્થા (એક્ઝિક્યુટિવ) અને વ્યક્તિ/સમાજના સંદર્ભમાં એ બંનેનું અર્થઘટન કરનાર ન્યાયપાલિકા (જ્યુડિશિયરી), આ ત્રણેયને પોતપોતાની સંવૈધાનિક મર્યાદાઓ છે. આ મર્યાદાઓનું સમ્યક્ પાલન થાય અને ત્રણેય વચ્ચેનું સંતુલન જળવાયેલું રહે તો લોકતંત્ર ઉજળું જ રહેવાનું. આ ત્રણેયનાં ધ્યેયવાક્યો જોઈએ તો તેમાં પ્રત્યક્ષ-અપ્રત્યક્ષપણે ધર્મ (રાષ્ટ્રધર્મ) સર્વસામાન્ય છે.. સર્વત્ર છે.. ઉદા. સર્વોચ્ચ ન્યાયાલયનું ધ્યેયવાક્ય છે : यतो धर्म: ततो जय (જ્યાં ધર્મ ત્યાં વિજય). વિજ્ઞાન અનુસાર કોઈ પણ સમતલનું અસ્તિત્વ ઓછામાં ઓછાં ત્રણ બિંદુઓના પારસ્પરિક જોડાણ વિના ક્યારેય શક્ય જ નથી.
 
રાષ્ટ્ર પર આપાતકાલ (કટોકટી) લાદી દેવામાં આવ્યો તેના પચાસ વર્ષ પછીનો આ જૂન માસ ઈંદિરા ગાંધીના ક્રૂર પંજાનું સ્મરણ કરાવે છે, જે ક્રૂર પંજાએ દેશ આખાને લોહીલુહાણ કરી દીધેલો. કાયદા ઘડનારી સંસ્થા (લેજીસ્લેચર) બેફામ બની. સંવિધાન સાથે ચેડાં થયાં. મનઘડંત કાયદાઓથી દેશ આખો એક કારાગૃહ (જેલ) બન્યો. લોકતંત્રએ ખતરાની ઘંટડી વગાડી. જન-જન આંદોલિત થયું. કાળકોટડીમાં બંઘ રાષ્ટ્રચેતના પ્રખર બની. પુનઃ ભારતનો ભાગ્યોદય થયો.
 
અગાઉ કરતાં આજે પરિસ્થિતિ સાવ વિપરીત જણાઈ રહી છે. આજે મુખ્ય ન્યાયાધીશને શપથ લેવડાવનાર મહામહિમ રાષ્ટ્રપતિ મહોદયાએ ખુદ ન્યાયપાલિકા (જ્યુડિશિયરી)ને પ્રશ્નોના ઉત્તર માંગતો પત્ર પાઠવવો પડી રહ્યો છે. પ્રશ્નો છે; એનો અર્થ કે મૂળભૂત રીતે વિવાદ છે જ. આ પ્રશ્નો-વિવાદ ઉપસ્થિત થવાના કારણમાં સર્વોચ્ચ ન્યાયાલયે ચાતરેલો ચીલો, જે હાલમાં વિવાદરૂપે આગળ વધી રહ્યો છે. હા, આના કારણે ચર્ચાના કેન્દ્રમાં ન્યાયપાલિકા (જ્યુડિશિયરી)નું સર્વોચ્ચ શિખર- `સર્વોચ્ચ ન્યાયાલય' આવ્યું છે. આ સ્થિતિ દુઃખદાયક છે. કાયદાવિદ એવા આ ઉપ રાષ્ટ્રપતિ શ્રી ધનખડે પણ પોતાની ન્યાયપાલિકા પરના ભરોસા અંગેની વ્યથાને ખૂલીને વાચા આપવી પડી છે.
 
કાયદો ઘડનારી સંસ્થા (લેજીસ્લેચર)ના અસ્તિત્વમાં રાષ્ટ્રનો પ્રત્યેક નાગરિક રહેલો છે. આખું રાષ્ટ્ર મળીને લોકતાંત્રિક રીતે લોકસભાનું ગઠન કરે છે. જ્યારે સર્વોચ્ચ ન્યાયાલયના અસ્તિત્વમાં જૂજ લોકોની કૉલેજિયમ નામક યંત્રણા ભૂમિકા ભજવે છે. સ્થાનિક ન્યાયાલયો, બધાં રાજ્યોનાં વડાં ન્યાયાલયો અને બધાંથી ઉંચું એક રાષ્ટ્ર સ્તરનું ન્યાયાલય એટલે આપણું સર્વોચ્ચ ન્યાયાલય. આપણે સૌ ઈશ્વરને પ્રાર્થના કરતાં હોઈએ છીએ કે, જીવનમાં ક્યારેય કોર્ટનાં પગથિયાં ચઢવાનો વારો ન આવે! આવું કેમ? ખબર નથી. ખરેખર તો દેશના માનસશાસ્ત્રીઓએ, સમાજશાસ્ત્રીઓએ, ન્યાયવિદોએ અને સંવિધાનવિદોએ અભ્યાસ કરવા જેવો આ મુદ્દો છે. ઊંડા આત્મચિંતનની આવશ્યકતા છે. `લૉર્ડ'થી સંબોધાવાથી શ્રેષ્ઠ વિદ્વાનો માણસ થોડા મટી જાય છે?! જસ્ટિસ યશવંત વર્માના ઘરે આગ ન લાગી હોત અને બળેલી નોટોની થપ્પીઓ મીડિયાના ધ્યાન પર ન આવી હોત તો?
 
૨૯ મે, ૨૦૨૫ના દિવ્ય ભાસ્કરમાં વાંચ્યું કે,
 
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ પી.વી. સંજય કુમારે બુધવારે એક કેસની સુનાવણી દરમિયાન એક વકીલને કડક સલાહ આપી હતી. તેમણે કહ્યું કે, અમને આટલું બધું સત્ય ના કહો, અમારો અહંકાર ખૂબ જ નાજુક છે. આ ટિપ્પણી ત્યારે આવી જ્યારે એક જુનિયર વકીલે કોર્ટને કહ્યું કે, તેમના સિનિયર હાલમાં હાઇકોર્ટમાં દલીલ કરવામાં વ્યસ્ત છે, તેથી તેમને પાસ ઓવર આપવો જોઈએ. જસ્ટિસ સંજય કુમારે કહ્યું, તમારે આટલા પ્રમાણિક ન બનવું જોઈએ. આ શીખો કે સુપ્રીમ કોર્ટમાં ક્યારેય એવું ન કહો કે તમારા સિનિયર હાઇકોર્ટમાં છે. જો તમે તેને ઠેસ પહોંચાડશો તો યોગ્યતાના આધારે નહીં; કેસ આ કારણોસર રદ કરવામાં આવશે.
 
જસ્ટિસ સંજય કુમારે એમ પણ કહ્યું કે નાનાં-મોટાં સફેદ જૂઠ સ્વીકાર્ય છે.
 
(છાપાના આ સમાચાર વાંચીને સામાન્ય વ્યક્તિ શું બોધપાઠ લેવાનો? ચિંતન-મનન-મંથન આવશ્યક છે.)
 
આ સોશિયલ મીડિયાના યુગમાં જ્યારે ભારતની કોટિ કોટિ આંખો બધું જોઈ રહી છે, કોટિ કોટિ કાનો બધું સાંભળી રહ્યા છે અને કોટિ કોટિ મસ્તિષ્કો સતત વિશ્લેષણ કરીને પોતાનો અભિપ્રાય-અવાજ-આક્રોશ પ્રેષિત કરી રહ્યાં છે ત્યારે રાષ્ટ્રનાં નાનાં-મોટાં સત્તાનાં સર્વ કેન્દ્રોએ સંપૂર્ણ સત્ય અને સાવધાનીના માર્ગે અહંશૂન્ય અને અનુશાસિત રહી આગળ ધપવું રહ્યું.
Powered By Sangraha 9.0