ભારતગાથા । લાહોર જે ક્યારેક પંડિતોની, ઇન્કિલાબીઓની અગ્નિભૂમિ હતી... ક્યારેક ? હા. ક્યારેક?

09 Jun 2025 13:55:56

Lahore and British Raj
 
 
હા. ક્યારેક?
છેક ૧૮૫૭ થી ૧૯૪૭ સુધી.
 
હવે તો તે પંજાબ પ્રદેશની રાજધાની છે. `પાકિસ્તાનનું ગુલાબી દિલ' છે. ઉદ્યાનોની નગરી છે. કેન્દ્ર ભલે ઇસ્લામાબાદમાં હોય, સત્તા મોટે ભાગે લશ્કરના હાથમાં છે. ૯૦થી વધુ ટકા સૈનિકો અને અફસરો પંજાબના છે. દરેક લશ્કરી સરમુખત્યારો આ પંજાબી સેનાના અફસરો જ રહ્યા છે. કથિત લોકશાહીની તમામ સરકારો પંજાબી મુસ્લિમ સેનાની કઠપૂતળી બનીને રહે છે. એમ ના થાય તો આ નેતાઓની કતલ થાય છે, ફાંસી પર ચઢાવવામાં આવે છે, તખતાપલટ કરીને તેને ઉથલાવી દેવામાં આવે છે. આજે મોહમ્મદઅલી ઝીણા હોત તો તેમના હાલહવાલ એવા જ થયા હોત.
 
લાહોરમાં બાદશાહી મસ્જિદ છે, નૂરજહાન અને જહાંગીરના મકબરા છે, લાહોરનો કિલ્લો છે, અકબરી અને કાશ્મીરી દરવાજા છે. અહીં રહેલા ઈસાઈઓને મારી નાખવા માટે ૨૦૧૬માં ફીદાયીન હુમલો થયો હતો.
 
૧૮૮૨માં કનૈયાલાલ ઠાકુરે લખેલા `તવારીખે લાહોર' પુસ્તકમાં નોંધવામાં આવ્યું છે કે લાહોર પંડિતો, સમાજસેવીઓ, ઉપદેશકોની હિન્દુ સાંસ્કૃતિક ભૂમિ રહી હતી. અહીં શિવ, ઠાકુર, દેવીની ઉપાસનાનાં અસંખ્ય સ્થાનો હતાં, શિવાલા, શિવાલય, શીખ ગુરુદ્વારાઓ, રાજા રણજીતસિંહની સમાધિ, આર્યસમાજનો ગઢ, મોતીલાલ બનારસી દાસના સાંસ્કૃતિક પ્રકાશનો અને વિદ્યાકેન્દ્ર.. આ સઘળું એક તૃતીયાંશ હિન્દુ સમાજના કારણે સુરક્ષિત અને પ્રવૃત્તિશીલ હતું. સ્વામી દયાનંદ સરસ્વતી, લાલા લાજપત રાય, લાલા હંસરાજ, સ્વામી વિવેકાનંદ, ગાંધીજી, શ્યામજી કૃષ્ણવર્મા, જવાહરલાલ નેહરૂ, સુભાષચંદ્ર બોઝ, પંડિત મુકુંદરામ, પંડિત ગોવિંદ સહાય, પંડિત ગોપીનાથ, પંડિત બાલ કૃષ્ણ ગુર્તુ... આ બધાનો અહીં પડાવ હતો. અરે, ૧૯૪૭માં વિભાજનની સરહદ નક્કી કરવા આવેલા સિરીલ રેડક્લિફે પણ કહ્યું હતું કે, આવું સાંસ્કૃતિક એનજીઆર તો ભારતમાં જ હોવું જોઈએ. એમ ના થયું, દસ દિવસમાં સીમાંકન થયું, એક વિશાળ દેશ પર રેખા ખેંચાઇ ગઈ.
 
બસ, ત્યારથી લાહોરનો ભવ્ય ભૂતકાળ ભૂંસી નાખવામાં આવ્યો. આ નગર ભગવાન શ્રી રામના બે પુત્રો લવ અને કુશની રાજધાની હતી. લવ લહ-લવ પુર- લામપુર- લાહોર આ તેની નામ-કરણની યાત્રા છે. છેક શેત્રુંજયના અભિલેખમાં તેનો નિર્દેશ છે. કસૂર પ્રદેશ કુશના નામ પરથી આવ્યું.
 
વિભાજને બધું બરબાદ કરી નાખ્યું. ૨,૪૦,૦૦૦ હિન્દુ-શીખોને લાહોરમાં પોતાની સમૃદ્ધ હવેલી, બજારો, મંદિરો છોડીને અમૃતસર તરફ લોહીભીના હત્યાકાંડ સાથેનું સ્થળાંતર કરવું પડ્યું. ૪૦૦૦ સમૃદ્ધ ઇમારતો તોડી નાખવામાં આવી. ૬૦૦૦ જીર્ણ બનીને નષ્ટ થઈ. શાનદાર લાહોર હવે ભૂતકાળ બની ગયું છે.
 
લાહોરમાં એક પંડિત કુળમાં જન્મેલા સંતોષ કુમારે જિંદગીની યુવાની આ શહેરમાં ગાળી હતી. પ્રખર પત્રકાર, લેખક, પ્રવાસી સંતોષ કુમારે દિલ્હીના એક સમારંભમાં એક પુસ્તક મને આપ્યું `લાહોરનામા'. નગરની ગલીઓ, રસ્તાઓ, સંસ્થાઓ, ઇમારતો, વ્યક્તિઓની તેમાં રસપ્રદ માહિતી હતી. લાહોરમાં પત્રકારત્વનો પાયો નાકનારા પંડિત મુકુંદરામના તે પૌત્ર થાય. ૧૯૨૭માં જન્મેલા સંતોષ કુમારને મળવાનું થયું ત્યારે જ ૭૦થી વધુ વર્ષના હતા, પણ લાહોર નામ પડતાં જ આંખોમાં ચમક દેખાઈ.
મેં તેમને એક જ સવાલ કર્યો `સરદાર ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને જ્યાં ફાંસી અપાઈ તે જેલની શી હાલત છે?'
હાલનો શાદમાન ચોક. અહીં હતી લાહોરની સેન્ટ્રલ જેલ. અહીં જ ૨૩ માર્ચ, ૧૯૩૧ના બ્રિટિશ પોલીસે આ ત્રણેને નિશ્ચિત સમય પહેલાં જ ફાંસી આપી હતી, અને જેલ આખી ઇંકિલાબ ઝિંદાબાદ, વંદે માતરમ્થી ગાજી ઊઠી હતી. જ્દ્દોજહદ અખબારના તંત્રી મંજૂર અહમદે તો ક્ષોભ વ્યક્ત કર્યો કે, જે શહેરમાં હું રહું છું તે કશુના ગુલામ મોહમ્મદ ખાને ફાંસીના દસ્તાવેજ પર સહી કરી હતી. એકલી જેલ નહીં, તમામ શહીદ સ્મૃતિસ્થાનો આજે કટ્ટર ઝનૂનના અંધારપટમાં ખોવાઈ ગયાં છે.
 
ભગતસિંહ જે ડી.એ. વી. હાઇસ્કૂલમાં નવમી કક્ષા સુધી ભણ્યા હતા. નેશનલ કૉલેજ, જ્યાં સુખદેવ, રાજગુરુ, ભગવતીચરણ વહોરા, ભાઈ પરમાનંદ, જયચન્દ્ર વિદ્યાલંકાર, ઉદયશંકર ભટ્ટ, જુગલ કિશોર શાસ્ત્રી વગેરેની મંડળી જામી, ચંદ્રશેખર આઝાદ આવ્યા. અને સાથે મળીને યંગ ઇન્ડિયા સંગઠન સ્થાપવાનું નક્કી કર્યું, પછી તેનું નામ નવજવાન ભારત સભા રાખવામાં આવ્યું. ક્યાં છે આ ક્રાંતિની પાઠશાળા?
 

Lahore and British Raj 
 
... અને ભગતસિંહની જેલમુક્તિ માટેની યોજના કરનાર, ભગતસિંહ અને સાથીદારોની થિંક ટેન્ક, રાવી નદીના કિનારે હાથમાં બોમ્બ ફૂટી જતાં શહીદ થનારા ભગવતીચરણની વિશાળ હવેલી (જ્યાં તમામ ક્રાંતિકારો પોતાનું નિશ્ચિંત નિવાસ માનતા) અને રાવી નદીના કિનારે શહીદસ્થાન?
 
લાહોરના એ કન્યા વિદ્યાલયમાં ભગવતીચરણના ક્રાંતિકારી પત્ની દુર્ગભાભી અધ્યાપક હતાં તે શાળા હવે છે ખરી? કોઈ તેમણે ત્યાં યાદ કરનારું ખરું?
 
અનારકલી બજારનું પુસ્તક કેન્દ્ર અને નેશનલ કૉલેજની એ દ્વારિકાદાસ લાઈબ્રેરી, જ્યાં ભગતસિંહ અને સાથીદારોનું ઊંડું અધ્યાન થયું તે વિદ્યાકેન્દ્ર ક્યાં છે?
 
ભગતસિંહ, રાજગુરુ. સુખદેવ ઉપરાંત ૧૯૧૫માં ગદરના વીસ ક્રાંતિકારોને લાહોરની જેલમાં ફાંસી આપવામાં આવી હતી.
લાહોરમાં સાયમન કમિશનના વિરોધમાં જે સરઘસ નીકળ્યું, તેનું નેતૃત્વ લાલા લાજપત રાયે લીધું હતું, રેલ્વે સ્ટેશન પાસે તેમના પર પોલીસ કમિશ્નર સ્કોટે લાઠીમાર કરવાનો આદેશ આપ્યો, એ.એસ.પી. સોન્ડર્સની લાઠીથી લાલાજી ઘાયલ થયા, અને પછી ૧૭ નવેમ્બર, ૧૯૨૮ના દેહાવસાન થયું. તે સ્થાન?
 
જ્યાં સોંડર્સને ગોળીથી વીંધી નાખવામાં આવ્યો તે પોલીસ સ્ટેશન? આની કોઈ માહિતી મળતી નથી, હવે તો લાહોર આતંકવાદીઓનો અડ્ડો બની ગયું છે. ભગતસિંહની સ્મૃતિના સ્થાન વિષે લેખિકા જાહિદા હીનાએ એવું લખ્યું કે, ભગતસિંહ પાકિસ્તાનના સૌથી મોટા શહીદ છે. ભગતસિંહનું જ્ન્મસ્થાન લાયલપુર હવે તો ફેસલાબાદ તરીકે સ્થાપિત છે, બલૂચિસ્તાનના બલૂચ સ્ટુડન્ટ્સ ઓર્ગેનાઈઝેશનના છાત્રોએ તો આવીને શાદમાન ચોકમાં ભગતસિંહની સ્મૃતિસભા પણ કરી હતી. પણ કટ્ટરવાદી સંગઠન `જમાત-ઉદ-દાવા' અને `તહરીક-એ-હુરમતએ-રસુલ'ના વિરોધને લીધે શાદમાન ચોકનું નામ પણ શહીદ ભગતસિંહ ચોક રાખી શકાયું નહિ. એટલું જ નહિ, લાહોરના એક વ્યાપારીએ હાઇકોર્ટમાં એવું જણાવ્યું કે, ભગતસિંહનું નામ આપવામાં આવે એટલે ભારતની જાસૂસી સંસ્થાએ દિલકશ લાહોર સમિતિને આર્થિક સહાય આપી છે.
 
જમાત-ઉલ- દાવાના નેતા અને તહરિક-એ-હુરમત એ રસુલના પ્રમુખ મૌલાના અમીર હમજાએ તો જાહેર કર્યું કે, કોઈ પણ સ્થાનનું નામ હિન્દુ, શીખ કે ઈસાઈના નામ પર રાખવા દેવામાં નહિ આવે. રસપ્રદ વાત તો એ છે કે પહેલાં આ સ્થાનનું નામ ચૌધરી રહમત અલી ચોક રખવાનું નક્કી થયું. આ ચૌધરીએ પાકિસ્તાન શબ્દ આપ્યો હતો, પણ પછી તે મોહમ્મદ અલી ઝીણાનો કટ્ટર વિરોધી થઈ ગયો. પોતાને બદલે બીજો કોઈ લાભ કઇ રીતે ખાટી જઇ શકે?
 
૨૩ માર્ચ પાકિસ્તાનમાં ઉજવાય તો છે જ, પણ લાહોરના આ શહીદોને માટે નહિ, પાકિસ્તાન દિવસ તરીકે! ૧૯૪૦માં લાહોરમાં મુસ્લિમ લીગનું અધિવેશન મળ્યું ત્યાં પાકિસ્તાનની માગણીનો પ્રસ્તાવ કરવામાં આવ્યો હતો. એટલે આજે પણ પાકિસ્તાન દિવસની ઉજવણી કરવામાં આવે છે. આપણે તો એ ભૂલી ગયાં કે, આ લાહોરમાં જ ૧૯૩૦માં સંપૂર્ણ સ્વરાજનો પ્રસ્તાવ થયો હતો, તેની ઉજવણી કોંગ્રેસે તો કરવી જોઈએ કે નહીં?
 
ગાંધીજીના ઉપવાસી સત્યાગ્રહમાં જેમને શ્રદ્ધા હોય તેમણે યતીન્દ્રનાથ દાસના ખરેખરા આમરણ ઉપવાસને યાદ કરવા જોઈએ. લાહોરની બોરસ્ટલ જેલમાં છેલ્લા શ્વાસ લીધા, ૧૩ જુલાઈથી ૧૩ સપ્ટેમ્બર, ૧૯૨૯, કશું પણ લીધા વિના, પોલીસ અને ડોકટરોએ ફરજિયાત નળી નાખીને પ્રવાહી આપવાની કોશિશને નિષ્ફળ બનાવીને આ સત્યાગ્રહીએ શ્વાસ છોડયા. કોઈ લીંબુ પાણી તૈયાર નહોતું.
 
લાહોર ષડયંત્ર-૧ ના નામે જાણીતા આ મુકદ્દમામાં જેમને સજા થઈ તે નામો સુખદેવ, ભગતસિંહ, રાજગુરુને ફાંસી અને બીજા સાતને આજીવન કારાવાસ.
 
લાહોર નામ આજકાલ ટીવી અને અખબારોમાં, ચર્ચામાં ચમકે છે, આ અલગ લાહોરને યાદ કરવું જોઈએ કે નહિ?
 
Powered By Sangraha 9.0