ભારત શિક્ષણ, ભાષા તેમજ જ્ઞાન-વિજ્ઞાનના ક્ષેત્રમાં સર્વોપરી તથા વિશ્વગુરુ ગણાતું હતું તે જ ભારત આજે શિક્ષણક્ષેત્રે વિશ્વમાં પાછળ રહી ગયું છે. ત્યારે પ્રશ્ન એ થાય કે શિક્ષણક્ષેત્રે વિશ્વગુરુ ભારતની આવી અધોગતિ કેમ થઈ ? આવો જાણીએ આ વિશેષ મુખપૃષ્ઠ વાર્તામાં...
ભારતની મૂલ્યપરક શિક્ષણપ્રણાલી પર ક્રૂર પ્રહાર ઈસ્ટ ઇન્ડિયા કંપની, બ્રિટિશ પ્રશાસકો, બ્રિટિશ ઇતિહાસકારો તથા ઈસાઈ પાદરીઓ દ્વારા થયો, કારણ કે ભારતના ઈસાઈકરણ તથા ગુલામીકરણના પ્રયાસમાં સૌથી મોટો અવરોધ તેમને આપણી મૂલ્યપરક ધર્મપરક શિક્ષણપ્રણાલી જ લાગતી હતી. માટે જ મેકોલે દ્વારા શરૂ કરવામાં આવેલી શિક્ષણપ્રણાલીનો ઉદ્દેશ્ય પ્રત્યેક ભારતીયને બ્રિટિશ વિચારપ્રક્રિયાનો ગુલામ બનાવવા અને ભારતીય સંસ્કૃતિ અને ધર્મ પ્રત્યે તિરસ્કાર પેદા કરનારી પેઢીઓ પેદા કરવાનો હતો. આપણા કમનસીબે સ્વાધીનતા બાદની સરકારોએ પણ એ જ મેકોલેવાદી શિક્ષણપ્રણાલી જ ચાલુ રાખી. ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ આવા જ એક કાળા અંગ્રેજ હતા. જે ભારતીય અને હિન્દુ પુનર્જાગરણના સંપૂર્ણ વિરોધી હતા. તેઓએ તેને સ્થાને મજહબી મૌલાના અબુલકલામ આઝાદને શિક્ષણમંત્રી બનાવી દીધા, જેઓ મિશ્રની ઇસ્લામિક અલ-અઝહર યુનિવર્સિટીમાં ભણેલા હોવાથી સ્વાભાવિક રીતે જ તેઓ ઇસ્લામને સર્વશ્રેષ્ઠ મજહબ માનતાં હતાં. અને ત્યારથી જ એટલે કે સ્વાધીનતા બાદથી જ આપણી શિક્ષણ પ્રણાલિની અધોગતિ શરૂ થઈ અને ઇતિહાસ અને શિક્ષણમાં મુગલોના મહિમા મંડનની પરંપરા શરૂ થઈ. જેને કારણે આપણી પેઢીઓની પેઢીઓ આપણા ગૌરવશાળી સાચા ઇતિહાસથી દૂર રહી, એટલું જ નહિં પંડિત નહેરૂના રાજમાં સ્વાધીનતા બાદ તરત જ ભારતના રાષ્ટ્રીય આંદોલનમાં કોંગ્રેસના કાર્યોનું મહિમા મંડન કરવા માટે સરકારી સ્તરે ઇતિહાસ લેખનની એક યોજના બની. આ કાર્ય ભારતના પ્રસિદ્ધ ઇતિહાસકાર ડૉ. આર. સી. મજુમદારને સોંપવામાં આવ્યું. પરંતુ આ દરમિયાન પં. નહેરૂને જાણકારી મળી કે, મજુમદાર ભારતના સ્વાધીનતા આંદોલનમાં સુભાષચંદ્ર બોઝના યોગદાનને મહત્ત્વપૂર્ણ સ્થાન આપી રહ્યાં છે. ત્યારબાદ તરત જ ડૉ. મજુમદાર પાસેથી ઇતિહાસલેખનની જવાબદારી પરત લઈ લેવામાં આવી અને આ કાર્ય ડૉ. તારાચંદને આપી દેવાયું. ડૉ. તારાચંદ ઇસ્લામ અને તેની પરંપરાઓથી એટલા પ્રભાવિત હતા કે અલ્હાબાદ વિશ્વ વિદ્યાલયના વિદ્યાર્થીઓ કટાક્ષમાં તેઓને મિયા તારાચંદ પણ કહેતા. સ્વાભાવિક રીતે જ તેમના ઇતિહાસ લેખનમાં હિન્દુ પ્રતિરોધ તથા મુસલમાનો અને કોંગ્રેસના ગુણગાનને જ મહત્ત્વ મળ્યું.
વાચકોને જાણીને આશ્ચર્ય થશે કે સ્વાધીનતા બાદ ૧૯૪૭થી ૧૯૭૭ વચ્ચે ભારતમાં કુલ ૯ શિક્ષણમંત્રીઓ રહ્યા હતા. જેમાંથી પાંચ મુસ્લિમ શિક્ષણમંત્રીઓ રહ્યા છે. તેઓએ ભારતીય ઇતિહાસને ઇસ્લામિક સફળતાનો ઇતિહાસ બનાવી દીધો. જે આપણે આજદિન સુધી રટી રહ્યા છીએ. તેઓએ હિન્દુઓના મધ્યકાલીન ઇતિહાસ પહેલાંનો ૫૦૦ વર્ષોનાં સ્વગૌરવ અને સંઘર્ષના ઇતિહાસને ષડયંત્રપૂર્વક દબાવી દીધો. હુમાયુ કબીર (૧૯૬૩), ફકરૂદ્દીન અલી અહમદ (૧૯૬૦) અને નુરુલ હસન (૧૯૭૧) અને આ નુરુલ હસન કટ્ટર વામપંથી હતા. ૧૯૬૯માં કોંગ્રેસ પક્ષના બે ફાડિયા પડ્યાં. જેમાં ઇન્દિરા ગાંધીની કોંગ્રેસ (આઈ)ને સત્તામાં ટકી રહેવા માટે વામપંથી દળોનું સમર્થન માંગ્યું. બદલામાં તે વામપંથીઓને મોં માંગ્યું મંત્રાલય આપવા તૈયાર હતાં. પરંતુ બધાંના આશ્ચર્ય વચ્ચે વામપંથીઓએ શિક્ષણ મંત્રાલય માગ્યું. આની પાછળ વામપંથીઓનો હેતુ ભારતની શિક્ષણ વ્યવસ્થામાં ઘૂસણખોરી કરી ભારતની ભાવિ પેઢીઓનું વામપંથીકરણ કરવાનો હતો. જે તત્કાલિન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી સમજી ન શક્યાં. ૧૯૭૧ સૈયદ નુરુલ હસન શિક્ષણમંત્રી બન્યા બાદ તેઓએ શિક્ષાનીતિમાં પ્રગતિશીલ સુધારના બહાને ઇતિહાસનાં પાઠ્યપુસ્તકોનું પુનર્લેખન કરાવી વામપંથી દૃષ્ટિકોણ આધારિત ધર્મને બદલે વર્ગસંઘર્ષ, સામાજિક સંઘર્ષને સ્થાન આપવામાં આવ્યું. ૧૯૭૨માં તેઓએ ICHR (Indian Council of Historical Research)ની સ્થાપના કરાવી, તેમાં આર. એસ. શર્મા, રોમિલા થાપર અને ઇરફાન હબીબ જેવા વામપંથી ઇતિહાસકારોને ઘુસાડી દીધા. આમ મૌલાના અબુલ કલામથી લઈ નુરુલ હસન સુધીના તમામ શિક્ષણમંત્રીઓએ આ જ અરાષ્ટ્રીય શિક્ષણપ્રણાલીને પ્રોત્સાહન આપ્યું. તેમના રાજમાં AU-JNU જેવી હિન્દુ વિરોધી યુનિવર્સિટીઓની સ્થાપના થઈ. મદરેસાઓને ખુલ્લો દોર મળ્યો જેનું પરિણામ એ આવ્યું છે કે, સ્વાધીનતા બાદની પાંચ પેઢીઓ હિન્દુઓને જ ભારત વિભાજન, જાતિવાદ અને અસ્પૃશ્યતા માટે જવાબદાર માનતી રહી અને અકબરને મહાન ગણાવતી રહી.
રાષ્ટ્રીય શિક્ષણનીતિ જમીની સ્તરે લાગુ થાય એ સૌથી મહત્ત્વનું : શ્રી અતુલ કોઠારી (શિક્ષા સંસ્કૃતિ ઉત્થાનના રાષ્ટ્રીય સચિવ)
શિક્ષા સંસ્કૃતિ ઉત્થાનના રાષ્ટ્રીય સચિવ શ્રી અતુલ કોઠારી કહે છે કે, શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસની સ્થાપના પાછળનો ઉદ્દેશ્ય ભારતની શિક્ષણ-વ્યવસ્થામાં `સ્વ'ને ઉજાગર કરવાનો છે. ૨ જુલાઈ, ૨૦૦૪ના રોજ `શિક્ષણ બચાવો' આંદોલનનો પ્રારંભ થયો હતો. દેશભરમાં લગભગ ૯૦ શિક્ષણવિદો દિલ્હીમાં એકત્રિત થયા હતા. તેમણે સૌએ મળી `શિક્ષણ બચાવો' આંદોલન શરૂ કર્યું હતું. આ દેશનું ખૂબ સફળ આંદોલન ગણાય છે, કારણ કે અમે ૧૨ ન્યાયાલયોમાં યાચિકાઓ દાખલ કરી હતી અને તમામ કેસોનું પરિણામ `શિક્ષણ બચાવો' આંદોલનના પક્ષમાં આવ્યું હતું. પરંતુ ત્યારબાદ અમે વિચાર કર્યો કે, વિકૃતિઓ, વિસંગતિઓ દૂર કરવાથી જ સમગ્ર દેશની શિક્ષણપ્રણાલીમાં પરિવર્તન નહિ આવી જાય. આથી ૨૪ મે, ૨૦૦૭ના રોજ શિક્ષણ-સંસ્કૃતિ-ઉત્થાન ન્યાસની સ્થાપના કરવામાં આવી. જેનું મૂળ લક્ષ્ય દેશના શિક્ષણક્ષેત્રે એક નવો વિકલ્પ આપવાનું હતું, જે ખોટી વાતો શિક્ષણમાં ઘર કરી ગઈ છે તેને શોધી તેનો વિકલ્પ રજૂ કરવો એ ન્યાસનું કામ છે.
રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં માતૃભાષામાં શિક્ષણ આપવાની પહેલને આવકારતાં શ્રી અતુલજી કોઠારી કહે છે કે, `આપણે અંગ્રેજી વગર આગળ નહિ વધી શકીએ, એ તર્ક નહિ, કુતર્ક છે. આપણા દેશમાં સ્વતંત્રતા બાદ કેટલા ભારતીયોને નોબેલ પુરસ્કાર મળ્યો છે? ૧૨૫ કરોડ લોકોનો દેશ છે. આપણી સરખામણીમાં ઇઝરાયેલ ખૂબ જ નાનો દેશ છે. દિલ્હીથી પણ નાનો અને આપણી પછી સ્વતંત્ર થયો છે. પરંતુ ઇઝરાયેલના ૧૬ લોકો નોબલ જીતી ચૂક્યા છે. અને એ તમામ લોકોએ પોતાની માતૃભાષા હિબ્રુમાં જ કામ કર્યું છે. વિદેશી ભાષામાં કેટલીક જાણકારીઓ તો મેળવી શકીએ છીએ, સિમિત માત્રામાં જ્ઞાન પણ મેળવી શકીએ છીએ, પરંતુ જ્ઞાનનું સર્જન થઈ શકતું નથી. ૨૫ વર્ષ માઈક્રોસોફ્ટમાં કામ કરનાર કે.જી.થી પી.જી. આઈઆઈટી સુધી અંગ્રેજી માધ્યમમાં ભણેલા સંક્રાંત સાનુજાએ `અંગ્રેજી માધ્યમ કા ભ્રમજાલ' નામનું પુસ્તક લખ્યું છે. તેઓએ એ પુસ્તકમાં તથ્યો સહિત તમામ તર્કો આપ્યા છે. જેમાં તે લખે છે કે, વિશ્વમાં જીડીપીના ટોચના ૨૦ દેશ (૫૦ લાખથી વધારે જનસંખ્યાવાળા) પોતાની માતૃભાષામાં જ શિક્ષણ આપી રહ્યા છે. માત્ર સાડા ત્રણ દેશ અમેરિકા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને અડધું કેનેડા (લગભગ અડધા કેનેડામાં સ્પેનિશ પ્રભાવી છે) અંગ્રેજીમાં શિક્ષણ આપે છે. કારણ કે, તેમની માતૃભાષા અંગ્રેજી છે.
વિશ્વમાં જીડીપીની દૃષ્ટિએ સૌથી પછાત એવા ૨૦ દેશમાંના લગભગ તમામ દેશો એવા છે જે પોતાની માતૃભાષાને છોડી અન્ય ભાષામાં શિક્ષણ આપી રહ્યા છે ત્યારે આપણે એ સમજવાની જરૂર છે કે, જ્યાં સુધી આપણે આપણી માતૃભાષાઓને મહત્ત્વ નહિ આપીએ ત્યાં સુધી દેશનો પૂર્ણ વિકાસ થઈ શકવાનો નથી.' નવી શિક્ષણનીતિ ૨૦૨૦ પર વાત કરતાં કરતાં તેઓ કહે છે કે, `રાષ્ટ્રીય શિક્ષણનીતિના ક્રિયાન્વયન પર પણ ન્યાસે સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. નવી શિક્ષણનીતિમાં અમે જે વર્ષોથી માગણી કરી રહ્યા હતા તેમાંની મોટાભાગની માંગો સમાવી લેવાઈ છે. હવે તેને જમીની સ્તરે લાગુ કરાય તે સૌથી મહત્ત્વનું છે.'
કોંગ્રેસનું નાટક
સ્વાધીનતા બાદ સીધેસીધી મેકોલે શિક્ષણપ્રણાલીને જ ભારતીય શિક્ષણ પ્રણાલી પર થોપી બેસાડનાર કોંગ્રેસ સરકારની ચાલાકી જુઓ. કેટલાંક જાગૃત સંગઠનો અને સમાજનો ભારતીય શિક્ષણપ્રણાલીને લઈ અસંતોષ જોતાં ભારતીય જનસમાજને ભ્રમિત કરવા માટે ૧૯૫૩માં મદ્રાસ વિશ્વ વિદ્યાલયના ઉપકુલપતિ ડૉ. એ. લક્ષ્મણ સ્વામી મુદ્દલિયારના નેતૃત્વમાં વધુ એક શિક્ષા આયોગનું ગઠન કરવામાં આવ્યું, જે મુદલિયાર કમિશન તરીકે જાણીતું છે. આ આયોગે સમગ્ર દેશમાં ફરી માધ્યમિક શિક્ષણ પ્રણાલીનું ગંભીર અધ્યયન કર્યું અને અહેવાલ આપ્યો કે, ભારતની વર્તમાન શિક્ષણપ્રણાલીનો વ્યવહારિક જીવન સાથે કોઈ જ સંબંધ નથી. તેમાં વ્યાવહારિક જગતનું લેશમાત્ર પણ જ્ઞાન આપવામાં આવતું નથી. શિક્ષણપ્રણાલી એકમાર્ગીય અને સંકીર્ણ છે. શિક્ષણમાં ચારિત્ર્યનિર્માણનું બિલકુલ ધ્યાન આપવામાં આવ્યું નથી. પરંતુ દુર્ભાગ્યવશ એ અહેવાલ તત્કાલીન સરકારો દ્વારા કચરાની ટોપલીમાં જ નાખી દેવામાં આવ્યો. ૧૯૮૬માં નવી શિક્ષણનીતિનો મુદ્દો જોરશોરથી ઉઠાવવામાં આવ્યો, પરંતુ સરવાળે બધુ શૂન્ય રહ્યું. ૧૯૮૬ બાદ પણ શિક્ષણનીતિ પ્રત્યે સતત દુર્લક્ષ સેવાતું જ રહ્યું.
મુગલોનો ઇતિહાસ ભણાવવો જ હોય તો આ ઇતિહાસ ભણાવો
એ પ્રશ્ન દાયકાઓથી સ્વાભિમાની ભારતીયોને ખૂંચી રહ્યો છે કે, ભારતનાં પાઠ્યપુસ્તકોમાં બહારથી આવી ભારત પર આક્રમણ કરનારા મુગલોનું આટલી હદે મહિમામંડન કેમ? હકિકતમાં જો મુગલોનો ઇતિહાસ ભણાવવો જ હોય તો તેમના સાચા ઇતિહાસને ભણાવવો જોઈએ જે આ મુજબ છે. મુગલો વિદેશી આક્રાંતાઓ હતા. તેઓએ હંમેશા ભારતથી અલગ પોતાની ઓળખને ન માત્ર જીવિત રાખી હતી, બલકે તેને ભારતીયો ઉપર થોપવાના પ્રયાસો પણ કર્યા હતા. આ આક્રાંતાઓએ ભારતમાંથી લૂંટેલા ધનનો મોટો ભાગ સમરકંદ, ખુરાસન, દમિશ્ક, બગદાદ, મક્કા-મદીના જેવાં શહેરો તેમજ ત્યાંના વિવિધ ઘરાના અને ખલીફાઓની ઐય્યાશી પાછળ ખર્ચ કર્યો, જે તૈમૂરે પોતાના સમયે વિશ્વની લગભગ પાંચ ટકા જનસંખ્યાની કત્લેઆમ ચલાવી, દિલ્હીમાં લાખો નિર્દોષ હિન્દુઓનો નરસંહાર કર્યો તેની સાથે પોતાને જોડવામાં મુગલો ગૌરવ અનુભવતા હતા. મુગલો માત્ર ભારતને લૂંટવા માટે જ આવ્યા હતા, નહિ કે આપણને ભણાવવામાં આવે છે તેમ ભારતમાં વસવા માટે. ભારતમાં વસવા પાછળ તેઓનો ચોક્કસ ઉદ્દેશ્ય હતો. તેઓને અહીં એશોઆરામથી જિંદગી વિતાવવી હતી, ન કે ભારતનું નિર્માણ કરવુ હતું.
બાબર તો ભારત અને ભારતીયોને એટલી હદે નફરત કરતો હતો કે, મૃત્યુ બાદ ખુદને ભારતની બહાર દફનાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. મોટાભાગના મુગલશાસકો ઐયાશી અને કામાંધ હતા. નૈતિકતા, ચારિત્ર્ય અને આદર્શ જીવનમૂલ્યોના પાલન વગેરેની કસોટી પર તેઓ ભારતીય રાજા શાસકોની તોલે ક્યાંય ન આવે. મોટાભાગના મુગલ બાદશાહઓએ બહુમતી હિન્દુઓ પર અપાર જુલ્મ કર્યા, મતાંતરણ કરાવ્યું. તેમના શાસનકાળમાં મઠ-મંદિરો ધ્વંસ કરવામાં આવ્યાં. ભગવાનોની પ્રતિમાઓ ખંડિત - અપવિત્ર કરવામાં આવી. પુસ્તકાલયો બાળવામાં આવ્યાં. શીખગુરુઓ, ગુરુ-પુત્રો, જૈન, બૌદ્ધ, સનાતની સંતો વિરુદ્ધ હિંસા અને બર્બરતાની તેઓએ તમામ હદો વટાવી દીધી હતી. તેમના શાસનમાં હિન્દુઓને પોતાના આરાધ્યનાં દર્શન કરવા માટે પણ કર ચૂકવવો પડતો હતો.
એક પણ મુગલશાસક એવો નહોતો કે જેણે લોકકલ્યાણની ભાવનાથી અહીં શાસન કર્યું હોય. આમ છતાં કથિત ગંગા-જમુના તહેજીબની વાતો કરનારી જમાત અને પંથનિરપેક્ષતા વાદીઓ અકબરને મહાનતમ શાસક ગણાવતાં થાકતા નથી, પરંતુ આ જમાત અકબરની એ સચ્ચાઈ નથી બતાવતી કે, અકબરે ચિતોડગઢનો કિલ્લો જીત્યા બાદ ૪૦,૦૦૦ નિઃશસ્ત્ર હિન્દુઓની કત્લેઆમ મચાવી હતી. અકબર, જહાંગીર અને શાહજહાં વગેરેને ઇતિહાસથી લઈ સાહિત્ય અને સિનેમામાં પણ આદર્શ કલાપ્રેમી, રાજા તરીકે પ્રસ્તુત કરવામાં આવે છે પરંતુ હકીકત એ છે કે, તેના હરમમાં હજારો સ્ત્રીઓ બંદી બનાવી રાખવામાં આવતી હતી.
અબુલ ફઝલ અનુસાર અકબરના હરમમાં ૫૦૦૦ મહિલાઓ હતી જેમાં મોટાભાગે રાજનૈતિક સંધિઓ કે યુદ્ધમાં જીત બાદ લાવવામાં આવી હતી. મુગલોના કાળમાં કલા, વાસ્તુ-સ્થાપત્ય, ભવનનિર્માણ વગેરેનાં યશોગાન કરતા સમયે એ તથ્યની સદાય ઉપેક્ષા કરવામાં આવી કે, તે જ્યાંથી આવ્યા હતા. તે ક્ષેત્રોમાં કલા અને નિર્માણના આવા એક પણ નમૂના કે ઉદાહરણ જોવા મળતાં નથી. શું એ એ વાતનું પ્રમાણ નથી કે, જેને આ જમાત મુગલોની દેણ ગણાવે છે તે હકીકતમાં મૂળ ભારતના જ શિલ્પકારો, વાસ્તુવિદો, કારીગરો, કલાકારોની પારંપરિક અને મૌલિક દૃષ્ટિ, ખોજ અને કુશળતાનું પરિણામ છે. વામપંથી ઇતિહાસકારોની એ વાતમાં પણ દમ નથી કે મુગલો અજેય રહ્યા હતા અને સમગ્ર ભારતવર્ષ પર તેમનું આધિપત્ય રહ્યું હતું. મુગલોને અનેક યુદ્ધોમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ ભારતીય ઇતિહાસમાં એનો ક્યાંય ઉલ્લેખ કરાતો નથી. શું એ અધૂરો ઇતિહાસ નથી?
ભારતના આ સાચા ઇતિહાસને સ્થાન ક્યારે?
છત્રપતિ શિવાજી મહારાજના સમયગાળામાં મુગલો ક્યારેય દક્ષિણનો દુર્ગ જીતી શક્યા ન હતા. હેમુ ઉર્ફે હેમચંદ્ર વિક્રમાદિત્ય એ મહાન હિન્દુ વીર છે. જેઓએ ૧૫૫૬માં તરદી બેગ ખાનને હરાવી દિલ્હી પર કબજો કરી લીધો હતો. તેઓએ સતત ૨૨ યુદ્ધોમાં મુગલોને હરાવ્યા હતા. છત્રસાલ બુંદેલાએ માત્ર ૨૨ વર્ષની વયમાં જ ઔરંગઝેબને લલકાર્યો હતો. અને વારંવાર હરાવ્યો પણ હતો. શીખ યોદ્ધા બંદાસિંહ બહાદુરે સેનીપત અને સઘોરામાં મુગલોને હરાવ્યા હતા. પેશ્વા બાજીરાવે તો આજીવન અજેય યોદ્ધા રહ્યા હતા. તેઓ મુગલો સામે ૪૨ યુદ્ધો લડ્યા હતા તેમાંથી એકપણ યુદ્ધ હાર્યા ન હતા. શિવાજી મહારાજના મોટા પુત્ર સંભાજી મહારાજે ૧૬૭૨ અને ૧૬૮૪માં ઔરંગઝેબને હરાવ્યો હતો. જનજાતિય યોદ્ધા લચિત બડફૂકને પણ `અહોમ સામ્રાજ્ય' (અસમ) સરાયઘાટની યુદ્ધમાં મુગલ સેનાને કારમો પરાજય આપ્યો હતો. મેવાડના સિસોદિયા રાજવંશના બપ્પા રાવલે તો અરબના સૈયદ વંશને છેક ઈરાન સુધી મારી ભગાવ્યા હતા. ૧૫૦૮માં મેવાડના શાસક બનેલા વીરયોદ્ધા રાણા સાંગાએ દિલ્હીથી લઈ માલવાના સુલતાનો સાથે ૧૮ લડાઈઓ લડી હતી અને તમામ મુગલોને હરાવ્યા હતા. આ તો માત્ર ગણ્યાં-ગાંઠ્યા ઉદાહરણો છે. હકીકતમાં ભારતનો આખો ઈતિહાસ વીર યોધ્ધાઓનાં પરાક્રમથી ભરેલો છે છતાં, આપણને ભણાવવામાં આવે છે કે મુગલોએ સંપૂર્ણ ભારત પર રાજ કર્યું હતું. પરંતુ એ અધૂરો અને મનઘડંત ઇતિહાસ છે.
પ્રો. ભગવતી પ્રકાશ શર્મા કહે છે કે, આપણે ત્યાં હંમેશાથી એવો ભ્રમ ફેલાવાયો છે કે, અંગ્રેજોએ મુગલોને હરાવી ભારતની સત્તા મેળવી હતી, પરંતુ હકીકતમાં અંગ્રેજોના આગમન પહેલાં જ મુગલિયા શાસનનો મૃત્યુ ઘંટ વાગી ચૂક્યો હતો. અને ભારતના ૨૫ લાખ વર્ગ કિ.મી. ક્ષેત્રમાં પેશવાનીતિ હિન્દવી સ્વરાજ્યનું શાસન હતું. બીજા એંગલો મરાઠા યુદ્ધ (૧૮૦૩) સુધી દિલ્હીના લાલ કિલ્લા પર ભગવો ધ્વજ ફરકતો હતો પરંતુ આપણા કમનસીબે સ્વાધીનતા મળ્યા બાદ પણ દેશની શિક્ષણ વ્યવસ્થા પર એવા વામી-કોંગ્રેસી વિચારધારાનો દબદબો રહ્યો છે, જેઓએ આપણી પેઢીઓની પેઢીઓને આપણા એ ગૌરવશાળી ઇતિહાસથી દૂર રાખવાનું પાપ કર્યું છે. આ જમાતના ષડયંત્રને કારણે આપણા ઇતિહાસના પુસ્તકોમાં મગધ, મૌર્યગુપ્ત, ચૌલ, ચાલુક્ય, પાલ, પ્રતિહાર, પલ્લવ, પરમાર, વાકાટક, વિજયનગર, કાર્કોટ, કલિંગ, કાકતીય, મૈત્રક, મૈસૂરના ઓડેયર, અસમના અહોમ, નાગા, શીખ, રાષ્ટ્રકૂટ, શુંગ, સાતવાહન જેવા ભારતના મહાન રાજવંશોની ચર્ચા ના હોવા બરાબર કરવામાં આવી છે. જ્યારે કે આ શાાસકો દ્વારા સુનિયોજિત નગર વસાવવામાં આવ્યાં, રાજમાર્ગોનું નિર્માણ કરવામાં આવ્યું, અન્ય દેશો સાથે વ્યાપારિક-સાંસ્કૃતિક સંબંધ વિકસિત કરવામાં આવ્યા, વિખ્યાત શિક્ષણકેન્દ્ર સ્થાપિત કરવામાં આવ્યાં અને કલા અને સ્થાપત્યની દૃષ્ટિથી ઉત્કૃષ્ટ કિલ્લા, મઠ-મંદિર વગેરેનું નિર્માણ કરવામાં આવ્યું. શું આ સાંસ્કૃતિક ધરોહરોની જાણકારી આપણી યુવા પેઢીને ન મળવી જોઈએ? આપણી ભાવિ પેઢીને ઇતિહાસનાં પાઠ્યપુસ્તકોમાંથી વિદેશી આક્રાંતાઓને નાયક-મહાનાયક તરીકે ભણાવી અને સનાતન ભારતના સાહસ, સંઘર્ષ અને પ્રતિરોધને ન આપવા બરાબર મહત્ત્વ આપી આ જમાતે આપણા સ્વગૌરવ પર સેક્યુલર કુઠરાઘાત કરવાનું પાપ છેલ્લા સાતથી વધુ દાયકાઓથી કર્યું છે, પરંતુ ૨૦૨૦ની નવી શિક્ષણ નીતિએ એક આશા જરૂર જગાવી છે.
રાષ્ટ્રીય શિક્ષણનીતિ ૨૦૨૦માં ગુણવત્તા અને નવાચાર પર લક્ષ્ય આપવામાં આવ્યું છે, તો બીજી તરફ આપણા ઉન્નત વિજ્ઞાનના પ્રાચીન સ્રોતો, સાતત્યપૂર્ણ ઇતિહાસ અને પ્રાચીન વાઙમયના અધ્યયનને અને શોધોને પ્રોત્સાહન આપવાની વાત કરવામાં આવી છે. સાથે સાથે આપણો રાષ્ટ્રીય આચારવિચાર અને ઉચ્ચ નૈતિકતાનો અને મૂલ્યપરકતાનો શિક્ષણમાં સમાવેશ પર બળ મૂકવામાં આવ્યું છે, પરંતુ કોંગ્રેસનો ખેલ જેવો સાત-સાત દાયકા સુધી ભારતીય શિક્ષણપ્રણાલી પ્રત્યે હળાહળ દુર્લક્ષ સેવનાર અને મેકોલેવાદી શિક્ષણપ્રણાલીને ભારતની પેઢીઓને માથે મારનાર, ઇતિહાસના ઇસ્લામીકરણ કરનાર કોંગ્રેસ સરકાર નવી શિક્ષાનીતિ-૨૦૨૦નો શરૂઆતથી જ વિરોધ કરી રહી છે. તાજેતરમાં જ NCERTનાં પુસ્તકોમાં આવા જ દોષપૂર્ણ ઇતિહાસને દૂર કરવાની સામે આ જમાત મેદાને પડી, ભારતમાં શિક્ષણનું ભગવાકરણ થઈ રહ્યું હોવાની કાગારોળ મચાવી રહી છે.
જેઓને ભારતની સંસ્કૃતિ અને `સ્વ'સાથે નાહવા નિચોવવાનો પણ સંબંધ રહ્યો નથી તેવા કોંગ્રેસના અઘોષિત અધ્યક્ષા સોનિયા ગાંધી નવી શિક્ષણનીતિ અંતર્ગત પાઠ્યપુસ્તકોમાં થઈ રહેલા સુધારા અંગે કહે છે કે, `વર્તમાન સરકાર શિક્ષણના નામે સાંપ્રદાયિક્તા અને નફરત ફેલાવી રહી છે. ભાજપ અને RSSની દીર્ઘકાલીન યોજના છે. જે અંતર્ગત શિક્ષણનીતિ - ૨૦૨૦ એ NCERTના પાઠ્યક્રમોમાંથી મુગલ ભારત સાથે જોડાયેલાં પાઠોને હટાવાઈ રહ્યાં છે. અને વિશ્વ વિદ્યાલયોમાં સરકાર સમર્થક વિચારધારાવાળાં લોકોની નિયુક્તિઓ થઈ રહી છે.'
તત્કાલિન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તો નવી શિક્ષણનીતિને દેશવિરોધી ગણાવી હતી. ૨૦૨૪ની લોકસભા ચૂંટણીઓ દરમિયાન પોતાની ચૂંટણી ઢંઢેરામાં પણ જો કોંગ્રેસ સત્તામાં આવશે તો નવી શિક્ષણનીતિમાં સંશોધન કરવાનું વચન આપ્યું હતું.
ઉપસંહાર
શિક્ષણના માધ્યમ થકી જ કોઈપણ રાષ્ટ્ર કે સમાજ પોતાના આદર્શો-આકાંક્ષાઓ-સ્વપ્નો-સંકલ્પોને સાકાર કરવા સક્ષમ બને છે. રાષ્ટ્રના હિત અને કોઈપણ રાષ્ટ્રની પેઢીઓમાં પોતાના પારંપરિક `સ્વ'ત્વ અને આત્મગૌરવને જાળવી રાખવાનું જગાવવાનું સૌથી સશક્ત અને સમર્થ માધ્યમ શિક્ષાવ્યવસ્થા જ હોય છે, પરંતુ આપણા બદનસીબે સ્વાધીનતા બાદ કોંગ્રેસ અને વામપંથી પોષિત શાસન-વ્યવસ્થામાં આપણી શિક્ષણસંસ્થાઓ અને વિશ્વવિદ્યાલયોમાં ટોચનાં પદો પર નિષ્પક્ષ, યોગ્ય અને અનુભવી વિદ્વાનો-વિશેષજ્ઞોને સ્થાને કોઈ ચોક્કસ પક્ષ અને વિચારધારા - વિશેષ પ્રત્યે પ્રતિબદ્ધતા રાખનારા કટ્ટરવાદીઓને વરીયતા આપવામાં આવી. જેનું પરિણામ એ આવ્યું કે, આપણું સંપૂર્ણ શિક્ષણ, કલા અને સાહિત્યજગત ભારતના `સ્વ'ગૌરવવિરોધી અને પૂર્વગ્રહોનો અડ્ડો બની ગઈ.
ઇતિહાસ, સામાજિક વિજ્ઞાન અને સાહિત્યનાં પાઠ્યપુસ્તકો અને અભ્યાસક્રમોમાં વીણી-વીણીને એવી વિષય સામગ્રીઓ સંકલિત કરવામાં આવી, જે ભારતના લોકોને પોતાની મહાન સંસ્કૃતિ પ્રત્યે ગૌરવબોધ કરાવવાને બદલે તેને લઈ હીનતાની ગ્રંથિઓ વિકસિત કરાવનારી હતી. તેમાં સ્વત્વ અને સ્વાભિમાનની ભાવનાનું નામોનિશાન ન હતું. પારંપરિક સ્રોતો, આપણા પ્રાચીન શાસ્ત્રો, ઉત્ખન્ન દરમિયાન મળેલા સાક્ષ્યો વગેરેની ષડયંત્રપૂર્વક ઉપેક્ષા કરવામાં આવી. ભારતના `સ્વ'ત્વને ઉજાગર કરનારા લોકસાહિત્ય, લોકસ્મૃતિઓ અને લોકમાન્યતાઓને કપોળ-કલ્પિત માની અભરાઈએ ચડાવી દેવામાં આવી. આપણી આ મહાન સંસ્કૃતિ, સભ્યતા અને ઇતિહાસને સ્થાને માત્ર વિદેશી આક્રમણખોરો અને તેમના આશ્રયમાં રહેલા હજૂરિયાઓ દ્વારા લખવામાં આવેલા મનઘડંત વિવરણોને જ સૌથી પ્રમાણિત સ્રોત માની ઇતિહાસમાં ખપાવી દેવામાં આવ્યા. વામપંથી - કોંગ્રેસી ગઠબંધનના આ ઝેરીલા ઇતિહાસે ભારતની આખેઆખી પેઢીઓને તેના ગૌરવ અને સ્વથી દૂર કરી દીધી છે.
ભારતીય શિક્ષણને રોચક, વ્યવહારિક, રોજગાર પરક, પ્રાસંગિક અને જીવનઉપયોગી બનાવવા માટે અભ્યાસક્રમમાં બદલાવની માંગ રાષ્ટ્રીય વિચારધારાને વરેલા સંગઠનો અને લોકો દ્વારા દાયકાઓથી કરવામાં આવી રહી હતી. સદ્ભાગ્યે ૨૦૨૦ બાદ તેમના આ અવાજને સ્વીકારવામાં આવી રહ્યો છે. નવી શિક્ષણપદ્ધતિમાં અનેક અભ્યાસક્રમોમાં બદલાવ પણ કરી રહી છે ત્યારે આ મુદ્દે વિરોધ અને વિવાદને કોઈ સ્થાન નથી. વિપક્ષોએ કથિત સેક્યુલરવાદી ઇતિહાસકાર આ મુદ્દે રાજકારણ રમવાને બદલે શિક્ષણમાં આવી રહેલી આ `સ્વ' જાગૃતિને આવકારવી જોઈએ, પરંતુ આવકારતી નથી એ આ દેશનું દુર્ભાગ્ય છે.
સંજય ગોસાઇ સાધનામાં છેલ્લા ૧૦ વર્ષથી પત્રકાર તરીકે કામ કરે છે. તેમણે ગૂજરાત વિદ્યાપીઠમાંથી જર્નાલિઝમની માસ્ટર ડિગ્રી મેળવી છે. હાલ તેઓ સાધનાનાં સંપાદક મંડળમાં છે…