સિંહાસન પર આજ બિરાજ્યા, છત્રપતિ શિવરાય મંગલ દિન આ હિન્દુરાષ્ટ્રનો, પ્રગટ્યું સ્વર્ણ પ્રભાત...

09 Jun 2025 14:44:54

chhatrapati shivaji maharaj hindu samrajya diwas

જેઠ સુદ ૧૩, હિન્દુ સામ્રાજ્ય દિન નિમિત્તે વિશેષ

૧૬૭૪માં જેઠ સુદ તેરસના શુભ દિને હિન્દુ જનજનના લોકપ્રિય મહાનાયક શિવાજીનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો અને તેઓને છત્રપતિના બિરુદથી સન્માની રાયગઢનું સિંહાસન સોંપાયું હતું. આ દિવસને હિન્દુ સામ્રાજ્ય દિન તરીકે ઓળખવામાં આવે છે. આગામી ૯મી જૂન, ૨૦૨૫ના રોજ હિન્દુ સામ્રાજ્ય દિન છે ત્યારે સ્વરાજ્યના પ્રણેતા છત્રપતિ શિવાજી મહારાજનું જીવનકવન અને તેમના રાજ્યાભિષેક દિન વિશેનો વિશેષ લેખ પ્રસ્તુત છે.
 
ભારતીય ઇતિહાસનું એક અવર્ણનીય પાત્ર, વીર, વિચક્ષણ, ધાર્મિક અને ઉદાર હૃદયનું વિરલ વ્યક્તિત્વ ધરાવતું પાત્ર એટલે છત્રપતિ શિવાજી મહારાજ. માતાનું નામ જીજાબાઈ અને તેમના પિતાનું નામ શાહજીરાવ ભોંસલે હતું. સમર્થ ગુરુ રામદાસના માર્ગદર્શનમાં છત્રપતિ શિવાજી મહારાજે (૧૬૨૭-૧૬૮૦) દેશના ઉત્તરમાં શક્તિશાળી મોગલ સામ્રાજ્યને તથા દક્ષિણના આદિલશાહી, કુતુબશાહી તથા બહમની સહિતના સુલતાનોને જડમૂળથી સમાપ્ત કરીને એક હિન્દુ રાજ્યની સ્થાપના કરી હતી. વિશ્વ તેમને આજે પણ તેમના દ્વારા પ્રતિપાદિત ગેરીલા યુદ્ધ માટે યાદ કરે છે, જેના બળ પર તેમણે પોતાની સૈન્યશક્તિથી અનેકગણી મોટી સેનાને પણ આસાનીથી હરાવી હતી. ઉત્તરી વિયેતનામે ૧૯૫૫થી ૧૯૭૫ સુધી લગભગ ૨૦ વર્ષ દુનિયાના સૌથી શક્તિશાળી તથા ધનિક દેશ અમેરિકા સાથે સંઘર્ષ કર્યો. અને અંતે દેશને અપરાજિત રાખવામાં કામયાબી પ્રાપ્ત કરી. ૧૯૭૭માં તેમના રક્ષામંત્રી મેડમ બિન્હ જ્યારે આપણા દેશમાં આવ્યાં ત્યારે આપણા તત્કાલીન રક્ષામંત્રી શ્રી જગજીવન રામે તેમની આગતા-સ્વાગતા કરી હતી. સામાન્ય રીતે અન્ય દેશોમાંથી કોઈ રાષ્ટાધ્યક્ષ કે નેતાઓ આવે ત્યારે દિલ્હીમાં કોઈ વિશિષ્ટ સ્થાનોની મુલાકાત લેવાની પરંપરા છે. દા. ત. કુતુબમિનાર, લાલ કિલ્લો, રાજઘાટ, શાંતિવન વગેરે. પરંતુ બિન્હએ એવી ઇચ્છા વ્યક્ત કરી કે, તેઓ છત્રપતિ શિવાજીના જન્મસ્થાને જવા માગે છે. તેમની આ માંગથી ભારત સરકારના અધિકારીઓ આશ્ચર્યમાં પડી ગયા. આથી તેમણે મેડમ બિન્હને પૂછ્યું કે, તેઓ છત્રપતિ શિવાજીના જન્મસ્થાને શા માટે જવા માગે છે?
 
ત્યારે બિન્હે લાગણીશીલ થઈને જવાબ આપ્યો કે, કારણ કે હું તેમની જન્મભૂમિની માટી માથે ચડાવવા માંગું છું. મારે એ માટીને વંદન કરવા છે. જ્યારે અમારી સેના અમેરિકન સેના સાથે યુદ્ધ કરી રહી હતી ત્યારે અમારા વિયેતનામી સૈનિકો શિવાજીની શૌર્યગાથા તથા તેમના સૈનિકો દ્વારા મોગલોના દાંત ખાટા કરવાની કથાઓ સાંભળતા અને સંભળાવતા હતા અને તેનાથી પ્રેરિત થઈને વિયેતનામી સૈનિકોએ આખરે વિજય પ્રાપ્ત કર્યો હતો. ઉપરાંત શિવાજીને ગેરીલા યુદ્ધના જનક માનવામાં આવે છે. એ પદ્ધતિથી અમારા સૈનિકોએ અમેરિકી સૈનિકો વિરુદ્ધ યુદ્ધ કરીને સફળતા પ્રાપ્ત કરી હતી.
 
ઉલ્લેખનીય છે કે આ ગેરીલા યુદ્ધપદ્ધતિથી અમેરિકન સૈન્યનેતાઓ જેમ કે, ફિડેલ કાસ્ટ્રો તથા શે ગુવારાએ પણ ક્યૂબાના સ્વાતંત્ર્ય સંગ્રામમાં વિજય પ્રાપ્ત કર્યો હતો.
 
પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ છત્રપતિ શિવાજી વિશે કહ્યું હતું કે, `હું વિચારું છું કે, શિવાજી વિશ્વના મહાન વ્યક્તિઓમાંના એક છે, કારણ કે આપણે એક પરાધીન રાષ્ટ્ર હતા, આપણા દેશના મહાન લોકોને વિશ્વ-ઇતિહાસમાં ખૂબ નાના બતાવવામાં આવ્યા છે. આ જ વ્યક્તિ શિવાજી જો યુરોપના કોઈ દેશમાં પેદા થયા હોત તો તેમની કીર્તિ આકાશને આંબતી હોત.'
૧૭ ઑગસ્ટ, ૧૬૬૬માં શિવાજી અને તેમના પુત્ર સંભાજી ઔરંગઝેબની કેદમાંથી ભાગી છૂટ્યા હતા. તે ઘટના આજે પણ યુદ્ધઇતિહાસની સાહસિક ઘટનાઓમાંની એક ગણાય છે. અફઝલ ખાનની હત્યા અને આદિલશાહની મોટી ફોજની ૧૩ નવેમ્બર, ૧૬૫૯ના રોજ કારમી હાર પણ યાદગાર છે. મોગલ સેનાપતિ શાહિસ્તા ખાનના કિલ્લા પર ત્રાટકીને તેની આંગળીઓ કાપી નાખવાની ઘટના (એપ્રિલ, ૧૬૬૩), ૧૬૬૪માં સુરતમાં મોગલોના ખજાના પર આક્રમણ, ૧૬૬૫માં તેમના દ્વારા જયપુરના રાજા જયસિંહને લખેલો પત્ર, પશ્ચિમી ઘાટો પર ૩૦૦થી વધુ કિલ્લાઓની સ્થાપના તથા ૬ જૂન, ૧૬૭૪ના રોજ છત્રપતિના નામથી રાયગઢમાં હિન્દુ રાજા તરીકે રાજ્યારોહણ વિશ્વભરના યોદ્ધાઓ તથા સ્વાતંત્ર્ય સંગ્રામના સેનાનીઓ તથા રાષ્ટ્રીય નેતાઓ માટે પ્રેરણાદાયી રહ્યું. આ ઉપલબ્ધિઓ તથા વિજય જ શિવાજીને નાયક તથા યુગપુરુષના રૂપમાં પ્રસ્તુત કરે છે.
 
છત્રપતિ શિવાજીનું આ રાજ્યારોહણ હિન્દુ સામ્રાજ્યદિન તરીકે ઉજવાય છે. રાજ્યાભિષેક જેઠ સુદ-૧૩ના આ ભવ્ય-દિવ્ય-નવ્ય હિન્દુ સામ્રાજ્યદિને શું થયું હતું અને તેની શું વિશેષતા હતી, તે જોઈએ.
 
હવે જેઠ સુદ ૧૩, તા. ૬ જૂન ૧૬૭૪નો શુભ મંગલ દિવસ ઊગ્યો. રાયગઢ ઉપર આનંદ આનંદ છવાયો હતો. તે દિવસે પરોઢના પાંચ વાગ્યાનું મુહૂર્ત શિવાજી મહારાજના રાજ્યાભિષેક માટેનું હતું. તે પહેલાં જ મહારાજના અષ્ટપ્રધાનો, સગાસંબંધી વગેરે વેળાસર ઉપસ્થિત થઈ ગયાં હતાં. ગુરૂદેવની સૂચના મળતાંની સાથે શિવાજી મહારાજનાં પત્ની સોયરાબાઈ તથા પુત્ર સંભાજી સોનાના બાજઠ ઉપર બિરાજમાન થયાં. પછી વિધિપૂર્વકનો અભિષેક શરૂ થયો. ઘી, દૂધ, દહીં, ગંગાજળ, સમુદ્રનું પાણી વગેરેથી અભિષેક કરવાનું શરૂ થયું. પં. ગાગા ભટ્ટ તેમજ, મહારાજના કૌટુંબિક કુલગુરુજી હાજર હતા તે સર્વે ગુરુવર્યો વેદના મંત્રોચ્ચાર કરતા હતા ત્યાર પછી ગરમ પાણીથી સ્નાન થયું. તે થતાંની સાથે સુવાસિનીઓએ (સ્ત્રીઓએ) તેમની આરતી ઉતારી. પછી કાંસાના વાસણમાં ઘી ભરેલું હતું તેમાં મહારાજે પોતાનું મોં પં. ગાગા ભટ્ટની સૂચનાથી જોયું. પછી શુભ્ર વસ્ત્રો અને કીમતી અલંકાર ધારણ કર્યાં. ત્યાર બાદ શિવાજી મહારાજે પોતાની તલવાર, ઢાલ, ધનુષ્ય, બાણ વગેરે આયુધોની પૂજા કરી અને તે સર્વે શસ્ત્રોનો સ્વીકાર કર્યો અને સિંહાસન તરફ હળવે હળવે વધવા લાગ્યા. વચ્ચે પોતાના કુલગુરુને, પં. ગાગા ભટ્ટને તેમજ વિદ્વાનમંડળી બ્રાહ્મણોને વંદન કરીને પોતાનાં વૃદ્ધ માતુશ્રી જીજાબાઈને વંદન કરવા માટે ગયા.
 
વંદન કરીને અને તેમના આશીર્વાદ લઈને સુવર્ણ તથા રત્નોથી બનાવેલા સિંહાસન પાસે આવ્યા. સુંદર રીતે શણગારેલો દરબારખંડ ગીચોગીચ ભરાઈ ગયો હતો.
 
મુહૂર્તની ક્ષણ આવતાં જ ગાગા ભટ્ટે મહારાજને જાણ કરી અને મહારાજે જાજમ ઉપર, જમણા ગોઠણ પર બેસી સિંહાસનને વંદન કર્યું. ગાગા ભટ્ટ તથા બીજા પંડિતોએ વેદ-મંત્રોનું ઉચ્ચારણ શરૂ કર્યું. વેદમંત્રો બોલાતા હતા તે સમયે શિવાજી મહારાજ સિંહાસન ઉપર બેઠા. તેમના બેસવાની સાથે મંગલ વાદ્યો, નગારાંઓ વગેરે વગાડવાનો પ્રારંભ થયો અને પછી તરત જ તોપોના અવાજ દશે દિશામાં ગુંજી ઊઠ્યા, તેનો ધ્વનિ સાંભળતાંની સાથે રાજ્યમાં સર્વ ઠેકાણે તોપોની સલામી આપવામાં આવી. તેનાથી રાજ્યમાં સર્વે લોકોને ખબર પડી કે શિવાજી રાજા રાજગાદી ઉપર બિરાજમાન થયા.
 
મહારાજ ગાદી ઉપર બેસતાંની સાથે સોના, રૂપાનાં બનાવેલાં ફૂલો તથા ખરાં ફૂલો તથા અક્ષત વિગેરે શિવાજી મહારાજ ઉપર આનંદથી નંખાતાં હતાં.
 
મહારાજ સિંહાસન ઉપર બેઠા પછી જરા શાંતિ મળતાંની સાથે ૧૬ સ્ત્રીઓએ તથા કુંવારી કન્યાઓએ હાથમાં આરતીની થાળીઓ લઈને શિવાજી મહારાજને કંકુ-તિલક કર્ર્યું અને આરતી ઉતારી. મહારાજે આવેલી સ્ત્રીઓ તથા કુંવારી કન્યાઓને તથા બાળકોને વસ્ત્રાલંકાર આપ્યાં પછી ગાગા ભટ્ટે હાથમાં રત્નજડિત રાજછત્ર લઈને મહારાજના માથા પર ધર્યું અને મંત્રોચ્ચારમાં ઘોષણા કરી કે `શિવાજી રાજા આજથી છત્રપતિ થયા છે. ક્ષત્રિય કુલાવતંસ મહારાજ સિંહાસનાધીશ્વર રાજા શિવ છત્રપતિ જય ! જય !!' તરત જ બીજા શાસ્ત્રીઓ પંડિતો વિગેરે આગળ આવ્યા. તેઓશ્રીએ મહારાજને આશીર્વાદ આપ્યા. મહારાજે તેઓને વંદન કર્યું. પછી અષ્ટપ્રધાનો આગળ આવીને મહારાજાને વંદન કરીને નજરાણું આપતા ગયા. મહારાજાએ પ્રેમથી તેમના નજરાણાનો સ્વીકાર કર્યો.
 
ઇંગ્લીશ વકીલ હેનરી ઓક્ઝિન્ડન પોતાના સેક્રેટરી સાથે આગળ આવ્યો, મહારાજને નમીને તેણે અભિવાદન કર્યું અને હાથમાં એક મૂલ્યવાન અંગૂઠી આપી અને નજરાણું ધર્યું. મહારાજાએ તેનો સ્વીકાર કર્યો. મહારાજાએ હેનરીને આગળ બોલાવ્યા અને સન્માનપૂર્વક વસ્ત્રાલંકાર ભેટમાં આપ્યાં. આ પ્રમાણે નજરાણાનો કાર્યક્રમ આગળ ચાલ્યો. તે પતી ગયા બાદ શિવાજી મહારાજની દળસવારી, સરઘસાકારે દેવદર્શન કરવા નીકળી.
 
મહારાજા સુશોભિત હાથી પર બેઠા હતા. સાથે અષ્ટપ્રધાનો, આમંત્રિતો પંડિતો અને જનતા વિ.નો સમાવેશ હતો. શોભાયાત્રા અત્યંત શિસ્તબદ્ધ અને શાંતિથી ચાલતી હતું. રસ્તામાં લોકો મહારાજ ઉપર અક્ષત, દુર્વા, ફૂલો, મમરા વગેરે નાખીને આરતી ઉતારતા હતા. મંદિરે પહોંચ્યા બાદ હાથી ઉપરથી ઊતરીને દેવદર્શન કરી મહારાજા પાછા રાજમંદિરે પધાર્યા. મહારાજ અંદર ગયા. ઘરના દેવનાં દર્શન કર્યાં અને પોતાની માતા જીજાબાઈ પાસે આવ્યા. તેમણે માતાને સાષ્ટાંગ પ્રણામ કર્યાં તે ઠેકાણે રાજસ્ત્રીઓએ તેમની આરતી ઉતારી. તે વેળાએ મહારાજાએ સર્વને વસ્ત્રાલંકાર ભેટમાં આપ્યાં. પછી મહારાજાએ આવેલા સર્વે મહેમાનોને, પંડિતોને, વિદ્વાન લોકોને, સાધુસંતો, ગરીબો, તેમની યોગ્યતા મુજબ ભરપૂર ભેટો આપી અને દાન કર્યું. મહારાજાએ પોતાના અષ્ટપ્રધાનોને, નોકરવર્ગને સારી સારી ભેટો આપી. હવે ભેટ આપવા માટે ફક્ત એક જ છોકરો રહ્યો - મદારી મેહતર.
 
શિવાજી મહારાજ આગ્રામાં જેલમાં હતા તે વખતે જાનના જોખમે મદારી મેહતરે મહારાજાની સેવા કરી હતી અને પછી મુશ્કેલીથી છૂટીને રાયગઢ આવ્યો હતો. મહારાજાએ તેને પૂછ્યું કે તને શું આપું ? જે માગીશ તે મળશે. મદારીએ કહ્યું કે મારે કાંઈપણ જોઈતું નથી. ફક્ત મહારાજ, મને આપના સિંહાસનની વ્યવસ્થાનું કામ તથા તેના ઉપર ચાદર પાથરવાનું કામ કાયમ માટે આપો ! મહારાજાએ તે વિનંતી માન્ય કરી. શિવાજી મહારાજે આ વખતે નવો શક શરૂ કર્યો તેને રાજ્યાભિષેક શક નામ આપવામાં આવ્યું. શિવાજી મહારાજે પોતે શરૂ કરેલા શક સંવતને પોતાનું નામ નહીં આપતાં રાજ્યાભિષેકના પ્રસંગને જ મહત્ત્વ આપ્યું. સર્વત્ર આનંદ છવાયો, કારણ કે,
 
સિંહાસન પર આજ બિરાજ્યા,
છત્રપતિ શિવરાય
મંગલ દિન આ હિન્દુરાષ્ટ્રનો,
પ્રગટ્યું સ્વર્ણ પ્રભાત.
 
 
Powered By Sangraha 9.0