ભારતગાથા । કટોકટીની અર્ધશતાબ્દી `સાધના'નું ખિસકોલી કર્મ!

`સાધના"એ આ ખાસ વધારો ૧૫ ઓગસ્ટ, ૧૯૭૫ના રોજ પ્રકાશિત કર્યો હતો અને ભદ્ર દરવાજે જનતા મોરચા સરકારના મુખ્યમંત્રી બાબુભાઈ પટેલનું સંબોધન હતું, જનમેદનીએ `સાધના" માટે પડાપડી કરી, કારણ એ હતું કે...

    ૦૯-જૂન-૨૦૨૫   
કુલ દૃશ્યો |

emergency Gujarat and sadhana magazine
રામસેતુની સાથે એક સુંદર કથા જોડાયેલી છે. સેતુ બાંધવા માટે તો અપાર મહેનત કરનારાઓની જરૂરત પડી.
શ્રી રામ અને હનુમાનની પાસે બેસીને એક ખિસકોલી આ ચર્ચા સાંભળી રહી હતી. સેતુનું નિર્માણ તો કરવાનું જ હતું. જલદી કરવાનું હતું. ખિસકોલીએ વિનમ્ર વિનંતી કરી, ભગવાન! અમોને પણ થાય એટલો સહયોગ કરવા દો. અને તેમ થયું. અનેક ખિસકોલીઓ નાનકડા પત્થર, ધૂળ, ઢેફાં લઈને રામસેતુ બાંધવામાં લાગી ગઈ.
 
કોઈ મહાન કામમાં નાનકડું પ્રદાન પણ મહત્ત્વનું બની જાય છે. ૧૯૬૭માં પરમ પૂજનીય શ્રી ગુરુજીએ આવા સાંકેતિક આશીર્વાદ આપ્યા હતા `સાધનાકી સાધના કરતે રહો...'
 
૧૯૭૫-૭૬માં જ્યારે દેશવ્યાપી આંતરિક કટોકટી અને સેન્સરશિપ લાગુ પાડીને `મિસા' અટકાયતી કાનૂન લાગુ કરીને ૧,૧૦,૦૦૦ નેતા-કાર્યકર્તાઓને કારાવાસી બનાવવામાં આવ્યા, રાષ્ટીય સ્વયંસેવક સંઘ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો ત્યારે તેની સામે જે સંઘર્ષ થયો. તે ઐતિહાસિક બની રહ્યો છે. આજથી ૫૦ વર્ષ પૂર્વેની એ કહાણીમાં `સાધના' જેવા નાનકડા સાપ્તાહિકના ભાગે આવું ખિસકોલી કર્મ આવ્યું હતું તેનું સ્મરણ થાય છે. એ વિચાર-સંઘર્ષની `સાધના' હતી. કટોકટી દરમિયાન અને પછી તેના વિષે પુસ્તકો તો ઘણાં લખાયાં તેમાં ગુજરાતનાં દસ્તાવેજી તથ્યો નરેન્દ્રભાઈ મોદીના `સંઘર્ષમાં ગુજરાત' અને આ લેખકના `મિસાવાસ્યમ્'માં છે. હમણાં હું પુનઃસ્મરણ સ્વરૂપે `એક મિસાવાસીની જેલ ડાયરી' લખી રહ્યો હતો, (૨૬ જૂને તે પ્રકાશિત થશે) ત્યારે પ્ર. ગ. સહસ્રબુદ્ધે અને માણિકચંદ વાજપેયી લિખિત પુસ્તક `આપાતકાલીન સંઘર્ષ-ગાથા' (સુરુચિ પ્રકાશન, નઈ દિલ્લી) જોવા મળ્યું. તેમાં બીજાં અનેક ક્ષેત્રોની સાથે `સમાચાર પત્ર' પ્રકરણ પણ છે. તેમાં ૧૦૦ જેટલાં નાનાં અખબારો અને કેટલાક પત્રકારોને જેલોમાં ધકેલાયાની વિગતો છે. કુલદીપ નાયર, કે.આર. મલકાણી, વગેરેથી તેની શરૂઆત થઈ. કુલ ૧૦૦ જેટલા પત્રકારો જેલમાં હતા એટલે ભૂગર્ભ પત્રિકાઓનો મોરચો શરૂ થયો. ગુજરાતમાં અને અન્યત્ર જનતા છાપું, જનતા સમાચાર, સત્યાગ્રહ સમાચાર, દાંડિયો, જનવાણી, સંગ્રામ, અરુણોદય, લોકશક્તિ, દર્પણ, મુક્તવાણી, વિદેશે સત્યવાણી અને બીજાં ભૂગર્ભ પ્રકાશનો લોકો સુધી પહોંચતાં રહ્યાં.
 
`સાધના'એ પ્રારંભથી નક્કી કર્યું કે આપણે સેન્સરની સામે કાનૂની લડાઈ આપવી અને બીજી તરફ તમામ સામગ્રી છાપવી, એટલે દેશવ્યાપી જેલોમાં કોણ ક્યાં છે, અકાલી દળથી માંડીને સરદાર-પુત્રી મણિબહેન પટેલે સત્યાગ્રહ કર્યો (ઉદાહરણ તરીકે ગુજરાતમાં ૨૧ સ્થાનો પર પોલીસ જુલમ હોવા છતાં ૧૦૪ તાલુકાની ૧૭૩ ટુકડીઓએ સત્યાગ્રહ કર્યો, ગુજરાતની જેલોમાં ૫૨૯ અટકાયતી ૧૧ જેલોમાં રાખવામાં આવ્યા હતા). નાગરિક સ્વાતંત્ર્ય પરિષદ, સંસદમાં થોડાક બચેલા સાંસદો ઉમાશંકર જોશી, જગન્નાથરાવ જોશી, એચ. એમ, પટેલ, માવલંકર, વગેરેનાં ભાષણો, ગુજરાત વિધાનસભામાં સેન્સર દ્વારા છાપવા પર પ્રતિબંધિત સામગ્રી, જેલોમાં બીમાર પડેલા નેતાઓની ખબર, વિદ્યાર્થીઓ પર પોલીસ જુલમ, વિદેશોમાં નોબલ વિજેતા લેખકોનો કટોકટી સામેનો વિરોધ, જ્યોર્જ ફરનાન્ડિઝના વિશ્વવ્યાપી પત્રો વગેરે `સાધના'માં પ્રકાશિત થતું. રોજેરોજ એલ.આઈ.બી.ના પોલીસો કાર્યાલય (ત્યારે સલાપસ રોડ પરના મન્સૂરી બિલ્ડગના એક મોટા ઓરડામાં `સાધના'નું કાર્યાલય હતું, અને ખમાસા ગેટ પાસે મુદ્રણાલય હતું) પર નજર રાખતા. એ દિવસોમાં જ લોકશાહી વિશેષાંક, કટોકટી વિશેષાંક વગેરે પ્રકાશિત થયા. એટલું જ નહિ `સાધના' દેશની જુદી જુદી જેલોમાં અને ભૂગર્ભ નેતાઓ સુધી પહોંચતું રહ્યું. યરવડા જેલ (જ્યાં શ્રી બાળાસાહેબ દેવરસ પણ જેલમાં હતા, ત્યાંથી હંસાબહેન રાજડાએ તો લવાજમ પણ મોકલી આપ્યું! ગુજરાત સિવાયની જેલોમાં જેઓ હતા તેમને ગુજરાતી ભાષાની ટેવ નહીં એટલે સંદેશો આવ્યો કે, `સાધના' દેવનાગરી લિપિમાં છાપો. સંપૂર્ણ `સાધના' તો દેવનાગરીમાં છાપવું અશક્ય હતું, પણ છેલ્લું સંપૂર્ણ પાનું એ લિપિમાં પ્રકાશિત કરવા માંડ્યા!
 
અઘરું તો હતું, કેન્દ્ર સરકારને ફાઈલો તૈયાર કરીને એક પૂર્વ સમાજવાદી નેતા દરેક સપ્તાહે આપવા જાતે જતા. દરમિયાન કેન્દ્રીય મંત્રી પ્રકાશચંદ્ર સેઠી, ઓમ મહેતા, વિદ્યાચરણ શુક્લ વગેરે મુલાકાતે આવ્યા, તેમનો ઇરાદો તમિલનાડુ અને ગુજરાતની મોરચા સરકારને ઉથલાવી નાખવાનો તખ્તો તૈયાર કરવાનો હતો.
 
એવું થયું પણ ખરું, પણ તે પહેલાં સાધના સંઘર્ષ-પત્ર તરીકે લોકો સુધી પહોંચતું રહ્યું. ગુજરાતની બહેનોએ બીમાર અટલ બિહારી વાજપેયીજીને સેંકડો રાખડી મોકલી તે અહેવાલ `સાધના'માં આવ્યો. દરમિયાન ધારાશાસ્ત્રી, રેડિકલ હ્યુમેનિસ્ટ નેતા ચંદ્રકાંત દરૂએ કસોટી-પ્રયોગ કરાવ્યો. વસંતરાવ ગજેન્દ્રગડકર અને મારા સંયુક્ત નામે `કટોકટી વિષે પુનઃ વિચારણા કરો' નામે ૩૦ પાનાંનો લેખ તૈયાર કર્યો, સેન્સર અધિકારી પાસે ગયા, હસીને તેમણે લાલ પેન્સિલથી દરેક પાને ચોકડી મારી. એક જગ્યાએ તેમાં ગાંધીજીનું વાક્ય હતું -`નીડર બનો' તેને પણ રદ કર્યું તો મેં રમૂજમાં કહ્યું કે, `ગાંધીજીને તો બાકાત રાખવા હતા!' તેઓ મારી સામે નજર કરીને હસ્યા. જવાબ હતો, `અમારા માટે અત્યારે એક જ (ઇન્દિરાજી) ગાંધી સર્વોપરી છે!'
 
લેખ સાથે દરૂ સાહેબે હાઈકોર્ટમાં રીટ દાખલ કરી, સરકારની પ્રયુક્તિ એવી કે એક પછી એક દિવસની મુદત માંગવી. ન્યાયમૂર્તિઓને આ ખેલની સમજ હતી એટલે બીજી મુદતે સાફ જણાવ્યું કે હવે વધુ મુદત નહિ મળે, ૧૩ ઓગસ્ટ, ૧૯૭૫ અંતિમ સુનાવણી થશે. ૧૩મીની સવારે અદાલતને સેન્સરે જણાવ્યું કે, `ફરિયાદી આ લેખ છાપે તેની મંજૂરી આપવામાં આવે છે.' દરુ સાહેબે અમને બોલાવ્યા. વસંતરાવ પણ કાયદાના નિષ્ણાત હતા. તેમણે કહ્યું કે, `સેન્સરની કોઈક વ્યૂહરચના લાગે છે.' દરુ સાહેબનું પણ એવું જ માનવું હતું. બેંગલુરુ સહિતની રીટમાં અટલજી, અડવાણી, મિશ્રા અને દંડવતેને અદાલત સમક્ષ છોડી દેવાના નિર્ણય પછી ફરીવાર પકડવામાં આવ્યા હતા. અદાલતો અને અટકાયતીઓ થાકી જાય એવી ચાલાકી.
 

emergency Gujarat and sadhana magazine 
 
અદાલતમાં સરકારી વકીલે લેખ પરની સેન્સરશિપ પાછી ખેંચી લીધાની રજૂઆત કરી. આપણે કેસ પાછો ખેંચવો એ કાનૂની સ્થિતિ હતી, તેવું કર્યું. દરુ સાહેબને શંકા હતી એટલે સૂચવ્યું કે લેખનું કમ્પોઝ તૈયાર રાખો. અમે કહ્યું કે માત્ર કમ્પોઝ નહિ તેનું મુદ્રણ અને પ્રકાશન તૈયાર છે. બપોરે સેન્સરની બીજી સૂચના મળી કે બીજા આદેશ પ્રમાણે તમે આ લેખ છાપીને પ્રકાશિત કરી શકશો નહિ. સેન્સરશિપ ઓર્ડર એસ. ઓ. ૪૩૧ (ઇ) મુજબ આ આદેશ આપવામાં આવે છે, જો તેનો ભંગ કરવામાં આવશે તો પોલીસ કાર્યવાહી કરવામાં આવશે. આ આખો નવો સુધારો માત્ર `સાધના' માટે કરવામાં આવ્યો હતો. દિલ્હીની સત્તા એક નાનકડા સાપ્તાહિકના એક લેખથી આટલું ડરતી હશે? વ્યૂહરચના મુજબ લેખ સાથેનો વધારો છાપીને ૧૫ ઓગસ્ટના ભદ્રના કિલ્લા પર મોરચા સરકારના મુખ્યમંત્રી કટોકટીના વિરોધનું ભાષણ કરી રહ્યા હતા ત્યારે જ જનમેદની પહેલીવાર સંપૂર્ણ મુક્ત પત્રકારત્વનું માધ્યમ `સાધના' લેવા પડાપડી કરી રહી હતી! સેન્સરે દરુ સાહેબે લખી નાખ્યું કે લેખ છાપવાની સંમતિ અદાલત સમક્ષ તમે કરી ત્યારે મારા અસીલે તેનું પ્રકાશન કર્યું અને બીજો આદેશ મળે તે પહેલાં વિતરણ કર્યું હતું.
 
પૂ. માવલંકરનો ૧૫ ઓગસ્ટની સાંજે ફોન આવ્યો કે, હું પણ એ ભીડમાં ઊભો હતો. હું જોઈ રહ્યો હતો કે લોકો કેટલી ઉત્સુક્તાથી પહેલીવાર મુક્ત પત્રકારત્વનો ઉલાસ માણી રહ્યા હતા!
 
***
 
`સાધના'એ આ ખાસ વધારો ૧૫ ઓગસ્ટ, ૧૯૭૫ના રોજ પ્રકાશિત કર્યો હતો અને ભદ્ર દરવાજે જનતા મોરચા સરકારના મુખ્યમંત્રી બાબુભાઈ પટેલનું સંબોધન હતું, જનમેદનીએ `સાધના' માટે પડાપડી કરી, કારણ એ હતું કે દેશવ્યાપી સેન્સરશિપને હાઈકોર્ટમાં પડકારીને જીત મેળવી હતી. જો કે થોડાક કલાકોમાં દિલ્હી સેન્સર ઑફિસે નવો સુધારો કરીને આ અંક પર પ્રતિબંધ લાદ્યો હતો!
 
 

વિષ્ણુ પંડયા

લેખક રાજકીય વિશ્લેષક અને ઇતિહાસકાર છે. સાધના સાપ્તાહિકના પૂર્વ તંત્રીશ્રી છે. ગુજરાત સાહિત્ય અકાદમીના પૂર્વ ચેરમેન છે. રાજકારણ, ઇતિહાસ અને ઐતિહાસિક સ્થળો પર ગુજરાતી અખબારો અને સામયિકોમાં નિયમિત લખે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં છેલ્લા ૪૦ વર્ષોથી સક્રિય છે. ૨૦૧૭માં તેમને પદ્મશ્રી પુરસ્કાર પણ મળ્યો છે.