
૨૦૨૫માં પાકિસ્તાનની દાનત કચ્છ અને બનાસકાંઠા પર હોય તો તે સમજી શકે તેવી તેની ધૃષ્ટ્રતા છે, ૧૯૮૫ના જાન્યુઆરી મહિનાનો એક દિવસ. કચ્છની સરહદ પર એક નાનકડી જીપ લઈને નીકળ્યા છીએ. સાથે સરહદી હોમગાર્ડના અફસર છે. એક આખા પ્રદેશ જેવો કચ્છનો નકશો છે. હિન્દીમાં નકશા માટે એક સરસ શબ્દ છે -માનચિત્ર. રણ, સમુદ્ર, મેદાનો, નાના અને મોટાં નગરો, ધૂળિયાં ગામડાઓ, રસ્તા પર વાહનોની કતાર તો ક્યાંક સાવ ઉજ્જડ વેરાન રસ્તો. કચ્છના આકાશમાં પોતાની ધરતીને અનુકૂળ એવા પક્ષીઓ પણ સહેલ કરતાં હોય. વહેલી સવારથી મોડી રાત સુધીની થાક્યા વિનાની સફરમાં સામખીયાળી, ભચાઉ, ગાંધીધામ, ભુજ, માંડવી, નખત્રાણા, લખપત, રાપર, માધાપર, કંડલા અને મુંદ્રા તો ખરા જ, પણ સૌથી વધુ સમજવા જેવા છે સરહદ પરના ગામડાં. સમાજ-ચિંતક અને અધ્યાત્મને વરેલા વિમલા તાઈ ઠકારથી પ્રેરિત ગુજરાત બિરાદરીના ઉપક્રમે એક સીમા અભ્યાસ સમિતિ બનાવવામાં આવી હતી. બાબુભાઇ જશભાઈ પટેલ અધ્યક્ષ હતા, મારી જવાબદારી સંયોજકની હતી. તેના અંતર્ગત કચ્છ, બનાસકાંઠાની સરહદી સ્થિતિ અને જામનગર જિલ્લાની દરિયાઈ પટ્ટીનો પ્રવાસ થયો. ત્યારે જ ખબર પડી કે કચ્છ અને બનાસકાંઠા તો સિંધ પાકિસ્તાનના સાવ નજીકના પાડોશી છે.
ભારત વિભાજન થયું ત્યારે બ્રિટને બે દેશો વચ્ચેની સરહદ નક્કી કરવા માટે સિરીલ રેડકલીફ નામે ભારતથી તદ્દન અજાણ અફસરને સીમાંકન કરવા મોકલ્યો. ભારતીય પ્રદેશોના નકશા તેની પાસે નહોતા. દસ દિવસમાં સરહદની આંકણી કરી નાખવાની હતી. તેને જેવી, જેટલી સમજ હતી એવું કામ કરીને અહેવાલ આપી દીધો. પણ એટલો નારાજ હતો કે લંડન પાછો ફર્યો ત્યારે તમામ અહેવાલ અને દસ્તાવેજો બાળી મૂકવાનું કામ કર્યું. ઇતિહાસમાં આવડી મોટી વિભાજન ઘટના આવી રીતે આટોપી લેવામાં આવી હતી. કુલદીપ નાયર રેડકલીફને લંડનમાં મળ્યા ત્યારે તેણે એક વાત કરી હતી કે, મેં લાહોરની મુલાકાત લીધી ત્યારે ત્યાં હિન્દુજીવનની તરાહ હતી. મે નક્કી કર્યું કે લાહોર તો ભારતમાં જ શોભે. પણ વિભાજનના રાજકારણે એવું થવા ના દીધું!
કચ્છ અને બનાસકાંઠા તો ત્રણેક વાર જવાનું થયું. કચ્છમાં છાડબેટ પાકિસ્તાનને આપી દેવાયું તેની સામે ૧૯૬૮માં એક મહિના સુધી ત્યાં સત્યાગ્રહ થયો હતો. અટલ બિહારી વાજપેયી, એન. જી. રંગ, જ્યોર્જ ફર્નાન્ડીઝ, હેમ બરૂઆ, રાજનારાયણ, રાજમાતા વિજયારાજે, ભાઈકાકા, કચ્છના મહારાજ, જગન્નાથરાવ જોશી, સનત મહેતા, હરિસિંહજી ગોહિલ, કેશુભાઈ પટેલ, વસંતરાવ ગજેન્દ્રગડકર, ચીમનભાઈ શુકલ, સૂર્યકાંત આચાર્ય.. વગેરેની રોજ સભા થતી. મોડી રાતે છેલ્લા વકતા અટલજી હોય, તેઓ ભારત દર્શનના ઉદબોધનથી શરૂઆત કરે.
`મેરા દેશ કોઈ જમી કા ટુકડા નહિ હૈ, યે તો જીતા જાગતા રાષ્ટ્રપૂરુષ હૈ..'
એ દિવસો આગામી રાષ્ટ્રીય રાજકારણના સંકેત હતા. ૧૯૬૫ અને ૧૯૭૧ના સરહદી યુદ્ધ સમયે ત્યાં જવાનું બન્યું ત્યારે કાળો ડુંગર પછમાઈ પીર - ભારતીય સૈનિકોનું એક થાણું બની ગયેલો જોયો. સૈનિકો ભગવાન દત્તાત્રેયના દર્શન અને આરતી કરતાં જોઈને થયું કે, તેમની જીત નિશ્ચિત છે! થયું પણ તેવું જ. ભારત જીત્યું અને રશિયન દબાણ હેઠળના તાશ્કંદ કરાર પછી છાડબેટ અને બનાસકાંઠામાં નગરપારકર - થરપારકર પાકિસ્તાનને સોંપી દેવાં પડ્યાં, આમાંના થરપારકરના નગરપારકર ભારતની પાસે હતું ત્યારે ભાઈ મહાવીરના નેતૃત્વમાં સત્યાગ્રહ થયો તેમની સાથે જવાનું બન્યું હતું. તે સમયે કોઈ સગવડો નહોતી. સૂઈગામથી નીકળી જલોયા થઈને સૌ નગરપારકર જવા નીકળ્યા ત્યારે કોઈને અંદાજ નહિ કે રણનું પાણી સપાટીની નીચે ધખધખતું હોય, ઉપર ખબર પડે નહીં. વચ્ચે નડાબેટ એક જ સ્થાન આવે. બાકી ખારા પાણીની સપાટી. પગ મૂકો કે નમકની સપાટી તૂટે, લોહી નીકળે, અને અંદર ગરમ પાણી. `ઘા પર નમક ભભરાવવા'ની કહેવત તો વાપરી હતી, પણ તેની વાસ્તવિકતા અહી અનુભવવા મળી. ઉપર ધોમધખતો તડકો, નીચે આકરી સફર, પીવાનું પાણી પણ નસીબે નહિ અને દૂર સુધીની આ રણભૂમિ! સહુ સત્યાગ્રહી અલગ અલગ ટુકડીમાં માંડ સિંધના સરહદી ગામ વડતલૈયા પહોંચ્યા અને ત્યાંથી ભારતીય સેનાની જીપ નગરપારકર લઈ ગઈ, કેવી મુસીબતમાં આપણા સૈનિકો જીવે છે, તેનો અંદાજ બીજીવારની મુલાકાત દરમિયાન આવ્યો. હજુ આ વિજિત પ્રદેશ પાકિસ્તાનને સોંપાયો નહોતો. છાવણીઓમાં તેઓ રહેતા હતા. તેના મુખ્ય અફસરે ચૌહાણે કહ્યું કે, આજે રાતે તમે અહી રોકાઈ શકો છો, બસ, રાતે રણના સાપ આવે એ સિવાય કોઈ મુશ્કેલી નથી!
...અને આ સરહદી ગામડાઓ! આજે પણ કાન દઈને સાંભળો તો ભારતીય જવાનની કૂચકદમ સાંભળવા મળે. ૧૯૭૧ના યુદ્ધમાં પાકિસ્તાને જામનગર વિમાની મથક પર હુમલો કર્યો હતો, ભુજ, ખાવડા દ્વારિકા, ગાંધીધામ, ખરી ડેમ, ઓખા પણ આકાશી જહાજોથી ઘેરવામાં આવ્યાં. બનાસકાંઠામાં જલીલી, કૂવાલા, કુલપરા, અલોલિયા, રસાણી, વાંઢ, ગામડા પાકિસ્તાને હસ્તગત કર્યા, પણ જવાનોએ તે ભીષણ યુદ્ધ સાથે પાછા મેળવ્યા. નગરપારકર હાથમાંથી ગયું ત્યારે પાકિસ્તાને હતાશ થઈને ભુજ વિમાનીમથક પર બે બોમ્બ ઝીંકયા, ૧૧ ડિસેમ્બરે બનાસકાંઠાના મોરચે વિગોર, કચ્છ મોરચે વિરાવા જીતી લીધા. વિગોર બિયારબેટથી નજીકનું થાણું છે, હાલ જયાં સંઘર્ષ થયો તેમાં આ બિયારબેટ સામેલ છે. જામનગર નાગરિકો પર બોમ્બ ફેંકવાના ઇરાદે આવેલા F-104 વિમાનોને સિક્કાની સરહદે તોડી પાડવાનું શ્રેય વિમાનચાલક બી. બી. સોનીનું હતું. એકલા ૧૪ દિવસમાં કચ્છ પર ૯૨ બોમ્બ ફેંકાયા હતા.
૧૯૬૫ના યુદ્ધ પછી તાશ્કંદ કરારમાં જે ૩૦૦ ચોરસ માઈલ જમીન ભારતે ગુમાવી તે ૧૯૭૧માં ૧૪૦૦ ચોરસ માઈલ સુધી મેળવી લીધી, ફરી સિમલા કરાર થયા અને વિજિત પ્રદેશો પાછા આપવા પડ્યા.
...પણ યુદ્ધ ઉપરાંત આ સરહદોને સમજવા જેવી છે. ભારત-પાકિસ્તાનની સરહદો અત્યંત કૃત્રિમ છે. કચ્છ, સિંધ અને રાજસ્થાનના પરસ્પર સંબંધો સાંસ્કૃતિક છે. કરાંચી તો ગુજરાતી વસ્તીનું મથક ગણાતું. બલોચિસ્તાન અત્યારે પાકિસ્તાનથી આકાગ થવા લડી રહ્યું છે, ત્યાં હિંગળાજ માતાના દર્શને ગુજરાતીઓ મોટી સંખ્યામાં જાય છે. મુએ-જો-દરો સિંધુ સભ્યતાનું પ્રાચીન સ્થાન છે. તક્ષશિલા વિશ્વવિદ્યાલય પ્રાચીન વિદ્યાધામ છે. લાહોર શ્રીરામના પુત્ર લવનું વસાવેલું છે. લવ-લાહ-લાહોર રૂપાંતર થયું છે. ત્યાં પ્રતિબંધિત લવ મંદિર પણ છે. કુશના નામ પર કસૂર સ્થાન છે. તેનો એક અભિલેખ આપણા શેત્રુંજયમાં મળી આવ્યો હતો. લવપુર, લામપુર, બંને નામોનો તેમાં નિર્દેશ છે.
આપણા માટે તો લાહોર ઐતિહાસિક સ્થાન છે. સરદાર ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને જ્યાં ફાંસી આપવામાં આવી તે જેલ જ રહી નથી, પછી લાલા લજપતરાયને જ્યાં લાઠી પડી અને શહીદ થયા તે જગ્યા તો ક્યાંથી મળે? એમ તો વડનગરના નાગર બ્રાહ્મણ પરિવારના વંશજ ભગવતી ચરણ તો ભગતસિંહના સાથી હતા. ભગતને બચાવવા રાવી નદીના કિનારે બોમ્બ-પ્રયોગમાં શહીદ થાય હતા, તેમના પત્ની દુર્ગાભાભી પણ ક્રાંતિકારી મહિલા હતાં, થોડાક વર્ષ પર ગાઝિયાબાદમાં આંખો મીચી. લાહોરમાં કૃષ્ણ મંદિર છે, શીખ ગુરુદ્વારા છે. વાલ્મીકિ મંદિર પણ છે. લાહોરથી વિભાજન સમયે અમૃતસર સ્થળાંતર કરનાર શીખોની સંખ્યા ૨,૪૦,૦૦૦ હતી, રસ્તામાં જ કેટલાકની હત્યા થઈ હતી. સ્વામી દયાનંદ સરસ્વતી લાહોર આવ્યા હતા અને અહીં આર્યસમાજની સ્થાપના કરવામાં આવી હતી. ખ્યાત ચિત્રકાર અમૃતા શેરગિલ લાહોરની હતી. મોતીલાલ બનારસીદાસના સાંસ્કૃતિક મૂલ્યવાન પ્રકાશનોનું કેન્દ્ર લાહોર હતું.
કચ્છ અને બનાસકાંઠાના સરહદી વિસ્તારને સમજવા જેવો છે. સરહદ પર રહેવું એ અલગ પ્રકારનો અનુભવ છે. કચ્છમાં એવાં પણ સરહદી ગામો છે, જે આજે જોયાં હોય, પછી ફરીવાર આવો ત્યારે જોવા ના મળે! સૌરાષ્ટ્ર અને સિંધની વચ્ચે કર્ક વૃત્ત પર આવેલા, સમુદ્ર અને રણથી વીંટલાયેલા લગભગ ૧૬૦ માઈલ- ૨૫૬ કિલોમીટર લાંબા અને વિવિધ સ્થળે ૩૫થી ૭૦ માઈલ પહોળા કચ્છની ઉત્તરે મોટા રણની પર સિંધ પાકિસ્તાન આવેલું છે. ૨૬૧૩૯ ચોરસ કીલોમીટર ફેલાયેલું નાનું અને મોટું રણ, મોટી ડુંગરાળ હારમાળા, ખાવડાથી થોડે દૂર કાળો અને ગોરો ડુંગર, કડીરમાં ખડિયો, નિલવો, મેવાણિયો જેવા ડુંગર, વાંગડમાં કંથકોટની પહેરેદારી. બારમાસી નદી એકે ય નહિ, હવે નર્મદાના પાણી મળતા થયાં. કોટેશ્વર અને નારાયણ સરોવર, આશાપુરા માતા, ભદ્રેશ્વર, ધીણોધર.. આ આપણી સંસ્કૃતિનો મબલખ વારસો છે. વર્તમાન સરહદી ઉત્પાત સમયે આ બધુ આત્મસાત કરવું જોઈએ.