ભારતભૂમિ અને સનાતન ધર્મ એક બીજાના પર્યાય છે. તેના બ્રહ્માંડીય જ્ઞાન, વિશ્વબંધુત્વ અને શાંતિનો પ્રકાશ સમગ્ર વિશ્વના સામાન્ય લોકોથી માંડી જે તે ક્ષેત્રના માંધાતાઓના જીવન અને દૃષ્ટિને પ્રકાશમય કરતો આવ્યો છે. પરિણામે વિશ્વભરના લોકો સનાતન મૂલ્યો પ્રત્યે આસ્થા દર્શાવવા લાગ્યા છે. વાત આવા જ કેટલાક મહાનુભાવોની, જેઓએ કોઈપણ પ્રકારના લોભ-લાલચ કે દબાણ વગર પોતાના જીવનમાં સનાતન મૂલ્યો અંગીકાર કર્યાં છે.
જાણીતા ઉદ્યોગપતિ એલન મસ્કના પિતા ઈરોલ મસ્કે ભારતના પ્રવાસ દરમિયાન સનાતન ધર્મ અને ભગવાન શિવની પ્રશંસા કરી ચર્ચામાં આવ્યા છે. તેઓએ કહ્યું હતું કે, મને લાગે છે કે, જો આખું વિશ્વ ભગવાન શિવના માર્ગને અનુસરે તો, બધું જ બરાબર થઈ જશે. હિન્દુ ધર્મ એટલો પ્રાચીન છે કે, તે આપણા મનને આશ્ચર્યચકિત કરી દે છે. તે આપણને બતાવે છે કે હજી આપણે કેટલું ઓછું જાણીએ છીએ.
ઇરોલ મસ્ક એ કોઈ પ્રથમ વિદેશી નથી, જે ભારતીય તત્ત્વજ્ઞાન અને સનાતન ધર્મથી અભિભૂત થયા હોય. સનાતન સંસ્કૃતિ અને ધર્મ અને ગીતાજ્ઞાન સદીઓથી વિદેશીઓને આકર્ષિત કરતું રહ્યું છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈને ભગવદ્ગીતા વાંચનનો અનુભવ વર્ણવતાં કહ્યું હતું કે, `જ્યારે મેં ભગવદ્ગીતા વાંચી ત્યારે તે જ્ઞાન આગળ વિશ્વનું તમામ જ્ઞાન મને નિરર્થક લાગવા માંડ્યું હતું.'
સુપ્રસિદ્ધ જર્મન કવિ અને ઉપાન્યાસકાર પેટર હરમન હેના જીવન પર પણ સનાતન જીવનશૈલી અને ભગવદ્ગીતાનો વિશેષ પ્રભાવ હતો.
૧૯મી સદીના પ્રસિદ્ધ દર્શનશાસ્ત્રી અને નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા અલ્બર્ટ સ્વિટઝર વિશ્લેષણાત્મક મનોવિજ્ઞાન માટે જાણીતા સ્વિસ મનોવૈજ્ઞાનિક કાર્લ જુંગ પ્રસિદ્ધ અંગ્રેજી સાહિત્યકાર આલ્ડસ હકસલી જેવાઓએ પણ સ્વીકાર્યું છે કે, મનુષ્યમાં માનવમૂલ્યોની સમજ પેદા કરવા માટે ભગવદ્ગીતા સૌથી શ્રેષ્ઠ અને વ્યવસ્થિત ગ્રંથ છે. આ યાદીમાં ૧૯મી સદીના વિખ્યાત નિબંધકાર અને સાહિત્યજગતના માંધાતા ઇમર્સન ઓસ્ટ્રેલિયાઈ દાર્શનિક અને સાહિત્યકાર સ્ટીમર, અમેરિકાના જાણીતા દાર્શનિક હેનરી ડેવિડ થોરોનો પણ સમાવેશ થાય છે.
હવે વાત એવા વિશ્વપ્રસિદ્ધ વૈજ્ઞાનિકોની કે જેઓએ હિન્દુ ધર્મથી પ્રભાવિત થઈ હિન્દુ ધર્મ અપનાવી લીધો છે. આ યાદીમાં એક નામ ક્વોન્ટમ ફિઝિક્સમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપનાર એર્વિન શુક્રોડીંગર છે. તેમના સનાતન પ્રત્યેના લગાવને કારણે તેમને વેદાન્તી હિન્દુ પણ કહેવામાં આવે છે. કારણ કે તેઓ વેદો અને ઉપનિષદોનું ગૂઢ અધ્યયન કર્યું હતું. તેઓએ કહ્યું હતું કે, મારાં ક્વોન્ટમ મેકેનિક્સના મોટાભાગના સિદ્ધાંત વેદોથી જ પ્રભાવિત છે. મારા વૈજ્ઞાનિક વિચાર અને વેદો એકબીજા સાથે જોડાયેલા છે.
અમેરિકાના ફાધર ઑફ એટોમિક બોમ્બ તરીકે વિખ્યાત રોબર્ટ ઓપન હાઈમર હિન્દુ ધર્મમાં પ્રગાઢ આસ્થા ધરાવતા હતા. તેઓએ ભગવદ્ગીતાને તેની મૂળ ભાષામાં વાંચવા માટે ૧૯૩૦માં સંસ્કૃત ભાષા શીખી હતી. તેઓ માનતા હતા કે, ભગવદ્ગીતાનો સાચો રસાસ્વાદ તેની મૂળ સંસ્કૃત ભાષામાં જ માણી શકાય છે. ઓપન હાઈમરે પોતાના જ બનાવેલા એટમ બોમ્બનો ભયાનક વિસ્ફોટ જોયો ત્યારે તેઓએ કહ્યું હતું કે આ વિસ્ફોટ જોઈ મને ભગવદ્ગીતાની એ પંક્તિ યાદ આવે છે, જ્યારે ભગવાન શ્રીકૃષ્ણએ પોતાનું વિરાટ સ્વરૂપ અર્જુનને બતાવી કહ્યું હતું કે, હું લોકોનો નાશ કરનારો મહાકાલ છું અને હાલ અધર્મનો નાશ કરવા પ્રવૃત્ત થયો છું.
અમેરિકન એસ્ટ્રોનોમર કાર્લ સેગન માનતા હતા કે, હિન્દુઓના વેદ અને ઉપનિષદોમાં બહ્માંડનું આબેબ એવું જ વર્ણન થયેલું છે, જેવું મોડર્ન સાયન્સમાં છે. જર્મન થિયોટિકલ ફિજિશિયન અને ક્વોન્ટમ મિકેનિક્સમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપનાર બર્નર હાઈજનબર્ગે અનેક વખત કહ્યું હતું કે, હિન્દુ ધર્મના વૈદિક અને ઉપનિષદ્ જ્ઞાનને ક્વોન્ટમ મિકેનિક્સ સાથે ઘણેખરે અંશે સંબંધ છે. તેઓએ કહ્યું હતું કે, ક્વાંટમ થિયરી એ લોકોને બિલકુલ મજાક નહિ લાગે જેઓએ વેદો વાંચ્યા છે.
વિશ્વપ્રસિદ્ધ જર્મન ફિજિસ્ટ અને ન્યુક્લિયર એન્ડ ક્વાંટમ ફિઝિક્સમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપનાર હેંસ પીટરે હિન્દુ ધર્મ-વેદ અને ઉપનિષદો પર ૩૪ વર્ષ સુધી અધ્યયન કર્યું હતું.
હોલીવૂડ પણ રંગાયું ભગવા રંગે
માત્ર દાર્શનિક કે વૈજ્ઞાનિકો જ નહિ. હોલીવૂડના અનેક દિગ્ગજો પણ ભગવા રંગે રંગાયા છે. પ્રસિદ્ધ અમેરિકન અભિનેત્રી જુલિયા રોબર્ટે ૨૦૧૦માં હિન્દુ સનાતન ધર્મ અપનાવી લીધો હતો. અને ૧૯૯ અઠવાડિયાં સુધી ન્યુયોર્ક ટાઈમ્સની દૈનિકની સૌથી વધુ વેચાતા પુસ્તકોની યાદીમાં ટોચના સ્થાને રહેલા પુસ્તક `ઈટ, પ્રે લવ' પુસ્તકની લેખિકા એલિઝાબેથ ગિલ્બર્ટે હિન્દુ ધર્મથી પ્રભાવિત થઈ સનાતન ધર્મ અંગીકાર કરી લીધો છે. સમગ્ર વિશ્વમાં જેના કરોડો પ્રશંસક છે એવા બીટલ્સ બેન્ડના મુખ્ય ગિટારીસ્ટ જ્યોર્જ હેરિસે પણ ઈસાઈ મત છોડી સનાતન હિન્દુ ધર્મ અંગીકાર કરી લીધો હતો. તેઓએ આજીવન હિન્દુ ધર્મનો પ્રચાર કર્યો હતો. ૨૦૦૧માં તેઓના નિધન બાદ તેમની અંતિમ ઇચ્છા પ્રમાણે તેમનાં અસ્થિ ગંગા-યમુનામાં પ્રવાહિત કરવામાં આવ્યાં હતાં. પોતાની કોમેડીને કારણે વિશ્વ સિનેજગતમાં મોખરાનું સ્થાન ધરાવનાર અભિનેતા રસેલ બ્રાન્ડ તો હિન્દુ ધર્મ અંગે ઠેર ઠેર ફરીને વ્યાખ્યાન પણ આપે છે. અને યોગ ધ્યાનનો પ્રચાર-પ્રસાર કરે છે. અમેરિકાના ગાયક, ગિટારિસ્ટ ટ્રેવરનું સંગીત પણ હિન્દુધર્મથી ખૂબ જ પ્રભાવિત રહ્યું છે. તેઓના ગીતોમાં સંસ્કૃતના મંત્રો હોય છે.
ગ્રેટફૂલડેડ નામના બેન્ડથી સમગ્ર વિશ્વમાં ધૂમ મચાવનાર જૈરી ગાર્સિયા તો બાળપણથી જ હિન્દુ સનાતન ધર્મનું અનુસરણ કરતાં હતાં. ૧૯૯૫માં તેમના નિધન બાદ તેમની અંતિમ ઇચ્છા પ્રમાણે તેમની અંતિમ ક્રિયા ઇસાઈ પરંપરાને બદલે હિન્દુ પરંપરા મુજબ કરવામાં આવી હતી. એટલું જ નહિ તેમનાં અસ્થિ પણ ભારત લાવી હૃષીકેશમાં ગંગા નદીમાં પ્રવાહિત કરવામાં આવ્યાં હતાં.
આ ઉપરાંત રેમ્બો સિરીઝથી વિશ્વભરમાં પ્રખ્યાત થયેલા હોલિવૂડ અભિનેતા સિલ્વેસ્ટર સ્ટેલોન પણ પોતાના પ્રિય પુત્રના મૃત્યુ બાદ તેના આત્માના મોક્ષ માટે અમેરિકાથી વારાણસી આવ્યા હતા. ત્યારબાદ તેમને એવી તો શાંતિ અનુભવાઈ કે, તેઓ ખુદ સનાતન ધર્મના અનુયાયી બની ગયા હતા. વિલસ્મિથ, માઈલી સાઈરસ, મેડોના, બ્રાન્ડ પીટ, એવી તો અનેક અનેક જાણીતી હસ્તિઓ છે, જેઓની આસ્થા હિન્દુ ધર્મ પ્રત્યે અતૂટ બની છે. મજાની વાત એ છે કે, આમાંના કેટલાકે સ્પષ્ટ રીતે પોતાનો પંથ છોડી હિન્દુ ધર્મ અપનાવી લીધો છે, તો કેટલાક પોતાના પંથમાં રહીને જ આજીવન હિન્દુ તરીકે જીવ્યા અને જીવી રહ્યા છે. હકીકતમાં આ જ હિન્દુ સનાતન ધર્મની સુંદરતા છે. અહીં હિન્દુ તરીકે જીવવા કોઈને પોતાનાં મૂળ છોડવાની ફરજ પાડવામાં આવતી નથી. તેઓ પોતાના મૂળમાં રહીને પણ હિન્દુ દર્શન મુજબ જીવી શકે છે. હિન્દુ ધર્મની આ જ સનાતન સુંદરતા વિશ્વ આખાને પોતાના તરફ આકર્ષી રહી છે.
ચીનીયાત્રી હ્યુ એન સાંગ જે ભારત પર ઓળઘોળ થઈ ગયા હતા
ચીનના દાર્શનિક હ્યુ એન સાંગ પણ પોતાની ભારતયાત્રા દરમ્યાન ભારતના હિન્દુ-બૌદ્ધ ધર્મની સહિયારી સંસ્કૃતિ પર ઓળઘોળ થઈ ગયા હતા. વિલિયમ ડેલરિયલ પોતાના પુસ્તક `ધ ગોલ્ડન રોડ, હાઉ એશિયન્ટ ઇન્ડિયા ટ્રાન્સફોર્મ્ડ ધ વર્લ્ડ'માં લખે છે કે, હ્યુ એન સાંગનો આશય ભારતની નાલંદા વિશ્વ વિદ્યાલયમાં અભ્યાસ કરવાનો હતો કારણ કે, તે વખતે વિશ્વનું સૌથી મોટું પુસ્તકાલય નાલંદામાં હતું. હ્યુ એન સાંગ લગભગ સાડા ચાર હજાર કિલોમીટરની યાત્રા કરી ભારત પહોંચ્યા અને નાલંદા વિશ્વ વિદ્યાલયમાં ૨૦૦ સંન્યાસીઓ અને ૧૦૦૦ લોકો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હ્યુ એન સાંગ અહીંના વ્યાખ્યાનકક્ષો, સ્તૂપો અને મંદિરો જોઈ અચંબિત થઈ ગયા હતા. અહીંના લગભગ ૩૦૦ વર્ગખંડોમાં દસ હજારથી વધુ ભિક્ષુ છાત્રો રહેતા હતા. અહીં મહાયાન અને નિકાય બૌદ્ધ ધર્મ, વેદો, તર્કશાસ્ત્ર, વ્યાકરણ દર્શન, ચિકિત્સા શાસ્ત્રથી ગણિત ખગોળશાસ્ત્ર અને સાહિત્ય ભણાવવામાં આવતું. હ્યુ એન સાંગ ભારતના આ જ્ઞાનને જોઈ અભિભૂત થઈ ગયા હતા. હ્યુ એન સાંગે પણ પોતાના પ્રવાસના વર્ણનમાં લખ્યું છે કે, રાજા હર્ષ વર્ધન દ્વારા એક અતિથિ છાત્ર તરીકે તેઓને રોજ ૨૦ પાન, સોપારી, જાયફળ, સુગંધિત ધૂપ, બત્તી, અડધો કિલો ચોખા અને અસીમીત માત્રામાં દૂધ અને માખણ આપવામાં આવતું. તેના બદલામાં મારી પાસે કોઈ જ શુલ્ક વસૂલવામાં આવતું ન હતું.
સને ૬૪૩માં ભારતમાં ૧૬ વર્ષ રહ્યા બાદ તેઓ બંગાળના અંતિમ મઠોની યાત્રા કરી ચીન પાછા ફરી રહ્યા હતા ત્યારે તેમની પાસે ૬૫૭ પુસ્તકો, મોટા પ્રમાણમાં પ્રતિમાઓ, અનેક પ્રજાતિનાં છોડ-બીજ પણ હતાં. કહેવાય છે કે પરત ફરતી વખતે સિંદુ નદી પાર કરી રહ્યા હતા ત્યારે તોફાન આવવાને કારણે પાંડુલિપી ભરેલી નાવોને બચાવવા અનેક હિન્દુઓએ લોકોએ જાતે જ નદીમાં કૂદી જઈ બલિદાન આપી હ્યુ એન પાસેની એ પાંડુલિપી બચાવી હતી.