બંધારણીય માર્ગો: લોકશાહી અને ન્યાયની સાચી દિશા

24 Jan 2026 15:21:27

Ambedkar on Rule of Law
 

૨૬ નવેમ્બર, ૧૯૪૯ના દિવસે ડૉ. બી. આર. આંબેડકરજીએ બંધારણસભામાં આપેલા પોતાના ઉદ્‌બોધનમાં કહ્યું હતું કે, ‘..મારા વિચારમાં પહેલી ચીજ જે આપણે કરવી જોઈએ, તે છે આપણા સામાજિક અને આર્થિક ઉદ્દેશ્યોને પ્રાપ્ત કરવાના બંધારણીય ઉપાયોને દૃઢતાથી પકડી રાખવા. આનો મતલબ છે કે, આપણે ક્રાંતિના લોહિયાળ ઉપાયોને છોડી દેવા જોઈએ. આનો મતલબ છે કે આપણે સવિનય કાનૂનભંગ, અસહકાર અને સત્યાગ્રહની પદ્ધતિને છોડી દેવી જોઈએ. જ્યારે આર્થિક અને સામાજિક ઉદ્દેશ્યોને પ્રાપ્ત કરવા માટે બંધારણીય ઉપાયોનો કોઈ રસ્તો બચ્યો ન હતો, ત્યારે ગેરબંધારણીય ઉપાયોને માટે ઘણું ઔચિત્ય હતું. પરંતુ જ્યાં હવે બંધારણીય ઉપાયો ખુલ્લા છે, ત્યાં આ ગેરબંધારણીય ઉપાયો માટે કોઈ ઔચિત્ય ન હોઈ શકે. આ ઉપાયો ‘અરાજકતાના વ્યાકરણ’ સિવાય બીજું કંઈ નથી અને જેટલા જલદી તેમને છોડી દેવામાં આવે છે, તેટલું આપણા માટે સારું છે.’ અર્થાત્‌ આ ઉદ્‌બોધનનો સાર કંઈક એવો થાય કે, ભારત લોકતંત્ર જાળવવાના (સામાજિક/આર્થિક) સંવૈધાનિક ઉપાયો સાથે બાંધછોડ નહીં કરે. આ સંદર્ભમાં વિસ્તૃત ચિંતન અહીં પ્રસ્તુત છે.
 
 
૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ ભારતનું બંધારણ અમલમાં આવવું એ દેશના રાજકીય અને નૈતિક જીવનમાં ઐતિહાસિક પરિવર્તન હતું. પ્રથમ વખત ભારતીય જનતાને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય માટે એક સર્વાંગી બંધારણીય માળખું મળ્યું. આ સંદર્ભમાં બંધારણના મુખ્ય શિલ્પી ડૉ. બાબાસાહેબ આંબેડકરે હિંસા, નાગરિક કાનૂનભંગ અને કાયદાહીનતા જેવા બંધારણવિરોધી ઉપાયો સામે ગંભીર ચેતવણી આપી હતી. તેમણે આવા ઉપાયોને ‘અરાજકતાનું વ્યાકરણ’ (Grammar of Anarchy) તરીકે ઓળખાવ્યા હતા. બંધારણીય લોકશાહીમાં સામાજિક અને આર્થિક અધિકારો પ્રાપ્ત કરવાનો એકમાત્ર યોગ્ય માર્ગ બંધારણીય ઉપાયો જ છે.
 
બંધારણીય ઉપાયોનો અર્થ
 
બંધારણીય ઉપાયો એટલે બંધારણ દ્વારા પૂરા પાડવામાં આવેલા કાનૂની, લોકશાહી અને સંસ્થાકીય માર્ગો, જેમ કે:
મૂળભૂત અધિકારો અને રાજ્યના દિશાનિર્દેશક તત્ત્વો, ન્યાયાલય અને બંધારણીય અદાલતો દ્વારા ઉપચાર, સંસદમાં ચર્ચા અને કાયદા બનાવવાની પ્રક્રિયા, ચૂંટણી દ્વારા લોકશાહી ભાગીદારી, કાયદાની મર્યાદામાં રહીને શાંતિપૂર્ણ માંગ, સંવાદ અને સુધારા, આ ઉપાયો સમાજમાં રહેલી અસમાનતા અને અન્યાયને વ્યવસ્થિત રીતે દૂર કરવા માટે રચાયેલા છે.
 
હિંસા અને નાગરિક કાનૂનભંગ હવે અપ્રસ્તુત કેમ છે? કાયદાના શાસનને નુકસાન પહોંચાડે છે. હિંસા અને ગેરકાયદેસર આંદોલનો કાયદા પ્રત્યે અનાદર ફેલાવે છે .જે લોકશાહીને ખોખલી બનાવે છે. સૌથી નબળા વર્ગને સૌથી વધુ નુકસાન થાય છે. અશાંતિ અને અરાજકતાનો સૌથી વધુ ભોગ ગરીબ અને પછાત વર્ગ બને છે - જેના હિતમાં આવાં આંદોલનો ચાલે છે એમ કહેવામાં આવે છે.
 
લોકશાહી સંસ્થાઓને બાજુએ મૂકે છે
 
બંધારણવિરોધી ઉપાયો સંસદ, અદાલતો અને બંધારણીય સંસ્થાઓ પર વિશ્વાસ ઘટાડે છે. પડોશી દેશોના અનુભવોથી આ સત્ય સ્પષ્ટ થાય છે. બાંગ્લાદેશમાં રસ્તા પરની રાજનીતિ અને સંસ્થાઓ પ્રત્યે અનાદરના કારણે રાજકીય અસ્થિરતા અને આર્થિક નુકસાન થયું. નેપાળમાં સતત આંદોલન અને બંધારણીય સંસ્થાઓની અવગણનાએ વિકાસની ગતિ ધીમી કરી. આ ઉદાહરણો બતાવે છે કે જ્યારે ન્યાય માટે રસ્તા પર ઊતરવાની અતિશય નિર્ભરતા વધે છે, ત્યારે લોકશાહી નબળી પડે છે.
ભારતમાં પણ આવા સંકેતો પર વિચાર કરવાની જરૂર છે. લેહ–લદ્દાખમાં Leh Apex Body (LAB) અને Kargil Democratic Alliance (KDA) જેવી સંસ્થાઓ દ્વારા વ્યક્ત થતી માંગણીઓ પર ચર્ચા થવી જોઈએ, પરંતુ વ્યૂહાત્મક અને સંવેદનશીલ વિસ્તારમાં લાંબા સમય સુધી ચાલતા દબાણ આધારિત આંદોલનો રાષ્ટ્રીય એકતા અને સુરક્ષાના દૃષ્ટિકોણથી ચિંતા જગાવે છે. બંધારણીય સંવાદ અને કાયદાકીય પ્રક્રિયા વધુ અસરકારક અને ટકાઉ માર્ગ પૂરો પાડે છે.
 
આ જ રીતે, SIR મુદ્દે INDIA ગઠબંધન પક્ષો દ્વારા ચૂંટણી આયોગની પ્રક્રિયા અંગે ઉઠાવવામાં આવતી શંકાઓ પણ સંતુલિત રીતે જોવાની જરૂર છે. ચૂંટણી આયોગ એક બંધારણીય સંસ્થા છે અને મતદાર યાદી સુધારણા જેવી પ્રક્રિયાઓ કાયદેસર છે. મતચોરી જેવા ગંભીર આરોપો પુરાવા વગર કરવામાં આવે, તો તે મતદારોમાં અવિશ્વાસ ફેલાવી શકે છે. લોકશાહીમાં મતભેદ સ્વાભાવિક છે, પરંતુ તેનો ઉકેલ કાનૂની ઉપાયો અને સંસ્થાગત સંવાદમાં છે.
 
આ ચર્ચામાં નક્સલવાદનો ઉલ્લેખ અનિવાર્ય બને છે. છેલ્લા પાંચ દાયકાથી નક્સલવાદી હિંસાએ દેશના અનેક વિસ્તારોને અસર કરી છે. CPI (Maoist) જેવી પ્રતિબંધિત સંસ્થાઓના હિંસક માર્ગને કારણે હજારો સુરક્ષાકર્મીઓ અને સામાન્ય નાગરિકોના જીવ ગયા, અને વિકાસની પ્રક્રિયા અવરોધાઈ. ગરીબો અને આદિવાસીઓના હિતના નામે ચાલેલી આ હિંસાએ વાસ્તવમાં એ જ વર્ગને સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું.
 
આજે જ્યારે દેશ નક્સલ હિંસાના અંત તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે તેની વિચારધારાનું આડકતરી સમર્થન કરનારા વર્તુળોએ આત્મમંથન કરવું જરૂરી છે. લોકશાહી અને બંધારણીય વ્યવસ્થામાં પરિવર્તન માટે હિંસા નહીં, પરંતુ સંવાદ, સુધારા અને કાયદાકીય માર્ગો જ યોગ્ય છે.
 
ડૉ. આંબેડકર કહેતા હતા કે, લોકશાહી માત્ર શાસનપદ્ધતિ નથી, પરંતુ બંધારણીય નૈતિકતા પર આધારિત જીવનશૈલી છે. અસંતોષ વ્યક્ત કરવાનો અધિકાર દરેકને છે, પરંતુ તે કાયદાની મર્યાદામાં રહે તેમાં જ લોકશાહીનું સૌંદર્ય છે. બંધારણીય માર્ગો પર અડગ વિશ્વાસ જ દેશને સ્થિર, એકતાબદ્ધ અને ન્યાયસભર રાખી શકે છે.
 
 
- યશવંત ચૌધરી 
Powered By Sangraha 9.0