તંત્રીસ્થાનેથી । સ્વાતંત્ર્ય મંત્ર- ‘वंदे मातरम्’નો દ્રોહ..ઊંટની ડોક પરનું અંતિમ તણખલું

એક તરફ દેશનાં ‘કોટિ કોટિ’ સંતાનો જ્યારે.. ‘कोटि कोटि’ कंठ.. અને ‘कोटि कोटि’ भुजै.. કહીને મા ભારતીની વંદના કરી રહ્યાં હતાં ત્યારે બીજી તરફ...

    ૨૦-ઓગસ્ટ-૨૦૨૬   
કુલ દૃશ્યો |

vande mataram
 
 
સ્વતંત્ર ભારતમાં પ્રથમ વાર ૨૦૨૬ના સ્વાતંત્ર્યોત્સવે રાષ્ટ્ર સંપૂર્ણપણે ‘પૂર્ણ वंदे मातरम्’માં રમમાણ હતું. આ ઉત્સવ થકી સંપૂર્ણ ભારતે ઐક્ય-વિવેક-ભક્તિની ત્રિવેણીમાં અવગાહન કર્યું. આ સદાય માટેના સંપૂર્ણ સકારાત્મક અને અત્યંત પાવન પ્રેરક પ્રસંગને કલંકિત કરવાનો કેવો પ્રયાસ થયો, જુઓ..
 
ભારતની જ પવિત્ર ધરા પર (જાણે કોંગ્રેસ મુખ્યાલય બાંગ્લાદેશ કે પાકિસ્તાનની ધરતી પર હોય તેમ..) કોંગ્રેસના મહારથીઓએ કોંગ્રેસના મુખ્યાલય પર સ્વાતંત્ર્યદિને જ ‘પૂર્ણ वंदे मातरम्’નું હડહડતું અપમાન કર્યુ. કોંગ્રેસે; પૂર્વવત્ મુસ્લિમોનું તદ્દન સ્વાર્થી તુષ્ટિ-વિકૃતિકરણ કરવા માટે દિલ્હીમાં વિડંબનાપૂર્ણ- દુર્ભાગ્યપૂર્ણ પૂર્વનિયોજિત એક નાટક ભજવ્યું. આ નાટકનો આખેઆખો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ દેશવ્યાપી રોષ ફાટી નીકળ્યો. શું કોંગ્રેસ છેક આ હદે જઈને પણ નાટકો કરી શકે? સત્તા માટે તડપતો કોંગ્રેસનો રાષ્ટ્રવિરોધથી ખદબદતો, ખરડાયેલો વિકૃત ચેહરો સૌની સામે સાવ ખૂલ્લો પડી ગયો. (..જો કે કાશ્મીર સહિતનાં સર્વ રાજ્યોમાં આ સ્વાતંત્ર્યોત્સવની ઉજવણી વખતે મુસ્લિમોએ જે તાકાતથી, જે સ્પિરિટથી ‘ભારતમાતા કી જય’ પોકારી છે; તે જોતાં કોંગ્રેસ હવે મુસ્લિમોનો ઉપયોગ ‘ગાડરિયા પ્રવાહ’ તરીકે કરી શકે તેમ નથી. કોંગ્રેસે તેમનો, વૉટ-બેંક તરીકે ગેરલાભ ઉઠાવવા માટે તેમને કટ્ટર બનાવીને યોજનાપૂર્વક પછાત રાખ્યા, પણ હવે.. અંતે કોંગ્રેસીઓના તમામ કાવા-દાવાઓ ખુલ્લા પડી ગયા છે.
 
નાટક હોય એટલે વિલન હોય જ, પણ અહીં તો વિલનોની ત્રિપુટી હતી જેમાં ૧) કોંગ્રેસનાં સુપ્રિમ લીડર સોનિયા ગાંધી, ૨) સુપર અધ્યક્ષ રાહુલ ગાંધી અને ૩) સીટીંગ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેજી હતાં. આ ત્રણેયમાં સૂત્રધાર હતાં- સોનિયા ગાંધી. આ વિલનત્રિપુટીએ; જ્યારે ‘वंदे मातरम्’નું ગાન ચાલતું હતું ત્યારે જ તેના પ્રત્યે ભારોભાર નફરત ફેલાવતા ઈશારા (બૉડી લેન્ગ્વેજ), હિલચાલ, ગણ-ગણાટ, જેવી રીતે એટિટ્યૂડ બતાવતી નૃત્યાંગના એક પગ આગળ રાખીને ઊભી રહે તે રીતની વિચિત્ર કઢંગી ચેષ્ટા, આ તમામ અપકૃત્યો થકી આ વિલનત્રિપુટીએ આપણા શૌર્યસભર સ્વાતંત્ર્ય પર્વનું, આપણા સિદ્ધિદાયક સંવિધાનનું અને આપણી સ્વર્ણિમ સંસ્કૃતિનું હાડોહાડ અપમાન કર્યું, જેથી દેશની આંખ લાલ થઈ છે. અરે! સાવ નાનાં બાળકો પણ શાળામાં રાષ્ટ્રગાન-ગીત વાગે ત્યારે પૂરી અદબ જાળવીને મૌન-શાંત બની જતાં હોય છે.
 
એક તરફ દેશનાં ‘કોટિ કોટિ’ સંતાનો જ્યારે.. ‘कोटि कोटि’ कंठ.. અને ‘कोटि कोटि’ भुजै.. કહીને મા ભારતીની વંદના કરી રહ્યાં હતાં ત્યારે બીજી તરફ (મૂળ ઈટલી અને ઈટલીમાં જન્મેલાં) ‘માઈનો’ (હવે સોનિયા ગાંધી) ભારતના સ્વાતંત્ર્ય-મંત્ર ‘वंदे मातरम्’ પ્રત્યે એવું નફરતભર્યુ - ઓરમાયું વર્તન કરી રહ્યાં હતાં, જે જોઈને; ભારતનું કોઈ મૂળનિવાસી એવું નહીં હોય, જે ડઘાઈ ન જાય, જે હતપ્રભ ન થઈ જાય! ભારતનાં ‘કોટિ કોટિ’ સંતાનોની ભાવનાને ઠેસ પહોંચાડવાનો અધિકાર તેમને આપ્યો છે કોણે? ભારતે મોટું મન રાખીને એમને શું શું નથી આપ્યું?
 
‘Vote Bank’ને ખુશ કરવા કોંગ્રેસના શકીલ અહમદ ખાન, પવન ખેડા, ડોલી શર્મા અને મનોજ પાંડે જેવા નેતાઓએ આપેલાં બયાનો પરથી એવું ફલિત કરવાના પ્રયત્નો કર્યા છે કે,
 
૧) સોનિયા ગાંધીએ ‘वंदे मातरम्’ને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, તેમાં કશું જ અયોગ્ય નથી.
 
૨) કાયદાની કઈ કલમ નીચે આ ગુનો બને છે? તેવું પૂછી રહ્યાં છે, મતલબ કે, તેઓએ સભાનપણે ‘वंदे मातरम्’નું અપમાન કર્યુ છે.
 
૩) ઓક્ટોબર, ૧૯૩૭ની કોંગ્રેસ કમિટીના નિર્ણય અનુસાર જ સોનિયા ગાંધી પૂર્ણ ‘वंदे मातरम्’ને અટકાવવા માગતાં હતાં, તે કંઈ જ ખોટું નથી. પરંતુ જ્યારે મૂળ કૃત્ય અને તેનો થઈ રહેલો ઉપરોક્ત પ્રકારનો બચાવ જોઈ લોકોનો ગુસ્સો જ્યારે ફાટી નીકળ્યો ત્યારે જયરામ રમેશને કંઈક આવું કહેવું પડ્યું કે, સોનિયા ગાંધીએ ‘वंदे मातरम्’ નહોતું રોક્યું, તે તો બસ માત્ર વૃદ્ધ ખડગેજીની બેસવાની ચિંતા કરી રહ્યાં હતાં.
 
હકિકતે વિડીયોમાં સોનિયા ગાંધી કહી રહ્યાં હતાં- Stop it..! શું ઈટાલીયન ભાષામાં ખુરશી મંગાવવી હોય તો Stop it, એવું કહેવું પડતું હશે? (ખડગેજી તો તે પછી પણ અડધો-પોણો કલાક ઊભા રહેલા.) ‘वंदे मातरम्’ના અપમાન કરનારા આ નાટક વિરુદ્ધ મેંગલોર (કર્ણાટક)માં તથા અન્ય સ્થાનોએ પણ પોલીસ ફરિયાદો કરવામાં આવી છે. ‘वंदे मातरम्’ના રચયિતા બંકિમચંદ્ર ચટોપાધ્યાયના વંશજ સુમિત્રો ચેટર્જીએ પણ માંગણી કરી છે કે, સોનિયા ગાંધી માફી માગે‌. આ નાટક અંગે નિર્લજ્જતાની હદ વટી જનાર કોંગ્રેસ દેશની માફી માંગે‌, નહીં તો કર્ઝનના પગલે કોંગ્રેસે કરેલો ‘वंदे मातरम्’નો દ્રોહ કોંગ્રેસી ઊંટની ડોક પરનું અંતિમ તણખલું સાબિત થશે.
 
 

ભાનુ ચૌહાણ

ભાનુભાઈ ચૌહાણ ‘સાધના’ સાપ્તાહિકના તંત્રી અને ટ્રસ્ટી છે. તેમણે "એલ.ડી. એન્જિનિયરિંગ" કૉલેજમાંથી બી.ઈ. (સિવિલ)નો અભ્યાસ કર્યો છે તથા "સેપ્ટ યુનિવર્સિટી - અમદાવાદ"માંથી અર્બન એન્ડ રિજિયોનલ પ્લાનિંગમાં એમ.ટેક. કર્યું છે. અગાઉ તેમણે કર્ણાવતી કો-ઓપરેટિવ બેંક તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાં ડિરેક્ટરનું દાયિત્વ પણ સંભાળ્યું છે. તેઓ વિચારક અને લેખક છે. ‘સાધના’માં "અવલોકન" અને "વિચારવિમર્શ" શીર્ષક હેઠળ લખાયેલ વિવિધ વિચારપ્રેરક લેખોમાં તથા તંત્રીલેખોમાં તેઓનો વૈચારિક પરિચય પ્રાપ્ત થાય છે...