ગુજરાતની યુવાશક્તિને રાષ્ટ્રના વિકાસના કામમાં જોડવા તથા સમરસ સમાજનું સ્વપ્ન સાકાર કરવાના ઉદ્દેશ સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ગુજરતામાં સમર્થ ભારત યુવા સંગમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ૨૦થી ૨૨ ડિસેમ્બર દરમિયાન યોજાયેલા આ ત્રિદિવસીય યુવા શિબિરનો સમાપન કાર્યક્રમ કલોક ખાતે ગયા રવિવારે યોજાયો હતો. જેમાં અતિથિ વિશેષ તરીકે યુવા ઉદ્યોગપતિ ધ્રુવભાઈ શાહ તથા મુખ્ય વક્તા તરીકે રા.સ્વ.સંઘના અ.ભા. પ્રચાર પ્રમુખ અરૂણકુમારજી હાજર રહ્યા હતા.
ભારતનો અર્થ જ થાય છે “જ્ઞાનની દિશામાં…” - અરુણકુમાર
કાર્યક્રમ દરમિયાન મુખ્ય વક્તા અરુણકુમારે જણાવ્યું કે વર્તમાન સમયમાં સમાજમાં કોલેજીયન વિદ્યાર્થીઓ માટે એવી લાગણી છે કે આજનો યુવાન રાહ ભૂલ્યો છે, પરંતુ સંઘ એવું માનનો નથી. આટલી મોટી સંખ્યામાં શિબિરમાં ઉપસ્થિતિ એ સંઘની માન્યતાને સાચી બનાવે છે.
તેમણે જણાવ્યું કે શિબિરમાં અનેક વિષયો પર બૌદ્ધિક ચર્ચા થઈ તેની મુખ્ય બાબત જ એ છે કે આપણે અહીં ત્રણ બાબતોનો જવાબ મેળવવાનો પ્રયાસ કરવાનો છે.
(૧) હું કોણ છું ? (૨) મારે શું કરવાનું છે? (૩) જે કરવાનું છે તેના માટે મારે જીવનની રચના કેવી કરવી ?
કારણ કે દરેક મનુષ્ય કોઈ ને કોઈ હેતુથી જ ભારતની ધરતી પર જન્મ્યો છે.
વર્ષોની ગુલામીના કારણે ભારતની અવધારણા જ બદલાઈ ગઈ છે. ભારત અન્ય દેશોની જેમ માત્ર જમીન નથી. ભારતનો અર્થ જ થાય છે “જ્ઞાનની દિશામાં…” રાષ્ટીય સ્વયંસેવક સંઘ પણ આ જ દિશામાં કાર્ય કરી રહ્યો છે. પ. પૂ. શ્રી ડૅા. સાહેબે આપણને એક સફળ તંત્ર આપ્યું છે. તેમાં કાર્ય કરતાં કરતાં આપણે એ જાણવાનું છે કે હું ભારતીય છું, હું હિન્દુ છું અને હું મનુષ્ય છું.
વર્તમાન સમયમાં હિન્દુ સમાજની જાગૃતિનાં ઉદાહરણ આપતાં તેમણે જણાવ્યું કે ભારતમાં એક સંવિધાન લાગુ થયું. ૩૭૦ કલમ અને ૩૫એ હટી. રામજન્મભૂમિનો, હિન્દુ સમાજના આટલા લાંબા સંઘર્ષ પછી, યોગ્ય ચુકાદો તથા પાડોશી ઇસ્લામિક દેશોમાં પ્રતાડિત હિન્દુઓને ભારતની નાગરિકતા આપવાનો કાયદો… આ બધું હિન્દુ સમાજની જાગૃતિ તથા સંગઠિત પ્રયાસની દિશામાં ગતિ બતાવે છે.
ઇંગ્લેન્ડનું ઉદાહરણ આપતાં તેમણે જણાવ્યું કે ભારતમાં ૩૭૦ હટી તેની સામે ઇંગ્લૅન્ડના ૪૨ સાંસદોએ વિરોધ વ્યક્ત કર્યો તો ત્યાંના હિન્દુઓએ અભિયાન ચલાવીને બધા જ હિન્દુઓ, યદીઓ તથા ત્યાંના અંગ્રેજનો પણ સાથે લઈને અભિયાન ચલાવ્યું તો ચૂંટણીમાં ૩૨ લોકો હાર્યા. આ હિન્દુ સમાજની જાગ્રત સંગઠિત શક્તિ છે.
આપ સર્વે પણ આપના જીવનમાં આવનારા સમયમાં રાષ્ટીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયા પછી પોતાના જીવનની યોગ્ય રચના કરીને ભારત માતાના પરમ વૈભવ માટે કાર્ય કરશો એવી શુભેચ્છા સાથે આપ સૌને રાષ્ટકાર્ય માટે આજીવન તત્પર રહેવા માટે આહ્વાન છે.
૧૦% આવક સમાજના સેવાકાર્ય માટે હું વાપરું છું – ધ્રુવભાઈ શાહ
અતિથિ શ્રી ધ્રુવભાઈએ પોતાના વક્તવ્યમાં પોતાના શાળા વિદ્યાર્થી, કોલેજ વિદ્યાર્થી તથા વ્યાવસાયિક જીવનના અનુભવ જણાવીને કહ્યું કે વર્તમાન સમયમાં જ જરૂરી કાર્ય કરવાથી સફળતા મળે છે અને જવાબદારી લઈએ તો જ કાર્ય થાય છે. વ્યાવસાયિક હોવાથી ઓછામાં ઓછા ૧૦% આવક સમાજના સેવાકાર્ય માટે હું વાપરું છું અને બીજાને પ્રેરું પણ છું. આવી રીતે સંગઠિત થઈને કાર્ય કરીશું તો અવશ્ય સફળતા મળશે જ.
આ ઉપરાંત…
રાષ્ટ્રના વિકાસ અને સમરસ સમાજના નિર્માણમાં ભારતના નવયુવાનોના યોગદાનનું દૃશ્યમાન સ્વરૂપ એટલે સમર્થ ભારત યુવા સંગમ મહાવિદ્યાલયીન શિબિર. આ શિબિરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યની દૃષ્ટિથી ગુજરાત પ્રાંત (વાપીથી રાધનપુર સુધીનો વિસ્તાર)ના બધા જ જિલ્લામાંથી મહાવિદ્યાલયીન વિદ્યાર્થીઓ શિબિરાર્થી તરીકે આવ્યા હતા. શિબિરના સમાપન કાર્યક્રમમાં પ્રાંત કાર્યવાહ શ્રી યશવંતભાઈ ચૌધરી, અ.ભા. પ્રચારક પ્રમુખ, મા. પ. ક્ષેત્ર સંઘચાલક શ્રી ડો. જયંતિભાઈ, મા. પ્રાંત સંઘચાલકશ્રી ડો. ભરતભાઈ પણ હાજર રહ્યા હતા.
શિબિર અધિકારી શ્રી ડો. રીતેશભાઈ શાહએ શિબિરની માહિતી આપતાં જણાવ્યું કે, શિબિરમાં ૧૭૯૨ શિક્ષાર્થીઓ, ૧૬૦ શિક્ષક તથા ૨૫૦ પ્રબંધક સહિત કુલ ૨૨૦૨ સ્વયંસેવકો ઉપસ્થિત હતા.
આમાં ગ્રામીણ વિસ્તારના ૧૦૬૨ તથા શહેરી વિસ્તારના ૭૩૦ શિબિરાર્થી હતા. શૈક્ષણિક રીતે જોઈએ તો શિબિરાર્થીમાં ૪૨૮ ઇજનેર, ૧૦૯ ડૅાક્ટર, ૩૮ વકીલ, અન્ય ૧૨૧૭ લોકોએ ભાગ લીધો.
આ શિબિરમાં કલોલ શહેરના ૭૨૮૭ પરિવારોમાંથી શિબિરાર્થીઓ માટે રોટલી તથા ૨૭ ગામના ૧૨૨૮૭ પરિવારમાંથી રોટલાનો સહયોગ પ્રાપ્ત થયો.