તો ચંદ્રયાન – ૨એ પોતાની સફરનાં ત્રણ પગલાં સફળતાથી પસાર કરી લીધા છે, ઇસરોએ ખુદ જણાવ્યું

    ૩૦-જુલાઇ-૨૦૧૯   



 

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો - Indian Space Research Organisation - ISRO) એ જણાવ્યું છે કે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર “રોવર” ઉતારવાના હેતુથી મોકલવામાં આવેલ ચંદ્રયાન-2ની બધી જ ગતિવિધિઓ સામાન્ય છે. તે એકદમ કન્ટ્રોલમાં છે.

ઇસરોએ જણાવું છે કે ચન્દ્રયાન-2 ને સોમવારે સફળતાપૂર્વક વધુ ઉંચાઈ પર લઈ જવાયું છે. આવું ત્રીજીવાર કરવામાં આવ્યું છે. એટલે કે ત્રણ પગલાં ચંદ્રયાન-2એ ચંદ્ર તરફ સફળતાપૂર્વક ભર્યા છે. આ માટે ચંદ્રયાન-2 સાથે જોડાયેલ પ્રોપેલિંગ સિસ્ટમનો ૯૮૯ સેકન્ડ માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો. ટેકનિકલી કહીએ તો ચંદ્રયાન-2 ૨૭૬x૧૭૯૨ કિમીની કક્ષાએ પહોંચી ગયું છે. હાલ અંતરિક્ષયાનની બધી જ ગતિવિધિઓ સામાન્ય છે. ઇસરોએ કહ્યું કે ચન્દ્રયાનને ચોથીવાર એક લગલું આગળ ૨ ઓગષ્ટના રોજ લઈ જવાશે.


 

જણાવી દઈએ કે ઇસરોનું સૌથી શક્તિશાળી રોકેટ GSLV Mk-III (થ્રી) આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી ગઈ ૨૨ જુલાઈએ ચન્દ્રયાનને-૨ ને લઈને રવાના થયું હતું. હાલ તેણે સફળતાપૂર્વક તેના ત્રણ સ્ટેપ પૂર્ણ કરી લીધા છે. ચંદ્રયાન ચંદ્ર પર પહોંચવાની તારીખ હાલ તો ૭ સપ્ટેમ્બર જણાવામાં આવી છે.