લોનાવાલાની લગભગ ૬૦ ટકા સુવિધાઓ ગુજરાતીને ધ્યાનમાં રાખી વિકસી છે - બિન્દ્રા ગણાત્રા
- તમને ખબર છે ? લોનાવાલાની ૬૦ ટકા સુવિધાઓ ગુજરાતીને ધ્યાનમાં રાખી આપોઆપ વિકસી છે
- લોનાવાલા મ્યુનિસિપલ કાઉન્સલરોની ટીમ સાબરમતી રિવરફ્રન્ટની મુલાકાત
- લોનાવાલામાં દર વર્ષે ૨થી ૨.૫૦ લાખ ગુજરાતી પર્યટકો આવે છે
મહારાષ્ટ્રના લોનાવાલા મ્યુનિસિપિલ કોર્પોરેશનનું ૨૯ લોકોનું એક અધિકારી મંડળ તાજેતરમાં જ સાબરમતી રિવરફ્રન્ટના વિકાસને લગતા કાર્યો અંગે માહિતી મેળવવા માટે અમદાવાદની મુલાકાતે આવ્યું હતું. આ પ્રસંગે લોનાવાલા મ્યુનિસિપિલ કાઉન્સિલના પ્રમુખ શ્રી સુરેખા જાદવે કહ્યું હતું કે, સાબરમતી રિવરફ્રન્ટના પ્રોજેક્ટ અંગે ઘણું બધું સાંભળ્યું હતું માટે તેનું નિરીક્ષણ કરવા અમારી આખી ટીમ અહીં આવી છે. અહીંનો નજારો ખરેખર ચકિત કરી દેનારો છે. અહીંની સ્વચ્છતા આખે ઊડીને વળગે તેવી છે. સાબરમતી રિવરફ્રન્ટની જેમ જ અમે લોનાવાલામાં ઇન્દ્રાયની રિવરફ્રન્ટ બનાવવા માંગીએ છીએ. ગત વર્ષે લોનાવાલને પર્યટન ક્ષેત્રે સમગ્ર દેશમાં બીજુ સ્થાન મળ્યું હતું. અમે લોનાવાલાને વિશ્વકક્ષાનું પર્યટન સ્થળ બનાવવા માટે લોનાવાલા મ્યુનિસિપલ કાઉન્સિલ ત્યાં રોપવેની સુવિધા પર ધ્યાન આપી રહી છે. આ ઉપરાંત લોનાવાલાનું પ્રાકૃતિક વાતાવરણ એટલું રમણીય છે કે તેનાથી આકર્ષાઈને દેશ-વિદેશના પર્યટકો અહીં આવે છે. તેને વધુ રમણીય બનાવવા માટે અમે ઠેર-ઠેર બગીચા બનાવવા પર કામ કરી રહ્યા છીએ. જો કે આ હજુ શરૂઆત છે. હાલ અમારું ધ્યાન ઇન્દ્રાયની નદીને સ્વચ્છ બનાવી તેના પર સાબરમતી રિવરફ્રન્ટ જેવી સુવિધાઓ વિકસાવવા પર છે.
લોનાવાલા મ્યુનિસિપલ કાઉન્સિલર બિન્દ્રા ગણાત્રા કહે છે કે અમારે ત્યાં લગભગ ૨૫ ટકા વિદેશી પર્યટકો આવે છે. એક લાખની આસપાસ વિદેશી સહેલાણી આવે છે. તેઓ માટે મુખ્ય આકર્ષણ અહીંની ગુફાઓ છે. અહીંનું વાતાવરણ ગુજરાતી પ્રવાસીઓને ખૂબ જ આકર્ષે છે. એમ કરો તો પણ ચાલે કે ગુજરાતી પ્રવાસીઓને કારણે જ લોનાવાલાનો પ્રવાસન ઉદ્યોગ ફૂલ્યો ફાલ્યો છે. અહીં અનેક વોટર પાર્ક છે, મુલ્શી ડેમ છે, ગુફાઓ છે. નારાયણીધામ મંદિર સહિતના અનેક પ્રવાસની સ્થળો ગુજરાતી પર્યટકોને કારણે બારેમાસ હર્યા ભર્યા રહે છે. દર વર્ષે બેથી અઢી લાખ જેટલા ગુજરાતીઓ લોનાવાલા આવે છે. ગુજરાતીઓ માટે ત્યાં રહેવાની અને જમવાની ઉત્તમ સુવિધા છે. જૈન ભોજન પણ ત્યાં આરામથી મળી રહે છે. લગભગ ૬૦ વ્યવસ્થા ગુજરાતીઓને ધ્યાનમાં રાખી વિકસી છે.
તેમણે જણાવ્યું કે, લોનાવાલા મ્યુનિસિપલ કાઉન્સિલ લોનાવાલામાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત કચરામાંથી જ બાયોગેસ ઉત્પન્ન કરી રહી છે. પરિણામે અમને વીજળી ખરીદવી પડતી નથી. ઉલટાનું અમે વીજળી વેચીએ છીએ. એક સમયે ત્યાં દોઢસો જેટલી કચરાની કુડીઓ હતી, તે તમામ આજે બંધ કરી દેવાઈ છે. કચરાગાડી શરૂ કરી, પ્લાસ્ટિક મુક્તનું અભિયાન આદર્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદની મુલાકાતે આવેલું આ પ્રતિનિધિ મંડળ આવતીકાલે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવાનું છે. તેમના કહ્યાં મુજબ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાનમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સારો વિકાસ કર્યો છે.