પ.પૂ. ગુરુજી અને મહારાજા હરિસિંહ વચ્ચેનો વાર્તાલાપ
સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની એ ઇચ્છા હતી કે કાશ્મીર ભારતનું જ અભિન્ન અંગ બની રહે. પરંતુ પંડિત નહેરુની શેખ અબ્દુલ્લા પ્રત્યેની નીતિને ધ્યાનમાં રાખતાં તેઓ આ બાબત બહુ જ સતર્ક હતા. કાશ્મીરમાંથી પાકિસ્તાનની કુટિલ કારવાઈની એમને પૂરી જાણકારી હતી અને તેથી તેઓ ભારતમાં કાશ્મીરના વિલયની અનિશ્ચિતતાથી રાત-દિવસ વધુ ચિંતિત રહેતા હતા.
સરદાર પટેલની યોજના
આ ચિંતાથી સરદાર પટેલને અકસ્માત્ એક યોજના સૂઝી. એમને એક વાતનો સંપૂર્ણ વિશ્વાસ હતો કે રા.સ્વ.સંઘના વડા શ્રી ગુરુજી ગોલવલકર મહારાજા હરિસિંહને ભારતમાં કાશ્મીરના વિલય અંગે સમજાવી શકશે. એમની યોજના એવી હતી કે મહારાજા કાશ્મીરનું ભારતમાં વિલીનીકરણ કરવા તૈયાર થઈ જાય તો ગૃહમંત્રી તરીકે સરદાર પટેલ ત્યાર પછીની સ્થિતિને સંભાળી લેશે પોતાની યોજનાને વ્યવહારિક સ્વરૂપ આપવા માટે સરદાર એટલે મહારાજાને સમજાવી શકે તેવા એક માત્ર યોગ્યતમ અને સમર્થ વ્યક્તિ તરીકે પ.પૂ. ગુરુજીને જોયા. સરદાર પટેલે જમ્મુ-કાશ્મીરના તત્કાલીન પ્રધાનમંત્રી શ્રી મહેરચંદ મહાજનનો સંપર્ક કર્યો કે તેઓ પ.પૂ.શ્રી ગુરુજીને આમંત્રિત કરે અને મહારાજા સાથેની તેમની મુલાકાત ગોઠવી આપે. એ દિવસોમાં દિલ્હી-શ્રીનગર મધ્યે વિમાનસેવા હતી નહીં અને જમ્મુ-કાશ્મીરના માર્ગો પણ સુરક્ષિત નહોતા. આથી દિલ્હીથી વિશેષ વિમાન સેવાની વ્યવસ્થા કરવામાં આવશે, પરંતુ મહારાજા અને પ.પૂ. ગુરુજીની મુલાકાત ખૂબ જ ઝડપથી ગોઠવવાની છે. આ સંદેશ પણ સરદાર પટેલે મહેરચંદ મહાજનને મોકલ્યો.
સરદાર પટેલના નિર્દેશ અનુસાર
શ્રી મહેરચંદ મહાજનના નિમંત્રણથી પ.પૂ. શ્રી ગુરુજી વિમાન દ્વારા ૧૭ ઓક્ટોબર, ૧૯૪૭ના રોજ શ્રીનગર પહોંચ્યા. મહારાજા હરિસિંહ સાથે શ્રી મહેરચંદ મહાજન સિવાય અન્ય કોઈ ઉપસ્થિત હતું નહીં. પાસે યુવરાજ કર્ણસિંહ કોઈક અકસ્માતને કારણે પગે પ્લાસ્ટર હોવાથી એક પલંગ ઉપર વિશ્રામ લઈ રહ્યા હતા.
ઔપચારિક વાર્તાલાપ પછી કાશ્મીરના વિલીનીકરણનો પ્રશ્ન નીકળ્યો.
શ્રી મહાજને કહ્યું, કાશ્મીરમાં આવવા-જવાના માર્ગ રાવલપિંડી તરફથી જ છે. ખાદ્યાન્ન, મીઠુ, તેલ વગેરે દૈનિક જીવન ઉપયોગી વસ્તુ પણ આ માર્ગથી જ કાશ્મીરમાં આવે છે. જમ્મુ-કાશ્મીરનો માર્ગ સારો પણ નથી અને સુરક્ષિત પણ નથી. જમ્મુનું એરોડ્રોમ પણ વ્યવસ્થિત અને કાર્યક્ષમ નથી. આવી પરિસ્થિતિમાં ભારત સાથેના વિલીનીકરણ બાદ તુરત જ પાકિસ્તાન તરફથી નાકાબંધી થઈ જશે અને આથી પ્રજાની જ દુર્દશા થઈ જશે તે અમારાથી જોઈ શકાશે નહીં. આથી થોડા સમય માટે કાશ્મીરનું સ્વતંત્ર અસ્તિત્વ રાખવાનું શું હિતાવહ નથી ?
પ. પૂ. ગુરુજીએ કહ્યું, પોતાની પ્રજા પ્રત્યે આપના અંતઃકરણમાં આત્મીયતા હોવાના કારણે એમના સંબંધમાં આપની ભાવનાને સમજી શકુ છું. પરંતુ ભારતના શીર્ષસ્થ એવા કાશ્મીરને જો આપ સ્વતંત્ર રાખવા ઇચ્છતા હો તો પણ પાકિસ્તાનને એ કદાપિ મંજૂર નહીં હોય. આપના રાજ્યની સેનામાં તથા પ્રજાજનોમાં પાકિસ્તાન દ્વારા વિદ્રોહની આગ ભડકાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. એવી જાણકારી મળી છે કે સંઘર્ષની સ્થિતિ આવે તો રાજ્યની સેનાના મુસલમાન સૈનિકો પાકિસ્તાની મલાખોરો સાથે ભળી જશે. આગળના ૬-૭ દિવસમાં જ પાકિસ્તાન કાશ્મીરની નાકાબંધી કરનાર છે. કાશ્મીરને સ્વતંત્ર ઘોષિત કરતાંની સાથે જ પાકિસ્તાની સેના રાવલપિંડીના માર્ગેથી કાશ્મીરમાં પ્રવેશ કરશે. એ સમયે આપ અને કાશ્મીરની પ્રજા પર કેવું ભયંકર સંકટ આવશે એની આપ કલ્પના કરી શકો છો. રાજ્યને સ્વતંત્ર ઘોષિત કરવાના કારણથી આપની સુરક્ષા માટે ભારતીય સેના પણ નહીં આવી શકે. એટલા માટે મારા મત પ્રમાણે ભારત સાથે શક્ય તેટલું જલદીથી વિલીનીકરણ કરી દેવું એ જ એક માત્ર અને બધી જ દૃષ્ટિથી હિતાવહ માર્ગ આપની સમક્ષ બચ્યો છે.
મહારાજા હરિસિંહે કહ્યું, પંડિત નહેરુનો આગ્રહ છે કે કાશ્મીરનું વિલિનીકરણ કરતાં પહેલાં શેખ અબ્દુલ્લાને જેલમાંથી મુક્ત કરીને કાશ્મીરનું શાસન એમને સોંપી દેવામાં આવે. કાશ્મીરનું ભારત સાથે વિલીનીકરણ કર્યા પછી પણ જો શેખ અબ્દુલ્લા મુખ્ય શાસક બનશે તો પણ પ્રજા બેહાલ થશે અને ભારત વિરોધી ગતિવિધિઓ પર નિયંત્રણ નહીં રહે.
પ.પૂ. ગુરુજીએ મહારાજાને આશ્વાસન આપતાં કહ્યું, આપની શંકા બરોબર છે, પરંતુ શેખ અબ્દુલ્લાની ગતિવિધિઓ બાબત સરદાર પટેલને પૂરી જાણકારી છે. તેઓ ગૃહમંત્રી હોવાના કારણે આપની પ્રજાની પૂરી ચિંતા કરશે આપ સરદાર પટેલ ઉપર વિશ્વાસ રાખો. ભારતના હિત વિરુદ્ધની શેખ અબ્દુલ્લાની કોઈપણ પ્રવૃત્તિ સરદાર પટેલ સહન કરશે નહીં.
મહારાજાએ પૂછ્યું, જો પાકિસ્તાન બધી જ આવશ્યક ચીજો ઉપર નાકાબંધી કરી નાખે તો શું ભારત એ વસ્તુઓને ઉપલબ્ધ કરાવવા માટે તુરત જ વ્યવસ્થા કરશે ?
પ.પૂ. શ્રી ગુરુજીએ આ અંગે જણાવ્યું કે, સરદાર પટેલે આ બધા જ અભિગમો ઉપર વિચાર કરી લીધો છે. ભારતમાં કાશ્મીરના વિલયની આપના નિર્ણયની જાણકારી મળતાં જ બધી આવશ્યક બાબતોની પૂર્તિની વ્યવસ્થા ભારત સરકાર કરશે. જમ્મુના એરોડ્રોમને પણ કાર્યક્ષમ બનાવવાનું કામ ત્વરિત ગતિથી કરવામાં આવશે અને આ કામને પૂરું કરવા માટે સંઘના સ્વયંસેવક આગળ આવીને ભાગ લેશે.
સ્વયંસેવકોની પ્રશંસા
મહારાજા : સંઘના સ્વયંસેવકોએ અમને સમય સમય પર અત્યંત મહત્ત્વપૂર્ણ જાણકારી આપી છે. પહેલાં તો એમની ખબર ઉપર વિશ્વાસ બેઠો નહીં, પરંતુ હવે એ ખબરોની સત્યતા પર અમને પૂર્ણ વિશ્વાસ છે.
પાકિસ્તાની સેનાની હલચલો બાબત જાણકારી આપવામાં સંઘના સ્વયંસેવકોએ જે સાહસોનો પરિચય આપ્યો છે, એની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે. શેખ અબ્દુલ્લાની ગતિવિધિઓ પર સરદાર પટેલ જો સ્વયં ધ્યાન રાખવાના હોય તો અમે કાશ્મીરનું ભારતમાં વિલીનીકરણ માટે તૈયાર છીએ.
પ.પૂ. ગુરુજી : આપની સ્વીકૃતિ મળતાં જ સરદાર પટેલ કેન્દ્ર સરકાર તરફથી બધી જ ઔપચારિકતાઓ તુરત જ પૂરી કરશે.
મહારાજા : આપની બધી જ બાબતો સાથે ં પૂર્ણ રીતે સહમત છું. આપ કૃપયા સરદાર પટેલને આ બાબતની જાણકારી કરો.
મહારાજા હરિસિંહે કાશ્મીરની વિશેષ પ્રકારના ઉનની બનેલી શાલ પ.પૂ. ગુરુજીને અર્પણ કરી. સ્નેહના પ્રતીક સ્વરૂપે એ શાલનો સ્વીકાર કરીને ૧૯ ઓક્ટોબર, ૧૯૪૭ના રોજ વિશેષ વિમાન દ્વારા પ.પૂ. ગુરુજી દિલ્હી પરત આવ્યા અને મહારાજા હરિસિંહ સાથે થયેલા વાર્તાલાપની જાણકારી સરદાર પટેલને કરી. વિલીનીકરણની કાર્યવાહી માટે કેન્દ્ર સરકાર તરફથી તુરત જ શ્રી મેનન શ્રીનગર પહોંચ્યા. મહારાજા સાથે ઔપચારિક વાતચીત કર્યા પછી એમની સ્વીકૃતિના કાગળો લઈને તેઓ દિલ્હી પાછા આવ્યા વિલીનીકરણ ઉપર સ્વીકૃતિની મ્હોર લાગી. ભારતીય સેના ૨૭ ઓક્ટોબર, ૧૯૪૭ના રોજ વિમાન દ્વારા શ્રીનગરમાં ઊતરી.