અચૂક સફળતાનો નિયમ
પ્રાચીન સમયમાં એક સંત ખૂબ જ વિદ્વાન હતા. દૂર-દૂરથી લોકો તેમની પાસે પોતાની પરેશાનીઓ લઈને આવતા અને તેઓ સમાધાન જણાવતા હતા. તેમના ગામમાં એક યુવક ખૂબ જ મહેનત કરતો હતો, પરંતુ તેને સફળતા મળતી નહોતી. એક દિવસ તે સંત પાસે પહોંચ્યો અને કહ્યું કે ગુરુજી, તમે મને કોઈ એવો ઉપાય જણાવો, જેનાથી મારી બધી જ સમસ્યાઓ દૂર થઈ જાય અને હું પણ તમારી જેમ સફળ વ્યક્તિ બની શકું.
સંતે તે યુવકની સંપૂર્ણ વાત સાંભળી અને કહ્યું કે ઠીક છે, હું તને એક ઉપાય જણાવું છું. કાલે સવારે તું મને નદીકિનારે મળવા આવજે. બીજા દિવસે સવારે યુવક જલદી ઊઠ્યો અને નદીકિનારે પહોંચી ગયો. સંત પણ ત્યાં પહોંચી ગયા હતા. સંત તે યુવકને લઈને નદીની વચ્ચે પહોંચી ગયા. હવે બંનેના માત્ર માથાં જ પાણીની બહાર હતાં. ત્યારે અચાનક સંતે તે યુવકનું માથું પકડ્યું અને તેને પાણીમાં ડુબાડવા લાગ્યા. યુવક પાણીમાં ડૂબવા લાગ્યો, જેમ તેમ કરીને તે સંતના હાથમાંથી છૂટીને નદીની બહાર આવી ગયો. સંત પણ નદીમાંથી બહાર આવી ગયા. યુવકે સંતને કહ્યું કે તમે તો મને મારવા ઇચ્છો છો. સંતે કહ્યું કે નહીં, હું તો તને સફળતાનું રહસ્ય સમજાવી રહ્યો હતો.
સંતે પૂછ્યું કે જ્યારે તું પાણીમાં ડૂબી રહ્યો હતો, ત્યારે તને શું મેળવવાની ઇચ્છા સૌથી વધારે થઈ રહી હતી ?
યુવકે કહ્યું કે ડૂબતા સમયે મને સૌથી વધારે એક શ્ર્વાસ લેવાની ઇચ્છા થઈ રહી હતી.
સંતે કહ્યું કે બસ, ઠીક આ જ પ્રકારે સફળતાનો પણ નિયમ છે. જ્યાં સુધી તમે કોઈ કામમાં તન-મન લગાવશો નહીં ત્યાં સુધી સફળતા મળી શકશે નહીં. કામ કોઈ પણ હોય તેમાં સંપૂર્ણ મહેનત સાથે જોડાઈ જવું જોઈએ. અન્ય વાતોમાં ધ્યાન ભટકાવું જોઈએ નહીં. ત્યારે જ કામમાં સફળતા મળી શકે છે.