આ તમામ રોગોના સરળ, ઘરગથ્થુ તથા અનુભવસિદ્ધ ઉપાયો જાણવા હોય તો આ લેખ તમારા માટે છે!

આજે વાચક મિત્રો સાથે એવી વાતો હું શેર કરવા માગું છું કે જેમાં રોગના ઉપાયો ખૂબ જ સરળ અને ઘરગથ્થુ તથા અનુભવસિદ્ધ છે.

    20-Aug-2022   
કુલ દૃશ્યો |

Best Ayurvedic Remedies in gujarati
 
 
 

માથું દુઃખે છે? યાદશક્તિ ઓછી છે? ગળું ખરાબ રહે છે?તાવ આવે છે? ઉધરસ છે? ડાયાબીટિસ છે? મૂત્રસંબંધી રોગ છે? આ તમામ રોગોનો આયુર્વેદિક ઉપચાર જાણો આ એક લેખમાં…

આપણી આડોસ-પાડોસ કે ફળિયામાં અથવા તો આપણા રસોડામાં જ કેટલીયે વસ્તુઓ એવી હોય છે કે જેનાથી આપણે રોગનું નિવારણ કરી શકીએ છીએ, પરંતુ જે તે વસ્તુના ગુણો વિશેના પર્યાપ્ત જ્ઞાનની જાણકારીના અભાવે આપણે આ લાભથી વંચિત રહી જઈએ છીએ. આ રીતના ઉપાયોની કોઈ Side effect થતી નથી તથા રોગ ધીરે ધીરે ઠીક થતો જાય છે અને તેના સતત અને સાચા ઉપયોગથી રોગને જડમૂળથી પણ કાઢી શકાય છે. ઘરગથ્થુ ઉપચારની સાથે સાથે નિષ્ણાતની સલાહ મુજબ ખાવા-પીવાનો પથ્યક્રમ તથા પ્રાકૃતિક નિયમોનું પાલન અવશ્ય રોગને કાબૂમાં લઈ આવે છે. આજે આપણે કેટલાક રોગો અને તેના ઘરગથ્થુ ઉપચારો વિશે કેટલીક જાણકારી મેળવીશું.
 

(૧) શિર: શૂલ - માથાનો દુઃખાવો

 
આજ કાલ માથાનો દુઃખાવો ખૂબ જ સામાન્ય બની ગયો છે. સામાન્ય માથાના દુઃખાવાની ફરિયાદ હોય તો નીચેના ઘરગથ્થુ ઉપચારો કરી શકો છો.
 
- બે ગ્લાસ પાણીમાં ૧/૨ ચમચી સિંધવ નાખીને પીવું અને પછી ૨૦ મિનિટ આરામ કરવો. (બીપીની તકલીફ હોય તો આ પ્રયોગ કરવો નહીં.)
 
- નાકનાં બંને નસકોરાંમાં બે-બે ટીપાં મધ નાખવું.
 
- અડધા શિરમાં દુખાવો હોય તો તેના વિરુદ્ધ નસકોરામાં બે ટીપાં મધ નાખવું.
 
- તુલસીનો ઉકાળો ૨૦ એમએલની માત્રામાં પી શકાય છે.
 
 

(૨) સ્મૃતિમાંદ્યતા - યાદશક્તિ કમજોર પડી જવી

 
 
જેમની યાદશક્તિ કમજોર પડી ગઈ હોય તેને સ્મૃતિમાંદ્યતા કહેવામાં આવે છે. જે માટે,
 
- બ્રાહ્મીના પાંદડાનો રસ દરરોજ પીવો.
 
- બદામના તેલથી માથામાં માલિશ કરવું.
 
- ગળો, જીરું અને તુલસીનો ઉકાળો પીવો.
 
- સર્વાંગાસન, ભ્રામરી પ્રાણાયામ તથા જલનેતિ ક્રિયા પણ સ્મૃતિ વધારવા માટે ખૂબ ઉપયોગી છે.
 
 

(૩) ગળું અને સ્વરની સમસ્યા

 
- ગળામાં દર્દ હોય તો હળદર અને સિંધવ નમકના પાણીના કવલ કરવા.
 
- ગળામાં ખારાશ માટે મરી અને ગોળનો ઉકાળો પીવો.
 
- જેઠીમધની ગોળી ૨-૨ ગોળી સવાર-સાંજ ચૂસ્યા કરવી.
 
- તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવું.
 
 

(૪) ખાંસી :

 
- જો ખાંસીનો વેગ વારંવાર આવી રહ્યો હોય તો તુલસી અને અરડૂસીનો ઉકાળો દિવસમાં ૨ વાર પીવો.
 
- સૂંઠ, કાળાં મરી અને પિપ્પલી સમપ્રમાણમાં લઈ તેનું ચૂર્ણ બનાવી અડધી ચમચી પાવડર મધ સાથે ચાટવો અથવા તેનો ઉકાળો બનાવીને પણ લઈ શકાય છે.
 
- કાળાં મરી અને ગોળનો ઉકાળો અથવા આદું અને ગોળનો ઉકાળો દિવસમાં બે વાર પીવો.
 
 

(૫) તાવ (જ્વર) :

 
- તાવ માટે દિવસમાં ત્રણ વાર ગળોનો ઉકાળો પીવો.
 
- દિવસમાં ૨ વાર તુલસીનો ઉકાળો પીવો.
 
- પાણી હંમેશા ગરમ જ પીવું તથા આહારમાં મગ, રાગી, જુવાર અને ચોખાની ગન્જી બનાવીને સિંધવ નમક સાથે લેવી જોઈએ. ઉપરાંત મોસંબી, સંતરાં અને લીંબુ પાણી ૧ ચમચી મધ સાથે લેવું.
 
- ગળો ઘનવટીની ૨-૨ ગોળી સવાર-સાંજ ભૂકો કરીને સુખોષ્ણ જળ સાથે લઈ શકાય છે.
 
 

(૬) મધુમેહ :

 
 
આ રોગ મુખ્યત્વે અનિયમિત ભોજન, વ્યાયામની કમી, માનસિક તનાવ તથા વારસાગત કારણોથી થતો જોવા મળે છે. આ રોગમાં આહાર-વિહારની નિયમિતતાથી બહુ લાભ થાય છે.
 
- ઘઉંના લોટના બદલે જવના લોટની રોટલી ખાવી તે ડાયાબિટીસના દર્દીને ખૂબ લાભકારક છે.
 
- રાત્રે ૧ ચમચી મેથી ૧ ગ્લાસ પાણીમાં પલાળી દેવી. સવારે તે પાણી પી જવું તથા મેથીના દાણાને ચાવીને ખાઈ લેવા.
 
- આહારમાં ચોખાનો ઉપયોગ નહિવત કરવો. ઉપરાંત રાગી, મેથી, કઢી પત્તાં, આંબળાં, જીરું, લસણ, કાળાં જાંબુ, હળદર, અશ્ર્વગંધા ચૂર્ણ, ગળો વગેરેનો ઉપયોગ વધારે કરવો.
 
 

(૭) મૂત્રસંબંધી રોગ :

 
 
પેશાબને રોકી રાખવાની કુટેવ, સ્વચ્છ પાણી ન પીવું, નિયમિત સમયે ભોજન ન કરવું, (ટાઈટ) ચુસ્ત વસ્ત્રો પહેરવાં વગેરે મૂત્રસંબંધી રોગો ઉત્પન્ન કરે છે. તેના ઉપાયો અલગ અલગ છે, જેમાં,
 
- પેશાબમાં જલન કે બળતરા થતી હોય તો ઉશીરનાં પાંદડાંનો કાઢો લેવો જોઈએ.
 
- વારંવાર પેશાબ જવાની જે વ્યક્તિઓને સમસ્યા હોય (વડીલોને આ સમસ્યા વધારે સતાવતી હોય છે.) તેમણે જીરાનો કાઢો પીવો જોઈએ.
 
- પેશાબ રોકાઈને આવતો હોય તો તજનો ઉકાળો સવાર-સાંજ લેવો જોઈએ.
 
- મૂત્ર સાફ આવે તે માટે નારિયેળનું પાણી + ૧ ચમચી મધ + ૩ એલચી નાખીને પીવું જોઈએ.
 
- બહુ ગરમ પાણીથી સ્નાન ન કરવું જોઈએ.
 
 
આ ઘરગથ્થુ ઉપચારોથી મૂત્ર સંબંધી રોગો પર કાબૂ મેળવી શકાય છે. બીજા પણ ઘણા એવા રોગો છે કે, જેમાં ઘરગથ્થુ ઉપાયો પરિણામ આપી શકે છે.
 
 
- વૈદ્ય જહાન્વી ભટ્ટ 
 
 
 

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...