પાથેય । વચન પાલન
ગાત્રો થીજવી નાખતી ઠંડી રાત્રે એક અબજોપતિ વ્યક્તિએ પોતાના ઘરની બહાર ફૂટપાથ પર એક વૃદ્ધ ગરીબ માણસને જોયો. તેની પાસે ગરમ કપડા પણ ન હતા. આ જોઈ તેને ગરીબ માણસની દયા આવી. તેની પાસે જઈ તેણે કહ્યું, ભાઈ તારી પાસે તો ગરમ કપડા પણ નથી. શું તમને ઠંડી નથી લાગતી ? પેલા ગરીબ માણસે કહ્યું, મને તો ઠંડીની આદત છે, મારો તો દરેક શિયાળો આ રીતે જ ગરમ કપડા વગર જ પસાર થઈ જાય છે.
આ સાંભળી ધનવાન માણસને દયા આવી તેણે કહ્યું, હવેથી તમારે ગરમ કપડા વગર આમ શિયાળો ગાળવાની જરૂર નહી પડે હું તમારા માટે ગરમ કપડાની વ્યવસ્થા કરું છું. એટલું કહી ધનવાન માણસ પોતાના મકાનની અંદર ગયો. પરંતુ તે પોતાના કામમાં એટલા તો વ્યસ્ત થઈ ગયા કે તેને પેલો ગરીબ માણસ યાદ જ ન રહ્યો. બીજે દિવસે સવારે તેને ગરીબ માણસને આપેલા વચનની યાદ આવી. તે તરત જ તેને શોધવા બહાર દોડી આવ્યો.
કમ ભાગ્યે એ રાત્રે જ તે ગરીબ વ્યક્તિનું ઠંડીને કારણે મૃત્યુ થઈ ચુક્યું હતું. તેના મૃતદેહ પાસે પેલા અમીર વ્યક્તિને સંબોધીને લખેલો એક પત્ર પડેલો હતો. જેમાં લખ્યું હતું, ‘શેઠ જ્યારે મારી પાસે ગરમ કપડા ન હતા ત્યારે મારી પાસે ઠંડી સામે લડવાની માનસિક તાકાત હતી, પરંતુ તમારા દ્વારા ગરમ કપડા આપવાના વચનને કારણે હું મારી એ માનસિક તાકાત ગુમાવી બેઠો અને ઠંડી સામે ટકી ન શક્યો.’ ઘટનાનું પાથેય એટલું કે, જો તમે તમારું વચન પાળી ન શકો તો કોઈને વચન આપતા વિચારજો. બની શકે કે તમારા વચનની તમારા માટે કોઈ કિંમત ન પણ હોય, પરંતુ તે બીજા માટે જીવન અને મરણનો પણ સવાલ હોઈ શકે છે.
(સ્રોત : મકરંદ કરકરે)