Tips To Change Your Life | જીવનમાં અનુશાસન અને નિયમિતતા ખૂબ જરૂરી છે. જો કે આપણે આને મહત્વ નથી આપતા. આપણી જીવનશૈલી જ બદલાઈ ગઈ છે અને તેના ખરાબ પરિણામ આપણને મળી પણ રહ્યા છે. આ બધાની વચ્ચે પણ જો આપણે આપણી થોડી જ આદતો બદલીએ અને તેના પર ધ્યાન આપીએ તો આપણા જીવનમાં ઘણું પરિવર્તન આવી શકે તેમ છે. આવો જાણીએ કેટલી સાધારણ આદતો જે આપણું જીવન બદલી નાખવા માટે સક્ષમ છે…
૧. પૂરતી અને નિયમિત ઊંઘ
જીવનમાં ઊંઘનું મહત્વ છે. થાકેલા શરીરનો થાક માત્ર ઊંઘ જ દૂર કરી શકે છે. માટે નિયમિત અને ૭ થી ૮ કલાકની ઊંઘ ખૂબ જરૂરી છે. ઊંઘ પૂરી કરશો તો શરીરમાં સ્ફ્રૂતિ રહેશે, મગજ કામ કરશે. તમને પણ આનો અહેસાસ થયો જ હશે. નિયમિત ઊંઘવાનું થોડું અશક્ય છે પણ સારા પરિણામ જોયતા હોય તો આ ટેવ પાડવા જેવી છે.
૨. નિયમિત વહેલા ઉઠવું
રોજ ઉગતા સૂર્યના દર્શન કરો. આનાથી તમારો આત્મવિશ્વાસ તો વધશે જ પણ સાથે સાથે શરીર પણ ઉર્જાવાન રહેશે. ઉઠીને તરત હથેળીને ઘસીને આંખ ઉપર સ્પર્શ કરો, તેનો ગરમાવો લો અને પીવાય એટલું માટલાનું પાણી પીવો. માત્ર આટલું જ નિયમિત કરવાથી થોડા દિવસમાં જ તમે તાજગી અનુભશો.
૩. સારા શ્રોતા બનો
આ દુનિયામાં કોઇને કોઇની વાત સાંભળવાની ટેવ નથી. પણ વિશ્વાસ રાખો સાંભળવાની ટેવ પાડવા જેવી છે. આનાથી તમને જે શીખવા મળશે એ બીજે ક્યાંયથી નહીં મળે. માટે ખૂબ સાંભળો, બીજાને બોલવા દો. ઝડપથી શીખવાનો આ સરળ નિયમ છે.
૪. પુસ્તક વાંચો
રોજ પુસ્તક વાંચવાની ટેવ પાડો. તમારે સફળ થવું છે, તમારે આગળ વધવું છે, તમારે જ્ઞાની બનવું છે....આ બધા માટે તમારે પુસ્તક વાંચવું જ પડશે. તમને ગમે તે પુસ્તક વાંચો પણ નિયમિત વાંચવાની ટેવ પાડો. પુસ્તક વાંચવાથી તમારું ઘડતર થાય છે. માટે જીવનમાં પુસ્તકને સાથી બનાવો.
૫. યોગ્ય આહાર
હંમેશાં પોષણયુક્ત આહાર લેવાનો આગ્રહ રાખો. આહાર શરીરને ઉર્જા આપે છે. જો યોગ્ય આહાર લેશો તો શરીરને ઉર્જા મળશે પણ ન ખાવાનું ખાશો તો શરીરને પોતાની ઉર્જા તે ખોરાક પચાવવામાં વાપરવી પડશે. જો આવું થશે તો તમે દિવસભર કામમાં ધ્યાન નહી આપી શકો. માટે હેલ્દી આહાર લેવાનું રાખો.
૬. હળવી કસરત કરો
શરીર સારું અને મજબૂત હશે તો જ તમે આનંદથી જીવી શકશો. મિલકત ગમે એટલી હશે પણ સ્વાસ્થ્ય સારું નહી હોય તો જીવનનો આનંદ તમે નહી ઉઠાવી શકો. માટે શરીરને સ્વસ્થ રાખવા નિયમિત કસરત કરો. ભારે કસરત કરવાની જરૂર નથી પણ હળવી કશરત કરો, યોગ અને પ્રાણાયામ પણ કરો.
૭. મનને શાંત રાખો
ધીરજ અને ધૈર્ય આ બે શબ્દોને બરાબર યાદ કરી લો અને જીવનમાં ઉતારી લો. કોઇ પણ કામ હોય ધીરજથી કરો અને તેના પરિણામ માટે ધૈર્ય રાખો. આ કામ શાંત મન જ કરી શકશે. મન શાંત રાખો, તમારું મુશ્કેલમાં મુશ્કેલ કામ પણ ધીરે ધીરે સરળ બની જશે. મન પર કાબૂ તો મેળવવો થોડો મુશ્કેલ છે પણ મને ઘણા અંશે આપણે નિયત્રિંત કરી શકીએ છીએ. કરી જુવો, સારું પરિણામ મળશે…