ગૌતમ ઋષિનાં શાપિત પત્ની અહલ્યા | Ahalya story

ગૌતમ ઋષિએ અહલ્યાને શાપ આપતાં કહ્યું ``આજથી કોઈ પણ મનુષ્ય તમારું કાળું મોં જોશે નહિ.""

    ૦૭-નવેમ્બર-૨૦૨૩   
કુલ દૃશ્યો |
 
 ahalya story
 

ગૌતમ ઋષિનાં શાપિત પત્ની અહલ્યા | ahalya story | Ahalya vishe mahiti

 
 
ગૌતમ ઋષિએ અહલ્યાને શાપ આપતાં કહ્યું ``આજથી કોઈ પણ મનુષ્ય તમારું કાળું મોં જોશે નહિ.''
 
અહલ્યાજી મુદ્ગલનાં પુત્રી અને બ્રહ્માનાં માનસપુત્રી મનાય છે. બ્રહ્મદેવે તેમને અદ્ભૂત રૂપ પ્રદાન કર્યું હતું. એનામાં `હલ્ય' એટલે કે કદરૂપાપણું ન હોવાને કારણે તેનું નામ અહલ્યા રાખવામાં આવ્યું.
 
શરદવત ગૌતમ મુનિની જિતેન્દ્રિયતા અને તપઃસિદ્ધિ જોઈ બ્રહ્મદેવે કન્યા અહલ્યાને પત્ની રૂપે તેમને અર્પણ કરી. પરંતુ ઇન્દ્ર, અગ્નિ, દાનવ તથા અન્ય રાક્ષસોના મનમાં પણ સ્વરૂપવાન અહલ્યાને પ્રાપ્ત કરવાની અભિલાષા થઈ. એમણે કહ્યું કે, `અમારા પૈકી પ્રત્યેકના સામર્થ્યની કસોટી કરવામાં આવે.'
 
બ્રહ્મદેવે કહ્યું કે, `જે વ્યક્તિ પૃથ્વીની પ્રદક્ષિણા કરીને સર્વ પ્રથમ આવશે તેને કન્યા અહલ્યા આપવામાં આવશે.'
 
અહલ્યાને પામવા ઉત્સુક સૌ પૃથ્વીની પ્રદક્ષિણા કરવા લાગ્યા, પરંતુ અર્ધ પ્રસૂતા ગાય પૃથ્વી સમાન હોઈ ગૌતમે તેની તથા એકલિંગની પ્રદક્ષિણા કરી અને બ્રહ્મદેવ પાસે સહુના પહેલાં પહોંચી ગયા. એ જોઈ બ્રહ્મદેવે પોતાની કન્યા અહલ્યાને ગૌતમ સાથે પરણાવી દીધી. ત્યાર બાદ એક પછી એક પૃથ્વીની પ્રદક્ષિણા કરીને આવવા લાગ્યા, પણ તેમને ખબર પડી કે, બ્રહ્મદેવે અહલ્યાને ગૌતમ સાથે પરણાવી દીધી છે તેથી તેઓ ખૂબ જ દુઃખી થઈ ગયા. આ જાણીને ઇન્દ્ર પણ દુઃખી હતા કારણ કે તેઓને પણ અહલ્યા પ્રત્યે આકર્ષણ હતું.
 
કેટલાક સમય પછી ઋષિ ગૌતમને આશ્રમ બહાર ગયેલા જોઈને ઇન્દ્ર ગૌતમ ઋષિનું રૂપ ધારણ કરીને આવ્યા અને ગૌતમની પત્ની અહલ્યા સાથે દુરાચાર કર્યો. ઇન્દ્રના શરીરમાંથી દિવ્ય સુગંધ આવવાને કારણે અહલ્યા પામી ગયા કે આ મારા પતિ નથી. એવામાં ગૌતમ ઋષિ બહારથી ઘેર પાછા ફર્યા. તેમને જોઈને ઇન્દ્ર અત્યંત ભયભીત થઈ ગયા.
 
ગૌતમ ઋષિ દરરોજ નદીએ સ્નાન કરવા જતા હતા. તેમના વિદ્યાર્થીઓને ગૌતમ ઋષિનું બીજું રૂપ દેખાયું. ગૌતમ ઋષિ આવ્યા એટલે વિદ્યાર્થીઓએ તેમના આશ્રમમાં ગૌતમનું બીજું રૂપ દેખાડ્યું.
 
ગૌતમ ઋષિ અત્યંત કોપાવિષ્ટ થયા. ગૌતમ ઇન્દ્રને શાપ આપે એ પહેલાં ઇન્દ્રએ બિલાડાનું રૂપ ધારણ કરી ભાગવાનો પ્રયત્ન કર્યો. ગૌતમને શંકા ગઈ. એમણે ઇન્દ્રને પૂછ્યું ``તું કોણ છે?''
 
ત્યારે ઇન્દ્રએ પ્રગટ થઈ પોતાનું મૂળ રૂપ દેખાડ્યું. આથી ગૌતમ ઋષિએ ઇન્દ્રને શાપ આપ્યો કે, `તું શત્રુઓ દ્વારા હારીશ અને મનુષ્યલોકમાં તેં જારકર્મ કર્યું એટલે વ્યભિચારનું અડધું પાપ તારે માથે લખાશે. દેવરાજાને આશ્રયસ્થાન ક્યારેય પ્રાપ્ત નહીં થાય અને તારા શરીરે સો છિદ્રો થઈ જશે તથા તું વૃષણ વગરનો થઈ જઈશ.'
 
ત્યાર બાદ ગૌતમે અહલ્યાને પણ શાપ આપ્યો કે તું કોઈને દેખાઈશ નહીં અને તારું રૂપ નષ્ટ થઈ જશે. તું શિલા બની જઈશ અને તારા જન્મસ્થાનમાં એક સૂકી નદી બની જઈશ. તારા દેહમાં કેવળ હાડકાં અને ચામડી જ બચશે, નખ અને માંસ નહીં હોય. તારા કારણે સ્ત્રીઓમાં પાપકર્મ પ્રત્યે ભય રહેશે.
 
અહલ્યાએ પોતાના પતિને પ્રાર્થના કરતાં કહ્યું `ઇન્દ્ર આપનું રૂપ ધારણ કરીને આવ્યા હતા એટલે હું ઓળખી શકી નહીં.'
ગૌતમે ધ્યાન દ્વારા જાણી લીધું કે અહલ્યા નિર્દોષ છે. તેમણે શાપનું નિવારણ કરતાં કહ્યું કે, `ભગવાન રામ જ્યારે અહીં આવશે ત્યારે તેમના ચરણસ્પર્શથી તમારો ઉદ્ધાર થશે. મને ક્ષમા કરો.'
 
 
***
 
 
એ પછી ખૂબ લાંબો કાળ વીતી ગયો. સીતા સ્વયંવરમાં ભાગ લેવા વિશ્વામિત્ર રામ-લક્ષ્મણ સાથે જનકપુરી જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં અહલ્યાનો આશ્રમ આવતાં વિશ્વામિત્રે રામને કહ્યું કે, `આ પથ્થરને તમારા ચરણથી સ્પર્શ કરો.'
 
શ્રીરામે પૂછ્યું કે `આપ મને આ શિલાને ચરણથી સ્પર્શ કરવાનું શા માટે કહો છો?'
 
વિશ્વામિત્રે રામને સમજાવ્યું કે `આ પથ્થર ઋષિપત્ની અહલ્યા છે. તમારા ચરણસ્પર્શથી જ એનો ઉદ્ધાર થશે.'
એ પછી પ્રભુ શ્રીરામનાં ચરણનો સ્પર્શ થતાં અહલ્યાનો ઉદ્ધાર થયો.
 
ઇન્દ્ર અને અહલ્યાની કથા રૂપકાત્મક લાગે છે. પતિ દ્વારા શાપિત અહલ્યા નિર્જનમાં ઉપેક્ષિત બની પથ્થર જેવું જડ જીવન વીતાવતાં હતાં. શ્રીરામે ગૌતમને કહ્યું કે, `મારા માતા તુલ્ય અહલ્યાએ પારાવાર દુઃખ વેઠ્યું છે. પશ્ચાત્તાપની આગમાં બળીને એ પવિત્ર બની ગયાં છે. મારું વચન રાખી આપ માતા અહલ્યાનો પુનઃ સન્માનપૂર્વક સ્વીકાર કરો.'
 
રામનું નિઃસ્વાર્થ વચન ગૌતમ ઋષિએ સ્વીકાર્યું અને અહલ્યાનો ગુનો માફ કરી તેમને પત્ની તરીકે અપનાવી લીધાં. અહલ્યાનું પથ્થર જેવું જડ જીવન પુનઃ ધબકતું થયું અને નારીત્વનું ગૌરવ તેમને પ્રાપ્ત થયું.
 
બ્રાહ્મણગ્રંથ નૈમિની સૂત્રોમાં આ કથાને રૂપકાત્મક રીતે વર્ણવતાં કહેવામાં આવ્યું છે કે અહલ્યા રાત્રિ છે અને ગૌતમ ચંદ્ર છે.
બ્રહ્મપુરાણમાં નીચે મુજબનો એક શ્લોક છે.
 
अहल्या, द्रौपदी, तारा, कुंती, मंदोदरी तथा,
पंचकन्याः स्मरेतन्नि महापातकनाशम्‌‍
 
આ શ્લોકમાં જે પાંચ સતીઓ - પાંચ કન્યાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમાં સૌ પ્રથમ ઉલ્લેખ અહલ્યાનો છે.
પાંચ પ્રાતઃ સ્મરણીય નારીઓમાં તેઓ પ્રથમ છે અને તેમના સ્મરણ માત્રથી મનુષ્યના જીવનના તમામ મહાપાપોનો નાશ થાય છે.
 

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...