ધૃતરાષ્ટનાં પત્ની ગાંધારી | Gandhari - Mahabharata

આંખે પાટા બાંધી આખી જિંદગી પતિનો અંધાપો પહેરનારાં ગાંધારીને આજેય એક ગર્વિષ્ટ અને તેજતર્રાર પાત્ર તરીકે સ્મરણ છે. તેમનું સતિત્વ અનુપમ છે.

    ૦૭-નવેમ્બર-૨૦૨૩   
કુલ દૃશ્યો |
 
Gandhari
 
 
ધૃતરાષ્ટનાં પત્ની ગાંધારી | Gandhari - Mahabharata
 
 
નવવિવાહિત ગાંધારી લગ્ન કરીને હસ્તિનાપુર સાસરે આવી પહોંચ્યા. પછી તેમને ખબર પડી કે તેમનો પતિ અંધ છે. ગાંધારી પર જાણે વઘાત થયો. પણ આ વરવી વાસ્તવિક્તાનો સ્વીકાર કર્યા વિના છૂટકો નહોતો.
 
કૌરવોની માતા ગાંધારી મહાભારતનું સૌથી તેજતર્રાર અને ગર્વિષ્ઠ પાત્ર છે. તેઓ ધર્મપરાયણ છે. એક વખત વેદવ્યાસ ફરતા ફરતા ગાંધારી પાસે આવ્યા. ગાંધારીએ તેમની અદકેરી સેવા કરી. આનાથી પ્રસન્ન થઈને વેદવ્યાસે તેમને વરદાન માગવા માટે કહ્યું. ત્યારે ગાંધારીએ વરદાન માગ્યું કે, મારા પતિ જેવા સો પુત્ર મને થાય. એ વખતે ગાંધારીને ખબર ન હતી કે તેમનાં લગ્ન ધૃતરાષ્ટ સાથે થવાનાં છે અને તેમણે માગેલું આ વરદાન અભિશાપ સાબિત થવાનું છે. સમય જતાં રાજકુમારી ગાંધારીનાં લગ્ન ધૃતરાષ્ટ સાથે થયાં.
 
ગાંધાર પ્રદેશ (કંદહાર-વર્તમાનમાં અફઘાનિસ્તાન અને પેશાવરનો પ્રદેશ)ના રાજા સુબલની પ્રભાવી પુત્રી ગાંધારીને અંધ ધૃતરાષ્ટ સાથે પરણાવી દેવા પાછળ તેમના પિતાની ગણતરી રહેલી હતી એમ કહીએ તો કશું ખોટું નથી. આર્યાવર્તના સૌથી સમૃદ્ધ અને સમર્થ રાજ્ય હસ્તિનાપુરના યુવરાજ ધૃતરાષ્ટ માટે માગું લઈને ગંગાપુત્ર ભીષ્મ મહારાજ સુબલ પાસે પહોંચ્યા. ત્યારે સુબલ જાણતા હતા કે પરાક્રમી યોદ્ધા ભીષ્મ સ્વયંવરમાંથી અંબા, અંબિકા અને અંબાલિકાનું અપહરણ કરી લાવ્યા છે. એટલે તેમનો આ પ્રસ્તાવ ફગાવી દેવાથી તેઓ રાજકુમારી ગાંધારીનું પણ અપહરણ કરે એવું બને. તેથી ગાંધારનરેશ સુબલે પુત્રીનાં લગ્ન થકી સૌથી શક્તિશાળી રાજવી પરિવાર સાથે સંબંધ બંધાવાની ગણતરીઓ માંડી હોવી જોઈએ. આમ, રાજા સુબલેએ ન તો ગાંધારીની મરજી જાણવાની તસ્દી લીધી કે ન તો સ્વયંવર યોજ્યો. ગાંધારી માટે આનાથી પણ મોટી આઘાતજનક વાત એ હતી કે, તેમને એવું પણ ન જણાવાયું કે એમનાં જેની સાથે લગ્ન થવાનાં છે તે ધૃતરાષ્ટ અંધ છે.
 
ઉરમાં અનેક અરમાનો ઉછેરીને નવવિવાહિત ગાંધારી લગ્ન કરીને હસ્તિનાપુર સાસરે આવી પહોંચ્યા. પછી તેમને ખબર પડી કે તેનો પતિ અંધ છે. ગાંધારી પર જાણે વઘાત થયો. પણ આ વરવી વાસ્તવિક્તાનો સ્વીકાર કર્યા વિના છૂટકો નહોતો. તેમણે વિચાર્યું કે, આખરે તેઓ મારા પતિ છે, મારો આધાર છે અને જેના આધારે જીવન જીવવાનું હોય એનો જ આધાર બનવું પડે.
અંધ પતિ સાથે શારીરિક અભિન્નતા જળવાઈ રહે એ માટે ગાંધારીએ આંખે પાટા બાંધી લીધા. આ તેમણે પોતાની જિંદગી સાથે કરેલું સૌથી મોટું સમાધાન છે. નરી આંખે દુનિયાને નિહાળી શકતા ગાંધારી અને અંધ ધૃતરાષ્ટ એ જગતનું સૌથી મોટું કજોડું કહેવાય. અહીં ફક્ત તેમના બાહ્ય તફાવત વિશેની વાત નથી માંડવી, પણ માનસિક કજોડાની વાત પણ કહેવી છે.
અર્થશાસ્ત્ર, રાજનીતિશાસ્ત્ર અને ધર્મની જાણતલ ગાંધારીને મોટા ભાગે ગુમાવવાનો જ વારો આવ્યો છે. અંધ પતિને રાજ કરવા ન મળ્યું. એટલે ગાંધારી કદી મહારાણીપદ ન પામી શક્યાં. પછી તેમણે પતિ નહીં તો પુત્ર રાજસિંહાસન પર બેસશે એવી આશા સેવી. એ પણ ઠગારી નીવડી. કુંતીએ એમના કરતાં વહેલો પુત્રને જન્મ આપ્યો. પુત્રોને જન્મ આપવાની રાહ જોઈ રહેલા ગાંધારી રાજમહેલમાં પણ એકલતા અનુભવવા લાગ્યા.
 
ગુણિયલ ગાંધારીમાં માનવસહજ ગુણ-અવગુણ પણ જોઈ શકાય છે. પોતાના કરતાં દેરાણી કુંતીની કૂખે વહેલો પુત્રરત્ન જન્મ્યો એટલે ગાંધારીને સ્ત્રીસહજ વેદના થઈ. પતિપરાયણ ગાંધારીએ સંતાનોને યોગ્ય રીતે ઉછેરવા માટે પણ આંખે પાટા બાંધેલા જ રાખ્યા. પુત્ર દુર્યોધનનો જન્મ થયો ત્યારે જ્યોતિષીઓએ માતા-પિતાને જણાવ્યું હતું, આ પુત્ર વિનાશ વેરીને કુળનો નાશ વેરશે.
 
એ વખતે મમતાથી છલોછલ માતા હોવા છતાં ગાંધારીએ ઊંચા ગજાની હિંમત દાખવીને મોહાંધ પતિને જણાવી દીધું હતું કે આ પુત્રને આપણે ત્યજી દઈએ પણ ધૃતરાષ્ટે્ર તેમની વાત કાને ધરી નહીં. પતિપરાયણતાના પ્રતીકસમા એ જ પાટા સંતાનોના યોગ્ય ઉછેરમાં દોષ પુરવાર થાય છે. અને પછી તો તેમનાં પુત્રો - કૌરવોના અવગુણોનાં કારણે જ પાંડવો સાથે મહાભારતનું યુદ્ધ થાય છે અને કૌરવોનો નાશ થાય છે.
 
મહાભારતનું યુદ્ધ જીતી લીધા પછી પાંડવોએ ગાંધારીને વંદન કર્યાં ત્યારે ગાંધારીએ તેમને આશીર્વાદ આપવાને બદલે શ્રીકૃષ્ણને શાપ આપ્યો, પાંડવોને સહાય કરીને મારા પુત્રોને મરાવ્યા, માટે આજથી છત્રીસમે વર્ષે તમારો કુલક્ષય પણ એ રીતે થશે.
 
મહાભારતમાં ધર્મરાજ કહેવાતા યુધિષ્ઠિર ધર્મથી સ્હેજ ચલિત થયા, પરંતુ ગાંધારી કદી પોતાના ધર્મથી ચલિત ન થયાં. પુત્ર દુર્યોધન મહાભારતના યુદ્ધમાં જતા પહેલાં માતા પાસેથી આશીર્વાદ મેળવવા માટે આવે છે ત્યારે ગાંધારીએ પુત્રને વિજયી ભવના આશીર્વાદ નથી આપ્યા. તેને બદલે એમ કહ્યું કે, ` ' જ્યાં ધર્મ છે તેનો વિજય છે.
 
ગાંધારીને બરાબર ખબર છે કે, તેમના સંતાનો ધર્મના પક્ષે નથી. ધર્મની ધજા લઈને પાંડવો ઊભા છે. એટલે તેમણે એમ કહ્યું કે જ્યાં ધર્મ છે તેનો વિજય છે. આમ ગાંધારી પોતાના પુત્રોને પક્ષે ન ઊભા ન રહ્યા. તેઓ હંમેશાં ધર્મના પક્ષે ઊભા ન રહ્યા. ગાંધારી સમાન સમર્થ સ્ત્રી આર્યાવર્તમાં બીજી એકેય ન હતી. મહાભારતમાં કૃષ્ણે કહ્યું છે, તમે પૃથ્વીને પણ બાળી શકો છો. છતાં તમારી બુદ્ધિ પાંડવોના વિનાશ માટે પ્રવૃત્ત ન થજો.
 
દમામદાર ગાંધારી પતિ ધૃતરાષ્ટ કે પાંડવો પાસે રડ્યા નથી પણ એ શ્રીકૃષ્ણ પાસે રડ્યા હતાં. તેનું કારણ શું? વ્યથા, ક્રોધ, ઘૃણા, આવેશ અને રુદનની ચરમસીમાએ ગાંધારી રણભૂમિમાં પડેલાં નિષ્પ્રાણ સંતાનોને જોવા માગે છે. શ્રીકૃષ્ણ તેને દિવ્યદૃષ્ટિથી રણમેદાનમાં લઈ ગયા. ત્યારે ગાંધારીએ શું જોયું? રક્તરંજિત રણભૂમિ અને પોતાના જ પુત્રોનો સંહાર! આ જોઈને તેમણે હૈયાફાટ રુદન કર્યું. ત્યાર બાદ આ બધાની વચ્ચે ગાંધારી શાંત ઊભા રહ્યાં. એ વખતે તેને થયું કે ધાર્યું હોત તો શ્રીકૃષ્ણ આ ધર્મયુદ્ધ અટકાવી શક્યા હોત અને આ નરસંહાર પણ! આ ગ્લાનિની ભારેખમ પળોમાં ગાંધારી હોશ ખોઈ બેઠ્યા અને ભગવાન શ્રીકૃષ્ણને અભિશાપ આપી બેઠાં છે.
 
તે કહે છે કે, હું તપસ્વિની ગાંધારી! મારા આ જન્મનાં તમામ પુણ્યબળ તેમજ પૂર્વજન્મના પુણ્યબળને ભેગું કરીને કહું છું કૃષ્ણ, સાંભળો! તમે જો ધાર્યું હોત તો યુદ્ધને રોકી શક્યા હોત. મેં એકસો પુત્રોને જન્મ આપ્યો હતો, હાડપિંજરોને નહીં. નિરપરાધ અશ્વત્થામાને તમે શાપ આપ્યો એ જ શાપ તમે અધર્મ આચરનારા ભીમને શા માટે ન આપ્યો? આ રીતે તમે ધર્મનો દુરુપયોગ કર્યો છે. જો મારી સેવામાં બળ હોય અને મારા સંચિત તપમાં ધર્મ હોય તો કૃષ્ણ સાંભળો! તમારો સંપૂર્ણ વંશ પણ આવી રીતે જંગલી પશુની જેમ એકબીજાને ફાડી ખાશે. તમે પણ એક પારધીને હાથે માર્યા જશો. તમે પ્રભુ છો પણ પશુના મોતે મરશો. આજથી ૩૬મા વર્ષે તમારો કુલક્ષય થશે.
 
બીજી જ ક્ષણે ગાંધારીને ભાન થયું કે, તેણે આ કેવો શાપ આપી દીધો? પથ્થરદિલને પણ પીગળાવી મૂકે એવી પોક મૂકીને ગાંધારી રડી પડ્યાં. એકસો માતાની વેદનાની પરાકાષ્ઠા ગાંધારીમાં જોવા મળે છે; એવી ભારતભરના અન્ય કોઈ ગ્રંથમાં જોવા નથી મળતી. કૌરવોનો નાશ થયા પછી તેઓ પાંડવો પાસે રહેતાં હતાં. જ્યારે ધૃતરાષ્ટ વનમાં ગયા ત્યારે તેમની સાથે ગયાં હતાં અને ધૃતરાષ્ટ મરણ પામતાં એમની સાથે બળી જઈ સતી થયાં હતાં.
 
આમ આંખે પાટા બાંધી આખી જિંદગી પતિનો અંધાપો પહેરનારાં ગાંધારીને આજેય એક ગર્વિષ્ટ અને તેજતર્રાર પાત્ર તરીકે સ્મરણ છે. તેમનું સતિત્વ અનુપમ છે.
 

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...