શ્રીમદ્ ભગવદ્ગીતા વિશે જાણી-અજાણી વાતો

    ૧૩-ડિસેમ્બર-૨૦૧૯   
કુલ દૃશ્યો |

geeta_1  H x W:
 
સમગ્ર વિશ્વમાં શ્રીમદ્ ભગવદ્ગીતા - એ એકમાત્ર એવો ધર્મગ્રંથ છે જેની ભક્તો વિધિસર પૂજા કરે છે
 
#  મહાભારતના કુલ ૧૮ (અઢાર) પર્વ છે, જેમાં છઠ્ઠું પર્વ ભીષ્મપર્વ છે. ભીષ્મપર્વના અધ્યાય નંબર ૨૫થી ૪૨ના કુલ ૮ અધ્યાય એટલે જ ગીતા.
 
#  સૌપ્રથમ શ્રી વિષ્ણુ ભગવાન થયા. તેમની નાભિમાંથી બ્રહ્માજી પ્રગટ થયા. બ્રહ્માના માનસપુત્ર શ્રી વશિષ્ઠ ઋષિ થયા, તેમના શક્તિ, શક્તિના પારાશર, પારાશર અને મત્સ્યગંધાના મિલનથી થયા વેદવ્યાસ - જેમનું સાચું નામ શ્રીકૃષ્ણ બાદરાયણ (દ્વૈપાયન) વ્યાસ - જે ૧૮મા છેલ્લા વેદવ્યાસ હતા, તેમણે ગીતાને છંદબદ્ધ શ્લોકોમાં રૂપાંતર કરી ગીતા લખી.
 
#  ગીતા માત્ર ૪ (ચાર) વ્યક્તિ વચ્ચેનો સંવાદ છે. ધૃતરાષ્ટ્ર, સંજય, અર્જુન અને શ્રીકૃષ્ણ ભગવાન. સંજય ધૃતરાષ્ટ્રના સારથિ હતા જે વિદ્વાન ગવલ્ગણ નામના સારથિના પુત્ર હતા. શ્રીકૃષ્ણ અર્જુનના સારથિ હતા. સંજયને વેદવ્યાસે દિવ્યદૃષ્ટિ આપી હતી તો વિરાટરૂપનાં દર્શન કરવા શ્રીકૃષ્ણ અર્જુનને દિવ્યદૃષ્ટિ આપે છે. બન્ને બાજુ સારથિ બન્ને બાજુ દિવ્યદૃષ્ટિ. કેવો યોગાનુયોગ.
 
#  ગીતામાં કુલ ૭૦૦ (સાતસો) શ્લોક છે, જે પૈકી ૫૭૫ શ્લોક શ્રીકૃષ્ણ ભગવાન બોલ્યા છે, ૮૫ શ્લોક અર્જુન બોલ્યા છે, ૩૯ શ્લોક : સંજય અને માત્ર ૧ (એક) શ્લોક ધૃતરાષ્ટ્ર બોલ્યા છે.
 
#  ગીતાનો સમયકાળ આશરે ઈ.સ. પૂર્વે ૩૦૬૬ માનવામાં આવે છે.
 
#  ગીતાના ૧૮ અધ્યાય છે, ૭૦૦ શ્લોકો છે, ૯૪૧૧ શબ્દો છે, ૨૪૪૪૭ અક્ષરો છે. શ્રીકૃષ્ણ ઉવાચ : ૨૮ વખત, અર્જુન ઉવાચ : ૨૧ વખત, ધૃતરાષ્ટ્ર ઉવાચ ૦૧ એમ કુલ મળી ૫૯ વખત ઉવાચ આવે છે. સંજય ઉવાચ : ૯ વખત આવે છે.
 
#  ગીતા યોગશાસ્ત્રવિદ્યા છે. ગીતામાં કુલ ૧૮ અધ્યાયના ૧૮ યોગ તો છે જ જે તેના શીર્ષકમાં આવે છે, જેમ કે ભક્તિયોગ, કર્મયોગ, સાંખ્ય યોગ. આ ઉપરાંત અભ્યાસયોગ, ધ્યાનયોગ, બ્રહ્મયોગ જેવા કુલ ૩૦ (ત્રીસ) યોગો ગીતામાં છે.
 
#  ઈ.સ. પૂર્વે ૩૧૦૨ વર્ષ પહેલાં શ્રીકૃષ્ણે ગીતા અર્જુનને કહી તે યુદ્ધ કરવા, યુદ્ધના મેદાનમાં કહી અને એ ઉપદેશ જ હિન્દુ ધર્મનો મહાન ધર્મગ્રંથ બની ગયો એ બાબત સમગ્ર વિશ્વના બધા ધર્મગ્રંથોમાં માત્ર અને માત્ર એક જ કિસ્સો છે.
 
#  મહાભારતનાં પર્વ ૧૮ છે, ગીતાના અધ્યાય ૧૮ છે. સરવાળો ૯ થાય છે. ૯ એ પૂર્ણાંક છે. શ્રીમદ્‌ ભગવદ્-ગીતાના કુલ અક્ષરો પણ ૯ થાય છે. ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણનાં કુલ ૧૦૮ નામ છે, કુલ ૧૦૮ સુવાક્યો છે, ગીતાને સંસ્કૃતમાં શ્લોકબદ્ધ કરનાર શ્રીકૃષ્ણ દ્વૈપાયન વ્યાસનું નામ પણ ૯ અક્ષરનું છે, ગીતામાં યોગ શબ્દ ૯૯ વખત આવે છે, ગીતામાં કુલ ૮૦૧ વિષયોનું વર્ણન છે, યોગ માટે ૫૪ શ્લોકો છે, ગીતામાં ભગવાન પોતાની વિભૂતિઓનું વર્ણન કરે છે, જેમ કે વૃક્ષોમાં હું પીપળો છું, નદીઓમાં હું ગંગા છું - તો ગીતામાં આવી કુલ મળી ૨૩૪ વિભૂતિઓનું વર્ણન છે. ગીતામાં કુલ ૯૦ (નેવું) વ્યક્તિઓનાં નામોનો ઉલ્લેખ છે, જેમ કે : નારદ, પ્રહ્લાદ, ભૃગુ, રામ વગેરે. આ તમામનો સરવાળો ૯ થાય છે એટલું જ નહિ ગીતાનાં કુલ ૧૮ નામ છે જેનો સરવાળો પણ ૯ થાય છે. ૯નું અદ્ભુત સંકલન અહીં જોવા મળે છે.
 

geeta_1  H x W: 
 
#  ગીતાના ૭૦૦ શ્લોકો પૈકી ૬૪૫ શ્લોકો અનુષ્ટુપ છંદમાં છે. બાકીના ૫૫ શ્લોકો ત્રિષ્ટુપ, બૃહતી, જગતી, ઇન્દ્રવ, ઉપેન્દ્રવજ્રા વગેરે અલગ અલગ છંદોમાં આવે છે.
 
#  એકલી ગુજરાતી ભાષામાં જ શ્રીમદ્‌ ભગવદ્ગીતા વિષે અલગ અલગ સમજૂતી આપતાં, ટીકા-ટિપ્પણી કરતાં ૨૫૦ પુસ્તકો હાલ ઉપલબ્ધ છે, જે દર્શાવે છે કે આ ગ્રંથ કેટલો મહાન છે, આવાં ખૂબ જ લોકપ્રિય પુસ્તકોનાં ઉદાહરણરૂપ ૧૦ લેખકો અત્રે પ્રસ્તુત છે.
 
મહાત્મા ગાંધીજી - અનાસક્તિ યોગ
વિનોબા ભાવે - ગીતા પ્રવચનો
આઠવલેજી - ગીતામૃતમ્‌
એસી ભક્તિ વેદાંત - ગીતા તેના મૂળરૂપે
કિશોર મશરૂવાળા - ગીતામંથન
ગુણવંત શાહ - શ્રીકૃષ્ણનું જીવનસંગીત
શ્રી અરવિંદ - ગીતાનિબંધો
રવિશંકર મહારાજ - ગીતાબોધવાણી
કાકા કાલેલકર - ગીતાધર્મ
લોકમાન્ય ટિળક - ગીતા રહસ્ય
 
#  ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ - ચાર વેદો છે પણ ગીતાને પાંચમો વેદ કહેવાય છે.
 
#  કોઈપણ ધર્મના સિદ્ધાંતોને વેદ-ઉપનિષદ-ભગવદ્ગીતા આ ત્રણનો આધાર લઈ શાસ્ત્રોક્ત રીતે સાબિત કરવામાં આવે છે તેને પ્રસ્થાનત્રયી કહે છે, જેમાં ગીતાનું સ્થાન મોખરે આવે છે. ધર્મની એક પણ ગૂંચવણ એવી નથી કે જેનો ઉકેલ ભગવદ્ગીતામાં ના હોય !!