ગર્ભાસન । સ્નાયુઓની કમજોરી, આંતરડાના વિકારો, ચૂંક, આફરો, આંતરડાનો સોજો, અપચો હોય તો આ આસન ફાયદો કરી શકે છે

20 Jul 2020 17:50:58

garbhasana_1  H 
 

ગર્ભાસન - Garbhasana

 

પરિચય : સમજી લો આ યોગને....

 
ગર્ભાસન. ગર્ભાસન એટલે ગર્ભમાં રહેલા બાળકના આકાર જેવું આસન. આ આસનનો દેખાવ ગર્ભમાં રહેલા બાળક જેવો હોવાથી આ આસનનું નામ “ગર્ભાસન” છે.
 
સાવચેતી : પગના ઘૂંટણ, હાથની કોણી કે સાથળના બોલમાં ક્યાંય દુઃખાવો હોય તો ડૉક્ટર કે યોગ શિક્ષકની સલાહ મુજબ આ આસન કરવું.
 

સ્થિતિ : પદ્માસનની સ્થિતિ ગ્રહણ કરવી.
 

પદ્ધતિ : આ રીતે કરો...

 
પદ્માસનમાં બેસો. આ પછી જમણા હાથને જમણી પિંડી અને સાથળની વચ્ચે રહેલી જગ્યામાંથી તેમજ ડાબા હાથને ડાબી પિંડી અને સાથળની વચ્ચે રહેલી જગ્યામાંથી બહાર કાઢો. આ સ્થિતિ કુક્કુટાસનની જેવી સ્થિતિ થશે.
 
હવે હાથને કોણીમાંથી વાળીને જમણા હાથથી જમણા કાનની બુટ્ટી અને ડાબા હાથથી ડાબા કાનની બુટ્ટીને પકડવા પ્રયત્ન કરો. પૂરા શરીરને નિતંબ પર સંતુલિત કરો. સાવધાનીપૂર્વક અભ્યાસ કરવો.
 
શરીર સંતુલન ગુમાવી બેસે નહીં તેનું ખાસ ધ્યાન રાખવું. નહીંતર પાછળની તરફ ગુલાંટ ખાઈ જશો. નિતંબ ઉપર શરીરનું સંતુલન રાખવું ખૂબ જરૂરી છે. આ સ્થિતિમાં જ્યાં સુધી રોકાઈ શકાય ત્યાં સુધી રોકાવું. દબાણ-ખેંચાણનો અનુભવ કરવો.
હવે પરત ફરવા માટે સૌ પ્રથમ કાનની બુટ્ટી પકડેલા હાથને મુક્ત કરો. એ પછી બન્ને હાથને પગની પિંડી અને સાથળની પક્કડમાંથી મુક્ત કરો. પદ્માસનને ધીરે ધીરે ખોલી નાંખો. રિલેક્સ થાવ.
 

ધ્યાનમાંરહે : આટલું તો ધ્યાન રાખો જ...

 
- પગના ઘૂંટણ અને વાળેલા હાથની કોણી એકબીજા પાસે પક્કડ બનાવશે.
- બન્ને હાથની આંગળી અને અંગૂઠા વડે બન્ને કાનની બુટ્ટી પકડવી.
- શરીરનું તમામ વજન નિતંબ પર આવશે.
- સંતુલન કરો. ગબડી જવાય નહીં નહીં તેનું ખાસ ધ્યાન રાખવું.
 

ફાયદા : આટલા બધા છે...

 
- સ્નાયુઓની કમજોરી દૂર કરે છે.
- આંતરડાના અનેક વિકારો દૂર થાય છે.
- સાથળ ઉપરનો મેદ દૂર થાય છે અને સાથળ સુડોળ બને છે.
- ચૂંક, આફરો, આંતરડાનો સોજો, જીર્ણજ્વર, મળાવરોધ દૂર થાય છે.
- પેટ સાફ થાય છે, પેટનો વાયુ વિકાર મટે છે, પાચનશક્તિમાં વધારો થાય છે.
- ઉત્તેજિત, ઉદ્ધિત કે ક્રોધિત અને અંસતુષ્ટિ મગજને શાંત કરે છે.
- શરીરને સંતુલિત કરવાનું આસન છે.
- વીર્યની રક્ષા થાય છે. ચિત્ત સ્થિર બને છે.
 

રોગમાં શ્રેષ્ઠ : આ રોગ હોય તો આ આસન કરી જુવો...

 
આંતરડાના રોગ, સાથળ ઉપરની ચરબી ઘટાડવામાં, પાચન-પેટના વાયુ વિકારમાં શ્રેષ્ઠ છે.
 
 

યોગ-આસન....

ભારતની વિશ્વને ભેટ ગણાતા યોગની અસરકારકતા માત્ર શરીર અને મનના સંતુલન સુધી જ મર્યાદિત નથી. યોગનો સંબંધ મન-શરીર સહિત વ્યક્તિના સમગ્ર વ્યક્તિત્વને પાંચ મુખ્ય તત્ત્વો અગ્નિ, પૃથ્વી, જળ, વાયુ ને આકાશ સાથે જોડવાનો પણ છે. આ પાંચ તત્ત્વોનું શરીરમાં યોગ દ્વારા કેવી રીતે સંતુલન સાધીને વ્યક્તિ પોતાના તન-મનને સમગ્ર વિશ્વ સાથે એકરૂપતા સાધી શકે છે. વર્તમાન યુગમાં યોગનું મહત્વ વિશ્વમાં સ્વીકારાયું છે ત્યારે આવો આપણે યોગ-આસન વિશે જાણીએ,સમજીએ અને તંદુરસ્ત રહેવા તેને જીવનમાં ઉતારીએ… #yogasana, #yog #mudra #yogmudra #pranayam #suptavajrasana

Website - www.sadhanaweekly.com

Facebook Page - https://www.facebook.com/sadhanasaptahik

Instagram - https://www.instagram.com/sadhanasaptahik/

Youtube - Sadhana Saptahik

Twitter - https://twitter.com/sadhanaweekly

 
Powered By Sangraha 9.0