બહૂનપિ ગુણાનેકદોષી ગ્રસતિ ।
“ઘણા ગુણોને એક દોષ ગળી જાય છે”
સંપૂર્ણઃ કેવલો હરિઃ । અર્થાત્ ફક્ત ભગવાન જ સઘલા ગુણોથી ભરેલો એટલે સર્વગુણસંપન્ન છે. મનુષ્ય ગુણો અને દોષો બંનેના મિશ્રણવાળો છે. ગુણો મનુષ્ય માટે ઉન્નતિકારક સારાં તત્ત્વો છે, જ્યારે ગુણના વિરોધી દોષ મનુષ્યની અધોગતિ કરાવનારાં ખરાબ તત્ત્વો છે. ગુણોએ સામાન્ય મનુષ્ય માટે જીવનમાં કેળવવા જેવા છે. દા.ત. વિનય, વિવેક, ઉદારતા, પ્રામાણિકતા, દયા વગેરે. એ બધા ગુણો માણસમાં હોય તે ગુણવાળી એટલે સારો માણસ છે. એથી ઊલટું, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર વગેરો દોષો માણસમાં હોય તે દોષિત એટલે ખરાબ માણસ કહેવાય છે.
હવે માણસમાં ઘણા ગુણો હોય તેની સાથે થોડાક દોષો પણ હોય છે. એવી રીતે માણસમાં ઘણા દોષો હોય તો કોઈક ગુણ પણ હોય છે. એનું કારણ એ છે કે માણસ ગુણદોષોનું મિશ્રણ ધરાવે છે. વળી ગુણ કરતાં દોષ વધુ પ્રબળ હોય છે, તેથી માણસમાં કોઈ એક જ દોષ હોય તો તેના તમામ ગુણોની કદર કોઈ કરતું નથી. સાચું બોલવું એ ગુણ છે અને ખોટું બોલવું એ દોષ છે. આમ છતાં ગાયની પાછળ પડેલા કસાઈને ગાય કઈ બાજુ ગઈ એ સાચું કહીએ તો તે દોષ બને છે અને ખોટી બાજુ બતાવીએ તે ગુણ છે. માણસ બીજા ગુણ ધરાવતો હોય છતાં ગરીબાઈ એ એક જ દોષ તેના ગુણોનો નાશ કરે છે. માણસ ધનવાન હોય પણ અભિમાનનો એક જ દોષ તેને નકામો બનાવે છે. સંક્ષેપમાં, ઘણા ગુણોને ગળી જવાનું કામ મનુષ્યનો એક જ દોષ કરે છે. પરિણામે મનુષ્યે ગુણો કેળવવા કરતાં દોષથી દૂર રહેવું જોઈએ એવી ભલામણ પ્રસ્તુત સૂત્રમાં લેખકે કરી છે.