સ્વશક્તિં જ્ઞાત્વા કાર્યમાર ભેત ।
“પોતાની તાકાત જાણીને કાર્ય શરૂ કરવું જોઈએ”
મનુષ્યના જીવનમાં કાર્ય એ અનિવાર્ય છે. જીવવા માટે પણ શ્વાસ લેવાનું અનિવાર્ય છે. જીવનમાં મનુષ્યે અનેક કાર્યો કરવાં પડે છે. દરેક કાર્યમાં સફળ થવા માટે તે કાર્યને પારખવું પડે છે અને તે પછી કાર્ય કરવાથી મનુષ્યને કાર્યનું સારું ફળ મળે છે. કાર્ય પારખવાની સાથે પોતાની શક્તિને પણ પારખવી પડે છે. પોતાનામાં કાર્ય કરવાની તાકાત છે કે નહીં એ જાણીને કોઈ કાર્ય કરવું કે ન કરવું એનો નિર્ણય મનુષ્યે કરવો પડે છે. પોતાની તાકાત એ કાર્ય કરવામાં ઓછી હોય તો માણસ બીજાની મદદ લઈને પણ કાર્ય કરી શકે છે. તેમાં પણ બીજો મામસ મદદ કરશે કે નહીં અને એની મદદ પણ કારગત નીવડશે કે નહીં તેનો વિચાર કરવો પડે છે.
કોઈ કામ કરવાની તાકાત પોતાનામાં ન હોય તો પણ એ કાર્ય કરવાનો પ્રયત્ન કરીએ તો “પાસે ન હતી કોડી અને ભરબજારે દોડી” એ કહેવત જેવી ઉપહાસની સ્થિતિમાં મુકાવું પડે છે.
એવી જ સ્થિતિ આવડતની છે. એક કામ આપણને આવડતું ન હોય છતાં એ કરવા પ્રયત્ન કરીએ છીએ તો એ કામ થતું નથી અને આપણે લોકોની મશ્કરીને પાત્ર બનીએ છીએ. કામની આવડત એ પણ એ એક પ્રકારની શક્તિ જ છે. આપણી પાસે વીણા વગેરે વાદ્યો વગાડવાની આવડત ન હોય અને આપણે વીણાવાદન કરવા જઈએ તો લોકો આપણી મજાક ઉડાવે એ કુદરતી છે. વળી રાજા પાસે સૈનિકોની શક્તિ અપૂરતી હોય અને તે પોતાની શત્રુ સાથે યુદ્ધ કરે તો હાર ખાઈને પાછા વળવાનો કે મરવાનો વખત આવે એ કુદરતી છે. આમ પોતાની શક્તિ પૂરતી હોય તો જ કાર્ય શરૂ કરવું એવો બોધ પ્રસ્તુત સૂત્ર આપી જાય છે.